પ્રતિભાવો ઉર્ફે Comments

Showing posts with label Ahmedabad Diary. Show all posts
Showing posts with label Ahmedabad Diary. Show all posts

Monday, October 10, 2016

મને મદદરૂપ થનારને મારે મળવું છે

વિશોધન અધ્યારુ
પચાસમે વર્ષે બાળરોગ નિષ્ણાતને કેમ શોધી રહ્યા છે

મોજ – મનોરંજનના અનેક નવા વિકલ્પો એકવીસમી સદીમાં ઉપલબ્ધ હોવાથી સરકસના / Circus ખેલ હવે નહીંવત્ પ્રમાણમાં થાય છે. અમદાવાદમાં / Ahmedabad સરકસના તંબુ જ્યાં તાણવામાં આવતા હતા તે સાબરમતી નદીનો પટ રિવરફ્રન્ટને / Sabarmati Riverfront નામ કરી આપ્યા પછી અંગકસરતના દાવ જોવા મળતા નથી. જો કે અમદાવાદ કે તેના જેવા શહેરોમાં રસ્તા પર વાહન ચલાવવું એ અંગકસરતના દાવ કે સરકસમાં ખેલ બતાવવાથી કમ નથી.

વાહન ચલાવવું, સલામતીપૂર્વક ચલાવવું, અન્યને અડચણરૂપ ન થાય તે રીતે હંકારવું એ એક આવડત હોઈ શકે તે ખ્યાલ જ કદી આપણી આસપાસ ફરક્યો નહીં. એવો ખ્યાલ-સમજણ ઉગી નીકળશે ત્યારે મારી-તમારી, આ વાંચનારની હાજરી આ જગતમાં હશે કે કેમ એ વિશે કલ્પના જ કરવાની રહે. હાલ તો નાના-મોટા અકસ્માતોનેHit and Runકારણે રસ્તા પર હાજરી નોંધાવતા માણસની ઘડી-બે ઘડીમાં કાયમી ‘ગેરહાજરી’ નોંધાઈ જાય તેવું વાતાવરણ છે. એ પહેલાનો તબક્કો છે અકસ્માતગ્રસ્ત થનારની મદદે પહોંચી જવું. પોલીસ ફરિયાદ અને તે પછીની કાનૂની પ્રક્રિયા સંબંધી જટિલ નિયમોમાં આવેલા કેટલાક સકારાત્મક ફેરફારોને કારણે હવે અકસ્માતને સમયે મદદરૂપ થનારા મળી રહે છે. બાકી થોડા વર્ષો અગાઉ આ બાબતે પરિસ્થિતિ તદ્દન કંગાળ હતી – અદ્દલ ભારતના રસ્તાઓ જેવી જ.

પોસ્ટમાં સૌથી ઉપર જેમનો ફોટો છે તે વિશોધનભાઈ અધ્યારુ / Vishodhan Adhyaru મિત્ર પ્રણવ અધ્યારુના / Pranav Adhyaru મોટાભાઈ છે અને એ રાહે પરિચિત છે. અમદાવાદમાં વ્યવસાયે કમ્પ્યૂટર નેટવર્કિંગ સિસ્ટમના નિષ્ણાત વિશોધનભાઈને 23મી ઑગસ્ટની રાત્રે વરસતા વરસાદમાં સ્કૂટર અકસ્માત થયો. રાત્રે દસ વાગ્યાની આસપાસ ઑફિસ કામકાજથી પરવારીને સરદાર પટેલ સ્ટેડિઅમ નજીક લખુડી તળાવડી તરીકે ઓળખાતા વિસ્તારના પાંચ રસ્તાના જંક્શન પરથી પસાર થતા અકસ્માતનો ભોગ બન્યા. રેઇનકોટ પહેરીને ઘર તરફ જવા સજ્જ તેઓ હોન્ડા ઇટર્નો સ્કૂટર પર સવાર હતા. વરસતા વરસાદમાં પણ ઝડપભેર બીજી દિશામાંથી આવતા એક્ટિવા ચાલકથી ખુદને સલામત રાખવાના પ્રયત્નમાં તેમનો અકસ્માત થયો.

રસ્તા પર પડ્યા પછી થોડી મિનિટો બાદ કળ વળી એટલે તેમને જાતે જ ખ્યાલ આવ્યો કે ખભાના હાડકાનું ડિસ્પ્લેસમેન્ટ થયું છે. એક્ટિવા ચાલક તો મદદ કરવા શેનો ઊભો રહે. સામાન્ય સંજોગોમાં અને દિવસે એક્સિડન્ટ થાય તો રસ્તા પર ટોળું વળે. એથી વિપરીત અહીં રાતનો સમય હતો અને વરસાદ ચાલુ હતો એટલે જલદીથી કોઈ મદદે આવી પહોંચે તેવી શક્યતા નહોતી. તોય રસ્તે પસાર થતી એક કાર તેમને જોઇને અટકી ગઈ. કારચાલક બાળકોના રોગોના નિષ્ણાત ડૉક્ટર હતા. તેમણે ‘શ્વાસ સહેલાઇથી લઈ શકો છો? ક્યાં દુઃખે છે? ક્યાં ઇજા થયાનું અનુભવાય છે?’ એવા સવાલ પૂછીને વિશોધનભાઈ સ્વસ્થ હોવાની ખાતરી કરી લીધી. એમ્બ્યુલન્સ બોલાવવી છે કે સારવાર માટે ક્યાં જવું છે તેની પૂછપરછ કરતાં રેઇનકોટનો કોટ દૂર કરી આપ્યો અને એર-કંડિશનર ચાલુ કરી કારમાં બેસાડ્યા. એ દરમિયાન ડૉક્ટરને યાદ આવ્યું કે તેમના ઑર્થપીડિક ડૉક્ટર મિત્રનું ઘર નજીકમાં છે. તેમની મદદ મેળવી શકાય તેમ છે. નજીકમાં જ સ્થિત સેવિયર હૉસ્પિટલમાં / Saviour Hospital / http://saviourhospital.com/ પણ સારવાર માટે જઈ શકાય તેમ હતું. જો કે પરિચિત ડૉક્ટર પાસે જ સારવાર માટે જવાનું નક્કી કરી ચૂકેલા વિશોધનભાઈએ ડૉક્ટરને સ્કૂટર બાજુ પર પાર્ક કરી અકસ્માત સ્થળથી નજીકમાં આવેલી ઑફિસ સુધી મુકી જવાની વિનંતી કરી. ડૉક્ટર મુકી ગયા.

પરિચિત ડૉક્ટર પાસે નિદાન કરાવતા ખબર પડી કે ખભાની પાંસળીનું હાડકું તૂટી ગયું છે. સારવાર અને દોઢ-બે મહિનાના આરામ પછી જ હાડકાનું પૂર્વવત સંધાન શક્ય બનશે. પ્રણવના ભાઈ લેખે સંપર્કમાં આવ્યો ત્યારથી મેં વિશોધનભાઈને તેમના કાર્યક્ષેત્રમાં સતત પ્રવૃત્ત જ જોયા છે. ફરજિયાત આરામ કરવાનો સમયગાળો ચાલુ છે. દરમિયાન કારની સર્વિસ કરાવવા ગયેલા ડૉક્ટરને ગરાજના મેકૅનિકે કારની ડિકિમાંથી કોટ કાઢીને આપ્યો. ડૉક્ટરને યાદ આવ્યું કે અકસ્માત સમયે જેમની મદદમાં અને ઑફિસ સુધી મુકવા ગયા હતા તેમનો આ રેઇનકોટ છે. ઑફિસનું લોકેશન યાદ હતું એટલે સમય મળ્યે પરત પણ આપી ગયા.

સંભવતઃ ડૉક્ટર એવા સમયે ઑફિસે આવ્યા હતા કે તેમનું નામ – સરનામું – સંપર્ક વિગત પૂછપરછ કરીને જાણી શકે તેવી કોઈ વ્યક્તિ ત્યાં હાજર નહોતી. ખેર! વિશોધનભાઈ અધ્યારુ રસ્તા વચ્ચે તેમને મદદરૂપ થનાર ડૉક્ટરને મળવા માંગે છે. મળીને તેમનો આભાર વ્યક્ત કરવા માંગે છે. કેમ કે આ રીતે દરકાર લેનારા લોકોની સંખ્યા હવે ઓછી થતી જાય છે.

(તસવીર : બિનીત મોદી)

મને મદદરૂપ થનારને મારે મળવું છે

વિશોધન અધ્યારુ
પચાસમે વર્ષે બાળરોગ નિષ્ણાતને કેમ શોધી રહ્યા છે

મોજ – મનોરંજનના અનેક નવા વિકલ્પો એકવીસમી સદીમાં ઉપલબ્ધ હોવાથી સરકસના / Circus ખેલ હવે નહીંવત્ પ્રમાણમાં થાય છે. અમદાવાદમાં / Ahmedabad સરકસના તંબુ જ્યાં તાણવામાં આવતા હતા તે સાબરમતી નદીનો પટ રિવરફ્રન્ટને / Sabarmati Riverfront નામ કરી આપ્યા પછી અંગકસરતના દાવ જોવા મળતા નથી. જો કે અમદાવાદ કે તેના જેવા શહેરોમાં રસ્તા પર વાહન ચલાવવું એ અંગકસરતના દાવ કે સરકસમાં ખેલ બતાવવાથી કમ નથી.

વાહન ચલાવવું, સલામતીપૂર્વક ચલાવવું, અન્યને અડચણરૂપ ન થાય તે રીતે હંકારવું એ એક આવડત હોઈ શકે તે ખ્યાલ જ કદી આપણી આસપાસ ફરક્યો નહીં. એવો ખ્યાલ-સમજણ ઉગી નીકળશે ત્યારે મારી-તમારી, આ વાંચનારની હાજરી આ જગતમાં હશે કે કેમ એ વિશે કલ્પના જ કરવાની રહે. હાલ તો નાના-મોટા અકસ્માતોનેHit and Run કારણે રસ્તા પર હાજરી નોંધાવતા માણસની ઘડી-બે ઘડીમાં કાયમી ‘ગેરહાજરી’ નોંધાઈ જાય તેવું વાતાવરણ છે. એ પહેલાનો તબક્કો છે અકસ્માતગ્રસ્ત થનારની મદદે પહોંચી જવું. પોલીસ ફરિયાદ અને તે પછીની કાનૂની પ્રક્રિયા સંબંધી જટિલ નિયમોમાં આવેલા કેટલાક સકારાત્મક ફેરફારોને કારણે હવે અકસ્માતને સમયે મદદરૂપ થનારા મળી રહે છે. બાકી થોડા વર્ષો અગાઉ આ બાબતે પરિસ્થિતિ તદ્દન કંગાળ હતી – અદ્દલ ભારતના રસ્તાઓ જેવી જ.

પોસ્ટમાં સૌથી ઉપર જેમનો ફોટો છે તે વિશોધનભાઈ અધ્યારુ / Vishodhan Adhyaru મિત્ર પ્રણવ અધ્યારુના / Pranav Adhyaru મોટાભાઈ છે અને એ રાહે પરિચિત છે. અમદાવાદમાં વ્યવસાયે કમ્પ્યૂટર નેટવર્કિંગ સિસ્ટમના નિષ્ણાત વિશોધનભાઈને 23મી ઑગસ્ટની રાત્રે વરસતા વરસાદમાં સ્કૂટર અકસ્માત થયો. રાત્રે દસ વાગ્યાની આસપાસ ઑફિસ કામકાજથી પરવારીને સરદાર પટેલ સ્ટેડિઅમ નજીક લખુડી તળાવડી તરીકે ઓળખાતા વિસ્તારના પાંચ રસ્તાના જંક્શન પરથી પસાર થતા અકસ્માતનો ભોગ બન્યા. રેઇનકોટ પહેરીને ઘર તરફ જવા સજ્જ તેઓ હોન્ડા ઇટર્નો સ્કૂટર પર સવાર હતા. વરસતા વરસાદમાં પણ ઝડપભેર બીજી દિશામાંથી આવતા એક્ટિવા ચાલકથી ખુદને સલામત રાખવાના પ્રયત્નમાં તેમનો અકસ્માત થયો.

રસ્તા પર પડ્યા પછી થોડી મિનિટો બાદ કળ વળી એટલે તેમને જાતે જ ખ્યાલ આવ્યો કે ખભાના હાડકાનું ડિસ્પ્લેસમેન્ટ થયું છે. એક્ટિવા ચાલક તો મદદ કરવા શેનો ઊભો રહે. સામાન્ય સંજોગોમાં અને દિવસે એક્સિડન્ટ થાય તો રસ્તા પર ટોળું વળે. એથી વિપરીત અહીં રાતનો સમય હતો અને વરસાદ ચાલુ હતો એટલે જલદીથી કોઈ મદદે આવી પહોંચે તેવી શક્યતા નહોતી. તોય રસ્તે પસાર થતી એક કાર તેમને જોઇને અટકી ગઈ. કારચાલક બાળકોના રોગોના નિષ્ણાત ડૉક્ટર હતા. તેમણે ‘શ્વાસ સહેલાઇથી લઈ શકો છો? ક્યાં દુઃખે છે? ક્યાં ઇજા થયાનું અનુભવાય છે?’ એવા સવાલ પૂછીને વિશોધનભાઈ સ્વસ્થ હોવાની ખાતરી કરી લીધી. એમ્બ્યુલન્સ બોલાવવી છે કે સારવાર માટે ક્યાં જવું છે તેની પૂછપરછ કરતાં રેઇનકોટનો કોટ દૂર કરી આપ્યો અને એર-કંડિશનર ચાલુ કરી કારમાં બેસાડ્યા. એ દરમિયાન ડૉક્ટરને યાદ આવ્યું કે તેમના ઑર્થપીડિક ડૉક્ટર મિત્રનું ઘર નજીકમાં છે. તેમની મદદ મેળવી શકાય તેમ છે. નજીકમાં જ સ્થિત સેવિયર હૉસ્પિટલમાં / Saviour Hospital / http://saviourhospital.com/ પણ સારવાર માટે જઈ શકાય તેમ હતું. જો કે પરિચિત ડૉક્ટર પાસે જ સારવાર માટે જવાનું નક્કી કરી ચૂકેલા વિશોધનભાઈએ ડૉક્ટરને સ્કૂટર બાજુ પર પાર્ક કરી અકસ્માત સ્થળથી નજીકમાં આવેલી ઑફિસ સુધી મુકી જવાની વિનંતી કરી. ડૉક્ટર મુકી ગયા.

પરિચિત ડૉક્ટર પાસે નિદાન કરાવતા ખબર પડી કે ખભાની પાંસળીનું હાડકું તૂટી ગયું છે. સારવાર અને દોઢ-બે મહિનાના આરામ પછી જ હાડકાનું પૂર્વવત સંધાન શક્ય બનશે. પ્રણવના ભાઈ લેખે સંપર્કમાં આવ્યો ત્યારથી મેં વિશોધનભાઈને તેમના કાર્યક્ષેત્રમાં સતત પ્રવૃત્ત જ જોયા છે. ફરજિયાત આરામ કરવાનો સમયગાળો ચાલુ છે. દરમિયાન કારની સર્વિસ કરાવવા ગયેલા ડૉક્ટરને ગરાજના મેકૅનિકે કારની ડિકિમાંથી કોટ કાઢીને આપ્યો. ડૉક્ટરને યાદ આવ્યું કે અકસ્માત સમયે જેમની મદદમાં અને ઑફિસ સુધી મુકવા ગયા હતા તેમનો આ રેઇનકોટ છે. ઑફિસનું લોકેશન યાદ હતું એટલે સમય મળ્યે પરત પણ આપી ગયા.

સંભવતઃ ડૉક્ટર એવા સમયે ઑફિસે આવ્યા હતા કે તેમનું નામ – સરનામું – સંપર્ક વિગત પૂછપરછ કરીને જાણી શકે તેવી કોઈ વ્યક્તિ ત્યાં હાજર નહોતી. ખેર! વિશોધનભાઈ અધ્યારુ રસ્તા વચ્ચે તેમને મદદરૂપ થનાર ડૉક્ટરને મળવા માંગે છે. મળીને તેમનો આભાર વ્યક્ત કરવા માંગે છે. કેમ કે આ રીતે દરકાર લેનારા લોકોની સંખ્યા હવે ઓછી થતી જાય છે.

(તસવીર : બિનીત મોદી)

Monday, September 05, 2016

લાડુના ધંધામાં લિસ્ટેડ કંપની અને ‘જિઓ’ વગાડે મૃત્યુઘંટ

ગણેશ મહોત્સવ, વસ્ત્રાપુર, અમદાવાદ : વર્ષ 2006

ગણેશજીની આરાધનાના દિવસોનો આજથી આરંભ થાય છે. જાહેર સ્થળો પર ગણેશજીની સ્થાપનાનો સંકલ્પ લેનારા નાના-મોટા મંડળો તેમની પસંદગી – ઑર્ડર પ્રમાણે મૂર્તિ બનાવાઈ રહી છે કે કેમ તેની પાછલા કેટલાક દિવસોથી દેખરેખ રાખી રહ્યા હતા. ઘર-પરિવાર વચ્ચે સ્થાપનાનો સંકલ્પ લેનારા મૂર્તિ ખરીદીની પસંદગી પ્રક્રિયામાં છેલ્લા દિવસ સુધી વ્યસ્ત રહ્યા. પ્લાસ્ટર ઑફ પૅરિસ મટિરિયલ / PoP Material વડે બનતી મૂર્તિઓ ગણેશ વિસર્જન ટાણે પર્યાવરણ માટે હાનિકારક બને છે. તે બાબતે પાછલા કેટલાક વર્ષોથી આવેલી જાગૃતિને કારણે માટીની મૂર્તિઓ બની રહી છે જે વિસર્જન માટે પર્યાવરણમિત્ર ગણાય છે.

ગમે તે કહો પણ આ ગણપતિની મૂર્તિનો / Ganesh Idol ધંધો દેશવ્યાપી હોવા છતાં હજી સુધી કોઈ કંપનીએ તેમાં પગપેસારો નથી કર્યો. ઇશ્વર – ભગવાનની મૂર્તિનું સર્જન કરવું એ આમ તો સોમપુરા કળાકારો – સ્થપતિઓનો પારંપરિક વ્યવસાય છે. પણ વાત જ્યારે ગણેશ સ્થાપનાની આવે ત્યારે સંકલ્પ લેનારે મૂર્તિ લેવા માટે અમદાવાદ / Ahmedabad પૂરતી વાત કરીએ તો ગુલબાઈ ટેકરા / Gulbai Tekra વિસ્તારના કળાકારોની જ મુલાકાત લેવી પડે છે. ગુજરાતના અન્ય શહેરો-ગામોની મને માહિતી નથી.

મૂર્તિની ખરીદી પછી ગણેશ / Ganesh સ્થાપના સંદર્ભે બજારમાંથી ખરીદવાની મહત્વની વસ્તુનું નામ છે મોદક. ગણેશજીને પ્રિય છે તેવા મોદક. ઘરમાં બનાવી શકાય તેવા મોદક મીઠાઈવાળા પાસે (કંદોઈ) તૈયાર પણ મળે છે. એકાદ – બે વર્ષથી મોદકના આકારને ચોકલેટમાં ઢાળવાનું શરૂ થયું છે. સારું છે, ખોટું નથી. ગણપતિ મહોત્સવમાં ઉલટભેર ભાગ લેતા બાળકોને આકર્ષવા અને તેમનો ઉત્સાહ ટકાવી રાખવા માટે સીધેસીધી ચોકલેટ આપો તેના કરતા ચોકલેટ મોદક સારા. એમાં ઉમેરો કરવાનો તો એટલો કે ચાલુ સાલ આ ધંધામાં ગ્રૂપ ઑફ હૉટેલ્સનું સંચાલન કરતા ‘ધ ગ્રાન્ડ ભગવતી’ / http://www.thegrandbhagwati.com/ TGB જૂથે પણ ઝુકાવ્યું છે. હવે એ સારું છે કે ખોટું તે નક્કી કરવાનું કામ હવે પછીની  વિગતોના આધારે વાંચનાર પર છોડું છું.

પ્રસાદ સાથે જે પવિત્રતાનો ખ્યાલ જોડાયેલો છે તેની તો સમજો કે અહીં વાટ જ લાગી જાય છે. પવિત્રતાના ખ્યાલને જરા કોરાણે મુકીએ તો બીજો મુદ્દો એ છે કે શેરી, ગલી, સોસાઇટીના નાકે આવેલી મીઠાઈવાળાની દુકાને જે વસ્તુ સહેલાઇથી ઉપલબ્ધ છે તેના માટે મારે-તમારે એક લિસ્ટેડ કંપનીનું શરણું લેવાનું છે. હા, ચોકલેટ મોદકના પ્રસાદીયા ધંધામાં પ્રવેશનારી લેટેસ્ટ દુકાન TGBની પેરન્ટ કંપની ‘ભગવતી હૉટેલ્સ એન્ડ બૅન્કવેટ્સ લિમિટેડ’ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જની લિસ્ટેડ કંપની છે.

કંપનીની નોંધણી કરાવતા સમયે લાગુ પડતા 1957ના ભારતીય કંપની ધારા / Companies Act 1957 પ્રમાણે નામ-સરનામા-મૂડી ભંડોળ અને કંપનીના નફા-તોટામાં હિસ્સો ધરાવનારની વિગતો આપવા સાથે કંપની શું કામ કરશે તેની વિગતો પણ દર્શાવવાની હોય છે. મોદકના ધંધામાં કંપની પ્રવેશ પછી મને લાગે છે કે નોંધણી કરનારા અધિકારીઓએ હવે પછી એવી પણ એક બાંયધરી લેવી પડશે કે શેરબજારના માધ્યમથી રોકાણકારો પાસેથી નાણા ઉસેટીને તોતિંગ સાઇઝની બની જતી કંપનીઓ નાના વેપારીઓના ધંધા પર તરાપ નહીં મારે. અરે અમદાવાદમાં તો મીઠાઈની એક દુકાનનું નામ જ ‘શેરબજાર ચવાણા એન્ડ મીઠાઈવાલા’ છે.

આવી બાંયધરી લેવાય ત્યારે ખરી. બાકી તો એવું છે કે નાના વેપારીઓના ધંધા પર તરાપ મારનારું કે આમ કરનારું ભગવતી ગ્રૂપ પહેલું પણ નથી અને છેલ્લું પણ નથી. ઘરવપરાશની રોજિંદી ચીજ-વસ્તુઓ વેચવા માટે ‘મોલ’ના રૂપાળા નામ તળે રિલાયન્સ જૂથે / Reliance Group of Companies ‘રિલાયન્સ ફ્રેશ’ નામે બજાર પ્રવેશ કર્યો ત્યારે શાક-બકાલુ વેચવાની યોજના પણ તેમાં ધીરે રહીને સામેલ થઈ ગઈ. પરિણામ શું આવ્યું? શાકભાજીની લારીઓ ઓછી થઈ ગઈ અને કાછીયાઓની દુકાનનાં શટર પડી ગયા. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં હું જ્યાં રહું છું તેની આસપાસ શાકભાજીની ચાર દુકાનો બંધ થતી નજર સામે જોઈ. પેકેટબંધ લોટ મળતા થયા પછી અનાજ દળવાની બે ઘંટીઓના માલિકોને ધંધો બંધ કરવાનો તો વખત આવ્યો જ પણ સાથે-સાથે તેમને જૂની મશીનરીના કોઈ ખરીદનાર પણ ના મળ્યા. મશીનરી ભંગારના ભાવે વેચવા કાઢવી પડી.

એમ સમજો કે આ સઘળું ‘રિલાયન્સ’ / http://www.ril.com/ અને તેના જેવી અન્ય કંપનીઓના પ્રતાપે થયું. રિલાયન્સ, જેણે 2016ના આ સપ્ટેમ્બર મહિનાની પહેલી તારીખે મોબાઇલ નેટવર્કના બજારમાં ‘જિઓ’ / https://www.jio.com/ નામે એવો પ્રવેશ કર્યો છે કે તેની સમકક્ષની જ સેવા આપતી અન્ય કંપનીઓનો મૃત્યુઘંટ વાગી જાય. ખુદની પ્રચાર સામગ્રીમાં ભડકામણા લાલ રંગનો વિશેષપણે ઉપયોગ કરનારી વોડાફોન અને એરટેલ જેવી મોબાઇલ નેટવર્ક કંપનીઓ હાલ પૂરતી તો ‘જિઓ’ની કસ્ટમર ઑફરની વિગતોથી પોતે જ ભડકી ઉઠી છે.

ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતમાં વેપાર કરવાની યોજનાના પગલે આવેલા બ્રિટિશરાજ પછી દેશને સ્વતંત્રતા અપાવતા બસો વર્ષ લાગ્યા. આઝાદીના સિત્તેરમા વર્ષે નાના-મોટા સઘળા કારોબાર જો કંપનીઓને જ હવાલે કરવાના હોય તો થોડા જ વર્ષોમાં પરિસ્થિતિ એવી આવી પડશે કે વેપારીના નામનો જ વીંટો વળી ગયો હશે.

સરકાર માઈ-બાપ તમે સાંભળો છો? આ તે કેવો વિકાસ છે કે જે અનેક મા-બાપને અને તેમનાં ઉગતાં – ઉછરતાં સંતાનોના ભવિષ્યને – સ્વપ્નાંને કળી ફૂટતા વેંત જ ભરખી જાય છે.


(તસવીરો : બિનીત મોદી)

Saturday, August 27, 2016

પાટીદાર તાયફો ઉર્ફે આંદોલન : મેદાનને સાચી ઓળખ મળી, અનામતનું અચોક્કસ હતું – છે અને રહેશે

પાટીદાર અનામત તાયફો : ગુજરાત યુનિવર્સિટી મેદાન, અમદાવાદ

ગુજરાતના પાટીદારોના એકવીસમી સદીના બ્રાન્ડ ન્યૂ આગેવાનોએ અનામતના નામે શરૂ કરેલા તાયફાને એક વર્ષ પૂરું થયું. અનામતની ગેરબંધારણીય માગણી સાથે મહેસાણાથી શરૂ થયેલા તાયફાને આંદોલન ગણવું મારા માટે અને કદાચ તમારા માટે પણ મુશ્કેલ છે તેમ હું માની લઉં છું. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં જીએમડીસી ગ્રાઉન્ડ / GMDC Ground, Ahmedabad તરીકે વ્યાપક ઓળખ ધરાવતી જગ્યાએ 25 ઑગસ્ટ 2015ના દિવસ દરમિયાન યોજાયેલા ધરણાને બહોળો પ્રતિસાદ મળ્યો તે પછી આ તાયફો રાજ્યભરમાં ફેલાઈ ગયો અને ગુજરાત બહાર પણ પોતાના માટે થોડી જગ્યા કરી.

ધરણાંને પગલે એક પછી એક આવી પડતી ગેરવાજબી માગણીઓ, તેની સામે ઘૂંટણિયા નહીં ટેકવવાની આનંદીબહેન પટેલ સરકારની મક્કમતા, તાયફાના આગેવાન હાર્દિક ભરતભાઈ પટેલની ધરપકડ, તેને પગલે ફાટી નીકળેલા તોફાનો, અસંતોષ અને છેલ્લે રાજદ્રોહના આરોપસર હાર્દિક પટેલને પડેલી મહિનાઓ લાંબી ચાલેલી જેલ અને કારાવાસમાંથી મુક્તિ. આ ઘટનાક્રમ બહુ જાણીતો છે અને વાંચવા – જાણવા માટે વેબદુનિયામાં ઠેકઠેકાણે ઉપલબ્ધ છે એટલે અહીં હું તે ઉતારતો નથી. અહીં જે ઉતારવા માગું છું તે એ જે અંગતપણે અનુભવ્યું છે.

આલ્ફા વન મોલ બંધ...
25 ઑગસ્ટ 2015ના દિવસે ધરણાં – આંદોલન સંબંધી સમાચારો ટીવીની ચોવીસ કલાક ચાલતી ન્યૂઝ ચેનલો પર ચાલુ જ હતા. એ જોતાં આખો દિવસ ઘરમાં પૂરાઈ રહ્યા પછી ચાર-પાંચ વાગ્યાની આસપાસ થયું કે અનામત આંદોલનના તાયફા સ્થળે જઇને પણ માહોલને રૂબરૂમાં અને નજીકથી જોવો જોઇએ. અમદાવાદમાં વસ્ત્રાપુરમાં જ્યાં રહું છું એ ઘરથી જીએમડીસી ગ્રાઉન્ડ નામથી અત્યાર સુધી ઓળખાતી આવતી જગ્યા નજીક છે. ત્યાં જતાં પહેલા મેં મારા મિત્ર અશ્વિન ચૌહાણને / Ashwin Chauhan ફોન કર્યો. તેમણે પણ મારી સાથે આવવાની ઇચ્છા વ્યક્ત કરી. જો કે એ પહેલા એમણે મને પોતાને ઘરે આવીને પાણીપુરીને ન્યાય આપવાનું આમંત્રણ આપ્યું. ‘પાટીદારોને ન્યાય મળે ત્યારે ખરો’ એમ વિચારતો હું મિત્ર દંપતી સોનલ – અશ્વિનના ઘરે પહોંચી ગયો. ગુજરાત વિદ્યાપીઠમાં / Gujarat Vidyapith, Ahmedabad પત્રકારત્વ વિભાગના પ્રાધ્યાપક અશ્વિનના પત્ની સોનલ પંડ્યા / Sonal Pandya ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના નિયામક છે. એ રાહે ગુજરાત યુનિવર્સિટીના / Gujarat University ટીચર્સ ક્વાટર્સમાં રહેતા અશ્વિનને મારી જેમ જ ઘર નજીક સામે આવેલા જીએમડીસી મેદાનની મુલાકાત લેવાનું મન થાય તે સ્વાભાવિક છે.

...રસ્તા બંધ અને બંદોબસ્તમાં મહેસાણા પોલીસ...
અશ્વિનને ઘરે આવેલા સંબંધીઓ-મહેમાનો સાથે આંદોલનની સહજ વાતો થઈ અને પાણીપુરીને ન્યાય આપવામાં લગભગ સાંજ પડી ગઈ. એ પછી હું અને અશ્વિનકુમાર ચૌહાણ બીઆરટીએસનો ટ્રેક / BRTS, Ahmedabad ક્રોસ કરી અંધજન મંડળની / Blind People’s Association પાછળના રસ્તે મેદાન તરફ આગળ વધ્યા. સાથે ઘરે થયેલી વાતનું અનુસંધાન પણ ચાલુ હતું. અશ્વિનનું કહેવું હતું કે, આંદોલનનું આયોજન કરનારાથી લઇને વહીવટીતંત્ર, પોલીસ અને સરકાર સુદ્ધાં આ મેદાનને ‘જીએમડીસી ગ્રાઉન્ડ’ નામે ઓળખાવે છે. હકીકતે આ મેદાનની જગ્યાની માલિકી ગુજરાત યુનિવર્સિટીની છે તેવી માહિતી આપતા પ્રોફેસરે કહ્યું કે ગુજરાત યુનિવર્સિટીના વહીવટીતંત્રને પણ આ બદલાયેલી અને આપવામાં આવતી ખોટી ઓળખ સામે વાંધો પડતો નથી તેનું આશ્ચર્ય થાય છે. મને પણ આ વાત જાણીને નવાઈ લાગી. વાતવાતમાં મેં પણ યાદ કર્યું કે એક રૂપિયાના ટોકન ભાડાથી આ જગ્યા પાટીદાર અનામત આંદોલન સમિતિને / PASS વાપરવા આપનાર જગ્યાના લીઝ હોલ્ડર ગાંધી કૉર્પોરેશનએ એ દિવસના અખબારમાં છપાવેલી જાહેરાતમાં પણ તેનો ઉલ્લેખ ‘જીએમડીસી ગ્રાઉન્ડ’ તરીકે કર્યો હતો. મતલબ કે ભાડૂઆત પોતે જ જગ્યાને ખોટી રીતે ઓળખાવતો હતો.

...અને મેદાનમાં જગ્યા નથી...
મેદાન પર આ ખોટી ઓળખ બાબત તરફે કોઇનું ધ્યાન દોરી શકાય તો એમ કરીએ એવી વાતો કરતા અમે જીએમડીસી ગ્રાઉન્ડ નજીક પહોંચ્યા એ સાથે જ દૂરથી લાકડીઓ ઉછળતી દેખાઈ. થોડાક માણસોની નાસભાગ જોઇને અમે બન્નેએ એકમેકના હાથ પકડી લીધા. થોડા આગળ વધવાની હિંમત કરી પણ એ કશા કામની નહોતી એ અમને સમજાઈ ગયું હતું. ‘કઈ બાજુ ભાગવું?’ અથવા તો ‘કોના ઘર તરફ ભાગવું?’ એવી અનિશ્ચિતતા વચ્ચે અમે ‘ઘરે પહોંચીને ફોન કરજો’ એમ બોલતા એકબીજાના હાથ છોડીને વિરૂદ્ધ દિશામાં ભાગ્યા. એમ કરીને અમે બન્ને પોતપોતાના ઘરે સલામતીપૂર્વક પહોંચી જવાના હતા તેની ખાતરી હતી. ભાગીને મેદાન નજીકની ઝૂંપડપટ્ટીમાં સંતાયા પછી હું થોડીવારે બહાર આલ્ફા વન મોલ તરફના રસ્તા પર નીકળ્યો. ચારે તરફ નીરવ શાંતિ હતી. પોલીસ ધારે તો આંદોલન નામે ચાલતા તાયફાની ગણતરીની મિનિટોમાં શું વલે કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું હતું. મેદાનમાં પાર્ક થયેલા વાહનો જેમના તેમ રહી ગયા હતા. તેના માલિકો પોલીસને તે પરત મેળવવા માટે વિનવણી કરી રહ્યા હતાં. પોલીસ સત્તાવાળાઓએ ઇલેક્ટ્રિસિટી સપ્લાય બંધ કરીને જ આ ઑપરેશન પાર પાડ્યું હતું એટલે વાહનો જે તે વ્યક્તિ માટે શોધવા કે પોલીસ માટે પણ શોધીને સોંપવાનું શક્ય નહોતું રહ્યું. પોલીસ તે સૌને સત્તાવાહી તો ક્યાંક વિનંતીના સૂરમાં એક જ વાત કહી રહી હતી કે, ‘આવતીકાલે સવારે આવીને વાહન લઈ જજો, તે સલામત જ છે’.

રસ્તે ચાલતા જતાં કોઈ ત્રાહિત વ્યક્તિની વાતો સાંભળવી એ સારું લક્ષણ તો નથી જ પણ અમદાવાદ જેવા ભીડ-ભાડથી ખદબદતા શહેરો વચ્ચે ચાલતા આ લક્ષણને જાળવી રાખવું હવે અઘરું છે. હું કોશિશ કરું છું પણ એમ થઈ શકતું નથી. મને પણ એક પોલીસવાળાની વાત સંભળાઈ ગઈ. તે ફરજ પરના તેના ઉપરી અમલદારને કહી રહ્યો હતો…‘સાહેબ, સારું થયું. જેણે પણ આ ઑર્ડર આપ્યો તેણે સારું કર્યું. બે દિવસથી અહીં ભૂખ્યા-તરસ્યા ખડે પગે ફરજ નિભાવતા કંટાળી ગયા હતા. બહુ દિવસે હાથ સાફ કરવાનો સારો મોકો મળ્યો.’

પાટીદારોની અનામતની માગણીઓનો તો આમેય કોઈ ઉકેલ આવવાનો નથી એ હવે મને, તમને, એમને સૌને રોજ-બ-રોજના સમાચારો, કૉર્ટ કાર્યવાહી અને તેના વિશ્લેષણ પરથી સમજાઈ ગયું છે. જે થોડાક લોકોને નથી સમજાયું તેને પણ વખત જતાં સમજાઈ જશે તેની ગૅરન્ટી.

...પછી જગ્યા જ જગ્યા...
મને કે અશ્વિનને અમે જે ઇચ્છતા હતા એવી રજૂઆત કરવાની કોઈ તક મળી નહોતી. પણ આ પાટીદાર આંદોલન નામે થયેલા તાયફા પછી એક સારું કામ એ થયું કે જીએમડીસી ગ્રાઉન્ડ હવે સત્તાવાર ધોરણે ‘ગુજરાત યુનિવર્સિટી મેદાન’ તરીકે ઓળખાતું થયું છે. પાછલા દાયકા એકથી ગુજરાત સરકાર આ સ્થળે નવરાત્રીનું સરકારી આયોજન કરતી આવી છે. તેની જાહેરાતોમાં સરકાર પોતે જ મેદાનને ‘જીએમડીસી’ના નામે ઓળખાવતી હતી. ‘વિશ્વ યોગ દિવસ’ નિમિત્તે 21મી જૂને યોજાયેલા સરકારી કાર્યક્રમમાં આ જગ્યાને સત્તાવાર રીતે ‘ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ’ નામથી ઓળખાવનાર સરકાર અને જગ્યાનો હવે પછી ઉપયોગ કરનારા એ પરંપરા ચાલુ રાખે તેવી મુજ બિન-આંદોલનકારી નાગરિકની અપેક્ષા.

(તસવીરો : બિનીત મોદી)