પ્રતિભાવો ઉર્ફે Comments

Tuesday, June 19, 2012

યશવન્ત મહેતા : બાળસાહિત્યકારનો અમૃતપ્રવેશ


યશવન્ત મહેતા : આજે પંચોતેરમાં પ્રવેશ,
પત્ની દેવીબહેન સાથે..... 

સક્રિય પત્રકારત્વની પચાસી પાર કરી ચુકેલા યશવન્તભાઈ આજે 19મી જૂને પંચોતેરમા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. (જન્મવર્ષ – 1938 : લીલાપુર, સુરેન્દ્રનગર જિલ્લો) સાહિત્યના એકથી વધુ પ્રકારના વિષયોમાં તેમણે કરેલું ખેડાણ 450 ઉપરાંત પુસ્તકોમાં સમાયું – સચવાયું છે. જો કે તેમની મુખ્ય ઓળખ બાળસાહિત્યકારની રહી છે. એ એમની નિસબતનો વિષય પણ રહ્યો છે એમ કહેવું જોઇશે. બાલસાહિત્ય અકાદમીની સ્થાપના માત્ર નહીં, વખતોવખત – વર્ષમાં બે-ચાર વાર બાલદિન / Children's Day સિવાય પણ બાળકોને કેન્દ્રમાં રાખી કાર્યક્રમો કરવાની સક્રિયતા તેમણે બતાવી છે, હજી ચાલુ છે. સ્થળ – સમય કે બાળકોની સંખ્યાને લક્ષમાં લીધા વિના બાળકોની પ્રવૃત્તિઓમાં તેઓ હોંશભેર જોડાય છે. એ માટે જાત ઘસી નાંખવાની કે ખિસ્સા પર ઘસરકો પડે તેની આગોતરી તૈયારી પણ યશદાદાએ રાખી જ હોય. આ યશદાદા એ બાળકોએ આપેલું હુલામણું નામ છે.

એમ તો યશવન્તભાઈ / Yeshwant Mehta એક જમાનામાં જાવા મોટરસાઈકલ ચલાવતા હતા. મને લાગે છે એના પર સવાર થયેલા યશવન્ત મહેતા ખરેખર 'દાદા' જેવા જ લાગતા હશે. ગુજરાતી પત્રકારત્વની નોકરીમાં ઝીણું કાંતવાનો – પુષ્કળ લખવાનો અને બદલામાં આછો – પાતળો પગાર પામવાનો જમાનો હતો એવા દિવસોમાં તેમણે આ મોટરસાઈકલ વસાવેલી. શરીર પાસેથી લેતા હતા એટલું જ કામ એ જાવા / Jawa Motorcycle પાસેથી લેતા. સમવયસ્ક અને સમવ્યવસાયી મિત્રો પણ તેને ખપમાં લેતા. એની વાત આગળ ઉપર.

પત્રકારત્વ – લેખનની વ્યવસાયી કામગીરીના નાતે હું જ્યાં જોડાયેલો છું તે પ્રકાશન સંસ્થા ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય કે લેખકો – પત્રકારોના સંગઠન ગુજરાતી લેખક મંડળ / Gujarati Lekhak Mandal સાથે યશવન્તભાઈ વર્ષોથી જોડાયેલા છે. મંડળના તેઓ અધ્યક્ષ છે. એ રીતે તેમની સાથે વાત – વિવાદ કે ડાયલોગ થવાના સંજોગ ઊભા થતા રહે. આવી જ એક વાતચીત દરમિયાન કહેતા કેપાસે વાહન હોવું એ 1990 પહેલાના જમાનામાં મોટી જણસ ગણાતી. જાવા જેવી હેવીવેઇટ મોટરસાઈકલ હોવાના કારણે હું ઝડપભેર રિપોર્ટીંગ અને અન્ય કામ માટે ફરી વળતો. એ જોઈને મિત્રોને પણ ક્યારેક એ રીતે કામ કરવાની હોંશ જાગતી અને પાસે વાહન ન હોવાના કારણે પાછા પડતા. હું ડ્રાઈવર બનીને તેમની મદદે આવતો.

ગુજરાતી પત્રકારત્વમાં કે ગુજરાતી જોડણીકોશમાં ફ્રિ-લાન્સ શબ્દ દાખલ નહોતો થયો એવે સમયે તેમણે ગુજરાત સમાચાર / Gujarat Samachar જેવા મોટા ગજાના અખબારની કંઈક અંશે સલામત ગણાતી એવી નોકરી માત્ર મુક્તપણે કામ કરવાના એક માત્ર ઇરાદાથી જ મૂકી દીધી. એમાં તે સફળ પણ થયા. સાહિત્ય સર્જન કર્યું – બાળકોની પ્રવૃત્તિઓમાં જોડાયા – છેવાડાના માણસની ચિંતા સેવતું લેખન કરી એ માંહેની પ્રવૃત્તિ કરી – ભૂતકાળમાં લખેલું ગ્રંથસ્થ કર્યું. આ બધું કરવામાં આર્થિક પાસું પણ જળવાઈ રહ્યું તે એ રીતે કે માત્ર લેખનની આવક પર તેઓ આવકવેરાનું રીટર્ન ફાઇલ કરે છે – એ પણ નિયમિત.

એમ તો બીજું પણ એક કામ તેઓ નિયમિત કરે છે એ પત્નીને પિયર તેડવા જવાનું. ગુજરાતી લેખક મંડળની શુક્રવારી બેઠકમાં અધ્યક્ષના હોદ્દાને વચમાં લાવ્યા વિના કે તેના કથિત મોભાનો સહેજ સરખો ભાર રાખ્યા વિના તેઓ વહીવટી કામગીરી કરતા હોય. જેમાં કવર પર સરનામાં કરવાનું કામેય કોઈ છોછ વિના કરતા જાય. એમ કરતા સાથી મિત્રોને ખબર આપે કે પોતે આવતા શુક્રવારે બેઠકમાં હાજરી નહીં આપે. હા, એમને કેમ નથી આવવાના એવું પણ પૂછી શકાય – હકપૂર્વક નહીં, હેતથી. પૂછીએ એટલે કહેદેવીબહેનને પિયર મોરબી / Morbi તેડવા જવાનું છે.’ તેમની ઉંમર સામે જોતા કદાચ તેમને ચીડવવા માટે જ હું પૂછી બેસું કેકેમ, તમે તેડવા ના જાવ તો એ ના આવે?’ યશવન્ત મહેતા આંખ મીંચકારીને ભારપૂર્વક જવાબ આપે – ના. હા, આંખ મીંચકારે એ ક્ષણ પૂરતા તમે એમને રોમેન્ટિક પણ કહી શકો.

આવા સવાલો પૂછીને હું તેમને હેરાન ન કરું એટલે પછીના શુક્રવારે એ મીઠાઈ લઈને આવે – દેવીબહેનના હાથે બનાવેલી સુખડી, મગસ કે મોહનથાળ. મંડળના સભ્યોને તેનો લાભ મળે પણ સિંહફાળો મારા ભાગે હોય. મઝા આવે. દિલીપ રાણપુરા સાથેની તેમની દોસ્તી એવી કે એમના વિશેની કોઈ વાત એ આંખમાં ઝળઝળિયા વગર પૂરી જ ના કરી શકે. દિલદાર એવા કે બાળસાહિત્ય અંગેનું કેન્દ્રિય સાહિત્ય અકાદમીનું / Sahitya Akademi સન્માન જાહેર થયું તો એ લેવા માટે મિત્રો નટવર પટેલ અને યોસેફ મેકવાનને પોતાના ખર્ચે દિલ્હી સાથે લઈ ગયા. પ્રકાશક સાથેનો સંબંધ એવો કે મનુભાઈ શાહ એ સન્માન વેળાએ તેમને સરપ્રાઇઝ આપવા ઉપસ્થિત રહ્યા.

તેમના વિશે આટલું કે વિસ્તારથી ના લખવું હોય અને એક વાક્યમાં પરિચય આપવો હોય તોય આપી શકાય. પારકાના સુખે સુખી અને દુઃખે અતિ દુઃખી થતો જણ એટલે યશવન્ત દેવશંકર મહેતા. તેમના પરિવારમાં બે દીકરીઓ ઋતંભરા (સાઇકાયટ્રિસ્ટ ડૉ. – સુરત), પ્રતીચી (આવકવેરા વિભાગવડોદરા) અને દીકરો ઈશાન (કમ્પ્યૂટર એન્જિનિઅર) અમદાવાદમાં સાથે રહે છે.

પોસ્ટની સૌથી ઉપરનો દેવીબહેન સાથેનો તેમનો આ ફોટો વર્ષ 2006નો શ્રી ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક’ તેમને એનાયત થયો ત્યારે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સભાખંડમાં 30 ડિસેમ્બર 2006ની સાંજે પાડ્યો હતો.

11 comments:

  1. યશવંતભાઈનું પુસ્તક 'યુગયાત્રા' ક્યાંયથી મળે? ઓનલાઈન તો મળતું દેખાતું નથી. આ પુસ્તકે મને સાયન્સ ફિક્શનમાં રસ લેતો કરેલો.. :)

    ReplyDelete
    Replies
    1. પ્રિય કાર્તિક,
      'યુગયાત્રા' પુસ્તકના પ્રકાશક ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય છે. રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદથી આ પુસ્તક મળી શકશે.
      પ્રકાશકનો ફોન નંબર (079) 2214 4663.
      લેખક યશવન્ત મહેતાનો ફોન નંબર (079) 2663 5634.

      Delete
  2. touching introduction of yashwantbhai. best wishes to him.

    ReplyDelete
  3. હું જેમને ઓળખું છું તેવા સાહિત્ય-પત્રકારત્વ- કળા કે કર્મશીલતા થકી ન્યાયી સમાજરચના માટે વર્ષોથી કાર્યરત એવા ૭૦-૭૫ ની વયે પહોંચતા વડીલોનો જન્મદિવસ આવે છે ત્યારે ઉદાસ થઇ જવાય છે. મનોમન નામો ગણવા બેસી જાઉં છું, ગીરીશભાઈ-રમેશભાઈ જેવા થોડા નાદુરસ્ત રહેતા વડીલોને જોઈ અંદરોઅંદર હતાશા વ્યાપી જાય છે, તો ઉમંરે પહોંચવા છતાં વાલજીભાઈ, પ્રવીણભાઈ, અચ્યુતભાઈ, ઈન્દુકુમાર જેવાની એકંદરે દુરુસ્ત તબિયત જોઈ થોડોક આશ્વસ્ત થાઉં છું. પણ આ આશ્વાસન પણ કેટલું ચાલશે? આટલી નિસ્બત, આટલી પ્રતિબદ્ધતા અને આટલો પરિશ્રમ તો અનુગામી પેઢીના કોઈ ગણ્યાગાંઠ્યા વિરલાઓમાં જ જોવા મળે છે, ત્યારે અલવિદાની વધારે ને વધારે નજીક લઇ જતા આ વડીલોના જન્મદિવસો ટાણે વધાઈ આપવાનો શિષ્ટાચાર પણ વસમો લાગે છે!

    with real selfish motive, i can only say : take care of yourselves my dear Yashavantbhai and all my veteran activists fighting for justice and equality, eat nutritious food, exercise regularly, take sufficient rest and recreation; so that you can live for many many more years. yes, for us - lazy and not so grateful generation - indeed.

    ReplyDelete
  4. સૌ મિત્રો,

    બ્લોગની ચૌદમી પોસ્ટ (19 જૂન 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.

    ઉર્વીશ, નીરવભાઈ - આપની લાગણી આ પોસ્ટની પ્રિન્ટ સ્વરૂપે યશવન્તભાઈ પાસે પહોંચી છે.


    બિનીત મોદી (અમદાવાદ) / શનિવાર, 30 જૂન 2012

    ReplyDelete
  5. Fr Varghese Paul SJ (Ahmedabad)19 June 2013 at 18:05

    Dear Binit,
    Congratulations for your write up on Yeshwant Mehta. I just read and enjoyed it. Me and Yosephbhai Macwan personally visited him today morning to wish him.
    With Love & Regards,
    Fr Varghese Paul, SJ (Ahmedabad)

    ReplyDelete
  6. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને સવા વર્ષ પૂર્ણ થયું.
    14મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 19-06-2012 to 19-06-2013 – 480
    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  7. Shashikant Nanavati (Ahmedabad)20 June 2013 at 11:55

    ભાઈ યશવન્તને અનેકાનેક અભિનંદન. યશવન્તે કેવળ સ્વપ્રયાસ અને માત્ર આત્મવિશ્વાસથીજ શ્રેષ્ઠ સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે. ઘણા વરસોથી હું આ વાતનો પ્રત્યક્ષ સાક્ષી છું. ભાઈ યશવન્તને અંતઃકરણની શુભેચ્છાઓ.
    શશિકાન્ત નાણાવટી (અમદાવાદ)
    (Response through FACEBOOK, 20 June 2013 : BLOG Post Re-shared on 19 June 2013, Yeshwant Mehta's 76th Birthday)

    ReplyDelete
  8. Kalyan Shah (Ahmedabad)21 June 2013 at 01:10

    અમૃતપ્રવેશ પ્રસંગે અભિનંદન. જીવો, સારું જીવો અને શતાબ્દી પુરી કરો.
    કલ્યાણ શાહ (તસવીરકાર, અમદાવાદ)
    (Response through GOOGLE Plus, 20 June 2013 : BLOG Post Re-shared on 19 June 2013, Yeshwant Mehta's 76th Birthday)

    ReplyDelete
  9. પ્રિય મિત્રો,
    14મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 19-06-2013 to 19-06-2014 – 130

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete