પ્રતિભાવો ઉર્ફે Comments

Tuesday, July 10, 2018

અમૃતલાલ વેગડ : નર્મદાયાત્રી માટે તારક મહેતાનું ઘર તીર્થાટન

અમૃતલાલ વેગડ / Amrutlal Vegad
3 ઑક્ટોબર 1928 થી 6 જુલાઈ 2018
જબલપુરથી જબલપુર


ભાષાના બંધનમાં જેને બાંધી શકાતી નથી એવી ચિત્રકળા અને નર્મદાકાંઠાની તીર્થયાત્રા કરતા હિન્દી ભાષામાં લખાયેલા સંસ્મરણોથી જાણીતા થયેલા અમૃતલાલ વેગડને / Amrutlal Vegad ગુજરાતે ખૂબ મોડા અને ગુજરાતી પુસ્તકો થકી જ ઓળખ્યા. હિન્દી ભાષાના અગ્રણી અખબાર સમૂહ દૈનિક ભાસ્કર / Dainik Bhaskar સમૂહના ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરની / Divya Bhaskar ગુજરાતમાં શરૂઆત અને બુધવારની અઠવાડિક પૂર્તિમાં આવતી નદીયા ગહરી, નાવ પુરાની કોલમથી ગુજરાતી વાચકોને તેમનો પહેલો નહીં તોયે નવેસરથી પરિચય થયો એમ કહીએ તો ખોટું નહીં.

કચ્છનું કુંભારિયા ગામ તેમનું વતન. વડવાઓનું આ ગામ વાગડ પ્રદેશનો ભાગ હતું એટલે તેઓ વેગડ અટકથી ઓળખાયા. ગુજરાત સાથેનો તેમનો નાતો નવેસરથી જોડાયો પછી ગુજરાત – અમદાવાદની મુલાકાતો પણ યોજાતી રહી. આવી એક મુલાકાતમાં (વર્ષ 2004) દિવ્ય ભાસ્કર ઑફિસની મુલાકાત લેતા તત્કાલીન તંત્રી અજય ઉમટ / Ajay Umat સમક્ષ તેમણે ઇચ્છા વ્યક્ત કરી કે અમારે (અમૃતલાલ વેગડ અને કાન્તાબહેન વેગડ) તારક મહેતાને / Tarak Mehta મળવા જવું છે. શક્ય બનશે? તારકભાઈ પણ એ સમયે દિવ્ય ભાસ્કરના કોલમ લેખક હતા. એક ફોન, થોડી વાતચીત અને ટેક્ષીની વ્યવસ્થા સાથે અજય ઉમટે વેગડસાહેબની ઇચ્છા પૂરી કરવાનું પહેલું કદમ માંડ્યું. તારક મહેતાને અનુકૂળ એવા સાંજના સમયે મુલાકાત ગોઠવાઈ.

વેગડ દંપતી તારકભાઈના ઘરે પહોંચ્યા. થોડી વાતચીત થઈ અને ઇન્દુબહેને (શ્રીમતી તારક મહેતાએ / Indu Tarak Mehta) અમૃતલાલ વેગડ સામે ઘરનો ફોન ધર્યો. કહ્યું અજયભાઈ તમારી સાથે વાત કરવા માગે છે. અજય ઉમટે અમૃતલાલ વેગડેને જણાવ્યું કે, થોડી મિનિટો પહેલાના ન્યૂઝ ફ્લેશ જણાવે છે કે સૌંદર્યની નદી નર્મદા પુસ્તક માટે તમને કેન્દ્રિય સાહિત્ય અકાદમીનું સન્માન મળે છે. આ સમાચાર તમારી સાથે જ સૌ પહેલા વહેંચી રહ્યો છું અને તમે એ તારકભાઈ સાથે વહેંચો. વહેંચ્યા. તારકભાઈએ અભિનંદન પાઠવ્યા અને ઇન્દુબહેને મોં ગળ્યું કરાવ્યું. તારકભાઈને વેગડસાહેબે કહ્યું કે આપની સાથેની મુલાકાત તો યાદ રહેશે જ પણ મને આ સન્માનના સમાચાર તમારા ઘરમાં સાંભળવા મળ્યા હતા એ હંમેશા યાદ રહેશે.



કાન્તાબહેન વેગડ અને અમૃતલાલ વેગડ
આ ઘટના – પ્રસંગના થોડા વર્ષો પછી તેઓ ફરી અમદાવાદ આવ્યા
. સાથે કાન્તાબહેન હતા એમ લખવાની જરૂર ખરી? એ તો એમના કાયમના સાથી – સંગાથી હતા. ફરી એકવાર તારકભાઈની મુલાકાત. તેમની આ મુલાકાતથી માહિતગાર એવા હાસ્યલેખક રતિલાલ બોરીસાગર / Ratilal Borisagar અમૃતલાલ વેગડને મળવા તારકભાઈના ઘરે આવ્યા. એકમેકનો પરિચય, થોડી વાતચીત પછી રતિલાલ બોરીસાગરે તેમને પોતાની મુલાકાતનો મૂળ ઉદ્દેશ જણાવ્યો. કહ્યું કે રામચરિત માનસના કથાકાર મોરારીબાપુ / Morari Bapu ઇચ્છે છે કે આગામી અસ્મિતા પર્વમાં / Asmita Parv આપ આવો અને નર્મદાયાત્રાની વાતો ભાવકો – શ્રોતાઓ સમક્ષ મુકો. આમંત્રણનો સ્વીકાર કરતા વેગડસાહેબે પ્રતિભાવમાં કહ્યું કે તેઓ જરૂર એ આયોજનમાં સહભાગી થશે. નર્મદાયાત્રાના સંસ્મરણો તેમણે અનેક ઠેકાણે કહ્યા છે પરંતુ અસ્મિતા પર્વનું આ ઠેકાણુ, તલગાજરડા – મહુવા મુકામે યોજાતું સાહિત્ય પર્વ વિશેષ છે એની તેમને જાણ છે. તારકભાઈના ઘરે જ્યારે પણ આવે છે ત્યારે આવા સારા – વિશેષ સમાચાર મળતા રહે છે એનો આનંદ પણ વેગડકાકાએ વહેંચ્યો.

2015માં નવજીવન ટ્રસ્ટ – પ્રકાશન સંસ્થાની / Navajivan Trust મુલાકાતે અમદાવાદ આવ્યા એ તેમની છેલ્લી મુલાકાત બની રહી. નર્મદા યાત્રા પર તેમણે કરેલા ચિત્રોનું પ્રદર્શન અને એ નિમિત્તે તેઓ થોડી વાતો કરે અને પ્રશ્નોત્તરી પણ થાય એવો ઉપક્રમ હતો. અમદાવાદ આવ્યાનો એ કદાચ પહેલો – બીજો દિવસ હશે. વાચક તરીકે પરિચય આપીને વાંચવા ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદમાં અરૂણા મહેતાના આયોજન થકી કૉફી મેટસ્ના / Coffee Mates ઉપક્રમે તેમના વક્તવ્યનો આ અગાઉ લાભ મળ્યો છે એવી સહજ વાત સાથે તારકભાઈના ઘરે મળ્યાનું સ્મરણ કરાવ્યું.

એમની આંખોમાં ચમક આવી ગઈ. કહે,
કાન્તા, યાદ છે ને આપણે તારકભાઈને મળ્યા વગર અમદાવાદ છોડવાનું નથી. હવે તેઓ ઘર બહાર નીકળી શકતા નથી એટલે પણ આપણે જવું જ જોઈએ. સાંભળતા થાય કે કેટલી સહજ ભાવના. કૃતનિશ્ચયી પણ ખરા. તેમની ઇચ્છાને અનુમોદન આપતા ઉપરોક્ત ઉપક્રમના આયોજક વિવેક દેસાઈએ (મેનેજીંગ ટ્રસ્ટી, નવજીવન ટ્રસ્ટ) કહ્યું કે હું તમને એમના ઘરે લઈ જઈશ. મને કહે, તમે સાથે આવશોને. તારકભાઈનું ઘર મારા માટે તીરથ સમાન છે. જ્યારે જઉં ત્યારે કંઈક સારા સમાચાર સાંભળવા મળે જ છે. મેં પૂછ્યું, વેગડકાકા આ વખતે તમને કયા સારા સમાચારની અપેક્ષા છે. કહે, હવે પગ કામ નથી કરી રહ્યા. છતાં નર્મદામૈયાની એક ટૂંકી યાત્રા કરવાની મનશા છે. મને ખાત્રી છે કે પ્રવાસના શોખીન તારકભાઈને મળવા માત્રથી નર્મદાના જળમાં ચરણ પખાળવા જઈ શકું એટલી શક્તિ તો આવશે જ.

નર્મદા પરિક્રમાની તસવીરોથી ખ્યાત તસવીરકાર જોગેશ ઠાકર પત્ની સાથે હાજર હતા. શિલ્પા અને વિવેક દેસાઈ તેમજ અપૂર્વ આશર અને બીજા મિત્રો તેમની આસપાસ હતા. ફરીથી ક્યારે અમદાવાદ આવશો? એવા પ્રશ્નના જવાબમાં અમૃતલાલ વેગડ કહે હવે એવી શક્તિ નથી રહી. એમ કરો તમે મિત્રો ભેગાં મળી જબલપુર આવો. આપણે વાતો કરીશું – નર્મદા યાત્રાની. તેમના – કાન્તાબહેનના આમંત્રણના શબ્દોમાં ભળેલો આત્મીયતાનો રણકો ભૂલાય એવો નથી...તેમના સાહિત્યની જેમ જ.

તસવીરો : બિનીત મોદી

2 comments:

  1. નમઁદે હર. Really we lost big man, who loves nature, understanding the real environmental truths

    ReplyDelete
    Replies
    1. પ્રેમ અને આદર યોગ્ય રીતે રજૂ થયા છે.

      Delete