પ્રતિભાવો ઉર્ફે Comments

Friday, May 25, 2012

ગીતાંજલિ મધુસૂદન ઢાંકી : વિદ્યાવ્યાસંગીના જીવનસંગિનીની વિદાય

કવિ – લેખક – સાહિત્યકાર– કલાકાર આ જગતમાંથી વિદાય લે ત્યારે માધ્યમોમાં એ બાબતની નોંધ લેવાય છે. સારું છે. જો કે એ લાભ એમના પરિવારજનોને મળતો નથી. એ બાબતમાં સંતાનો સુધી લીટી લાંબી ન કરીએ તોય એ લાભ દિવંગતના પતિ કે પત્નીને મળે, મળવો જોઈએ એવી લાગણી થયા કરે. હવે લાગણીનું તો એવું છે ને કે તેને કાબુમાં – સીમિત રાખવી પડે. જો કે આજે આવી નોંધ લેવી પડે તેવું એક કારણ મળ્યું છે.

        ભારતીય દેવાલય સ્થાપત્યના અભ્યાસી પ્રોફેસર મધુસૂદન ઢાંકીના પત્ની ગીતાંજલિબહેનનું બુધવાર
23 મે 2012ના રોજ અમદાવાદમાં અવસાન થયું. તેમની સાથે કોઈ અંગત પરિચય તો નહોતો કે કદી મળવાનું પણ નહોતું થયું. મને લાગે છે અહીં કે આગળ ઉપર લખવા માટે એ કંઈ જરૂરી પણ નથી. વ્યક્તિ સાથે અંગત પરિચય હોવો એ કંઈ લખવા માટેની લાયકાત થોડી છે? હા, લાયકાત તો ગીતાંજલિબહેને મેળવી હતી – તેમની, તેમના જવાની નોંધ લેવી પડે તેવી.

        ચોરાસી વર્ષના મધુસૂદન ઢાંકીને / Madhusoodan Dhanki (જન્મતારીખ
: 31 જુલાઈ 1927) ગયા વર્ષે 2010નો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો ત્યારે પ્રકટ થયેલા તેમના પરિચયમાં ગીતાંજલિબહેનના પ્રદાનની પણ નોંધ લેવાઈ છે.
ચંદ્રક અર્પણ સમારંભમાં ડાબેથી હેમન્ત દવે, કુમારપાળ દેસાઈ,
ભોળાભાઈ પટેલ, મધુસૂદન ઢાંકી, પ્રદીપ મહેંદીરત્તા અને ગીતાંજલિબહેન ઢાંકી

        નડિયાદ – વલ્લભ વિદ્યાનગરના પ્રાધ્યાપક હેમન્ત દવેએ લખેલા એ પરિચયનો શબ્દશઃ – અંશતઃ પાઠ આ રહ્યો.....
ઢાંકીસાહેબની આ વિદ્યાયાત્રા તેમનાં જીવનસંગિની ગીતાંજલિબહેન વિના સંભવિત નહોતી એમ બેહિચક કહી શકાય. કપરામાં કપરા સમયે પણ તેઓ સાહેબના પડખે ઊભાં રહ્યા છે, તેમને હિમ્મત બંધાવી છે, સંશોધન માટે પ્રોત્સાહન આપ્યું છે. સાહેબના પુસ્તકો, લેખોની સ્વચ્છ – સુવાચ્ય પ્રતો તૈયાર કરવી, સંશોધનમાં ઉપયોગી પુસ્તકાદિ હાથવગાં રાખવાં, ઢાંકીસાહેબની તમામ નાનીનાની બાબતોનું ધ્યાન રાખવું, બલકે એક નાના બાળકની રખાય તેવી કાળજી તેમણે ઢાંકીસાહેબની રાખી છે. ઢાંકીસાહેબ છેલ્લી માંદગીમાંથી જો ઊઠી શક્યા તો તે ગીતાંજલિબહેનના નિઃસ્વાર્થ, નિર્વ્યાજ પ્રેમથી જ, અને એ આખા સમયનો આ લખનાર સાક્ષી છે. આ સન્માન એથી ઢાંકીસાહેબનું જેટલું છે તેટલું જ ગીતાંજલિબહેનનું પણ છે.
મધુસૂદન ઢાંકી, હેમન્ત દવે અને ગીતાંજલિબહેન ઢાંકી

મને લાગે છે શ્રીમતી ગીતાંજલિબહેન મધુસૂદન ઢાંકીને શ્રદ્ધાંજલિ પાઠવવા તેમના પરિચયમાં અપાયેલા આ શબ્દો જ પૂરતા છે. એવો પરિચય આપનાર હેમન્ત દવેએ વધુમાં જણાવ્યું કે સ્થાપત્ય અભ્યાસ માટે ઢાંકીસાહેબના દેશ-પરદેશના પ્રવાસમાં તેઓ હંમેશા સાથે રહી તેમની દૈનિક સગવડોનો ખ્યાલ રાખતા એ તો સામાન્ય વાત થઈ. એ ઉપરાંત સાથે રાખેલું અભ્યાસલક્ષી સાહિત્ય જરૂર પડે રેફરન્સ મેળવવા ઉપલબ્ધ કરી આપતા. જે વિગતો ન હોય તેની યાદી બનાવતા અને પ્રવાસ બાદ તે માહિતી ક્યાંથી મળી શકે તેનું ફોલોઅપ કરતા. એ માટે કરવા પડતા ફોન – પત્રવ્યવહારમાં ઢાંકીસાહેબની સાથે તેમની સામેલગીરી હોય જ. પ્રકટ થવા મોકલાતા સંશોધનપત્રો, લેખો કે પુસ્તકો માટેની પ્રેસકોપી તેઓ તૈયાર કરતા.
પોસ્ટ સાથેના આ ફોટા ઢાંકીસાહેબને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ – અમદાવાદ ખાતે વર્ષ 2010નો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક શનિવાર19 નવેમ્બર 2011ની સાંજે અર્પણ થયો ત્યારે પાડ્યા હતા. ગીતાંજલિબહેન માટે લખાયેલા શબ્દો અને એ લખનાર હેમન્ત સુધ્ધાંના સેવા – સમર્પણ છતા થતા દેખાય એ જ આ છબિનું મૂલ્ય.

11 comments:

  1. બિનીત મોદી,આપે એક ઓછા પ્રસિદ્ધ પણ અગત્યના પ્રાધ્યાપક શ્રી મધુસુદન ઢાંકીના જીવનસંગિનીના જીવન અને વિદાયની જે આછી
    ઝલક આપી છે,તેજ તમારા પત્રકારિત્વની એક મોટાઇ છે,સાધારણ રીતે કોઈ લેખક કે પત્રકાર આવી નાની ઝંઝટમાં પડતો નથી.

    શ્રી મધુસુદન ઢાંકીએ કેટલાં પુસ્તકો લખ્યાં છે અને કયા વિષય પર લખ્યાં છે તેનો કોઈ ઉલ્લેખ હોત તો સારું હતું.

    હેમંત ભટ્ટ,કુમારપાળ દેસાઈ અને હાલમાંજ દિવંગત પામેલા ભોળાભાઈ પટેલ સાથે શ્રી મધુસુદન ઢાંકી અને ગીતાંજલિ બેનને
    ફોટામાં જોયા.

    ગુજરાતમાં પત્રકારિત્વમાં,લેખન ને સંશોધનમાં વિવિધ પ્રવૃત્તિ કરતાં અનેક બુદ્ધિમાન લોકો છે પણ તેમને જોઈએ તેવી પ્રસિદ્ધ
    મળતી નથી એ ઘણા ખેદની વાત છે.અરે! કોઈ વાર તો જાણીતા ગુજરાતી લેખકો કે સાહિત્યમાં ખાસ્સું એવું યોગદાન આપેલાંઓને
    પણ ગુજરાતી દૈનિકો બે લીટી પણ નથી લખતા તે ફરિયાદ છે.

    ગુજરાતી દૈનિકોમાં,સાપ્તાહિકો,માસિકોમાં ઘણી માહિતી અને સનસનાટી ભરેલી ખબરો છપાતી હોય છે પણ આવી વિગતો એક ખૂણામાંજ છાપીને પૂરી થતી હોય છે.આને તંત્રીઓની,સંપાદકોની બેદરકારી કહેવી કે નહીં?





    છપાઈને

    ReplyDelete
  2. Jyoti Chauhan (Gandhinagar)26 May 2012 at 16:00

    સરસ માહિતીપ્રદ લેખ. પડદા પાછળ કામ કરતા લોકોની નોંધ નથી લેવાતી ત્યારે ગિતાંજલીબહેનનો પરિચય ગમ્યો. આ લખનાર હેમંત દવે અને ફોટોમાંના હેમંત ભટ્ટ બેઉ એક છે કે જુદા જુદા?

    જ્યોતિ ચૌહાણ (ગાંધીનગર)

    ReplyDelete
    Replies
    1. Binit Modi (Ahmedabad)26 May 2012 at 16:06

      જ્યોતિ, ગીતાંજલિબહેનનો પરિચય - ઉલ્લેખ કરનાર હેમન્ત દવે જ છે. ફોટો લાઇનમાં 'ભટ્ટ' લખીને કરેલી ભૂલ તમે ધ્યાન દોર્યા પછી સુધારી લીધી છે. આભાર.

      બિનીત મોદી (અમદાવાદ)

      Delete
  3. Deepak Doshi (Mumbai)26 May 2012 at 16:09

    પ્રિય બિનીતભાઈ,
    આ સમાચાર તો મને તમારા બ્લોગ થકી જ મળ્યાં.
    ઢાંકીસાહેબના ઘરે એમનું આતિથ્ય માણી આવ્યો છું.
    હેમંતભાઈએ લખ્યું છે તે અને હજી બાકી છે તે મેળવીને આવી મૂક પ્રતિભાઓને યોગ્ય તર્પણ આપીએ.

    દીપક દોશી (મુંબઈ)

    ReplyDelete
  4. Himanshu Pathak28 May 2012 at 10:47

    Gitaben Was our nabougher my father is staying at Peoples Plaza Gita ben always use to help my old Father and Mother in my absent
    Himanshu Pathak.

    ReplyDelete
  5. પ્રફુલ્લભાઈ,
    ઢાંકીસાહેબનું મુખ્ય કાર્યક્ષેત્ર ભારતીય દેવાલય સ્થાપત્ય છે. અમેરિકન ઇન્સ્ટિટયૂટ અવ ઇન્ડિયન સ્ટડીઝ તરફથી તેમના દ્વારા સંપાદિત એનસાઇક્લોપીડિયા અવ ઇન્ડિયન ટેમ્પલ આર્કિટેક્ચરના ૧૪ ગ્રંથો પ્રકાશિત થઈ ચૂક્યા છે. એ સિવાય પણ તેમના સ્થાપત્ય, શિલ્પ, જૈન ઇતિહાસ, ભારતીય શાસ્ત્રીય સંગીત, અને સર્જનાત્મક સ્વરૂપનાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેમના ભારતીય દેવાલયોની જાળીઓને લગતા પુસ્તકના આમુખમાં ફ્રેડરિક આશરે લખેલું કે, ‘It is with pride, then, that the American Institute of Indian Studies presents another publication by one of the most prolific scholars in any field and certainly the one who knows this tradition [scil. Indian temple architecture] better and more deeply than any other scholar in the world.’
    કહેવાનો અર્થ ભારતીય દેવાલય સ્થાપત્યના ક્ષેત્રમાં ઢાંકીસાહેબનો શબ્દ આખરી ગણાય છે.

    ReplyDelete
  6. Binit Modi (Ahmedabad)6 June 2012 at 20:45

    સૌ મિત્રો,

    બ્લોગની દસમી પોસ્ટ (25 મે 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.

    ચંદ્રક અર્પણ સમારંભ પછી પરિવારજનો - ચાહકોની હાજરીમાં ગીતાંજલિબહેન ઢાંકીસાહેબની કાળજી લેતા તેમને હેતપૂર્વક જમાડતાં એ દૃશ્ય તેમના અવસાનના સમાચાર સાથે યાદ આવ્યું એટલે ત્વરિત પ્રતિભાવ રૂપે આટલું લખી શકાયું. આ પોસ્ટ થકી જેમને દુ:ખદ સમાચાર જાણવા મળ્યા તેમના માટે માધ્યમ બની શક્યો એટલો સંતોષ.

    બિનીત મોદી (અમદાવાદ) / બુધવાર, 6 જૂન 2012

    ReplyDelete
  7. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને આજે સવા વર્ષ પૂર્ણ થયું.
    દસમી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 25-05-2012 to 25-05-2013 – 460
    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  8. Naresh Saini (Ahmedabad, Gujarat)2 August 2013 at 00:30

    માધ્યમો એમની હયાતીમાં નોંધ લે તે જ એમની સાચી કદર કરી કહેવાય.
    નરેશ સૈની (અમદાવાદ, ગુજરાત)

    (Response through FACEBOOK, 1 August 2013 : BLOG Post Re-shared on 31 July 2013, Madhusoodan Dhanki's 87th Birthday)

    ReplyDelete
  9. DEAR BINIT,
    U HAVE INDEED DONE A VERY GOOD JOB BY PUBLISHING THIS ARTICLE. IT IS MOST UNFORTUNATE THAT GUJARATI NEWS PAPERS,MAGAZINES AND TABLOIDS ARE KNOWINGLY OR UNKNOWINGLY DETACHED FROM THE GUJARATI LITRETURE AND MOSTLY FUNCTIONS ON COMMERCIAL BASIS.THEY HAVE HARDLY ANY TIME OR SPACE IN THEIR PUBLICATIONS TO TAKE A LITTLE NOTE ABOUT THE GUJARATI WRITERS,LEAVE ALONE THE APPRECIATION OF THEIR WORK.

    ReplyDelete
  10. પ્રિય મિત્રો,
    દસમી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 25-05-2013 to 25-05-2014 – 100

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete