પ્રતિભાવો ઉર્ફે Comments

Monday, March 28, 2016

ચંપા અરવિંદલાલ શાહ ઉર્ફે ચંપા સાકરલાલ મોદી ઉર્ફે ચંપાફોઈ રાણીપવાળા...

ચંપા અરવિંદલાલ શાહ / Champa ArvindLal Shah

04-08-1931થી 18-03-2016

મારે બે ચંપાફોઈ છે. એક તે પપ્પાના સગા બહેન (ચંપાબહેન કંચનલાલ પરીખ) જેઓ હાલ અમેરિકામાં વસે છે. બીજા તે પપ્પાના પાલીમાસીની દીકરી બહેન એમ એ સગપણથી થતા ચંપાફોઈ. વતન ગોધરાના કાજીવાડા (આજે શ્રીજીવાડા તરીકે ઓળખાતું ફળિયું)માં સાથે જ રહેલી, ઉછરેલી, ભણેલી બન્ને માસિયાઈ બહેનો વચ્ચે બહેનપણાનું પ્રમાણ વધુ હતું. કાળક્રમે આમ તો બન્ને ચંપાફોઈ અમેરિકા જઈ દીકરા સાથે રહ્યા પણ અમદાવાદવાળા ચંપાફોઈની ઓળખાણ આ રીતે અપાતી – રાણીપવાળા ફોઈ, ચંપા અરવિન્દ શાહ / Champa Arvind Shah.
હા, રાણીપનું / Ranip, Ahmedabad નામ પાડ્યા વગર તેમની વાત થઈ શકે તેમ નથી. આજે 2016માં એકવીસમી સદીનો દોઢ દાયકો વીતી ગયા પછી પણ કોઈના મોંઢે એમ સાંભળું કે ‘છોકરીના ઘરનું ના ખવાય’ અથવા તો ‘છોકરીના ઘરે મા-બાપથી ના રહેવાય’, તો આ વાક્યો સાંભળીને બોલનાર પર ગુસ્સો તો પાછળથી આવે પણ પહેલા ચંપાફોઈ યાદ આવે. પાલીમાસી – સાકરમાસા, તેમના મા-બાપને તેઓ હક્કપૂર્વક કહેતા કે પાલી-કાકા વર્ષે એકવાર તો અઠવાડિયું – પખવાડિયું તમારે મારી સાથે રહેવા અમદાવાદ આવવાનું જ. સગવડે તેમને શહેરમાં ફરવા પણ લઈ જતા. જો કે મોટાભાગના સગાં – સંબંધી તેમને રાણીપ, ગીતાંજલિ સોસાયટીના ઘરે જ મળવા જતા. એ રીતે 1986 – 1987ના ગાળામાં પાલીમાસી – સાકરમાસાને આખરીવાર અમદાવાદમાં જોયા હશે.
30 ડિસેમ્બર 2015થી 3 જાન્યુઆરી 2016 વચ્ચે પાંચ દિવસ માટે વતન ગોધરામાં યોજાયેલા કુટુંબમેળા ‘Modi – Mody Reunion’ / http://www.modimody.com/ માં સાકરમાસા – પાલીમાસીની સાથે ચંપાબહેનને તેમનાથી નાના છ ભાઈ-બહેનોની (વિનોદ – અરૂણ – અનિલા – સતીષ – બટુક અને યોગેશ) સંભાળ લેનાર – દરકાર કરનાર એક માત્ર બહેન રૂપે યાદ કરવામાં આવ્યા. (વાંચો વિનોદ મોદી વિશે / Vinod Mody / http://www.binitmodi.blogspot.in/2014/02/blog-post.html) પાલીમાસીના સતત માંદગીભર્યા સંજોગોને લઇને આમ કરવું જરૂરી હતું અને એ જવાબદારીને સુપેરે સંભાળી લેનાર મોટી બહેન માટે સૌથી નાના ભાઈ ડૉ. યોગેશ મોદીએ / Yogesh Mody એમ કહ્યું કે, ‘અમારા માટે તો ચંપાબહેન એટલે મા પછીની મા’. કાર્યક્રમના એક તબક્કે બહુ ગૌરવપૂર્વક તેમને યાદ કરવામાં આવ્યા કે, જે કંપાઉન્ડમાં ભેગા થઈને આજે આપણે જલસો કરી રહ્યા છીએ તેમાંના બંગલાની ટાઇલ્સ ઘસવા ચંપાએ બહેન સુમતીની / Sumatiben Shah / http://www.binitmodi.blogspot.in/2014/12/blog-post.html સાથે જાત ઘસી નાખી હતી. ચીંધેલા કામ માટે કે જાણ્યા – અજાણ્યા પરિચિતોને ખપમાં આવવા જાત ઘસી નાખવાનો સિલસિલો ફોઈ પરણીને અમદાવાદ આવ્યા તે પછી પણ ચાલુ રહ્યો.
અગિયાર ભાઈ-બહેનોમાં ચોથા નંબરે આવતા ચંપાબહેન / Champa Arvind Shah વતન ગોધરાથી / Godhra પરણીને અમદાવાદ / Ahmedabad આવ્યા (લગ્ન તારીખ 12 ફેબ્રુઆરી 1955) ત્યારે પહેલા સાબરમતી / Sabarmati અને તે પછી રાણીપ રહેવા ગયા. કુટુંબમાં ભણતરને, વિશેષપણે ભાઈઓના અભ્યાસને જોઇને અમદાવાદ આવ્યા હતા એટલે ભણતરની મહત્તાને સમજતા હતા. ઉચ્ચ અભ્યાસ કરતા તેમનાથી નાના ભાઈ અરૂણ / Arun Mody, રતિકાકાના દીકરા ચીનુ / Chinoo Modi અને ઓચ્છવકાકાની દીકરી લતા (હાલ લંડનમાં રહેતા ડૉ. લતા તુષાર ભટ્ટ / Lata Tushar Bhatt) ને ભણતરમાં તો તે મદદરૂપ થઈ શકે એમ નહોતા. પરંતુ એવો આગ્રહ જરૂર રાખતા કે શનિ-રવિની રજામાં હોસ્ટેલ છોડીને ભાઈ-બહેન તેમના ઘરે આવે. ‘અઠવાડિયે એક વાર પણ ઘરના રોટલા ખાશો તો ભણવામાં મન સારું લાગશે’ એવો તેમનો સાદો તર્ક રહેતો. નવાઈ લાગે પણ તેમના આ તર્ક – ડહાપણનો લાભ પછીની પેઢીના ભાણા – ભત્રીજાઓને પણ મળ્યો. જેમ કે વી.એસ. હોસ્પિટલમાં મેડિકલનો અભ્યાસ કરતા રાજેશભાઈ / Rajesh Parikh (મધુકાન્તા નટવરલાલ પરીખ ઉર્ફે બબુફોઈના દીકરા, હાલ સુરત) અને એમ.કોમ તેમજ અકાઉન્ટન્સીનો વિશેષ અભ્યાસ કરતા મીનેષભાઈ / Minesh Mody (ઉર્મિલા અને સુરેન્દ્ર સાકરલાલ મોદીના દીકરા, હાલ અમેરિકા) એ દિવસોને યાદ કરતા આજે પણ કહે છે કે ચંપાફોઈ સહિતના કેટલાક પરિવારજનોના ઘર અમદાવાદમાં હોવાના કારણે અમારી કારકિર્દી સરળતાથી આગળ ચાલી. અમને ઘર-ગામ જલદીથી યાદ નહોતું આવતું.
ભાઈ કે ભાણા – ભત્રીજાઓને ચંપાફોઈનો જે લાભ ભણતી વખતે મળ્યો હતો તે મારા પપ્પા સ્વ. પ્રફુલ મોદીને / Praful Modi / http://www.binitmodi.blogspot.in/2013/10/blog-post_23.html નોકરીના વર્ષો દરમિયાન મળ્યો. સ્ટેટ બૅન્કની નોકરી દરમિયાન પપ્પા રાણીપ શાખામાં મેનેજરના હોદ્દા પર હતા. 1987 – 1988ના સમયમાં રાણીપ આજના જેટલું વિક્સેલું નહીં એટલે રાણીપ ગામની બૅન્કની નોકરી રાજાના રજવાડા જેવી હતી. સમજોને કે એવું રજવાડું કે પપ્પા દરરોજ બપોરે બહેનના ઘરનો ચા – નાસ્તો કરવા જઈ શકતા હતા. આંગણે આવેલા અતિથિને ખવડાવી – પીવડાવીને વિદાય આપવાના ફોઈ એટલા આગ્રહી હતા કે અઠવાડિયે – પંદર દિવસે તેઓ પપ્પાને અચૂક આગ્રહ કરે કે, ‘પ્રફુલ, સુધાને બસ-રીક્ષામાં રાણીપ પહોંચવાનો ફોન કરી દે. સાંજે જમવાનું અમારી સાથે.’ આટલું કહીને બીજા કામે કે વાતે વળગી જાય તો એ ચંપાફોઈ નહીં. પ્રફુલ ફોન કરે પણ ખરો અને મોટે ભાગે ના પણ કરે એવી પાકી ખાતરી ધરાવતા તેઓ જાતે જ મમ્મીને ફોન કરીને હુકમની બજવણી કરી દે.
ચંપાફોઈ માટે એમ પણ કહી શકાય કે ટેલિફોનનો સંશોધક એલેકઝાન્ડર ગ્રેહામ બેલ / Alexander Graham Bell જન્મ્યો ન હોત તો ફોઈએ આ દુનિયામાં આવવાનું જ માંડી વાળ્યું હોત. ફોન હાથવગો હતો તો નંબરો એમને મોંઢે રહેતા હતા. ડાયરી જોવાની જરૂર ના પડે. પાંચસો ઉપરાંત પરિવારોમાં ફેલાયેલા ગોધરાના વતનીઓ વિષેના સાજા સમાના – માંદગીના, સારા – નરસા, જૂના – નવા બધા જ સમાચારો તેમની પાસેથી મળે. વાત-વિગત જાણીને બેસી રહેવાનું તેમના સ્વભાવમાં નહોતું. જરૂર જણાય ત્યાં મદદરૂપ થવા પહોંચી જાય. વતનથી આવતા દૂર-સુદૂરના સગાં-સંબંધી કે ભાઈ સુરેન્દ્ર / Surendra Mody / http://www.binitmodi.blogspot.in/2013/07/blog-post_30.html અને સગપણમાં નાનાકાકા થતા એવા નગીનકાકાની તેમણે દોઢ-બે મહિનાથી લઇને સળંગ ચાર-પાંચ મહિનાના ગાળા માટે સંભાળ લીધી હોય તેવા એકથી વધુ દાખલા જાણવા મળે છે. અમદાવાદ જેવા વસતી અને વિસ્તારની રીતે ફાટ-ફાટ થતા શહેરમાં ટાંચા સાધનો વચ્ચે, સ્કૂટર જેવી આજે પ્રાથમિક ગણાતી સગવડ વિના ઘરથી હોસ્પિટલ સુધી એ.એમ.ટી.એસની બસમાં ટીફીન સાથે દોડાદોડ કરતા ચંપાફોઈને પડતી મુશ્કેલીઓ-વિપદાની આજે તો માત્ર કલ્પના જ કરવાની રહે.
જસુફોઈ – કાન્તિલાલ પરીખ, હસમુખભાઈ શાહ – હસિતાકાકી (મારા મોટાકાકા – કાકી), ‘નાનુકાકા’ના હુલામણા નામથી જાણીતા હસમુખભાઈ મહેતા – ડૉ. કુસુમકાકી નાયક, ચંપાફોઈ – અરવિંદફુઆ અને તબીબી પ્રૅક્ટિસમાં આગવું નામ ધરાવતા ડૉ. ચીનુકાકા અને ડૉ. હંસાકાકી મોદી...આ પાંચ પરિવાર – દંપતી વચ્ચે એવી એક અવ્યક્ત સમજણ હતી કે એક-બીજાના સુખ – દુઃખમાં હંમેશા એકબીજાની પડખે રહેવું. કદાચ આ હૂંફને કારણે જ અમદાવાદ જેવા શહેરમાં પણ તેમનો સમય બહુ સરળતાથી વીત્યો. એવી સરળતાથી કે ઓરમુ, બાફેલો લોટ (ખીચુ), હાંડવો, મકાઇનો દાણો અને જાડા મઠિયા જેવી પરંપરાગત વાનગીઓ ખાવાની ફરમાઇશ અડધી રાતે પણ એકબીજાને કરી શકે અને એ ફરમાઇશ પાછી પૂરી થાય પણ ખરી. એવી ફરમાઇશ કે જે ખિસ્સામાં છલોછલ રૂપિયા સાથે હોટલમાં કદી ન પૂરી થાય. એવા છલોછલ રૂપિયા તો આ સૌ પાસે પણ ક્યાં હતા? હા, એમનો વૈભવ અકબંધ હતો.
અમદાવાદમાં મારા પપ્પા પોતાનું કહી શકાય એવું ઘરનું ઘર લઈ શક્યા તેનો સઘળો શ્રેય આ ચંપાફોઈને જાય છે. રાણીપમાં / Ranip, Ahmedabad એ સમયે તેમના ઘરની સામે જ ફ્લેટ – અપાર્ટમન્ટની હારમાળા બંધાતી જતી હોય. તેઓ કાયમ કહે કે ‘પ્રફુલ, આમાંનો એક ફ્લેટ તું નોંધાવી દે. બૅન્કવાળાને રૂપિયાની તકલીફ ના હોય. હોય તો મને કહે. હું સગવડ કરી દઉં.’ બેશક આ કોઈ ઠાલા વાક્યો નહોતાં. બિલકુલ જવાબદારી પૂર્વક બોલાતા શબ્દો હતા અને એમ બોલનારા તેઓ એકલા જ હતા. સામે પક્ષે રાણીપમાં મકાન ખરીદવા બાબતે તે આગ્રહી પણ નહોતા. કેમ કે તેમને ખબર હતી કે થોડાં વર્ષોમાં તેઓ પોતે જ દીકરા નૈલેશ પાસે કાયમી ધોરણે અમેરિકા રહેવા – સ્થાયી થવા જવાના છે.
આગળ જણાવ્યું તેમ ભણતરનું મહત્વ તેઓ એવું સમજતા અને સામેનાને સમજાવતા કે ભણવામાં દાંડાઈ કરતા કેટલાક ભાણા – ભત્રીજા રીતસર તેમનાથી ડરતા. સ્કૂલના ખરાબ પરિણામ સાથે જો ચંપાફોઈની અડફેટે આવી ગયા તો મર્યા સમજો. કૌટુંબિક સંજોગોને કારણે અમેરિકા જવાની ઉજળી તકો સામે દીકરા નૈલેશને / Nailesh Arvind Shah તેમણે એકથી વધુ વાર તાકીદ કરતા સમજાવ્યું હતું કે અમદાવાદથી વજનદાર ડીગ્રી લઈને અમેરિકા જવાનું કેટલું ઉપયોગી છે.
અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપની (હવે ટોરન્ટ પાવરથી ઓળખાતી)ની નોકરીમાંથી 1990માં અરવિંદફુઆ / Arvind Shah વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા. એ પછી ચંપાફોઈ-ફુઆ કાયમ માટે અમેરિકા ગયા. તેમનું આ સ્થળાંતર નૈલેશભાઈ અને ડૉ. સોનલભાભીની / Sonal Nailesh Shah વ્યવસાયી કારકિર્દી માટે આશિર્વાદરૂપ નીવડ્યું. મમ્મી – પપ્પાના સાથ-સંગાથથી તેઓ બન્ને ઉચ્ચ કારકિર્દીના દરેક પડાવ સરળતાપૂર્વક, બીનજરૂરી સંઘર્ષ વિના પાર પાડી શક્યા તેવું શાહ દંપતી ગૌરવપૂર્વક આજે પણ યાદ કરે છે. તેમના સંતાનો અંજલી / Anjalee – શાલિનને / Shalin પણ બા-દાદાની એવી તો અભૂતપૂર્વ કંપની મળી કે બાળપણના ધીંગા-મસ્તીના, ભણવામાં પા...પા...પગલી માંડવાના, સંસ્કાર સિંચનના કે ઉચ્ચ કારકિર્દી માટે અગત્યનો કહી શકાય તેવો કિશોરાવસ્થા સુધીનો ગાળો તેમના માટે યાદગાર બની રહ્યો. એવો યાદગાર જે આજન્મ ભૂલી ન શકાય.
સ્વજનોને મળવા તેમજ ચારધામયાત્રાના એક અધૂરા પડાવને પૂર્ણ કરવા ફોઈ-ફુઆ 2003માં એકાદ વર્ષ – બાર મહિના માટે જ કર્મભૂમિ અમદાવાદ આવ્યા હતા. ઑક્ટોબર 2004માં અચાનક આવી પડેલી માંદગીએ તેમના અમદાવાદ વસવાટને 2004ના અંતભાગથી 2016ના પ્રારંભ – મૃત્યુશૈયા સુધી લંબાવી દીધો. આ દરમિયાન ચાલેલી એમની માંદગી અને અવ્યક્ત પીડાનો તો કોઈ હિસાબ નથી. પરંતુ તેમની જીવનીનો થોડો હિસાબ – હિસ્સો લખાય એવી નૈલેશભાઈની ઇચ્છાને પૂર્ણ કરવી તેને હું મારું કર્તૃત્વ સમજું છું. આટલું લખીને મેં શરૂઆત કરી આપી છે. એમાં પરિવારજનો – પરિચિતો પણ જોડાય તો ઉત્તમ. તેમની માંદગીના પ્રારંભિક દિવસોમાં પરિવારના ડૉ. ચીનુકાકા મોદી / Chinoo Modi, ડૉ. કુસુમકાકી મહેતા – નાયક / Kusum Naik – Mehta, ડૉ. રાજેશ પરીખ / Rajesh Parikh અને વિશાળ મોદી પરિવારના અમેરિકા સ્થિત ડોક્ટરો તરફથી પ્રાપ્ત સલાહ – મદદની નોંધ લેવા માટે આ જગ્યા નાની પડે.
એ જ ક્રમમાં વ્યવસાયે ખુદ ડેન્ટીસ્ટ એવા ડૉ. સોનલભાભીના અમદાવાદ સ્થિત ડેન્ટીસ્ટ મિત્ર ડૉ. શૈલેશભાઈ શાહ / Shailesh Shah, ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. કલ્પેશ પટેલ / Kalpesh Patel, ક્રિષ્નાબહેન પરમાર, બહેન શ્યામલી સહાના, આનલબહેન પંચાલ તરફથી સતત સારવારની અને બહેન કમુબહેન સોની, તેમના પુત્ર નિલેશ / Nilesh Soni અને ગીતાબહેન દવે તરફથી ઘરકામ સહયોગની મદદ અવિરત મળતી રહી.
સગપણમાં મારા સગા ફોઈ એવા વસુફોઈ ચંપાફોઈ સાથે ડબલ સગાઈ ધરાવતા હતા. પરણ્યા પછી માસિયાઈ બહેન સાથે નવું સગપણ ઉમેરાયું – દેરાણી જેઠાણીનું. હા, વસુફોઈના જેમની સાથે લગ્ન થયા તે નવીનચંદ્રફુઆ અરવિંદફુઆના સગા નાનાભાઈ થાય. એ નાતે બન્ને બહેનો દેરાણી-જેઠાણી થઈ. મને આ ડબલ સગાઈ વિશે મોડી-મોડી ખબર પડી હતી. નીતા / Nita Anil Parikh / http://www.binitmodi.blogspot.in/2013/12/blog-post.html -લીના-ગોપી-દિવ્યાંગને તેમના કાકા-કાકી (અને માસી-માસા પણ ખરા) એવા ચંપાફોઈ-ફુઆ માટે ‘બેન-કાકા’ એવું સંબોધન સાંભળતો થયો અને સવાલ કર્યો ત્યારે મમ્મી-પપ્પાએ મને આ ડબલ સગાઈના સંબંધની જાણ કરી હતી.
ચંપાફોઈની માંદગીના વર્ષો દરમિયાન જ વિદાય પામેલા નવીનફુઆ / Navinchandra Shah (વિદાય વર્ષ 2012) અને વસુફોઈ / Vasumati Shah (વિદાય વર્ષ 2015)ની હૂંફ અને જરૂર પડ્યે સહયોગ મોટાભાઈ અરવિંદભાઈને મળતો રહ્યો. ઉપર જેમનો ઉલ્લેખ કર્યો તે બહેનો નીતા-લીના-ગોપી અને જમાઈઓ અનિલ પરીખ / Anil Parikh – સંજય શાહ / Sanjay Shah અને નીકેશ શાહ / Nikesh Shah, તેમના સંતાનો દોહિત્રા તપન / Tapan Parikh, હર્ષલ / Harshal Shah, મનન / Manan Shah, નીકી ઉમંગ શાહ / Niki Shah – Umang Shah અને ભાઈ દિવ્યાંગ / Divyang Shah – અનીશા દિવ્યાંગ / Anisha Shah સહિતના બૃહદ શાહ પરિવારના સ્વજનોએ આપેલા સહયોગ – પ્રદાનને સમાવી લેવા આવો જ બીજો લેખ લખવો પડે અને તેનો પનો પણ ટૂંકો પડે તેની મને ખાતરી છે. જો કે એક વિશેષણનો ઉલ્લેખ કરવો રહ્યો કે મોદી પરિવારના જમાઈઓને સુરેન્દ્રકાકા બહાદુર’ શબ્દની નવાજેશ કરીને જ બોલાવતા હતા.
નૈલેશભાઈએ નહીં, વિશેષ આભાર મારે નારણપુરાના આકાશ – 3 અપાર્ટમન્ટ પરિવારનો માનવાનો છે. રાણીપની ગીતાંજલિ સોસાયટીનું ઘર છોડ્યા પછીની આ જગ્યાએ ચંપાફોઈ આખર સુધી રહ્યા. પાર્કિંગ એરિયામાં ધીંગા – મસ્તી કરતા બાળકો અને કોમન પ્લોટમાં થતા ભજન – કિર્તન, હોમ – હવન, નવરાત્રિ જેવા જાહેર આયોજનો અને તેમાંથી રેલાતા સૂર ફોઈની રહી-સહી ચેતનાને માંદગીના – સારવારના આ વર્ષો દરમિયાન સંકોરતા રહ્યા.

એક અંગત પીડા પણ ફોઈની સાથે જ જોડાયેલી છે. તેમના જેવા જ કારણોસર અને ઑક્ટોબર – નવેમ્બર 2004ના એ જ ગાળામાં ગંભીર માંદગીમાં પટકાયેલી મારી પત્ની શિલ્પાને / Shilpa Binit Modi યુવાન – નાની ઉંમર હોવાને કારણે સ્ટર્લિંગ હોસ્પિટલની / Sterling Hospitals / http://www.sterlinghospitals.com/ સારવારનો જે લાભ મળ્યો તેવો લાભ અમદાવાદની એ જ સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ એવા ચંપાફોઈને અનેકાનેક પ્રાર્થનાઓ અને અગણિત ખર્ચ છતાં પ્રૌઢાવસ્થાને કારણે કદી ન મળ્યો. અગિયાર વર્ષ પાંચ મહિના (4170 દિવસ) પથારીવશ અવસ્થામાં રહેલા ચંપાફોઈ પંચાશી (85) વર્ષની વયે 18 માર્ચ 2016ની સવારે સત્તાવાર એક્ઝિટ કરી ગયા.

1 comment:

  1. સુંદર. લાગણીસભર. પ્રેમાળમૂર્તિ ચંપાફોઈ ભલે આ દુનિયામાં નથી પરંતુ તમે તેમને શબ્દદેહ આપી દીધો છે. તેમને વંદન.

    ReplyDelete