પ્રતિભાવો ઉર્ફે Comments

Tuesday, January 01, 2013

પ્રાણલાલ પટેલ : વિશિષ્ટ તારીખોના ડબલ વિટ્નેસ



‘11 – 11 – 11, 12 – 12 – 12 : આંકડાની માયાજાળ જેવી તારીખો આગામી સો વર્ષ સુધી જોવા નહીં મળે’ – છાપાં કે માધ્યમોને આવા મથાળાં બાંધવા બહુ ગમે. લો બોલો જાણે શું ય નવી નવાઈની વાત કહી દીધી. આવી તારીખો માટે જ્યોતિષશાસ્ત્રથી લઈને જન્મકુંડળી સુધીની ચર્ચાઓ ચાલે છે. મને બરાબર યાદ છે કે ગઈ સદીમાં આવું 8 – 8 – 88 અને 9 – 9 – 99 જેવી તારીખો માટે ચલાવાયું હતું. મને ખાતરી છે કે 7 – 7 – 77 કે એ અગાઉની તારીખો માટે આવા તિકડમો નહીં લડાવાયા હોય. કેમ કે વધારે ગંભીર વાતો કરવા માધ્યમો પાસે બીજા અનેક મુદ્દા હતા. ખેર! આપણો મુદ્દો બીજો જ છે. અરે મુદ્દો છે જ નહીં...માણસની વાત છે માણસની.

હું અમદાવાદમાં / Ahmedabad રહું છું એટલે પહેલો વિચાર મને આ શહેરનો આવે તે સ્વાભાવિક છે. આ શહેરમાં એવી એક વ્યક્તિ રહે છે જેમણે આવી તારીખો એક વાર નહીં બબ્બે વાર જોઈ છે. પ્રાણલાલ પટેલ યસ, ફોટોગ્રાફર પ્રાણલાલ પટેલ / Pranlal Patel.

ફોટા જોઇને તેમનો પરિચય અખંડ આનંદ’ સામયિક / Akhand Anand Gujarati Monthly દ્વારા થયો અને અમૃતપર્વથી પણ આગળ વધી ગયેલા તેમના ગંજાવર કામનો શબ્દ પરિચય લેખક પત્રકાર ઉર્વીશ કોઠારીએ / Urvish Kothari કરાવ્યો. તેમની સાથેની ઓળખાણ પણ ઉર્વીશે જ કરાવી હતી. ઘણું કરીને સાત – આઠ વર્ષ અગાઉ તેમના જન્મ દિવસે સાથે મળવા ગયા હતા. પ્રાણલાલદાદાને જન્મદિવસે મળવાનો ક્રમ ઉર્વીશે તેમના અંગત પરિચયમાં આવ્યો ત્યારથી જાળવી રાખ્યો છે.

અમદાવાદમાં કોઈ પણ ફોટોગ્રાફરનું ફોટો એક્ઝિબીશન હોય કે આર્ટિસ્ટના ગ્રૂપ શો હોય પ્રાણલાલભાઈની ભાર વગરની’ ઉપસ્થિતિ હોય અને તેમનાથી ચોથા ભાગની ઉંમરના કલાકારોથી તે ઘેરાયેલા હોય. તેમની સાથે વિશેષ કોઈ પરિચય નથી પણ એક યાદગાર પ્રસંગ છે. વલ્લભભાઈ પટેલ પરના ઉર્વીશ કોઠારીના પુસ્તક સરદાર : સાચો માણસ, સાચી વાત’ / Sardar : Sacho Manas, Sachi Vaat ના રાજકોટમાં / Rajkot યોજાયેલા વિમોચન (માર્ચ 2005)માટે તેમને આમંત્રણ આપ્યા પછી કાર્યક્રમના અગાઉના દિવસે ફોન કર્યો. પંચાણુ (95)ની તેમની ઉંમર જોતાં મનમાં એવો ખ્યાલ હતો કે કાર ટેક્ષીની અલગથી ગોઠવણ કરીને તેમની સગવડ વિશેષ સાચવવી. તેમણે મને પૂછ્યું કે તમે કેવી રીતે જવાના?’ મેં મિત્રો પરિવાર માટે લકઝરી બસની વ્યવસ્થા કર્યાનું કહ્યું એટલે એમણે કહ્યું કે હું પણ તમારી બધાની સાથે જ આવીશ. ઓ.કે. તો સવારે હું ઘરે લેવા માટે આવી જઇશ.’ એવી મારી ઓફરનો જવાબ ના’ અને રાજકોટ જવા માટે એ સવારે પૌત્રના સ્કૂટર પર આવી ગયા. છે ને ભાર વગરની ઉપસ્થિતિ?

માધ્યમો જેને નવી નવાઈના ગણાવે છે એવા દિવસો એક નહીં પણ બબ્બે વાર જોવાની જેમને મન નવાઈ નથી તે પ્રાણલાલભાઈની જન્મ તારીખ છે જાન્યુઆરી 1910. આજે તેઓ 103 વર્ષના થયા. ફોટોગ્રાફી સ્પર્ધાની તસવીરો જોવા અને એ રીતે યુવાન ફોટોગ્રાફર્સને પ્રોત્સાહન આપવા તેઓ લો ગાર્ડન અમદાવાદ સ્થિત રવિશંકર રાવલ આર્ટ ગેલેરી ખાતે આવ્યા ત્યારે 30 ઑક્ટોબર 2010ના રોજ આ ફોટો પાડ્યો હતો.

7 comments:

  1. ગુજરાતી પ્રતિભા પરિચય માટે તેમનો બાયો ડેટા મેળવી દેશો, તો આભારી થઈશ.
    http://sureshbjani.wordpress.com/

    ReplyDelete
  2. A very interesting and an informative blog. Have not read much Gujarati blogs but liked this one.

    ReplyDelete
  3. સૌ મિત્રો,
    બ્લોગની છેંતાલીસમી પોસ્ટ (1 જાન્યુઆરી 2013)ના પ્રતિભાવો માટે આભારી છું.

    બિનીત મોદી (અમદાવાદ) / મંગળવાર, 23 એપ્રિલ 2013

    ReplyDelete
  4. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને પોણા બે વર્ષ પૂર્ણ થયા.
    46મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 01-01-2013 to 01-01-2014 – 410

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  5. પ્રિય મિત્રો,
    આજે 105મા જન્મદિનની ઉજવણી કરતા પ્રાણલાલદાદાના ગંજાવર કામ સંદર્ભે 2013ના વર્ષમાં એક અનોખી ઘટનાએ આકાર લીધો તેની નોંધ લેવી જ પડે.
    ‘એનું સર્વસ્વ’ – અંગ્રેજીમાં ‘his everything’ એ નામે એક દસ્તાવેજી ફિલ્મનું નિર્માણ થયું. જાણીતી કૅમરા ઉત્પાદક કંપની કેનનના સહયોગમાં અમદાવાદના માનવ પ્રતિષ્ઠાન વતી તસવીરકાર કેતન મોદીએ તેનું નિર્માણ કર્યું છે.

    શનિવાર, 12 જાન્યુઆરી 2013ની સાંજે બોડકદેવ – અમદાવાદ સ્થિત નેહરૂ ફાઉન્ડેશન – CEEના ઑડિટોરિયમમાં ઉપરોક્ત ફિલ્મ પ્રથમવાર રજૂ થઈ ત્યારે તેને નિહાળવા માટે 103 વર્ષના પ્રાણલાલ પટેલ પણ ઉપસ્થિત હતા.

    આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશી, ચિત્રકાર હકુ શાહ, કવિ ધીરુ પરીખ, તસવીરકાર વ્રજ મીસ્ત્રી અને સુરેન્દ્ર પટેલની સાથે પત્રકાર – લેખક ઉર્વીશ કોઠારીએ તેમના જીવન – કવન અને મિજાજને છતી કરતી વિશેષ વાતો કરી છે એવી ફિલ્મની કાસ્ટ આ પ્રમાણે છે.
    લેખક – દિગ્દર્શક : કાંચી પંડ્યા, સિનેમેટોગ્રાફર : નીરજ પટેલ, સંકલન : સચીન દવે, ઓડિયોગ્રાફર : મનીત મહેતા અને પ્રણવ યાજ્ઞિક, સંગીત : કેદાર ઉપાધ્યાય અને નિર્માતા : માનવ પ્રતિષ્ઠાન અને કેતન મોદી

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  6. પહેલી જાન્યુઆરીએ 105મા જન્મદિનની ઉજવણી પછી સામાન્ય માંદગીના પગલે ચાર-પાંચ દિવસની હૉસ્પિટલ સારવાર બાદ પ્રાણલાલદાદાનું આજે શનિવાર 18 જાન્યુઆરી 2014ની બપોરે અમદાવાદ ખાતેના તેમના નિવાસસ્થાને અવસાન થયું છે તેની સખેદ નોંધ લઉં છું.

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  7. પ્રિય મિત્રો,
    46મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 01-01-2014 to 01-01-2015 – 110

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete