પ્રતિભાવો ઉર્ફે Comments

Showing posts with label AMC. Show all posts
Showing posts with label AMC. Show all posts

Monday, March 25, 2013

તારક મહેતાનું નાગરિક સન્માન : અમદાવાદ શહેરના ગૌરવનો ગુણાકાર

(ડાબેથી) સુરેન્દ્ર પટેલ, વિનોદ ભટ્ટ, તારક મહેતા

અને અસિત વોરા - નાગરિક સન્માન વેળાએ


ગુજરાતી વાંચી શકતા સૌ કોઇને લખીને હસાવી શકતા તારક મહેતા / Tarak Mehta નું નામ ટી.વી. શ્રેણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના / Taarak Mehta Ka Ooltah Chashmah એક હજાર ઉપરાંત એપિસોડના પ્રસારણ પછી હવે એવા વિશાળ ફલક પર વિસ્તાર પામ્યું છે કે ટેલિવિઝન દેખી શકતા કોઇને પણ હસાવી શકે. લોકપ્રિયતાના તમામ માપદંડો વટાવી ગયેલા વાચકપ્રિય લેખક તારક મહેતાનું શનિવાર, 23 માર્ચની સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન / Ahmedabad Municipal Corporation દ્વારા નાગરિક સન્માન કરવામાં આવ્યું હતું.
સન્માનનો પ્રતિભાવ : તારક મહેતા, સાથે મેયર અસિત વોરા

અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ
શહેરની મધ્યમાં આવેલા શેઠ મંગળદાસ ટાઉન હૉલમાં / Sheth Mangaldas Town Hall, Ahmedabad આયોજિત કાર્યક્રમમાં લેખકના સંખ્યાબંધ ચાહકોના સ્ટેન્ડિંગ ઑવેશન વચ્ચે અમદાવાદના મેયર અસિત વોરાએ / Asit Vora સન્માનપત્ર અર્પણ કરી તારકભાઈનું નાગરિક સન્માન કર્યું હતું. એ પહેલા ઉપસ્થિત મહેમાનો સમક્ષ સન્માનપત્રનું / Citation વાચન કરવામાં આવ્યું હતું. સન્માનનો પ્રતિભાવ આપતા તારકભાઈએ જણાવ્યું કે અમદાવાદના મેયર પોતે એક અચ્છા ગાયક કલાકાર છે. એક કલાકારના હસ્તે બીજા કલાકારનું સન્માન થાય તેનાથી વધુ ઉત્તમ બીજું શું હોય? આમ કહી તારકભાઇએ પોતાનો રાજીપો વ્યક્ત કરવા સાથે એક દ્રષ્ટાંતકથા કહી વાચક-શ્રોતાઓના ચહેરા પર હાસ્ય રેલાવ્યું હતું. સાથે-સાથે ખાતરી પણ આપી કે શરીર સાથ આપશે ત્યાં સુધી તેઓ લખતા રહેશે અને વાચકોને હસાવતા રહેશે.
નાગરિક સન્માન કાર્યક્રમના પ્રારંભે મેયર અસિત વોરાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે સન્માનનો સ્વીકાર કરી તારકભાઈએ મ્યુનિસિપાલિટીનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતના રાજકીય – બીનરાજકીય વર્તુળોમાં કાકાના સંબોધનથી ઓળખાતા રાજ્યસભાના પૂર્વ સંસદસભ્ય સુરેન્દ્ર પટેલ / Surendra Patel આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને હતા. તેમણે એક જૂની ઉક્તિનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભૂવો ધૂણે તો ય નારિયેળ તો ઘર ભણી જ નાંખે એમ અસિત કલાકાર છે એટલે કલાકારોનું સન્માન કરી ઋણ અદા કરે છે. શહેરના વિકાસલક્ષી કામોની સાથે આ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે તે બાબતે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. બન્નેએ અત્યંત ટૂંકુ વક્તવ્ય આપી તારકભાઈના સન્માન માટે ખાસ ઉપસ્થિત તેમના સમકાલીન હાસ્યલેખકો વિનોદ ભટ્ટ / Vinod Bhatt અને રતિલાલ બોરીસાગરને / Ratilal Borisagar કાર્યક્રમનો હવાલો સોંપી દીધો હતો.
(ડાબેથી) પી. ખરસાણી, તારક મહેતા, અસિત વોરા, સુરેન્દ્ર પટેલ,વિનોદ ભટ્ટ અને રતિલાલ બોરીસાગર
રતિલાલ બોરીસાગરે જણાવ્યું કે ભાષણ કરવાથી વક્તાની હિંસા કરવાની વૃત્તિ સંતોષાય છે અને સાંભળનારના પાપ ધોવાય છે’, તો આજે અમદાવાદના નગરજનો પણ ભલે એ લાભ પામતા. તારકભાઈના હાસ્યની લાક્ષણિકતાઓ વર્ણવી પોતે લાંબુ વક્તવ્ય નહીં આપે તેવી સંબોધનના પ્રારંભે શ્રોતાઓને આપેલી ખાતરીનું તેમણે મોબાઇલની સાક્ષીએ પાલન કર્યું હતું. આ વિશેષ પ્રસંગે વિનોદ ભટ્ટે કોર્પોરેશનના સત્તાધીશોને એક સૂચન કરતા જણાવ્યું કે લાયક વ્યક્તિનું સન્માન સમયસર કરો. એ માટે તેનો અંતિમ સમય નજીક આવે એવી રાહ ન જુઓ કે એમ કરીને ટટળાવો પણ નહીં. ઉદાહરણરૂપ તેમણે કે.કા. શાસ્ત્રીનો / Keshavram Kashiram Shashtri ઉલ્લેખ કર્યો જેઓ સો વર્ષનું આયુષ્ય પામ્યા પણ જીવતેજીવ આવું કોઈ સન્માન પામ્યા નહોતા. જો કે એ સાથે વિનોદભાઈએ એમ પણ જણાવ્યું કે તારકભાઈ પોતે આવી ઇચ્છાઓ કરવાથી હંમેશા પર રહ્યા છે. એવી પરવા સુદ્ધાં કરતા નથી.


વિનોદ ભટ્ટ : સમયસર સન્માન થાય તો લેખે લાગે
બાળપણ – કિશોરાવસ્થાના વર્ષો જે શહેરમાં વીતાવ્યા હોય એ જ શહેર વર્ષો પછી નાગરિક સન્માન આપે એવો અવસર બહુ ઓછા લોકોના જીવનમાં આવે. સક્રિય કારકિર્દીના મહત્તમ વર્ષો મુંબઈમાં / Mumbai વીતાવી ચૂકેલા અમદાવાદના / Ahmedabad વતની એવા તારક મહેતાના જીવનમાં એવો અવસર તેમણે અમદાવાદને પુનઃ પોતાનું ઘર બનાવ્યું તેના પંદર વર્ષ પછી આવ્યો. ભલે મોડો આવ્યો તો ય આંગણે આવેલા આ અવસરને અમદાવાદના નગરજનોએ ઉમળકાભેર વધાવી લીધો હતો. કાર્યક્રમમાં પરિવારજનો – સ્નેહીઓ ઉપરાંત અગ્રણી સાહિત્યકાર રજનીકુમાર પંડ્યા / Rajnikumar Pandya, પત્રકાર-લેખક ઉર્વીશ કોઠારી / Urvish Kothari, ગુજરાતી ફિલ્મોના અભિનેતા પી. ખરસાણી / P. Kharsani, ફિલ્મ મેકર આશિષ કક્કડ / Ashish Kakkad તેમજ ફિલ્મો અને ટેલિવિઝન કાર્યક્રમોની વિશિષ્ટ શૈલીમાં ગુણ-દોષગ્રાહી આલોચના કરતા કોલમિસ્ટ પ્રણવ અધ્યારૂ / Pranav Adhyaru ઉપસ્થિત રહ્યા હતા. તારકભાઈની કારકિર્દીનો આલેખ જેના ઉલ્લેખ વગર અધૂરો ગણાય તે ચિત્રલેખા’ / Chitralekha સાપ્તાહિકના તંત્રી ભરત ઘેલાણી / Bharat Ghelani અને ટી.વી. સિરિઅલ ઉલટા ચશ્માના નિર્માતા આસિત મોદી / Asit Modi સન્માનના સાક્ષી બનવા ખાસ મુંબઈથી આ પ્રસંગે ઉપસ્થિત હતા.
રશ્મી મહેશ વકીલ, ઇન્દુ તારક મહેતા અને શીરાલી મહેતા સાથે અસિત વોરા
અભિનેતા મયુર વાકાણી અને મહેશ વકીલ
શારીરિક પ્રતિકૂળતાઓ વચ્ચે નાગરિક સન્માનના જાહેર સ્વીકાર માટે તારકભાઈને સજ્જ કરવા બદલ ઇન્દુબહેન તારક મહેતા / Indu Tarak Mehta અને પુત્રવત્ મિત્ર સુરતના મહેશ વકીલનો / Mahesh Vakil ખાસ આભાર આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મ્યુનિસિપલ કોર્પોરેશનની વહીવટી પાંખના અધિકારીઓ તેમજ ચૂંટાયેલી પાંખના હોદ્દેદારોએ પ્રસંગની ગરિમા અને વ્યવસ્થા જાળવવા ખડે પગે જહેમત ઉઠાવી હતી. એવી જહેમત કે ટાઉન હૉલની સામે આવેલી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલની વ્હીલ ચેર અને તેમાં તારકભાઈને બેસાડી તેને ઉંચકી શકે તેવા સહાયકો પણ હાજર હતા. હાસ્યના ગેરન્ટીડ એવા કાર્યક્રમના સમાપનમાં સૌને આઇસક્રીમ ટ્રીટ આપવામાં આવી હતી.

(તસવીરો : બિનીત મોદી)

Saturday, July 21, 2012

અમદાવાદની આજકાલ : સીટી બસનું બસ સ્ટેન્ડ – ‘એની સુગંધનો દરિયો’



એ.એમ.ટી.એસનું બસ સ્ટેન્ડ : એની સુગંધનો દરિયો


શહેરના નાગરિકોને સ્થાનિક વાહનવ્યવહારની સુવિધા પૂરી પાડતી એ.એમ.ટી.એસ (અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ) / Ahmedabad Municipal Transport Service અવારનવાર માધ્યમોમાં સમાચાર બની ચમકે છે. ભાગ્યે જ એવો કોઈ દિવસ પસાર થતો હશે કે તેના નામનું સમાચારનું ચોકઠું અખબારના પાને ન હોય. અમદાવાદની આજકાલમાં / Ahmedabad આજે સીટી બસ નહીં તેનું સ્ટેન્ડ ચર્ચાના કેન્દ્રમાં છે.

અગાઉ એ.એમ.ટી.એસનું બસ સ્ટેન્ડ એટલે લાલ દરવાજાનું / Lal Darwaja સેન્ટ્રલ બસ સ્ટેશન એવી વ્યાખ્યા હતી. કેમ કે ગામમાં ઠેર – ઠેર લોખંડના પાઇપ માથે પાટિયું મારીને ઊભા કર્યા હતા એ તો બસ સ્ટોપ હતા. હવે એવા બસ સ્ટોપ બહુ ઓછા રહ્યા છે. હવે જે છે અથવા શહેર વિસ્તરતાં નવા વિસ્તારોમાં ઊભા થઈ રહ્યા છે એ બધાં બસ સ્ટેન્ડ જ છે.

લોખંડનું માળખું (ઑલ સ્ટીલ ફ્રેમ), છત પર સિમેન્ટ મટીરિયલનું છાપરૂં અને બસ સેવાના સંભવિત મુસાફરને બેસવા માટે લાકડાનું પાટિયું હોય એવી એ.એમ.ટી.એસ બસ સ્ટેન્ડની ડિઝાઇન હવે જૂની થઈ ગઈ. અત્યારે જોવા મળે છે અથવા આ પોસ્ટ સાથેના ફોટામાં જોઈ રહ્યા છો તે તો બસ સ્ટેન્ડની આધુનિક ડિઝાઇન છે. જેને શહેર સ્થિત રાષ્ટ્રીય સ્તરની સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન’ / National Institute of Design દ્વારા તૈયાર કરવામાં આવી છે.

સંસ્થાના સ્થાપનાકાળથી લઈને આજ સુધી તેના કામકાજ, રાષ્ટ્રનિર્માણમાં તેણે આપેલા ફાળા અને ડિઝાઇન ક્ષેત્રે તેમાંથી પાસઆઉટ થયેલા વિદ્યાર્થીઓના પ્રદાનની પણ જાત-ભાતની વાતો વહેતી કરવામાં આવે છે. સારું છે. જો કે આ બસ સ્ટેન્ડની ડિઝાઇન કરવાની બાબતમાં તેના ડિઝાઇનર – સંશોધકો ગોથું ખાઈ ગયા છે. બેશક ડિઝાઇન આધુનિક છે, પણ તે લો-કોસ્ટ તો જરાય નથી જેની ભારત જેવા દેશ માટે ખાસ જરૂર હોય. સ્ટેન્ડ નવા-સવા બેસાડવામાં આવ્યા ત્યારે તેમાં એલ્યુમિનિયમ જોવા મળતું હતું જે સામાન્યપણે લોખંડ કરતાં મોંધું જ હોય. હવે કદાચ ઘસાઈને તે લોખંડ જેવું જ દેખાવા લાગ્યું છે.

સૌથી મોટું ગોથું બસ સ્ટેન્ડના પ્લેસમેન્ટની બાબતમાં ખવાઈ ગયું છે. ફોટામાં જોશો તો ખ્યાલ આવશે કે બસ સ્ટેન્ડની પાછળ ખાસ્સી એવી જગ્યા પડે છે. માણસ સહેલાઇથી અવરજવર કરી શકે તેવો ગેપ. હવે આ જગ્યાનો મુતરડી / Urinal તરીકે ઉપયોગ થાય છે. દિવસે કે રાત્રે તેનો બેરોકટોકપણે આવો ઉપયોગ કરનારાને રોકી-ટોકી શકે એવું કોઈ તંત્ર તો આપણી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પાસે ક્યાંથી હોય? અને હા, જાહેર શૌચાલયની / Public Toilet સગવડના નામે આપણા દેશમાં એટલું મોટું મીડું છે ને કે પબ્લિક સેનીટેશન ક્ષેત્રે સ્વાતંત્ર્ય સેનાની સૂર્યકાન્ત પરીખના વડપણ હેઠળ કામ કરતી અમદાવાદની સંસ્થા નાસા ફાઉન્ડેશનના / Nasa Foundation બદલે અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાને જવાબદારી સોંપવામાં આવે તો તેના સંશાધનો પણ નબળાં પડે.

અમદાવાદ જેવા મેગા સીટીમાં જાહેર સ્થળોએ મુતરડી કહેતાં પેશાબઘરની સંખ્યા વસતી – અવરજવરના પ્રમાણમાં આમેય ઓછી છે. એટલે એ સમસ્યાનો આમ બારોબાર ઉકેલ આવી ગયો એવી હળવાશ રાખવી પાલવે તેમ નથી કારણ કે આખો મુદ્દો હળવા થવાની ક્રિયામાંથી જ ઊભો થયો છે. અને બસ સ્ટેન્ડ પર બસની રાહ જોતા મુસાફરે પાંચ – પંદર મિનિટ જેવો સમય અહીં વીતાવવાનો હોય છે. એના નાકને થતી પીડાનો પણ ખ્યાલ રાખવો ઘટે.

બ્લોગ જેવા જાહેર માધ્યમમાં બસ સ્ટેન્ડની પાછળ મુત્રવિસર્જન કરતા લોકનો ફોટો તો સુરુચિભંગના ભયે અહીં મુકી ના શકું. (આ આટલું લખ્યું તે પણ સુરુચિભંગ કર્યા જેવું લાગે છે પરંતુ જાહેર નોંધ લેવા માટે સાથે સાથે એ જરૂરી પણ લાગે છે.) જો કે વાંચનાર એનો જાતઅનુભવ કરી શકે.

પેટ્રોલનો ભાવવધારો ગમતી બાબત તો ક્યાંથી હોય? પણ લીટરે પાંચ-સાત રૂપિયાનો છેલ્લો કમરતોડ પ્રકારનો ભાવવધારો થયા પછી નક્કી કર્યું કે શક્ય હોય ત્યાં સુધી સ્કૂટરને કોરાણે મુકી મહિનામાં ચાર – પાંચ દિવસ સીટી બસમાં મુસાફરી કરવી. થાય છે – થઈ રહી છે. ખાસ કોઈ તકલીફ પડતી નથી. હા, પહેલા દિવસે જે તકલીફ થઈ તેનું જ તો અહીં વર્ણન છે જેને તમે નામ આપી શકો - એની સુગંધનો દરિયો’.

Monday, July 02, 2012

વસંત – રજબનું શહીદી સ્થળ : સ્મારક હવે સમારકામ માગે છે...


વસંત - રજબ શહીદ સ્મારક
ખાંડની શેરી, જમાલપુર, અમદાવાદ

ભારતભરમાં શહીદ દિન’ / Martyr's Dayની ઓળખ એટલે 30 જાન્યુઆરી – ગાંધીજીને ગોળીએ દીધાનો દુઃખદ દિવસ. આ દિવસની સ્મૃતિ કડવી છે તો ય ગાંધીને, ગાંધી મૂલ્યોને સંભારવાની આ નિમિત્તે તક મળે છે એ મોટી ઉપલબ્ધિ છે. મિથ્યા ગૌરવનો ઝંડો બીજા કરતા સહેજ ઊંચો રાખવાની રતિભાર ઇચ્છા નહીં હોવાના દ્રઢ વિચારની ઓથે એટલું જણાવવું – યાદ કરવું ગમે છે કે અમદાવાદને / Ahmedabad પૂરા વર્ષમાં આવા એક નહીં ત્રણ અવસર મળે છે. 30 જાન્યુઆરી (ગાંધીજીનો શહીદી દિવસ, વર્ષ: 1948), 1 જુલાઈ (કોમી એકતાના મશાલચી વસંત – રજબનો શહીદી દિન, વર્ષ: 1946) અને 9 ઓગસ્ટ (વિનોદ કિનારીવાલા શહીદી દિવસ, વર્ષ: 1942).

આ ક્રમમાં ગઈકાલે વસંત – રજબનો / Vasant Rajab શહીદી સ્મૃતિ દિન હતો. ગઈ સદીની છેંતાલીસની સાલની એ ઘટનાને ગઈકાલે છાસઠ વર્ષ થયા. અમદાવાદના જમાલપુર વિસ્તારની ખાંડની શેરી કે જ્યાં બન્ને જિગરજાન દોસ્તો શહીદીને વર્યા હતા તે સ્થળે દર વર્ષે થોડા નિસબતી નાગરિકો ભેગા થઈ તેમની સ્મૃતિ વંદના કરે છે – શ્રદ્ધા સુમન અર્પણ કરે છે. શહેરનો વહીવટ જેની પાસે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની / Ahmedabad Municipal Corporation સાથે સાથે કેટલાક રાજકીય – બીનરાજકીય સંગઠનો પણ કાર્યક્રમમાં સામેલ થાય છે. અવસરના ફોટા પાડીને-પડાવીને તેનો લાભ લેવાની ગણતરી કરવા-રાખવા વાળી પાટિયા સંસ્થાઓની પણ તેમાં સામેલગીરી હોય છે એવો અનુભવ ગઈકાલે પહેલીવાર થયો. જો કે એ આખી જુદી જ ચર્ચા – લેખનો વિષય છે એટલે એ મુદ્દાને અહીં પડતો મૂકું.

ભણતર સિવાયની કે નાગરિકશાસ્ત્ર’ ભણ્યા પછી પણ ઊગી ના હોય તેવી નાગરિક નિસબતની સમજણ જેમના થકી વિકસી શકી છે તેવા આદરણીય પ્રકાશભાઈ (કર્મશીલ પત્રકાર, નિરીક્ષક તંત્રી પ્રકાશ ન. શાહ) સાથે ગઈકાલે ઉપરોક્ત કાર્યક્રમમાં સામેલ થવાનું બન્યું – પહેલી જ વાર. ગૌતમ ઠાકરદ્વારિકાનાથ રથ, મીનાક્ષી જોશી, ભાવિક રાજા અને જયેશ પટેલ સરખા સેક્યુલર લોકશાહી આંદોલન’ / Movement for Secular Democracy સાથે સંકળાયેલા તેમના સદાયના સાથી મિત્રો પણ અહીં હાજર હતા. શહીદી વંદના, શ્રદ્ધા સુમન અને શૌર્ય ગીતોનાં ગાનનો મુખ્ય કાર્યક્રમ સમાપ્ત થયે જમાલપુરના, ખાંડની શેરીના સ્થાનિક મિત્રો સાથે હળવા-મળવાનો અને એક-મેકના ખબર-અંતર પૂછવાનો ક્રમ શરૂ થયો. થોડી ચર્ચા – વિચારણાઓ પણ સાથે જ ચાલી. એ દરમિયાન શાળાના બાળકોના અન્ય કાર્યક્રમમાં હાજરી આપીને આવી પહોંચેલા સ્થાનિક કોર્પોરેટર (નગરસેવક) મુસ્તાક ખાદીવાલા પણ ચર્ચામાં સાથે ભળ્યા. મોડા પડ્યા બદલ દિલગીરી તો ઇચ્છી જ, સાથે સાથે દર વર્ષે થતા આ કાર્યક્રમનો અંદાજિત સમય જાણી લીધો જેથી આવતા વર્ષે સમયસર હાજરી આપી શકાય.

ટીખળી તત્વો રજબઅલીના ચશ્માં તોડી નાખે છે
મિત્રો – કાર્યકરો વચ્ચે ચાલતી ચર્ચા દરમિયાન એક મુદ્દો ઉમેરાયો કે વસંત- રજબનું આ સ્મૃતિ સ્મારક હવે નવપલ્લવિત થવું ઘટે. ખાંડની શેરીના એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે સ્મારક પરના મ્યુરલમાંના રજબઅલીના ચશ્મા ટીખળી – તોફાની તત્વો કાયમ તોડી નાંખે છે. દર વર્ષે પહેલી જુલાઈ આવતા અગાઉ એટલા પૂરતું સમારકામ કરાવી લઈએ છીએ પરંતુ એટલું પૂરતું લાગતું નથી. સ્મારકની જગ્યા ઉપરથી ખુલ્લી છે, કોઈ શેડ નથી એટલે પક્ષીઓની ચરક અને તેની સફાઈ જેવી કાયમી સમસ્યા તો છે જ. ચર્ચામાં સામેલ થયેલા મુસ્તાકભાઈએ કહ્યું કે આ સમસ્યાના નિવારણ માટે જે કંઈ આર્થિક જોગવાઈ કરવી પડે તે હું મારા નગરસેવકના બજેટમાંથી પૂરી પાડીશ. એ પૂરતી પડે એવી નહીં હોય તો કોર્પોરેશનના મુખ્ય બજેટમાંથી ફાળવણી થાય તે માટે મેયર, મ્યુનિસિપલ કમિશનરને દરખાસ્ત – રજૂઆત કરીશું.

અગાઉ આ સંબંધે જ થયેલી ચર્ચા-વિચારનો હવાલો આપીને પ્રકાશભાઈએ કહ્યું કે નવી પેઢીને વસંત-રજબના બલિદાનનો પરિચય થાય તે માટે તેમની કથાનું ચિત્રવર્ણન (Photo Story) અને તસવીરો મુકાવી જોઈએ. નવી પેઢી અહીં સુધી આવતી નથી કે કાર્યક્રમમાં સામેલ થતી નથી એવી ફરિયાદ પણ એથી થોડે ઘણે અંશે કદાચ દૂર થાય.

ઉપરોક્ત ચર્ચામાં સામેલ થયાની રૂએ જે કેટલીક બાબતો મૂકી આપી તેનું અહીં બહુ જ પ્રાથમિક વર્ણન કરું તો ભાવિક – મીનાક્ષીબહેન આ સંબંધે કમિશનરને રજૂ કરવાની દરખાસ્તનો મુસદ્દો ઘડશે. દરમિયાન જે વિચાર આવ્યો છે તે પ્રમાણે સ્મારકને નવપલ્લવિત કરવાના આ કાર્યમાં સાથ આપી શકે તેવા મિત્રોને જોડવાનો ખયાલ છે. ખાંડની શેરીમાં સ્મારકની ચોતરફ રહેણાક – વસતી છે. જગ્યા નાની છે, પણ એ જગ્યાને કઈ રીતે ઓછા ખર્ચે અને વધુ સારી રીતે નવપલ્લવિત કરી શકાય તે દિશામાં વિચારવા મિત્રોને ઇજન છે. આર્કિટેક્ચર, એન્જિનિયરીંગ, કળા, સાહિત્ય – લેખન જેવા વ્યવસાય સાથે સંકળાયેલા મિત્રો આ કામ માટે આગળ આવે તેવી ખાસ અપેક્ષા છે. એ માટે સ્થળ પરની રૂબરૂ મુલાકાત તો શક્ય બનશે જ. આ કામમાં જોડાવા ઇચ્છનાર મિત્રોની એક સમૂહ બેઠક પણ સ્મારક સ્થળ પર ગોઠવવાની ઇચ્છા છે જેથી વિચારોનું આદાન-પ્રદાન થઈ શકે અને કામમાં શક્ય એટલું ઝડપથી આગળ વધી શકાય.

મિત્રો, જૂના અમદાવાદના કોટ વિસ્તાર એવા જમાલપુરની વચોવચ આવેલી ખાંડની શેરીનું આ સ્મારક એટલી નાની જગ્યામાં છે કે તેને નવપલ્લવિત કરવાનું કામ ઝાઝો સમય માગી લે તેવું પણ નથી. આવતી પહેલી જુલાઈ પહેલા તેને પૂર્ણ કરવાનું બીડું ઝડપીએ તો કેમ રહેશે?

પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે પણ મારો આ સવાલ લાંબો ટકશે નહીં, તમે ટકવા નહીં દો તેની ખાતરી છે.

Thursday, April 26, 2012

અમદાવાદની આજકાલ : ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ – નામકરણ થયું, મુદ્રીકરણ નહીં.....


      નામકરણની 'લાખેણી' તક્તી

        અમદાવાદના આશ્રમરોડ પર બાટા શો-રૂમ સામે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ઓફિસ બિલ્ડીંગથી સાબરમતી નદી તરફ જતો રોડ હવે સત્તાવાર રીતે ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ તરીકે ઓળખાય છે. વિશ્વ માતૃભાષા દિન 21 ફેબ્રુઆરી 2012 (મંગળવાર)ની સાંજે માતૃભાષા – સાહિત્ય – સંગીત જેવા કાર્યક્રમોની સાથે માર્ગ નામકરણની તક્તીનું અનાવરણ થયું. આનંદની વાત છે. અમદાવાદના માધ્યમોમાં ક્યાંક એની નોંધ લેવાઈ. સઘળી જગ્યાએ નોંધ લેવડાવવી હોય તો પ્રેસનોટ મોકલવી પડે જે કામ પરિષદના તગડો પગાર મેળવતા કર્મચારીઓથી થઈ શકતું નથી. સાદી ટપાલ તો ઠીક ક્યારેક કુરીઅરથી મોકલાવાતી આમંત્રણ પત્રિકાઓ પણ કાર્યક્રમ વીતી ગયાના ચોવીસ કલાકથી લઈને ચોથા દિવસે મળે છે.
કાર્યક્રમનું આમંત્રણ

     
માર્ગને સત્તાવાર રીતે કોઈ નામ આપવાનું કામ સ્થાનિક વહીવટીતંત્રએ પાર પાડવાનું હોય છે. અમદાવાદમાં એ કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન બજાવે છે. એ રૂએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અમદાવાદના મેયર અસિત વોરાએ પરિષદ પ્રમુખ ભોળાભાઈ પટેલની સાથે રહી નામકરણની તક્તીનું અનાવરણ કર્યું અને જાહેર કર્યું કે સાબરમતી રિવરફ્રન્ટ તરફ જતો આ રોડ હવેથી ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ તરીકે ઓળખાશે.

પરિષદ મુખપત્ર 'પરબ'ના માર્ચ - એપ્રિલના અંક  

        ખરેખર એમ થયું
? ના. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા દર મહિનેપરબ નામનું મુખપત્ર મહિનાની દસમી તારીખે પ્રકાશિત થાય છે. માર્ગ નામકરણના ઉપરોક્ત કાર્યક્રમ પછી માર્ચ અને એપ્રિલ એમ બે મહિનાના અંકો પ્રકાશિત થયા. સામયિકના પ્રકાશનસ્થાનના સરનામામાં જ આ માર્ગનો ઉલ્લેખ નથી. સરનામું અગાઉથી ચાલી આવતા ટાઇમ્સ પાછળ, નદીકિનારે શબ્દોથી આગળ વધ્યું નથી. સામયિક જે તે મહિનાની દસમી તારીખે પ્રકાશિત થતું હોવા છતાં 21 ફેબ્રુઆરીના ઉપરોક્ત કાર્યક્રમની માર્ચ મહિનાના અંકમાં કોઈ નોંધ નથી. ઉઘડતા પાને પરિષદ પ્રમુખ દ્વારા લખાતા વાચકો જોગ પત્રમાં ભોળાભાઈ પટેલ દ્વારા આ બાબતની કોઈ નોંધ લેવામાં આવી નથી. હા, ભોળાભાઈએ દિવ્ય ભાસ્કર દૈનિકની રવિવારની પૂર્તિમાં આવતી તેમની પખવાડિક કોલમ સાહિત્ય વિશેષમાં 25 માર્ચના લેખમાં માર્ગ નામકરણના પ્રસંગની વિશેષ નોંધ લઈને માતૃભાષા ગુજરાતીને બચાવી લેવાની વાત લખી છે. અસિત વોરા માટે ઊંચી કદકાઠી અને વ્યક્તિત્વ ધરાવતા મેયર જેવા શબ્દો લખીને ભોળાભાઈએ તેમના જેવા રણજિતરામ સુવર્ણચંદ્રક અને પદ્મશ્રીથી સન્માનિત વ્યક્તિત્વને ન શોભે તેવી ભાટાઈ પણ લેખમાં કરી છે. (લેખની સ્કેન ઇમેજ આ સાથે મુકી છે.)

ભોળાભાઈ પટેલ : છાપામાં 'લેખ' લખાય,
મુખપત્રમાં 'ઉલ્લેખ' પણ નહીં.....

        આજે તો કોઈ પૂછશે ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ
? એ વળી કયો માર્ગ? એટલા સરનામાથી ટપાલખાતું પણ મૂંઝવણમાં પડશે? આ માર્ગ ક્યાં આવ્યોઅમદાવાદના ઘણા રસ્તાઓને મહાનુભાવોના નામ સાથે સાંકળવામાં આવ્યા છે. તેમાં કેટલાક સાહિત્યકારોનાં નામ પણ છે. ઉમાશંકર જોશી માર્ગ ક્યાં છે? પન્નાલાલ પટેલ માર્ગ ક્યાં છે? જયંતી દલાલ માર્ગ ક્યાં છે? કોઈ જાણતું નથી કદાચ. એમ ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગનું થશે?

        ઉપરના ફકરામાં બ્લુ અક્ષરે લખાયેલા શબ્દો મારા નથી. એ ભોળાભાઈ પટેલે દિવ્ય ભાસ્કરની તેમની કોલમમાં લખ્યા છે. લાગે છે ભોળાભાઈને જે ડર સતાવી રહ્યો છે એને પરિષદના તેમના સહિતના હોદ્દેદારો કે પરબના તંત્રી યોગેશ જોષી જ સાચો પાડશે કે જેઓ પરિષદ માર્ગની કાયમી અને સમયસર લેવાવી જોઈતી નોંધ બે મહિના સુધી લઈ શક્યા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી શહેરની સર્વોચ્ચ વહીવટી સંસ્થાએ માર્ગનું નામકરણ કરી આપ્યું જેનું મુદ્રીકરણ કરવાનું પરિષદે આજે બે મહિના પછી પણ બાકી રાખ્યું છે. પરિષદની સત્તાવાર વેબસાઇટ www.gujaratisahityaparishad.com પર આ વિશેષ ઉપલબ્ધિનો ઉલ્લેખ કે તેનો ફોટો પણ નથી.

ગુજરાતી સાહિત્ય પરિષદનો આજીવન સભ્ય હોવાના નાતે નિયમિતપણે મળતા રહેતા પરબનો એપ્રિલ 2012નો અંક પણ ટપાલમાં આવી ગયો. દુનિયામાં અમુક સામયિકો ભૂલો વિનાના હોય, કેટલાક જાહેરખબર વિનાના હોય, થોડા વાચકો વિનાના પણ હોય એમ આ પરબ ફોટા વિનાનું સામયિક છે. એમાં જૂની-નવી કવિતાઓ, વાર્તાઓ, વિવેચનો, પ્રવચનો બદ્ધું છપાય પણ ફોટા ના છપાય. એપ્રિલના અંકમાં પરિષદ-પાથેય અંતર્ગત માર્ગ નામકરણની નોંધ બે પાનામાં છપાઈ છે પણ ફોટા વગર. પરબમાં ફોટો એક જ વાર છપાય – સાહિત્યકાર અવસાન પામે ત્યારે, એ પણ જો સ્વર્ગસ્થ જણ પરિષદ હોદ્દેદારોના ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ હોય તો.

હવે એક આડવાત કરીને મારી વાત પૂરી કરું.
ગુજરાતી સાહિત્ય પરિષદના નદીકિનારા સ્થિત મકાનને સંસ્થાકીય ધોરણે મળવી જોઈએ એવી કોઈ રાહત મિલકત વેરામાં મળતી નથી. પરિષદના મકાનને કોમર્શિયલ પ્રોપર્ટી ગણીને જ મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્ષની આકારણી કરી વેરો વસૂલે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની દલીલ એવી કે એક સંસ્થાને રાહત આપીએ તો એ ધોરણ તમામ સંસ્થાઓને લાગુ પાડવું પડે અને અમને આવકની મોટી ખોટ પડે. પરિષદના જૂના હોદ્દેદારોએ પૂરતો અભ્યાસ કર્યા વિના પ્રોપર્ટી ટેક્ષમાં રાહત મળવી જ જોઈએ એવી વાતનું પૂંછડું પકડી લીધું હતું. એમ કરતા થોડા વર્ષો મિલકત વેરો ચુકવવાનું જ ચૂકાઈ ગયું. બાકી વેરો અને ઉપર ચઢતું વ્યાજ એમ વર્ષો-વર્ષ જવાબદારી વધતી જ ગઈ. સમય જતાં પરિષદમાં નવા હોદ્દેદારો આવ્યા. એમાંના કેટલાકને રસ્તાને પરિષદનું નામ મળવું જોઈએ એવો વિચાર આવ્યો. વાત આગળ વધતાં મ્યુનિસિપલ સત્તાવાળાઓ સમક્ષ પહોંચી તો એમણે ઉપરોક્ત બન્ને મુદ્દાને જોડી દીધા. નદી તરફ જતા રસ્તાને પરિષદનું નામ આપવાનું ગાજર ગુ.સા.પ.ના હોદ્દેદારો સમક્ષ લટકાવી દીધું – એમ કહીને કે બાકી વેરાની તમામ રકમ ચુકવી આપો. આમ હજારોથી શરૂ થયેલી બાકી છેવટે રૂપિયા બાવીસ લાખના આંકડે પહોંચી ત્યારે પરિષદે એ જવાબદારી નિભાવવા સામટી રકમ ચુકવવાનો વારો આવ્યો. એટલે એક રીતે જુઓ તો માર્ગ નામકરણની આ તક્તીનો સોદો મોંઘો અને લાખેણો પડ્યો છે.

પ્રથમ તસવીર : બિનીત મોદી
એ સિવાયની સ્કેન ઇમિજીસ