પ્રતિભાવો ઉર્ફે Comments

Showing posts with label Tarak Mehta. Show all posts
Showing posts with label Tarak Mehta. Show all posts

Wednesday, January 23, 2019

મમ્મીને ત્રણ બહેનો છે, ચોથા માસીનું નામ ઇન્દુ તારક મહેતા

ઇન્દુ તારક મહેતા / Indu Tarak Mehta
27 માર્ચ 1944 થી 19 જાન્યુઆરી 2019 (અમદાવાદથી અમદાવાદ)
(1981, દુબઈ પ્રવાસની સ્ટુડીઓ તસવીર યાદગીરી)

મારા મમ્મી સુધાબહેનને ત્રણ બહેનો છે અને એમ મારે ત્રણ માસી. પચીસ વર્ષ પહેલા 1994ની આસપાસ એ સંખ્યામાં એક મજબૂત ઉમેરો થયો એ નામ એટલે ઇન્દુમાસી. ઇન્દુ તારક મહેતા / Indu Tarak Mehta. હા, એ જ દુનિયાને ઊંધા ચશ્માંના માળાના શ્રીમતીજી. ઘણા બધા માટે જાડીકાકી. થોડા લોકો માટે ઇન્દુબા. અમદાવાદમાં એ જ્યાં રહેતા એ પેરેડાઇઝ અપાર્ટમન્ટમાં / Paradise Apartment, Ambawadi, Ahmedabad એમને પહેલીવાર મળ્યો ત્યારે એ મારા માટે શ્રીમતી તારક મહેતા હતા, સંબોધન કદાચ ઇન્દુબહેનનું જ કરતો હોઇશ. એકવાર મને કાંઠલેથી પકડ્યો. કહે કે મહેતાને તમે તારકકાકા કહો છો તો હું તમારા માટે બહેન કેવી રીતે ગણાઉં. તમે મને ઇન્દુમાસી કહી શકો. તો આમ જાડીકાકી મારા માટે ઇન્દુમાસી બની ગયા.

ઇન્દુબહેન – તારકભાઈને પહેલીવાર મળ્યો ત્યારે હું કુંવારો હતો. પછી લગ્ન થયા. તેમની સાથેના વ્યવહારમાં આ સંબોધન એટલું વણાઈ ગયું હતું કે લગ્ન પછી પત્ની શિલ્પાને હું માસીના સંદર્ભમાં કોઈ પણ બાબત-સમાચાર જણાવતો ત્યારે એ આપોઆપ સમજી જતી કે ઇન્દુમાસીની વાત થાય છે. સગાં ત્રણ માસીની વાત નામોલ્લેખ સાથે કરવી એવી અમે અમલ સમજૂતી કરી હતી. અમદાવાદમાં મારી કામની જગ્યા ગૂર્જર પ્રકાશનની ઑફિસ અને તેમનું ઘર પેરેડાઇઝ અપાર્ટમન્ટ બન્ને આંબાવાડી વિસ્તારમાં. એ કારણે વિશેષ અવર-જવર રહેતી. મળવામાં અઠવાડિયાથી વધારે અંતર પડે એટલે અચૂક ફોન આવે. તેમને મળ્યા પછી હું ઘરે પહોંચીને સાંજનું ભોજન જે અલ્પ માત્રામાં લઉં તેના પરથી પત્નીને ખ્યાલ આવી જાય કે આજે હું મહેતા દંપતીને ત્યાં દબાવીને આવ્યો છું. ઑફિસ આંબાવાડીમાં જ હતી તોય શિલ્પા મને પૂછે કે, ‘હું આંબાવાડીનો આંટો મારીને આવ્યો છું કે કેમ?’

હા, મહેમાનગતિ કરવી એ ઇન્દુમાસીની હોબી હતી. કદાચ તેમને સૌથી વધુ આનંદ એ બાબતનો. લેખક-પત્રકાર રજનીકુમાર પંડ્યાએ મારો તારક મહેતા પરિવાર સાથે કઈ રીતે સંપર્ક કરાવ્યો તે હું અગાઉ લખી ગયો છું. (સંદર્ભ લિન્ક – http://binitmodi.blogspot.com/2017/03/blog-post.html) તેમના – પરિવારના કામમાં મેં આંશિક ધોરણે જવાબદારી સ્વીકારી કે કામ કર્યું એ રૂએ તો મારે દર આંતરે દિવસે તેમના ઘરે જવાનું થતું રહ્યું. પણ ઇન્દુમાસી જેમનું નામ. તેમની મહેમાનગતિમાં કોઈ ફરક નહીં. બધું પગારદાર માણસોના ભરોસે થતું હોય પરંતુ એમ કરવાવાળાને ચાકરી ન લાગે અને મેળવનારને પોતાની સહેજ પણ ઓછી દરકાર લેવાઈ રહી છે એવું બિલકુલ ન લાગે, ન લાગવા દે તેનું નામ ઇન્દુમાસી. અઠવાડિયામાં આઠ વાર તેમના ઘરે જનાર મને એમણે કદી ટેકન ફોર ગ્રાન્ટેડ ન લીધો એનું મારે મન બહુ મોટું બહુમાન છે. એકવાર, માત્ર એક જ વાર રસોઈકામની જવાબદારી સંભાળતા બહેનથી મારી આગતા-સ્વાગતામાં કે આવકારમાં કઇંક કાચું કપાયું હશે તે તરત જ તેમના પ્રેમાળ અને બીજા અર્થમાં સત્તાવાહી અવાજમાં જરૂરી સૂચના અપાઈ ગઈ. એવી નોંધ સાથે કે તેનો અમલ કાયમ કરવાનો છે – તેમની ગેરહાજરીમાં હું તેમના ઘરને આંગણે હઉં ત્યારે પણ.

હરવાફરવાનો તેમનો શોખ ગજબનો. એ નિમિત્તના જે બીજા શોખ તે પહેરવા-ઓઢવાના, ખરીદીના અને ઉત્તમમાં ઉત્તમ ભોજનના. એમના શોપિંગ લીસ્ટમાં નાસ્તાની ચીજ-વસ્તુઓ મોખરે હોય. તારકભાઈ સાથે દેશ-પરદેશના અઢળક પ્રવાસો કરનારા તેમના પગ મહેતાસાહેબની નાજુક તબિયત પછી બંધાઈ ગયા. તેમને ખુદને પણ આરોગ્ય સંબંધી પ્રશ્નો હતા. એ બધા વચ્ચે તેમને કચ્છના આશાપુરા મા પર ગજબની આસ્થા – શ્રધ્ધા હતી. તારકભાઈની સંભાળ વ્યવસ્થા ગોઠવી, તબિયતના તકાજાને ધ્યાનમાં રાખી એક જ સમયના દર્શન માટે પણ તે કચ્છ-ભૂજ-આશાપુરાનો / Ashapura Maa Temple, Bhuj, Kachchh ત્રણ દિવસનો પ્રવાસ કાર્યક્રમ અવારનવાર ઘડી કાઢતા. ક્યારેક અમે દંપતી (શિલ્પા બિનીત) એ કાર્યક્રમનો હિસ્સો બનતા. તેમના પરિવારના અન્ય સભ્યો પણ સાથે હોય. લેખન-પત્રકારત્વના ક્ષેત્રમાં હોવાના કારણે એ ક્ષેત્રના સક્રિય લોકોનો પરિચય સ્વાભાવિક હોય પરંતુ આકાશવાણી અમદાવાદમાં કાર્યરત મૌલિન મુનશીનો / Maulin Munshi પરિચય મને મહેતા દંપતીના કારણે થયો હતો. મૌલિનના પિતાજી તારકભાઈના ભાણેજ હતા. મૌલિનના પરિવાર માટે તેઓ તારકમામા-ઇન્દુમામી હતા. તારકભાઈએ તેમના એકાંકી નાટકોનો એક સંગ્રહ ડહાપણની દાઢ મને અને મૌલિનને સંયુક્ત રીતે અર્પણ કર્યો છે.

રજનીકુમાર પંડ્યા પાસેથી મળેલી તાલીમ પછી હું ઇન્દુમાસીના હાથે ઘડાયો એમ કહું તો ખોટું નહીં. એમના વ્યવહારીક કામોની જવાબદારી એ કક્ષાની હતી કે તેમાં મારે ઊંડા ઉતરવું જ પડે. જાતભાતના નીતિ-નિયમોની જાણકારી મળે. એ કામમાં આવતા અંતરાયો અને ઉકેલ પણ મળતા જાય. બહુધા તારકભાઇનું નામ-ફેમ કામમાં આવે. કામની જવાબદારી સોંપ્યા પછી પૂછગંધો પણ ના લે અને નિશ્ચિંત પણ ન થાય એ ગુણ-અવગુણ જે ગણાતું હોય તે ભલે ગણાય – ઇન્દુમાસીમાં એ બન્ને જોવા મળ્યા. મારી દરકાર હંમેશા લે. ઉનાળાની ભરબપોરે કે વરસતા વરસાદમાં કોઈ કામ કરવાનું હોય ત્યારે એ રિક્ષા-ટેક્ષીનો વિકલ્પ સૂચવીને બેસી ના રહે...મારા માટે એની વ્યવસ્થા કરી જ હોય. પોતાના કે અન્યના નાના-મોટા કોઈ લાભ માટે કદી તારકભાઈનું કે ચિત્રલેખાનું નામ ન વટાવ્યું એ તેમનો મોટો ગુણ. કોઈને કદી એ માટે એવી સૂચના આપતા પણ ન જોયા – ન સાંભળ્યા. બાકી આ લખ્યા એ બે એવા ચલણી નામ હતા, છે અને રહેવાના કે ભલભલા કામ ચપટીમાં પતી જાય. મહેતા દંપતીએ આવી ખેવના કદી ન કરી.

પ્રભાબહેન શુક્લ : ઇન્દુમાસીના માતુશ્રી
પોતાને કાચનું વાસણ ગણાવનારા તારકભાઈની કાળજીપૂર્વક દરકાર રાખનાર ઇન્દુમાસી સાથે બધું મળીને પચીસેક વર્ષનો સંબંધ રહ્યો. પાછલા પાંચેક વર્ષ તેમના આરોગ્યની ચિંતા કરાવનારા રહ્યા. અધરાતે – મધરાતે દોડવું પડે. સારવાર મેળવવામાં કદી કચાશ ન રાખી એ એમનો મોટો ગુણ. સારવારમાં સામેલ ડૉક્ટરો સાથે સીધો સંપર્ક રાખે. પારિવારિક સંબંધ પણ ખરો. હોસ્પિટલની – ડૉક્ટરની સૂચનાઓનું અક્ષરશઃ પાલન પણ કરે અને કંટાળે ત્યારે થોડું બાજુ પર પણ મૂકે. તારકભાઈની યાદ કાયમ રાખનારા પુસ્તક સ્મૃતિ વિશેષના 28 ડિસેમ્બર 2018ના રોજ અમદાવાદમાં યોજાયેલા વિમોચન કાર્યક્રમ માટે સગાં-સંબંધી-મિત્રો-પરિચિતો ઉપરાંત તેમની સારવારમાં અવારનવાર સામેલ થયેલા તમામ ડૉક્ટરોને પણ યાદ કરીને વોટ્સઅપ આમંત્રણ પાઠવ્યા. આ જ પુસ્તકના 5 જાન્યુઆરી 2019ના રોજ મુંબઈમાં આયોજિત કાર્યક્રમને પણ મનભરીને માણવા રૂબરૂ પહોંચ્યા. પ્રવાસ, ખાણીપીણી અને પરિચિતોને હળવા-મળવામાં જ પોતાનું શ્રેય જોનારા તેમના માટે આ છેલ્લો પ્રવાસ બની રહ્યો. સ્મૃતિ પુસ્તક પ્રકાશિત થયાના પખવાડિયા પછી 19 જાન્યુઆરી 2019ની બપોરે તેમણે આખરી વિદાય લીધી. એ અગાઉ ઇન્દુમાસીએ આખરી દરકાર એ લીધી કે તારકભાઈની અંગત લાયબ્રેરીના પુસ્તકો, સંદર્ભ ગ્રંથો, સામયિકો અને પ્રકાશિત સામગ્રીને તેનો યોગ્ય ભાવિ ઉપયોગ કરનારા મિત્રો સુધી પહોંચતા કર્યા.
નૂતનવર્ષના આશિર્વાદ : દિવાળી 2018

આવતા જનમમાં મને ત્રણ નહીં ચાર માસી મળે એવી આકાંક્ષા સાથે – આવજો ઇન્દુમાસી.

Wednesday, March 08, 2017

તારક મહેતા : પોસ્ટકાર્ડના પરિચયથી પડોશી બનવા સુધી

[caption id="attachment_48443" align="aligncenter" width="225"] તારક મહેતા / Tarak Mehat 26-12-1929થી 01-03-2017[/caption]

“બીજો માળ, બાવીસ નંબર...તારક મહેતાને ત્યાં...”...આવું મેં લિફ્ટમેનને લિફ્ટમાં પ્રવેશતા કહ્યું.

“ભાઈ, તમે નિયમિત તારક સાહેબના ઘરે આવો છો એટલે હવે નંબર બોલવાની જરૂર નથી. મને યાદ છે.” આવું મને પેરેડાઇઝ અપાર્ટમૅન્ટની લિફ્ટની જવાબદારી સંભાળતા સોમભાઈએ કહ્યું. વર્ષ 1995. વીસ વર્ષ પછી.

*     *     *     *     *     *     *


2015માં પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ તારક મહેતાને ‘પદ્મ શ્રી’ સન્માન મળી રહ્યાની સત્તાવાર જાહેરાત થઈ. સમાચાર સાંભળીને સગાં – સંબંધી – વાચકો – ચાહકો એમ અનેકના શુભેચ્છા ફોન આવ્યા. દરેકને તેમણે સાંભળ્યા અને પ્રતિભાવ આપ્યો. એ જ પરંપરામાં અમેરિકા વસતા જમાઈ ચંદુ (કવિ ચંદ્રકાન્ત શાહ)નો પણ ફોન આવ્યો.

“દદ્દુ પદ્મ શ્રી સન્માન મેળવવા દિલ્હી જશોને?” એમ ચંદુભાઈએ પૂછ્યું.

“બિનીત અને શિલ્પા સાથે આવતા હશે તો જાડી સાથે જવાની હિંમત કરીશું.” તારકભાઈનો જવાબ.

તેમનો આ જવાબ સાંભળીને દીકરી – જમાઈ ઇશાનીબહેન – ચંદુભાઈએ અમેરિકા રહ્યે એર ટિકિટોનું બુકીંગ મેળવ્યું અને અમારી ટોળી પહોંચી દિલ્હી...રાષ્ટ્રપતિ ભવનના દરવાજે. અઠવાડિયું દિલ્હીમાં સાથે રહ્યા. દરબાર ભવનમાં આયોજિત થતા પદ્મ સન્માનના મુખ્ય કાર્યક્રમના સાક્ષી બન્યા, દિલ્હીમાં ફર્યા અને લેખકથી વિશેષ...મનગમતા માણસ સાથે રહીને અમે પતિ – પત્નીએ મઝા કરી.

પ્રિય લેખકને મનગમતા માણસ બનાવવાની આ શરૂઆત કેવી રીતે થઈ?

પાંચ વર્ષ અગાઉ 26 ડિસેમ્બર 2011ના રોજ ‘ભાઈ’બંધ બીરેન કોઠારીના બ્લોગ પૅલિટ / Palette પર તારકભાઈના 83મા જન્મદિન નિમિત્તે જે વિસ્તૃત પોસ્ટ લખી તેનું જ આ રી-રન ઉપરના બે ડાયલૉગ સાથે અને થોડા ફેરફાર સાથે રજૂ છે. પ્રારંભે કૌંસમાં બીરેન કોઠારીની ટૂંકી નોંધ છે.

(તારક મહેતા આપણા સૌના લોકલાડીલા હાસ્યલેખક તો છે જ, સાથેસાથે અમારા પ્રેમાળ વડીલ પણ ખરા. તેમના અમદાવાદ સ્થાયી થયા પછી તેમની સાથેની જે નિકટતા થઈ છે, એમાં ભૌગોલિક રીતે એમની સૌથી વધુ નજીક છે બિનીત મોદી. એ રીતે અમારી નિકટતાના પાયામાં બિનીત છે. તેથી જ આજે તારકકાકાના ૮૩ મા જન્મદિને બિનીત એમની સાથેનાં સંભારણાં તાજાં કરે એવો ઉપક્રમ રાખ્યો છે.)

*     *     *     *     *     *     *


ભણવા – ગણવાના દિવસોમાં દસમું ધોરણ મને બે રીતે ફળ્યું. 1985ના અનામત આંદોલનને લઈને પરીક્ષા લેવા સામે શરૂ થયેલો વિરોધ પાંચ-પંદર દિવસથી લંબાઈને પાંચ મહિના સુધી ચાલ્યો અને બોર્ડની પરીક્ષા પણ એટલી મોડી લેવાઈ. લાયબ્રેરીમાંના પુસ્તકોથી પૂરો થતો ઇતરવાંચનનો શોખ આ ગાળામાં થોડો આગળ વધ્યો અને છાપાં – મેગેઝિનો વાંચવાનું શરૂ થયું. યાત્રાધામ ડાકોર પાસેના ઠાસરામાં ત્યારે અમે રહેતા. છાપું તો ઘર આંગણે મળી રહેતું, પણ ‘ચિત્રલેખા’ જેવું પ્રસિધ્ધ સામયિક ડાકોરના બસ સ્ટેશન પરના બુક સ્ટોલ પરથી મંગાવવું પડતું. ‘ચિત્રલેખા’ / Chitralekha ની રાહ જોવાનું મુખ્ય આકર્ષણ હતું તારક મહેતાના ‘દુનિયાને ઊંધા ચશ્મા’ વાંચવાનું. ‘તારક મહેતા’ / Tarak Mehta ના નામ સાથેનો એ પહેલો પરિચય હતો.

 

દસમું ધોરણ પાસ કર્યા પછી આગળ ભણવા માટે અમદાવાદ આવવાનું થયું. એ પછી બારમા ધોરણમાં કે કોલેજના વર્ષો દરમિયાન ‘ચિત્રલેખા’ વાંચવાનું અનિયમિત થયું, પણ ‘ઊંધા ચશ્માં’વાંચવાનું ભાગ્યે જ ચૂકાય. આ લેખોમાં સમસામયિક રાજકીય – સામાજિક પાત્રો-પ્રસંગોનો ઉલ્લેખ હોય તેમ પોતાને થયેલા અનુભવોનું પણ વર્ણન હોય. તેમના લેખમાં રેલવે રિઝર્વેશનની બબાલ, પોળનું વર્ણન કે સગાં-સંબંધી-મિત્રોના નામોલ્લેખ વાંચીને એવું અનુમાન લગાવવું ગમતું કે તે અમદાવાદની મુલાકાતે આવ્યા હશે. ગમતા લેખોના આ પ્રિય બની ગયેલા લેખકને આ ગાળામાં જ પહેલો  પત્ર લખ્યો. ખરેખર તો એ પોસ્ટકાર્ડ હતું. એમાં આવડે એવી ભાષામાં મારી લાગણી વ્યક્ત કરી હતી.


એમનો જવાબ આવ્યો. મને એમાંનું લખાણ યાદ નથી, પણ એનાથી થયેલો રોમાંચ આજેય અનુભવી શકું એમ છું. એ પછી તો ‘ચિત્રલેખા’ના સરનામે કે મુંબઈનું ઘરનું સરનામું મેળવીને પત્રો લખવા શરૂ કર્યા. મોટેભાગે તો પોસ્ટકાર્ડ લખું અને લેખમાં શું ગમ્યું તે જણાવવા સાથે છેલ્લે લખું કે,‘હવે પછી જ્યારે પણ અમદાવાદ આવો ત્યારે મારે તમને મળવું છે. જાણ કરવા વિનંતી.’ દિવાળી કાર્ડ સહિતના દરેક પત્રનો તે નિયમિત જવાબ આપતા અને લખતા કે,‘અમદાવાદ વતન છે – અનેક સગાં-સંબંધીઓ રહે છે અને માતા-પિતાની આવી પડતી માંદગીના સંજોગોમાં તો અચાનક જ તેમને મળવા આવવાનું થાય છે. પત્રથી જાણ કરવી મુશ્કેલ છે – ફોન નંબર હોય તો જણાવશો, જેથી અમદાવાદ પહોંચીને તમને જણાવી શકું.’ આટલું લખીને તેમણે પોતાના નાનાભાઈ વાલ્મિક મહેતાના ઘરનો ફોન નંબર લખ્યો હતો, જેથી હું પણ ફોન કરી શકું. મારા ઘરે ફોન નહોતો એટલે એ દિવસોમાં તેમને મળવાની વાત માત્ર પત્રો પૂરતી જ મર્યાદિત રહી ગઈ.

જો કે, તેમને રૂબરૂ મળવાની મારી તીવ્ર ઇચ્છા દિવસો પસાર થતાં વધતી ચાલી. અત્યારે યાદ નથી પણ શક્ય છે મુંબઈ જઇને મળવાની તૈયારી પણ મેં મનોમન કરી હોય. તેમને પત્રો લખ્યા કે અમદાવાદમાં રજનીકુમાર પંડ્યાને મળ્યો તે પહેલાં (હાસ્યલેખક) વિનોદ ભટ્ટ / Vinod Bhatt ને તેમની ખાડિયા ચાર રસ્તા સ્થિત ટેક્ષ પ્રેક્ટીશનરની ઓફિસે મળવાનું બનેલું. એમણે એક સોના જેવી સલાહ આપી હતી કે મારે કોઈ પણ લેખકને મળતાં તેમને ‘કાકા’ના નામે સંબોધન કરવું. આ સલાહનો અમલ મેં શરૂ કરી દીધેલો. (એટલે તો ખબર પડી કે એ સોના જેવી છે.)

કોલેજમાં ભણવાના વર્ષો દરમિયાન જ રજનીકુમાર પંડ્યા / Rajnikumar Pandya સાથે સંપર્ક થયો હતો. તારકભાઈ સાથે એમની ગાઢ દોસ્તી હતી. તેમને મળવા માટે આતુર એવો હું એમને નિયમિત પત્રો લખું છું એ પણ રજનીકાકા જાણે. તેમની સાથે કામ કરવા માટે જોડાયા પછી એમણે પ્રોમિસ કર્યું કે જ્યારે પણ તારકભાઈ અમદાવાદ આવવાના હશે ત્યારે તું મળી શકું એવું ચોક્કસ ગોઠવીશું. તારકભાઈની ષષ્ટીપૂર્તિ ઉજવણી પ્રસંગે પ્રગટ થયેલા સુવેનિયરની એક કોપી મારા માટે મેળવવા તેમણે ઇન્દુબહેનને પત્ર લખ્યો. કોપી મારા ઘરના સરનામે કુરીયરથી આવી પણ ગઈ. બંદા રાજી – રાજી, પણ સો ટકા નહીં, કારણ રૂબરૂ મળવાનું હજી બાકી હતું. એ દિવસ પણ આવી ગયો.

રજનીકાકા સાથે રોજ-બ-રોજના કામ માટે જવાનું થતું હતું. એક દિવસ તે કહે, ‘તું જેમને મળવા માટે આતુર છે તે તારકભાઈને મળવા તારે હવે મુંબઈ પણ નહીં જવું પડે અને રાહ પણ નહીં જોવી પડે. પોતાનું ઘર ખરીદવાનું ફાઇનલ કરવા ઇન્દુબહેન આજે અમદાવાદમાં છે. તારકભાઈ હવે કાયમ માટે અમદાવાદ શિફ્ટ થાય છે, બહુ જલદી રહેવા પણ આવી જશે. તું રહે છે એ વસ્ત્રાપુરની આજુબાજુ જ બે-ત્રણ ફ્લેટ જોઈ એકાદનું ફાઇનલ કરશે. આ સાંભળીને મને કેવી લાગણી થઈ હશે એ કોઈ પણ વાચક-ચાહક સમજી શકશે.

મારા આ પ્રિય લેખક કાયમ માટે અમદાવાદ આવી જવાના? એનું કારણ? ખરેખર તો ‘ફિલ્મ્સ ડિવિઝન’ના સ્ક્રીપ્ટ રાઇટર તરીકે ક્લાસ વન ઓફિસર કેડરથી નિવૃત્ત થયા પછી મુંબઈ રહેવાનું એમને કોઈ કારણ રહ્યું નહોતું. આના વિષે તારકભાઈએ પોતાની આત્મકથા ‘એક્શન રિપ્લે’ / Action Replay માં પણ વિસ્તારપૂર્વક લખ્યું છે. એટલે એ વિગતો અહીં દોહરાવવાનું કોઈ કારણ નથી.

અમેરિકા સ્થિત પુત્રી ઇશાની ચંદ્ર શાહના જોડકાં સંતાનો –દોહિતરાં શૈલી અને કુશાન સાથે તારકભાઈ અમદાવાદ રહેવા આવી ગયા. જરા ગોઠવાયા એટલે રજનીકાકા મને મળવા લઈ ગયા. મારો પરિચય આપીને ઉમેર્યું, “મારું ઘણું બધું કામ એ ચોક્સાઈપૂર્વક સંભાળે છે. હું મણિનગરમાં, બીજા છેડે એ વસ્ત્રાપુરમાં અને તમે વચ્ચે આંબાવાડીમાં રહો છો એટલે આપણી વચ્ચે એ ધરી બની રહેશે.’ એમણે ઇન્દુબહેનને ખાસ કહ્યું કે,‘તમારે મારી કામકાજી કંઈ જરૂર પડે તો હું બિનીતને મોકલીશ. અરે, તમે એને કોઈ કામ સીધે-સીધું પણ ચીંધી શકો. એ રાજી થઇને કરશે. હવે તો એના ઘરે ફોન પણ છે.’આટલું કહીને રજનીકાકાએ મારી ઓળખ માટે મોરનું પીછું કહેવાય એવા શબ્દો વાપરતાં કહ્યું કે,‘હું ગાંધીજી નથી, પણ બિનીત મારો મહાદેવ દેસાઈ છે.’

[caption id="attachment_48433" align="alignleft" width="150"] રહે છે અહીં, વસે છે સૌના દિલમાં[/caption]

મારા આનંદનું તો પૂછવું જ શું? જેમને મળવા હું આટલો બધો આતુર હતો એ પ્રિય લેખક સાથે મુલાકાત થાય, એટલું જ નહીં, તેમને વારંવાર મળતા રહેવાનો મોકો મળશે એ જાણીને હું બહુ રાજી થઈ ગયો. તારકકાકાએ મને હીંચકા પર બેસાડીને પ્રેમપૂર્વક થોડી વિગતો મારા વિશે – મારા પરિવાર સંબંધે પૂછી. તેમના ઘર પાસેથી દિવસમાં બે વાર પસાર થવાનો સામાન્ય – આશરે કહી શકાય તેવો સમય જણાવીને મેં એમને ખાતરી આપી કે, ‘રજનીકાકાનું કે મારું કંઈ પણ કામ હોય તો ફોન કરી ચોક્કસ યાદ કરજો. હું આવી જઇશ.’ ઇન્દુમાસીએ એથીય એક પગલું આગળ વધીને કહ્યું, ‘તમે એવી રાહ ન જોતા. ના બોલાવીએ તો ય બે-ત્રણ દિવસે આવી જજો. અમને ગમશે. ’સામાન્ય ઈનામની લોટરી ટીકીટ ખરીદ્યા પછી જેકપોટ લાગે એવી મારી સ્થિતિ હતી. ચિત્રલેખાની અમદાવાદ સ્થિત બ્યુરો ઓફિસના પત્રકારો કે ઓફિસ સ્ટાફ પણ તેમની મદદ માટે તૈયાર હતા, છતાં મને તેમણે આવો અધિકાર આપ્યો એનાથી સારું લાગ્યું.

જો કે, બે – ચાર વાર ખપમાં લાગ્યા પછી તેમને કામ લાગી શકું એવા દિવસો મારી પાસે રહ્યા નહીં. કેમ કે, વીસ વર્ષથી દુબઈમાં વસતા મામા દ્વારા મને એમ્પ્લોયમેન્ટ વિઝા મળ્યા હતા અને થોડા મહિનામાં જ મારે નોકરી માટે દુબઈ જવાનું હતું. અંદરથી હું થોડો હલી પણ ગયો. રજનીકાકા સમક્ષ એ જ સંદર્ભે થોડું રડી પણ લીધું કે, ‘કોણ જાણે હવે હું તમને ક્યારે અને કેવો ખપમાં લાગી શકીશ!’

જતાં પહેલા તારકકાકા – ઇન્દુમાસીને મળવા ગયો. એમને બધી વાત કરી. તરત જ મને જમવાનું આમંત્રણ આપતાં તેમણે પૂછ્યું, ‘ક્યારે આવવાનું ફાવશે?’ મેં જવાબ આપવામાં થોડો વિવેક અને થોડી આનાકાની સાથે ગેં...ગેં...ફેં...ગેં...કર્યું એટલે મીઠી કડકાઈથી કહે, ‘કોઈ બહાનાબાજી નહીં ચાલે. ક્યારે આવવાનું ફાવશે એટલું જ મેં પૂછ્યું છે, ફાવશે કે નહીં એવું નથી પૂછ્યું.’ તેમના પ્રેમાગ્રહને ટાળવો મુશ્કેલ. આજે પણ એ યથાતથ અનુભવી શકાય છે. મારે કહેવું જોઇશે કે કોઈને પણ ત્યાં જમવાની બાબતમાં મેં એ દિવસથી ગેં...ગેં...ફેં...ગેં...થવાનું અને યજમાનને અવઢવમાં રાખવાનું બંધ કર્યું છે.

એક દિવસ નક્કી કર્યો. દુબઈ જવાના બે-ત્રણ દિવસ અગાઉ તેમની સાથે જમ્યો. તેમણે મને પરદેશમાં સફળ થવાના આશીર્વાદ આપ્યા. ત્યાં ભીડ પડે તાત્કાલિક ખપમાં આવે એવી દસ અમેરિકી ડોલરની ત્રણ નોટ એક હાથમાં મૂકી મારી મુઠ્ઠી વાળી દીધી અને બીજા હાથમાં એક કવર મૂક્યું. પારસી નાટકોના વિખ્યાત કલાકાર બરજોર પટેલને સંબોધીને તારકભાઈએ લખેલા પત્રમાં એમણે મારી ઓળખ આપી જરૂર પડ્યે મદદરૂપ થવાની ભલામણ કરી હતી. બરજોર પટેલ / Burjor Patel નાટકની દુનિયાથી દૂર થયા પછી દુબઈના વિખ્યાત અંગ્રેજી દૈનિક ‘ગલ્ફ ન્યુઝ’ / Gulf News ના મેનેજરપદે હતા.

હું દુબઈ ગયો. નોકરીએ લાગ્યો. જરા સ્થાયી થયો એ પછી થોડા મહિનામાં અગાઉથી ફોન કરી, મામાને લઈને બરજોર પટેલને મળવા ગયો. તારકભાઈનો પત્ર આપ્યો. તેમના હોદ્દાને કોરાણે મૂકીને બરજોર ઉમળકાભેર મળ્યા અને આગ્રહપૂર્વક ઓફિસ નજીકની થ્રી-સ્ટાર ‘આસ્ટોરિયા હોટલ’માં લંચ માટે લઈ ગયા. ભાણાને મળતું ‘ભાણા’નું આ માન રાજેશમામા આશ્ચર્યપૂર્વક જોઈ રહ્યા. ભોજન પતાવીને પાછા ફરતા રસ્તામાં બહુ નિખાલસતાથી એમણે મને કહ્યું, ‘તારે દુબઈમાં આટલી મોટી ઓળખાણ છે?’ મારે શું કહેવું? ખરેખર તો આ માન-સન્માન મને નહીં, તારકભાઈને મળતું હતું. શબ્દની – દમદાર લેખકે લખેલા નક્કર શબ્દની તાકાત રજનીકુમાર પંડ્યા સાથે રહીને જોઈ અને અનુભવી હતી. અહીં દૂર દેશાવરમાં પણ જોઈ. થેન્ક્સ ટુ તારક મહેતા વાયા રજનીકુમાર પંડ્યા. બરજોર પટેલને મળ્યા પછી રજનીકાકા – તારકકાકા સાથેના મારા સંબંધોની નિકટતાનો રાજેશમામા – જયશ્રીમામીને ખ્યાલ આવ્યો. એમણે મને આગ્રહપૂર્વક કહ્યું, ‘મમ્મી-પપ્પાને તું જેમ નિયમીત ફોન કરે છે એમ એમને પણ તારે નિયમિત ફોન કરતા રહેવાનું. બીલની ચિંતા કર્યા વગર.” આમ, દુબઈ રહ્યે રહ્યે પણ તારકકાકા સાથે સંબંધ જીવંત રહ્યો.

દુબઈ – અલાઇન – અબુધાબી – શારજાહ રહ્યા પછી ત્રણ વર્ષે હું અમદાવાદ પાછો આવી ગયો. હવે મારે નવેસરથી નોકરી શોધવાની હતી. ફરીથી સ્થાયી થવાના એ ગાળામાં જ તેમની સાથેનું સંધાન પૂર્વવત થયું. નોકરી માટે એમની જ્યાં પહોંચ હતી તેવા ઠેકાણે મારા નામની ભલામણ પણ તારકકાકાએ કરી. અમારું મળવાનું એટલું નિયમિત થતું ચાલ્યું કે એમાં બે-ત્રણ દિવસથી વધુનો ખાડો પડે તો કામકાજની વ્યસ્તતા કે તબિયતની ચિંતા કરતો તેમનો ફોન અચૂક આવે. બે-ત્રણ દિવસ જ નહીં ક્યારેક બે-ત્રણ અઠવાડિયાના અંતરાલ પછી પણ ઘરે મળવા જઉં તો ય મારી અતિ ભાવતી વાનગી (મોટે ભાગે જુદા-જુદા પ્રકારની ભાજીના મુઠીયા) હાજર હોય.

[caption id="attachment_48435" align="aligncenter" width="300"] ઈન્દુમાસી- તારકકાકા[/caption]

મોટે ભાગે થાય એવું કે દિવસ દરમ્યાન એમને ઘેર જવાનું થાય ત્યારે ઘરના સામાન્ય કામકાજ કે વહીવટી બાબતો સંદર્ભે ચર્ચા કે ‘લાઇન ઓફ એક્શન’ની વાત ઈન્દુમાસી સાથે જ કરવાની થાય, કેમ કે વહીવટી બાબતોની તમામ જવાબદારી ઇન્દુમાસીએ સંભાળીને તારકકાકાને એમાંથી મુક્ત રાખ્યા છે. આને કારણે ઇન્દુમાસી સાથે અમારી લાગણીના તાર એટલા જ, બલકે વધુ મજબૂતીથી જોડાયેલા છે. મારા લગ્ન નિમિત્તે ગણતરીના માંડ દોઢસો મહેમાનો (મુખ્યત્વે તો સગાંઓ) માટે યોજેલા રિસેપ્શનમાં ઇન્દુમાસી – તારકકાકા આવ્યા તેનું મારે મન વિશેષ મહત્વ છે.

લગ્ન પછી એમના નિમંત્રણથી હું અને શિલ્પા તેમના ઘરે જમી આવ્યા – બિલકુલ આનાકાની વગર. મેં આગળ લખ્યું તેમ આ એક જ બાબત એવી છે કે જેમાં મેં કોઈ સમાધાન નથી સાધ્યું – સાધવું પણ નથી.

લગ્નના થોડા મહિનાઓ પછી એક રાત્રે હું ઓફિસથી ઘેર આવ્યો. હજી તો ઘરમાં પગ મૂક્યો કે શિલ્પાએ કહ્યું, ‘આજે તારકકાકા – ઇન્દુમાસી ખાસ રીક્ષા કરીને આપણા ઘેર આવ્યા હતા અને તમારા માટે આ પુસ્તક આપી ગયા છે.’ મારા આશ્ચર્યનો પાર નહીં. કેમ કે દર બે-ત્રણ દિવસે હું એમના ઘરે જનારો. મને જો કોઈ પુસ્તક આપવાનું હોય તો એ તેમના ઘરે પણ આપી જ શકે ને? એટલા માટે થઈને એમણે મારા ઘરે આવવાની તસદી શું કામ લેવી પડે? એવા કંઈક વિચારો સાથે મેં પુસ્તક જોવા માંગ્યું. પુસ્તકનું પાનું ખોલીને જોયું તો અર્પણના પાને મારું નામ – એવા ઉલ્લેખ સાથે કે ‘મારા ભાણેજ મૌલિન મુનશી અને ભત્રીજા સમ બિનીત મોદીને અર્પણ.’ આ વાંચીને મને જબરદસ્ત રોમાંચ થયો. પુસ્તકમાં નામ છપાયાની મારા માટે નવાઈ નહોતી, પણ એમણે મને અધિકૃત રીતે ‘ભત્રીજા’નો દરજ્જો આપ્યો હતો એ મારે મન મોટી વાત હતી. એ પુસ્તક એટલે તેમના એકાંકી નાટકોનો સંગ્રહ ‘ડહાપણની દાઢ’. મને ખબર છે કે આમાં મારી એમના તરફની લાગણી કરતાંય એમનું મારા તરફનું વાત્સલ્ય વધુ જવાબદાર છે.

[caption id="attachment_48434" align="aligncenter" width="300"] ઇન્દુમાસી- પુત્રી ઇશાનીબહેન- તારકકાકા[/caption]

ત્યારેય એમનું બહારગામ જવાનું ઓછું હતું, જે હવે તો લગભગ બંધ જેવું જ છે. એકવાર એમણે જણાવ્યું કે દોસ્તી-સંબંધના નાતે એક લગ્નમાં હાજરી આપવા વડોદરા જવાનું છે. સારથિ બનીને કંપની આપવાનું તને ફાવશે? બે દિવસ અમારી સાથે રહેવાનું થશે. વડોદરાની જાણીતી એવી ‘ઉત્સવ હોટલ’ના માલિક દિલીપભાઈના પરિવારમાં લગ્ન હતા. મારા માટે ‘ના’ પાડવાનો કોઈ સવાલ જ ક્યાં હતો? પણ મેં મારો સ્વાર્થ આગળ કર્યો. કહ્યું કે વડોદરા જતા આપણે મહેમદાવાદ ઉર્વીશના ઘરે થઈને આગળ વધીશું. (એ વખતે એક્સપ્રેસ હાઈવે નહોતો.) એમણે તરત મંજૂરી આપી દીધી. ઉર્વીશ તો મળતો જ હતો, પણ તેનાં પરિવારજનોને પણ તારકકાકા-ઈન્દુમાસી પ્રેમપૂર્વક મળ્યાં, જાણે જૂના પરિચીત હોય એ રીતે થોડો સમય ગાળ્યો. વડોદરા પહોંચીને લગ્નપ્રસંગ પાર પડ્યા પછી સમય-સંજોગો અનુકૂળ રહેતા બીરેનના ઘરે પણ ગયા. બહુ સહજતાથી,મહેમાનપણાના કશાય ભાર વિના! એ પછી જ્યારે મળે ત્યારે બીરેનના પરિવારજનોનાં પણ નામજોગ ખબરઅંતર પૂછે. તારકકાકા-ઇન્દુમાસી આપણા ઘરે આવે તેનો આનંદ હોય જ. તેમની સાથે કોઠારીભાઈઓના ઘરે પણ એ જઈ શક્યા તેનો આનંદ અમારા ત્રણના દોસ્તાનાને જાણનાર મિત્રો –પરિચિતો કલ્પી શકશે.

તારકકાકાનો દિવસ સાંજે પાંચ વાગે શરૂ થાય એટલે ચોક્કસ કામકાજના સંદર્ભે તેમના ઘરે મોટેભાગે સવારે કે બપોરે જ જવાનું અને ઇન્દુમાસીને મળીને છૂટા પડવાનું થાય. એટલે તેમને મળવા સાંજના સમયે બીજી મુલાકાત લઉં. મિત્રોના અને અમદાવાદના મિડિયા જગતના ખબર-અંતર મેળવવા ખાસ પૂછે, ‘શું છે જાણવા જેવું?’ તેમની પાસે હોય એ ખબર જણાવે પણ ખરા. મુંબઈના જાણવા જેવા સમાચારો તો તેમની પાસેથી જ મળે. મુંબઈના મોટા ભાગના ગુજરાતી – અંગ્રેજી દૈનિકો ખાસ વ્યવસ્થાથી મેળવીને રસપૂર્વક વાંચે. તેમનું શેડ્યુલ નજીકથી જોયાના નાતે એટલું કહી શકું કે તેઓ આજે રોજના એક ડઝન દૈનિકો અને પા ડઝન સામયિકો વાંચતા હશે. ચિત્રલેખા મારફતે કે સીધા ઘરના સરનામે આવતા વાચકોના દરેક પત્રનો જવાબ બે વર્ષ પહેલા સુધી આપી શકતા તારકકાકા પાછલા વર્ષોમાં તબિયતના કારણોસર એમ કરી શકતા નહોતા. એ બાબતનો તેમને ભારોભાર રંજ પણ ખરો. મહેતાદંપતિ મૂળે ‘માણસભૂખ્યું’ અને ‘મહેમાનભૂખ્યું’ છે. આંગડીયાવાળો પણ તેમના આંગણેથી કોરોધાકોર જઈ શકતો નથી. ‘પેરેડાઇઝ’ (એપાર્ટમેન્ટનું નામ)નું પગથિયું ઉતરતાં પહેલાં એ કંઈક તો પામ્યો જ હોય.

પ્રારંભે જેમનો ઉલ્લેખ છે તે ઘરના સભ્ય જેવા બની ગયેલા લીફ્ટમેન સોમભાઈની સાથે ગેરવર્તણૂક કરનાર પડોશીની તારકકાકા ‘રેવડી દાણાદાણ’ કરી શકે એટલી એમની નિસબત. વ્યવહારકુશળ ઇન્દુમાસી ઘર – પરિવાર – મિત્રો – પરિચિતોની ખબર તો રાખે જ, ક્યારેક તબિયતના તકાજાને અવગણીને પણ તેમના સારા – માઠા પ્રસંગે અચૂક હાજરી આપે. આ લખતી વખતે યાદ કરવું પણ ન ગમે છતાં લખું કે જુવાન મૃત્યુના ખબર તેમને બહુ પીડે. અંદરથી એ હલી જાય – સુનમુન થઈ જાય. બન્નેમાંથી કોઈ સાથે થોડા કલાકો કે દિવસો વાત પણ ન થઈ શકે.

એ જ રીતે તેમની તબિયતના સમાચાર પૂછવાનું ટાળવા જેવું. છતાંય કોઈ પૂછે તો કહે કે, ‘બગડે નહીં ત્યાં સુધી સારી’. ઘરમાં તેમની મદદમાં રહેતા સેવકો પહેલા કલાક કે પહેલા દિવસ પૂરતા જ સેવક રહે. બીજા દિવસથી એમની ગણતરી આપોઆપ ‘ફેમીલી મેમ્બર’ તરીકે થવા લાગી હોય. ઘરની બહાર પગ મૂકતાં કે ગાડીમાં બેસતા પહેલાં તેમની અગવડ – સગવડનો વિચાર પહેલો કરે.

રજનીભાઈએ જે કારણસર મને તેમની સાથે જોડી આપ્યો છે એવા વહીવટી કામકાજમાં હું મહેતાદંપતિને તેમની કુલ જવાબદારીના માંડ પંદર – વીસ ટકા ખપમાં આવતો હોઇશ. ક્યારેક અઘરા અથવા અટપટા લાગે તેવા કામ પાર પાડવામાં તેમના નામની – લોકપ્રિયતાની જે મદદ મળે છે તેનો જોટો જડે તેમ નથી. તુમારશાહીમાં કલાકો સુધી ઠેબે ચઢી શકે – સહેલાઈથી ચઢાવાઈ શકાય એવા કામ ગણતરીની મિનિટોમાં નીપટાવાઈ જાય ત્યારે તેમના શબ્દની તાકાતનો ખરો અંદાજ આવે. તેમના નામ – કામને નહીં જાણનાર એક બેન્ક કર્મચારીએ એક વાર ફોન કર્યો, ‘મીસ્ટર ટી.જે. મહેતા કે લીયે મેસેજ હૈ. પેન્શનર લાઇફ સર્ટીફીકેટ (જીવતા હોવાનું પ્રમાણપત્ર) મેં સિગ્નેચર વેરીફીકેશન કે લિયે બેન્કમેં આના હોગા.’ આ કર્મચારીના અધિકારીને આ વાતની ખબર પડી એટલે તરત જ તેણે તારકકાકાને ફોન કરીને દિલગીરી વ્યક્ત કરી. પછી પેલા કર્મચારીને ખખડાવતાં કહ્યું, ‘યે ટી.જે. મહેતા કો નહીં જાનતા ક્યા? રાત કો સાડે આઠ બજે વો સિરિયલ આતા હૈ, વો દેખતા નહીં ક્યા? વો જિંદા હી હૈ. આપકો લાઇફ સર્ટીફીકેટ ચાહીએ તો ઉનકે ઘર જાઓ.’

[caption id="attachment_48437" align="aligncenter" width="300"] પરદા પરના તારક મહેતા શૈલેષ લોઢા સાથે અસલ તારક મહેતા[/caption]

ડૉક્ટરોને બતાવવા માટે ઘણી વાર તારકકાકા સાથે જવાનું થાય ત્યારે પણ એમને મળતી રજવાડી સુવિધાનો અનુભવ થાય. મોટા ભાગના ડૉક્ટરો તો એમના વાચક જ હોય. અને હવે તો તે આનંદપૂર્વક જણાવે, “મારો પૌત્ર તમારી સિરીયલ જુએ છે.” 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' / Tarak Mehta Ka Ooltah Chashmah સિરીયલ શરૂ થયા પછી તો એવું પણ બન્યું છે કે ઘણા જૂના પરિચિતો-મિત્રો તેમનો સંપર્ક નવેસરથી કરવા લાગ્યા હોય. જો કે, તારકકાકા આ લોકપ્રિયતાથી જરાય વિચલિત થયા નહીં અને સહજતાપૂર્વક તેને સ્વીકારતા રહ્યા.

[caption id="attachment_48441" align="aligncenter" width="300"] અમારી મિત્ર ત્રિપુટી ઉર્વીશ, બિનીત અને પ્રણવ સાથે હિંચકે બેઠા વાતો[/caption]

1929માં અમદાવાદમાં જન્મેલા તારકભાઈ વાયા નડિયાદ – ભરૂચ – મુંબઈ થઈને પાછલા પચીસ વર્ષ અમદાવાદમાં જ રહ્યા. ક્રિકેટ મેચ જોવાનાય એ રસિયા. તેઓ આ રમતની બારીકાઈઓને નાટ્યકલા જેટલી જ બારીકાઈથી જાણે છે. પાછલા પાંચ – સાત વર્ષથી તેમના જન્મદિને શુભેચ્છા પાઠવવા માટે તેમને ઘેર જવાનો ક્રમ અમે શરૂ કર્યો છે. એ મુજબ પ્રણવ અધ્યારૂ, ઉર્વીશ કોઠારી અને હું તેમને ત્યાં જઈએ છીએ. અલકમલકની વાતો એ કલાક-દોઢ કલાકમાં થાય, સાથે ઈન્દુમાસીની વિશિષ્ટ યજમાનગીરી તો ખરી જ. બીરેનને પણ તે અવારનવાર યાદ કરે અને બીરેન અમદાવાદ આવે ત્યારે મળવાનું કાયમી આમંત્રણ હોય જ.

હવે મેં સપનાં જોવાનું બંધ કર્યું છે, કેમ કે સપનાં પણ આપણે આપણી સ્વભાવગત મર્યાદા મુજબ જ જોતાં હોઈએ છીએ. વાસ્તવિકતા ક્યારેક સપનાથીય આગળ નીકળી જાય એમ બને! મને સપનેય ખ્યાલ નહોતો કે પોસ્ટકાર્ડ થકી શરૂ થયેલા તારકકાકા સાથેના પરિચય પછી એ આમ સાવ મારી નજીક આવી જશે અને મારા પાડોશી બની રહેશે.

2008માં તેમના ૮૦મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ‘નવભારત’ દ્વારા યોજાયેલા કાર્યક્રમ પછી તેમણે આરોગ્યના કારણોસર કાર્યક્રમ માટે બહાર જવાનું બંધ કર્યું છે. હજીય તેમને મળતાં રહેતાં અસંખ્ય આમંત્રણોને તે વિનમ્રતાપૂર્વક નકારે છે. પ્રતિકૂળ તબિયત, સંજોગોને અવગણીને પણ પાછલા વર્ષોમાં તેમણે તેમના પ્રવાસના શોખને પુનઃર્જીવિત કર્યો. એંસીમાં વર્ષ નિમિત્તે વાચકો – ચાહકો – સ્વજનો સમક્ષ જાહેર કરેલા ‘દેહદાન’ના સંકલ્પનો સ્વજનોએ અમલ કરવો પડે તે દિવસ આવી પહોંચ્યો...બુધવાર 1 માર્ચ 2017ની સવારે તારકભાઈ પોતે જ બનાવેલો માળો છોડી ગયા.

(તસવીરો : અંગત સંગ્રહ તેમજ નેટ પરથી)

Monday, March 25, 2013

તારક મહેતાનું નાગરિક સન્માન : અમદાવાદ શહેરના ગૌરવનો ગુણાકાર

(ડાબેથી) સુરેન્દ્ર પટેલ, વિનોદ ભટ્ટ, તારક મહેતા

અને અસિત વોરા - નાગરિક સન્માન વેળાએ


ગુજરાતી વાંચી શકતા સૌ કોઇને લખીને હસાવી શકતા તારક મહેતા / Tarak Mehta નું નામ ટી.વી. શ્રેણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના / Taarak Mehta Ka Ooltah Chashmah એક હજાર ઉપરાંત એપિસોડના પ્રસારણ પછી હવે એવા વિશાળ ફલક પર વિસ્તાર પામ્યું છે કે ટેલિવિઝન દેખી શકતા કોઇને પણ હસાવી શકે. લોકપ્રિયતાના તમામ માપદંડો વટાવી ગયેલા વાચકપ્રિય લેખક તારક મહેતાનું શનિવાર, 23 માર્ચની સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન / Ahmedabad Municipal Corporation દ્વારા નાગરિક સન્માન કરવામાં આવ્યું હતું.
સન્માનનો પ્રતિભાવ : તારક મહેતા, સાથે મેયર અસિત વોરા

અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ
શહેરની મધ્યમાં આવેલા શેઠ મંગળદાસ ટાઉન હૉલમાં / Sheth Mangaldas Town Hall, Ahmedabad આયોજિત કાર્યક્રમમાં લેખકના સંખ્યાબંધ ચાહકોના સ્ટેન્ડિંગ ઑવેશન વચ્ચે અમદાવાદના મેયર અસિત વોરાએ / Asit Vora સન્માનપત્ર અર્પણ કરી તારકભાઈનું નાગરિક સન્માન કર્યું હતું. એ પહેલા ઉપસ્થિત મહેમાનો સમક્ષ સન્માનપત્રનું / Citation વાચન કરવામાં આવ્યું હતું. સન્માનનો પ્રતિભાવ આપતા તારકભાઈએ જણાવ્યું કે અમદાવાદના મેયર પોતે એક અચ્છા ગાયક કલાકાર છે. એક કલાકારના હસ્તે બીજા કલાકારનું સન્માન થાય તેનાથી વધુ ઉત્તમ બીજું શું હોય? આમ કહી તારકભાઇએ પોતાનો રાજીપો વ્યક્ત કરવા સાથે એક દ્રષ્ટાંતકથા કહી વાચક-શ્રોતાઓના ચહેરા પર હાસ્ય રેલાવ્યું હતું. સાથે-સાથે ખાતરી પણ આપી કે શરીર સાથ આપશે ત્યાં સુધી તેઓ લખતા રહેશે અને વાચકોને હસાવતા રહેશે.
નાગરિક સન્માન કાર્યક્રમના પ્રારંભે મેયર અસિત વોરાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે સન્માનનો સ્વીકાર કરી તારકભાઈએ મ્યુનિસિપાલિટીનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતના રાજકીય – બીનરાજકીય વર્તુળોમાં કાકાના સંબોધનથી ઓળખાતા રાજ્યસભાના પૂર્વ સંસદસભ્ય સુરેન્દ્ર પટેલ / Surendra Patel આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને હતા. તેમણે એક જૂની ઉક્તિનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભૂવો ધૂણે તો ય નારિયેળ તો ઘર ભણી જ નાંખે એમ અસિત કલાકાર છે એટલે કલાકારોનું સન્માન કરી ઋણ અદા કરે છે. શહેરના વિકાસલક્ષી કામોની સાથે આ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે તે બાબતે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. બન્નેએ અત્યંત ટૂંકુ વક્તવ્ય આપી તારકભાઈના સન્માન માટે ખાસ ઉપસ્થિત તેમના સમકાલીન હાસ્યલેખકો વિનોદ ભટ્ટ / Vinod Bhatt અને રતિલાલ બોરીસાગરને / Ratilal Borisagar કાર્યક્રમનો હવાલો સોંપી દીધો હતો.
(ડાબેથી) પી. ખરસાણી, તારક મહેતા, અસિત વોરા, સુરેન્દ્ર પટેલ,વિનોદ ભટ્ટ અને રતિલાલ બોરીસાગર
રતિલાલ બોરીસાગરે જણાવ્યું કે ભાષણ કરવાથી વક્તાની હિંસા કરવાની વૃત્તિ સંતોષાય છે અને સાંભળનારના પાપ ધોવાય છે’, તો આજે અમદાવાદના નગરજનો પણ ભલે એ લાભ પામતા. તારકભાઈના હાસ્યની લાક્ષણિકતાઓ વર્ણવી પોતે લાંબુ વક્તવ્ય નહીં આપે તેવી સંબોધનના પ્રારંભે શ્રોતાઓને આપેલી ખાતરીનું તેમણે મોબાઇલની સાક્ષીએ પાલન કર્યું હતું. આ વિશેષ પ્રસંગે વિનોદ ભટ્ટે કોર્પોરેશનના સત્તાધીશોને એક સૂચન કરતા જણાવ્યું કે લાયક વ્યક્તિનું સન્માન સમયસર કરો. એ માટે તેનો અંતિમ સમય નજીક આવે એવી રાહ ન જુઓ કે એમ કરીને ટટળાવો પણ નહીં. ઉદાહરણરૂપ તેમણે કે.કા. શાસ્ત્રીનો / Keshavram Kashiram Shashtri ઉલ્લેખ કર્યો જેઓ સો વર્ષનું આયુષ્ય પામ્યા પણ જીવતેજીવ આવું કોઈ સન્માન પામ્યા નહોતા. જો કે એ સાથે વિનોદભાઈએ એમ પણ જણાવ્યું કે તારકભાઈ પોતે આવી ઇચ્છાઓ કરવાથી હંમેશા પર રહ્યા છે. એવી પરવા સુદ્ધાં કરતા નથી.


વિનોદ ભટ્ટ : સમયસર સન્માન થાય તો લેખે લાગે
બાળપણ – કિશોરાવસ્થાના વર્ષો જે શહેરમાં વીતાવ્યા હોય એ જ શહેર વર્ષો પછી નાગરિક સન્માન આપે એવો અવસર બહુ ઓછા લોકોના જીવનમાં આવે. સક્રિય કારકિર્દીના મહત્તમ વર્ષો મુંબઈમાં / Mumbai વીતાવી ચૂકેલા અમદાવાદના / Ahmedabad વતની એવા તારક મહેતાના જીવનમાં એવો અવસર તેમણે અમદાવાદને પુનઃ પોતાનું ઘર બનાવ્યું તેના પંદર વર્ષ પછી આવ્યો. ભલે મોડો આવ્યો તો ય આંગણે આવેલા આ અવસરને અમદાવાદના નગરજનોએ ઉમળકાભેર વધાવી લીધો હતો. કાર્યક્રમમાં પરિવારજનો – સ્નેહીઓ ઉપરાંત અગ્રણી સાહિત્યકાર રજનીકુમાર પંડ્યા / Rajnikumar Pandya, પત્રકાર-લેખક ઉર્વીશ કોઠારી / Urvish Kothari, ગુજરાતી ફિલ્મોના અભિનેતા પી. ખરસાણી / P. Kharsani, ફિલ્મ મેકર આશિષ કક્કડ / Ashish Kakkad તેમજ ફિલ્મો અને ટેલિવિઝન કાર્યક્રમોની વિશિષ્ટ શૈલીમાં ગુણ-દોષગ્રાહી આલોચના કરતા કોલમિસ્ટ પ્રણવ અધ્યારૂ / Pranav Adhyaru ઉપસ્થિત રહ્યા હતા. તારકભાઈની કારકિર્દીનો આલેખ જેના ઉલ્લેખ વગર અધૂરો ગણાય તે ચિત્રલેખા’ / Chitralekha સાપ્તાહિકના તંત્રી ભરત ઘેલાણી / Bharat Ghelani અને ટી.વી. સિરિઅલ ઉલટા ચશ્માના નિર્માતા આસિત મોદી / Asit Modi સન્માનના સાક્ષી બનવા ખાસ મુંબઈથી આ પ્રસંગે ઉપસ્થિત હતા.
રશ્મી મહેશ વકીલ, ઇન્દુ તારક મહેતા અને શીરાલી મહેતા સાથે અસિત વોરા
અભિનેતા મયુર વાકાણી અને મહેશ વકીલ
શારીરિક પ્રતિકૂળતાઓ વચ્ચે નાગરિક સન્માનના જાહેર સ્વીકાર માટે તારકભાઈને સજ્જ કરવા બદલ ઇન્દુબહેન તારક મહેતા / Indu Tarak Mehta અને પુત્રવત્ મિત્ર સુરતના મહેશ વકીલનો / Mahesh Vakil ખાસ આભાર આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મ્યુનિસિપલ કોર્પોરેશનની વહીવટી પાંખના અધિકારીઓ તેમજ ચૂંટાયેલી પાંખના હોદ્દેદારોએ પ્રસંગની ગરિમા અને વ્યવસ્થા જાળવવા ખડે પગે જહેમત ઉઠાવી હતી. એવી જહેમત કે ટાઉન હૉલની સામે આવેલી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલની વ્હીલ ચેર અને તેમાં તારકભાઈને બેસાડી તેને ઉંચકી શકે તેવા સહાયકો પણ હાજર હતા. હાસ્યના ગેરન્ટીડ એવા કાર્યક્રમના સમાપનમાં સૌને આઇસક્રીમ ટ્રીટ આપવામાં આવી હતી.

(તસવીરો : બિનીત મોદી)