ઇઠ્યોતેરમા સ્વાતંત્ર્ય દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી સળંગ અગિયારમી વખત સંબોધન 2014 થી 2024 |
ઇઠ્યોતેરમા સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લા પર
રાષ્ટ્રધ્વજને સલામી આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ વડાંપ્રધાન
શ્રીમતી ઈન્દિરા ગાંધીની બરોબરી કરી. નરેન્દ્ર મોદીએ આજે સળંગ અગિયારમી વાર તિરંગો
ફરકાવ્યો. ઈન્દિરા ગાંધીએ વર્ષ 1966થી 1976 વચ્ચે સળંગ અગિયાર વાર લાલ કિલ્લા પરથી
રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. એ પછી વડાંપ્રધાન પદની છેલ્લી મુદતમાં 1980થી 1984
વચ્ચે પાંચ વખત ધ્વજવંદન કર્યું એ અલગ.
પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ 1947માં પ્રથમવાર અને
એમ હોદ્દા પર રહેતા 1963 સુધી સળંગ સત્તર વખત લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કર્યું
હતું. બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને એ મોકો માત્ર બે વાર મળ્યો હતો. 1964
અને 1965માં. એ પછી વડાંપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીને એ તક 1966થી 1976 વચ્ચે
સળંગ અગિયાર વખત મળી. આજે 2024માં ઇઠ્યોતેરમા સ્વાતંત્ર્ય દિવસે વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ એ ક્રમની બરોબરી કરી.
મોરારજી દેસાઈએ 1977 અને 1978માં એમ બે વખત લાલ કિલ્લા
પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશને સંબોધન કર્યું હતું. તેમના અનુગામી ચરણ સિંઘને
વડાપ્રધાન લેખે લોકસભામાં બેસવાની તક નહોતી મળી પરંતુ 1979માં લાલ કિલ્લા પરથી
ધ્વજવંદન, સંબોધનની તક મળી હતી.
સૌથી યુવાન વયે વડાપ્રધાન પદ સંભાળનાર રાજીવ ગાંધીને આ
તક 1985થી 1989 વચ્ચે સળંગ પાંચ વાર મળી હતી. વિશ્વનાથ પ્રતાપસિંહને આ તક માત્ર એક
જ વાર 1990માં મળી. તેમના અનુગામી ચંદ્રશેખર એકમાત્ર વડાપ્રધાન છે જેમને હોદ્દા પર
રહેતા લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજને સલામી આપવાનો મોકો, લહાવો મળ્યા નથી. પી. વી.
નરસિમ્હારાવને એ લહાવો 1991થી 1995 વચ્ચે પાંચ વાર મળ્યો. એચ. ડી. દેવે ગૌડાને આ
તક માત્ર એક જ વાર 1996માં મળી. ભારતે 1997માં આઝાદીની પચાસમી વર્ષગાંઠ મનાવી
ત્યારે લાલ કિલ્લા પરથી સંબોધનનો મોકો વડાપ્રધાન ઇન્દર કુમાર ગુજરાલને મળ્યો. અટલ
બિહારી વાજપેયીને આ તક 1998થી 2003 વચ્ચે સળંગ છ વખત મળી હતી. વર્ષ 2004થી 2013
સુધી સળંગ દસ વર્ષ ડૉ. મનમોહન સિંહે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું
હતું.
ઉલ્લેખનીય છે કે ભારતે સ્વતંત્રતાની પચીસ, પચાસ અને
પંચોતેરમી જયંતિની ઉજવણી કરી ત્યારે અનુક્રમે શ્રીમતી ઈન્દિરા ગાંધી, ઇન્દર કુમાર
ગુજરાલ અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે હતા જેઓ હાલ ત્રીજી મુદત માટે પદ સંભાળી
રહ્યા છે.
(‘ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ’ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. – બિનીત મોદી)