પ્રતિભાવો ઉર્ફે Comments

Thursday, April 26, 2012

અમદાવાદની આજકાલ : ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ – નામકરણ થયું, મુદ્રીકરણ નહીં.....


      નામકરણની 'લાખેણી' તક્તી

        અમદાવાદના આશ્રમરોડ પર બાટા શો-રૂમ સામે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ઓફિસ બિલ્ડીંગથી સાબરમતી નદી તરફ જતો રોડ હવે સત્તાવાર રીતે ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ તરીકે ઓળખાય છે. વિશ્વ માતૃભાષા દિન 21 ફેબ્રુઆરી 2012 (મંગળવાર)ની સાંજે માતૃભાષા – સાહિત્ય – સંગીત જેવા કાર્યક્રમોની સાથે માર્ગ નામકરણની તક્તીનું અનાવરણ થયું. આનંદની વાત છે. અમદાવાદના માધ્યમોમાં ક્યાંક એની નોંધ લેવાઈ. સઘળી જગ્યાએ નોંધ લેવડાવવી હોય તો પ્રેસનોટ મોકલવી પડે જે કામ પરિષદના તગડો પગાર મેળવતા કર્મચારીઓથી થઈ શકતું નથી. સાદી ટપાલ તો ઠીક ક્યારેક કુરીઅરથી મોકલાવાતી આમંત્રણ પત્રિકાઓ પણ કાર્યક્રમ વીતી ગયાના ચોવીસ કલાકથી લઈને ચોથા દિવસે મળે છે.
કાર્યક્રમનું આમંત્રણ

     
માર્ગને સત્તાવાર રીતે કોઈ નામ આપવાનું કામ સ્થાનિક વહીવટીતંત્રએ પાર પાડવાનું હોય છે. અમદાવાદમાં એ કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન બજાવે છે. એ રૂએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અમદાવાદના મેયર અસિત વોરાએ પરિષદ પ્રમુખ ભોળાભાઈ પટેલની સાથે રહી નામકરણની તક્તીનું અનાવરણ કર્યું અને જાહેર કર્યું કે સાબરમતી રિવરફ્રન્ટ તરફ જતો આ રોડ હવેથી ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ તરીકે ઓળખાશે.

પરિષદ મુખપત્ર 'પરબ'ના માર્ચ - એપ્રિલના અંક  

        ખરેખર એમ થયું
? ના. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા દર મહિનેપરબ નામનું મુખપત્ર મહિનાની દસમી તારીખે પ્રકાશિત થાય છે. માર્ગ નામકરણના ઉપરોક્ત કાર્યક્રમ પછી માર્ચ અને એપ્રિલ એમ બે મહિનાના અંકો પ્રકાશિત થયા. સામયિકના પ્રકાશનસ્થાનના સરનામામાં જ આ માર્ગનો ઉલ્લેખ નથી. સરનામું અગાઉથી ચાલી આવતા ટાઇમ્સ પાછળ, નદીકિનારે શબ્દોથી આગળ વધ્યું નથી. સામયિક જે તે મહિનાની દસમી તારીખે પ્રકાશિત થતું હોવા છતાં 21 ફેબ્રુઆરીના ઉપરોક્ત કાર્યક્રમની માર્ચ મહિનાના અંકમાં કોઈ નોંધ નથી. ઉઘડતા પાને પરિષદ પ્રમુખ દ્વારા લખાતા વાચકો જોગ પત્રમાં ભોળાભાઈ પટેલ દ્વારા આ બાબતની કોઈ નોંધ લેવામાં આવી નથી. હા, ભોળાભાઈએ દિવ્ય ભાસ્કર દૈનિકની રવિવારની પૂર્તિમાં આવતી તેમની પખવાડિક કોલમ સાહિત્ય વિશેષમાં 25 માર્ચના લેખમાં માર્ગ નામકરણના પ્રસંગની વિશેષ નોંધ લઈને માતૃભાષા ગુજરાતીને બચાવી લેવાની વાત લખી છે. અસિત વોરા માટે ઊંચી કદકાઠી અને વ્યક્તિત્વ ધરાવતા મેયર જેવા શબ્દો લખીને ભોળાભાઈએ તેમના જેવા રણજિતરામ સુવર્ણચંદ્રક અને પદ્મશ્રીથી સન્માનિત વ્યક્તિત્વને ન શોભે તેવી ભાટાઈ પણ લેખમાં કરી છે. (લેખની સ્કેન ઇમેજ આ સાથે મુકી છે.)

ભોળાભાઈ પટેલ : છાપામાં 'લેખ' લખાય,
મુખપત્રમાં 'ઉલ્લેખ' પણ નહીં.....

        આજે તો કોઈ પૂછશે ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ
? એ વળી કયો માર્ગ? એટલા સરનામાથી ટપાલખાતું પણ મૂંઝવણમાં પડશે? આ માર્ગ ક્યાં આવ્યોઅમદાવાદના ઘણા રસ્તાઓને મહાનુભાવોના નામ સાથે સાંકળવામાં આવ્યા છે. તેમાં કેટલાક સાહિત્યકારોનાં નામ પણ છે. ઉમાશંકર જોશી માર્ગ ક્યાં છે? પન્નાલાલ પટેલ માર્ગ ક્યાં છે? જયંતી દલાલ માર્ગ ક્યાં છે? કોઈ જાણતું નથી કદાચ. એમ ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગનું થશે?

        ઉપરના ફકરામાં બ્લુ અક્ષરે લખાયેલા શબ્દો મારા નથી. એ ભોળાભાઈ પટેલે દિવ્ય ભાસ્કરની તેમની કોલમમાં લખ્યા છે. લાગે છે ભોળાભાઈને જે ડર સતાવી રહ્યો છે એને પરિષદના તેમના સહિતના હોદ્દેદારો કે પરબના તંત્રી યોગેશ જોષી જ સાચો પાડશે કે જેઓ પરિષદ માર્ગની કાયમી અને સમયસર લેવાવી જોઈતી નોંધ બે મહિના સુધી લઈ શક્યા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી શહેરની સર્વોચ્ચ વહીવટી સંસ્થાએ માર્ગનું નામકરણ કરી આપ્યું જેનું મુદ્રીકરણ કરવાનું પરિષદે આજે બે મહિના પછી પણ બાકી રાખ્યું છે. પરિષદની સત્તાવાર વેબસાઇટ www.gujaratisahityaparishad.com પર આ વિશેષ ઉપલબ્ધિનો ઉલ્લેખ કે તેનો ફોટો પણ નથી.

ગુજરાતી સાહિત્ય પરિષદનો આજીવન સભ્ય હોવાના નાતે નિયમિતપણે મળતા રહેતા પરબનો એપ્રિલ 2012નો અંક પણ ટપાલમાં આવી ગયો. દુનિયામાં અમુક સામયિકો ભૂલો વિનાના હોય, કેટલાક જાહેરખબર વિનાના હોય, થોડા વાચકો વિનાના પણ હોય એમ આ પરબ ફોટા વિનાનું સામયિક છે. એમાં જૂની-નવી કવિતાઓ, વાર્તાઓ, વિવેચનો, પ્રવચનો બદ્ધું છપાય પણ ફોટા ના છપાય. એપ્રિલના અંકમાં પરિષદ-પાથેય અંતર્ગત માર્ગ નામકરણની નોંધ બે પાનામાં છપાઈ છે પણ ફોટા વગર. પરબમાં ફોટો એક જ વાર છપાય – સાહિત્યકાર અવસાન પામે ત્યારે, એ પણ જો સ્વર્ગસ્થ જણ પરિષદ હોદ્દેદારોના ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ હોય તો.

હવે એક આડવાત કરીને મારી વાત પૂરી કરું.
ગુજરાતી સાહિત્ય પરિષદના નદીકિનારા સ્થિત મકાનને સંસ્થાકીય ધોરણે મળવી જોઈએ એવી કોઈ રાહત મિલકત વેરામાં મળતી નથી. પરિષદના મકાનને કોમર્શિયલ પ્રોપર્ટી ગણીને જ મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્ષની આકારણી કરી વેરો વસૂલે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની દલીલ એવી કે એક સંસ્થાને રાહત આપીએ તો એ ધોરણ તમામ સંસ્થાઓને લાગુ પાડવું પડે અને અમને આવકની મોટી ખોટ પડે. પરિષદના જૂના હોદ્દેદારોએ પૂરતો અભ્યાસ કર્યા વિના પ્રોપર્ટી ટેક્ષમાં રાહત મળવી જ જોઈએ એવી વાતનું પૂંછડું પકડી લીધું હતું. એમ કરતા થોડા વર્ષો મિલકત વેરો ચુકવવાનું જ ચૂકાઈ ગયું. બાકી વેરો અને ઉપર ચઢતું વ્યાજ એમ વર્ષો-વર્ષ જવાબદારી વધતી જ ગઈ. સમય જતાં પરિષદમાં નવા હોદ્દેદારો આવ્યા. એમાંના કેટલાકને રસ્તાને પરિષદનું નામ મળવું જોઈએ એવો વિચાર આવ્યો. વાત આગળ વધતાં મ્યુનિસિપલ સત્તાવાળાઓ સમક્ષ પહોંચી તો એમણે ઉપરોક્ત બન્ને મુદ્દાને જોડી દીધા. નદી તરફ જતા રસ્તાને પરિષદનું નામ આપવાનું ગાજર ગુ.સા.પ.ના હોદ્દેદારો સમક્ષ લટકાવી દીધું – એમ કહીને કે બાકી વેરાની તમામ રકમ ચુકવી આપો. આમ હજારોથી શરૂ થયેલી બાકી છેવટે રૂપિયા બાવીસ લાખના આંકડે પહોંચી ત્યારે પરિષદે એ જવાબદારી નિભાવવા સામટી રકમ ચુકવવાનો વારો આવ્યો. એટલે એક રીતે જુઓ તો માર્ગ નામકરણની આ તક્તીનો સોદો મોંઘો અને લાખેણો પડ્યો છે.

પ્રથમ તસવીર : બિનીત મોદી
એ સિવાયની સ્કેન ઇમિજીસ


Monday, April 16, 2012

અમદાવાદની આજકાલ : જેકેટનો જુલમ વેઠતા સફાઈ કર્મચારીઓ


ધોળે દિવસે જેકેટનો જુલમ

સફાઈ કર્મચારી બહેને સાડી પર પહેરેલું ગ્લો સાઇન જેકેટ ચાર મહિના અગાઉ પહેલી વાર જોયું ત્યારે શિયાળાની સવાર હતી. તેને પહેરનારા સફાઈ કર્મચારી ભાઈએ વહેલી સવારની કડકડતી ઠંડીનો સામનો કરવા સ્વેટરની અવેજીમાં શર્ટ પર ચઢાવ્યું હશે એમ માની એક સવારે તેમની સાથે વાતોએ વળગ્યો. સમજાવ્યું કે આ જેકેટ તો રાત્રે કામ કરતા હો તો પહેરવાનું હોય છે જેથી રસ્તા પર વાહન ચલાવનાર તમારી હાજરીની નોંધ લઈ સલામત અંતર રાખીને વાહન ચલાવે. ઉદાહરણ આપતા એમ પણ કહ્યું કે સાંજ પડ્યે અમદાવાદની ટ્રાફિક પોલીસ પણ ચાર રસ્તે આ રીતે ગ્લો સાઇન જેકેટ પહેરીને જ ફરજ બજાવે છે.

રસ્તાની સફાઈનો તેમનો અને સ્કુટર સફાઈનો મારો રોજિંદો સમય એક જ. રોજ અમારી ચાર આંખો મળે એટલી ઓળખાણે જ કદાચ એ ભાઈએ મારી આટલી પણ વાત સાંભળી. પછી પોતે વાત માંડી. મને કહે
, તમે માનો છો એમ આ જેકેટ સ્વેટરની અવેજીમાં તો બિલકુલ નથી પહેર્યું. એ રીતે ચાલે તેમ પણ નથી એમ કહી એ કેટલું પાતળું છે તે બતાવ્યું. આ જેકેટ રાત્રે જ પહેરવાનું હોય છે તેની તેને પણ ખબર હતી જ. પછી કહે, મને ને તમને ખબર છે પણ અમારા જડભરતસાહેબોને આના ઉપયોગની ગતાગમ નથી એટલે ધોળે દિવસે આ જેકેટ પહેરવાનું ઠઠાડી દીધું છે – એ ય લેખિતમાં. ઠંડી ભાગવી તો દૂર રહી, આને કારણે ખુદના ગરમ કપડાં પણ પહેરી શકાતા નથી. એ પહેરીએ તો જેકેટ શરીર પર ના ચઢે, ટૂંકું પડે. આ દુ:ખ કોને કહીએ?

તેમનો સુપરવાઇઝર સાહેબ અઠવાડિયે એક-બે વાર મોટર સાઇકલ પર ફરતો-ફરતો સફાઈ કામ થઈ રહ્યાની દેખરેખ રાખે. એક વાર તેને મોંઢે આ વાત કરી તો કહે ઉપરથી સાહેબોનો હુકમ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગથી લઈ મેયર ઓફિસ સુધીના કેટલાક ફોન ખખડાવી જોયા. પરિણામ – શૂન્ય. એમ કરતા શિયાળો અને સમય બન્ને વીતી ગયા. ઉનાળો આવ્યો.

ફરીથી એ જ સીન. અમદાવાદની ગરમી કે ઉનાળા વિશે હું અહીં કંઈ લખું તો જ તેની તીવ્રતા અનુભવાય એવું તો છે નહીં. પણ શનિવારની સવારે (
14 એપ્રિલ – ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ) ઉપરના ફોટામાં છે એ સફાઈ કામદાર બહેનને / Street Sweeper સાડી પર જેકેટ સાથે જોયા ત્યારે ફરીથી ડાયલૉગ કર્યો. એ જ જવાબ – સાહેબો આ પહેરવાની ફરજ પાડે છે. મને દયા આવી ગઈ. એ બહેનની નહીં, તેમના જડસુ સાહેબોની અને તેમના બુદ્ધિઆંકની – જો હોય તો. કે જેઓ ઉનાળાના દિવસોમાં પણ આ જેકેટ પહેરવા સંબંધે નવેસરથી વિચાર કરીને નિર્ણય પર આવી શકતા નથી.
મુંબઈમાં પણ કોઈ જુદી કહાણી નથી

ગુજરાતના અન્ય શહેરોની તો ખબર નથી પણ અમદાવાદમાં સફાઈનું કામ કર્મચારીઓ દ્વારા દિવસે જ થાય છે. રાતના સમયે વાહનોની અવર-જવર ઓછી થયા પછી રસ્તા સફાઈ માટે ઑટોમેટીક સાધનોને કામે લગાવવામાં આવે ત્યારે મદદમાં રહેતા કર્મચારીને ગ્લો સાઇન જેકેટ પહેરાવાય છે. અન્ય વાહનોથી તેની સલામતી માટે એ જરૂરી છે. પણ દિવસે એ જેકેટ પહેરાવવામાં સાહેબોનો કયો અભરખો પૂરો થાય છે તેનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના / Ahmedabad Municipal Coporation ખર્ચે અને જોખમે જ સંશોધન કરવું રહ્યું. શક્ય છે એ માટે પરદેશનો પ્રવાસ પણ ખેડવો પડે.

અમદાવાદમાં / Ahmedabad કોઈ ટ્રાફિક કોન્સ્ટેબલને કે તેના સાહેબને દિવસે આ રીતે ગ્લો સાઇન જેકેટ પહેરીને ફરજ બજાવતો જોયો નથી કારણ કે તે પોલીસ છે, તેની પાસે સત્તા તો છે જ છે – બુદ્ધિ પણ છે. જ્યારે આ સફાઈ કર્મચારીઓ બાપડા-બિચારાની વ્યાખ્યામાં આવે છે. તેમને માત્ર ફરજ જ નિભાવવાની છે. અને સત્તા? એ તો આપણે 
તેમને આપી જ નથી. આપીએ તો આ નહીં તો આવતા ઉનાળા સુધીમાં તો તેને જેકેટ પહેરવામાંથી મુક્તિ મળે – ધોળે દિવસે.


પહેલી તસવીર (અમદાવાદની) : બિનીત મોદી
બીજી તસવીર (મુંબઈની) : નેટ પરથી