પ્રતિભાવો ઉર્ફે Comments

Showing posts with label Gujarati Literature. Show all posts
Showing posts with label Gujarati Literature. Show all posts

Friday, July 06, 2012

ઇન કેસ ઓફ ઇમરજન્સી, પ્લીઝ કોન્ટેક્ટ.....!


રજનીકુમાર પંડ્યા : આજે પ્રવેશ પંચોતેરમાં... 

ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ જગતમાં જેમની નામજોગ ઓળખ રજનીકુમાર પંડ્યા’ / Rajnikumar Pandya છે એ તેમની સાથે સંપર્કમાં આવ્યાના પહેલા જ દિવસથી મારા માટે રજનીકાકાબની ગયા હતા. ગમતા લેખક – સર્જક સાથે પહેલી જ વાર રૂબરૂ સંપર્કમાં આવતાં શું સંબોધન કરવું એની અવઢવમાં અને વિનોદ ભટ્ટે આપેલી સલાહને અનુસરતા મેં તેમને રજનીકાકાકહ્યું. અવઢવ એટલા માટે કે 1990માં તેમની ગુજરાત સમાચારની રવિવારે આવતી કોલમ ગુલમહોર’ અને બુધવારે આવતી કોલમ સપ્તરંગ’ વાંચતા તેમનો પરિચય થયો ત્યારે હું 20 વર્ષનો જ હતો. એ ઉંમરે હોય તેવા શરમ-સંકોચ મારામાં ભારોભાર હતા.
તેમની કોલમ વાંચીને અવારનવાર ફોન કરતો. નવચેતન માસિકમાં પ્રકાશિત થતા તેમના લેખ સાથે ઘરનું સરનામું છપાતું હતું એ પરથી ટેલિફોન ડીરેક્ટરીમાંથી ફોન નંબર શોધી કાઢ્યો હતો. ક્યારેક ફોનમાં અમદાવાદમાં / Ahmedabad યોજાતા સાહિત્યિક કાર્યક્રમમાં આવવાનું આમંત્રણ પણ તેઓ આપતા. ફોનની વાતચીતનો દોર ખાસ્સો લાંબો ચાલ્યો એ પછી એમણે અગાઉથી ફોન પર જણાવીને રૂબરૂ મળવાનું કહ્યું. એ દિવસ પણ બહુ જલદીથી આવી ગયો. અને હું મણિનગરના મીરાં ટોકીઝ ચાર રસ્તા પાસેના તેમના નિવાસસ્થાન ડી-૮, રાજદીપ પાર્કના ઘરે મળવા ગયો.

તેમણે ભૂલમાં મને એમના ઘરે કામ કરતા સુથારીકામના કારીગરો (પ્રેમલાલ ટી. સિનરોજા અને તેમનો પુત્ર)માંનો જ એક સમજીને મારી સાથે વાત કરવાનું શરૂ કરી દીધું. પહેલીવાર મળવાના સંકોચ-શરમમાં હું તરત તેમને અટકાવીને સ્પષ્ટતા ન કરી શક્યો. આ ગોટાળો રજનીકાકા આજે પણ યાદ કરે છે અને અમે બન્ને તેની પર હસીએ છીએ. તેમને પહેલીવાર મળ્યો એ દિવસ મને જરા જુદી રીતે પણ યાદ છે. આજે સ્વતંત્ર ઉદ્યોગપતિ તરીકેની અને તે સમયે ધીરુભાઈના / Dhirubhai Ambani પુત્ર તરીકેની ઓળખ ધરાવતા અનિલ અંબાણી / Anil Ambani અભિનેત્રી ટીના મુનીમને પરણવા એ દિવસે ઘોડે ચઢવાના હતા.

ફોનની વાતચીતની સાથે સાથે હવે રૂબરૂ મળવાનો દોર પણ શરૂ થયો. આવી જ એક મુલાકાતમાં એમણે મારા કોલેજ ભણતરની સમાંતરે તેમની સાથે કામ કરવા જોડાવાનું કહ્યું. ચિત્રલેખા / Chitralekha સાપ્તાહિકના અમદાવાદ – ગુજરાત બ્યુરોના ચીફ તરીકેની જવાબદારી સંભાળવા તેમને એક સહાયકની જરૂર હતી. કોમર્સ કોલેજનો સમય સવારનો હતો એટલે મારે લાંબો કોઈ વિચાર કરવાનો હતો નહીં. બપોર પછીનો સમય હું આપી શકું તેમ હતો. સાહિત્યિક ઉપરાંત છાપાં – મેગેઝિનોના વાંચનને કારણે ગ્રેજ્યુએશન પછી લેખન – પત્રકારત્વને કારકિર્દીરૂપે અપનાવી શકાય તેવો આછો પાતળો ખ્યાલ મનમાં હતો અને આ કામ તેમાં મદદરૂપ થશે તેવી ખાતરી હતી. મેં હા ભણી દીધી.

બીજા દિવસથી કામ કરવાની શરૂઆત પણ કરી દીધી. કામની પ્રાથમિક સમજ આપ્યા પછી તેમની પહેલી સલાહ એવી હતી કે સોંપેલું કોઈ પણ કામ યાદ રાખવાને બદલે ડાયરીમાં ટપકાવી લેવું. પોતે એમ જ કરે છે એમ કહેતાં એકાદ – બે દિવસમાં ડાયરી પણ તેઓ જ ખરીદીને લાવી આપશે એમ પણ કહ્યું. જો કે ડાયરી ખરીદવા જવાની જરૂર ન પડી.

બીજે દિવસે ભાવનગરના વાચકમિત્ર જયસુખ પટેલ તેમને મળવા આવ્યા. રજનીકાકાને મળીને છૂટા પડતાં એમણે બ્રીફકેસમાંથી એલઆઈસીની / LIC - Life Insurance નવા વર્ષની એક્ઝીક્યુટીવ ડાયરી કાઢીને તેમને આપી. એક પોકેટ ડાયરી મને પણ આપી. પોકેટ ડાયરી એટલા માટે કે નાની સાઇઝની હોવાના કારણે મને કાયમ સાથે રાખવાની ટેવ પડે. ડાયરી ભેટમાં મળી હોય તેવો એ મારા માટે પહેલો જ પ્રસંગ હતો. મેં ચારે બાજુ – ઉપર નીચે ક્યાંય સુધી ફેરવીને તેને જોયે રાખી હતી.

ડાયરી વાપરવી કેમ એ પણ તેમની પાસેથી જ શીખવાનું હતું અને એ શીખ્યો પણ ખરો. પોતાનું નામ અને ઘરના ફોન નંબરની એન્ટ્રી તેમણે જાતે જ લખી આપી. ડાયરીનું ‘પર્સનલ મેમોરેન્ડા’ નામનું મારી પોતાની વિગતો દર્શાવવાનું પાનું ભરવાથી મેં તેના ઉપયોગની શરૂઆત કરી. નામ અને ઘરનું સરનામું જ લખવાનું હતું. ઘરે ફોન હતો નહીં એટલે મિત્ર ડૉ. કલ્પેશ શાહના ઘરનો નંબર પી.પી. ફોન નંબર તરીકે દર્શાવ્યો. ઓફિસના સરનામાની જગ્યામાં રજનીકુમાર પંડ્યાના ઘરનું એડ્રેસ અને ફોન નંબર લખ્યા. ડ્રાઇવિંગ લાયસન્સનો નંબર અને બ્લડ ગ્રૂપ લખ્યું. બેન્ક એકાઉન્ટ, પાસપોર્ટ કે જીવન વીમાની પોલિસી હતી નહીં એટલે એ ખાના ખાલી રાખ્યા. છેક છેલ્લે લખવાની વિગતનું મથાળું હતું‘ઇન કેસ ઓફ ઇમરજન્સી પ્લીઝ કોન્ટેક્ટ’ – એ વિગતમાં મેં રજનીકુમાર પંડ્યા લખીને સામે તેમનો ફોન નંબર લખ્યો.

હા, થોડા દિવસોના તેમના પરિચયમાં એટલી તો ખાતરી થઈ ગઈ હતી કે રજનીકાકા સંકટ સમયની સાંકળ છે. ડાયરીના પાનામાં ભરેલી વિગતો જોઈને છેલ્લી વિગતમાં ઉમેરો કરતાં એમણે તેમના પડોશી ભરતભાઈ મહેતાનો ફોન નંબર લખ્યો. એટલા માટે કે કદીકને આવી પડનારી કટોકટીમાં તેમનો સંપર્ક ન થઈ શકે તો તેમનું નામ લઈ પડોશી મિત્રની મદદ પણ માગી શકાય. એ વર્ષો પેજર – મોબાઇલની સવલત વિનાના હતા. ફોન નંબર લખવામાં એમણે જે ચોક્સાઈ બતાવી એવી ચોક્સાઈ કામમાં બતાવવાના મારા દિવસો શરૂ થતા હતા. આ પહેલો પાઠ હતો. આજના સંદર્ભમાં એટલું ઉમેરું કે રોજબરોજના નાનાં મોટાં અગત્યના કામ પૂરા કરવા માટે ડાયરી રાખવાની તેમણે શીખવેલી પદ્ધતિ અને પાડેલી ટેવ મેં આજ પર્યંત વાયા ડિજિટલ ડાયરી થઈને મોબાઇલનો ઉપયોગ કરતા સુધી જાળવી રાખી છે.

તેમની સાથે કામ શરૂ કર્યાને થોડા દિવસો જ વીત્યા હશે ત્યાં મારે રજા માંગવાનો વખત આવી ગયો. અને રજાય એકાદ દિવસની નહીં.....

રજનીકાકા, આવતીકાલથી હું પાંચ દિવસ માટે નહીં આવું.
કેમ ભાઈ? પાંચ દિવસ તો બહુ આકરા પડે. મને તારી જરૂર છે. નહીં આવવાનું કારણ કહીશ મને ?
હોળી-ધૂળેટી નિમિત્તે મારા મિત્રો ચાલીને ડાકોર જાય છે. મારે પણ જવું છે. પાંચમા દિવસે તો પાછો.
ચાલતા જવું છે ?
હા.
અરે બિનીત, એમ ના કરાય. તું મારા દીકરા જેવો છે. મને તારા મિત્રનો ફોન નંબર આપ. હું એને તારા આવવાની ના પાડું છું. ભાઈ, આ બસ-રેલવે કોના માટે છે ? વિજ્ઞાનની શોધખોળો છે તો એનો ઉપયોગ કરો. ચાલીને ડાકોર જવું એ નરી મૂર્ખામી છે. અંધવિશ્વાસ છે. એમાં ભાગ ન લેવાય અને આપણાથી તો ન જ જવાય. તું કાલે પણ રાબેતા મુજબ કામ પર આવે જ છે, એમ હું સમજું છું.

મને લાગે છે એમ નહીં, બહુ દ્રઢપણે માનું છું કે રજનીકાકાને હું મળ્યો ન હોત તો આજની તારીખે કોઈ બાવાનો ચેલો બની, બાવાઓના અડ્ડા અખાડાઓમાં ભટકતો હોત. મારા શરમ-સંકોચ કરતા પણ વધારે જડ એવી ધાર્મિક માન્યતાઓને તગેડી મૂકવાનું મોટું કામ એમના થકી થયું. મને ખાતરી છે કે આમાં હું પહેલો નહીં હોઉંતેમ છેલ્લો પણ નહીં હોઉં.

જિંદગીની સૌથી પહેલી નોકરી એમણે અપાવી. પુસ્તક પ્રકાશક ભગતભાઈ શેઠની નજરે ક્યારેક ચઢ્યો હોઈશ એટલે એમણે મારી માંગણી-ઉઘરાણી રજનીકાકા પાસે કરી અને આર.આર. શેઠની કંપનીમાં / R.R. Sheth & Co. જોડાયો. નોકરી ઉપરાંત જે સૌથી મોટી ઉપલબ્ધિ તેમના દ્વારા થઈ તે બે મિત્રોની – બીરેન કોઠારી અને ઉર્વીશ કોઠારી. 1992થી શરૂ થયેલી અમારી ભાઈબંધીને આવતા મહિને ઓગસ્ટમાં વીસ વર્ષ પૂરાં થશેપણ લાગે છે એવું જ કે અમે બાળગોઠિયા હોઈએ અને જન્મ્યા ત્યારથી જ એકબીજાને ઓળખીએ છીએરજનીકાકાએ અમારી એવી નજરબંધી’ કરી આપી છે. અનેક મિત્રો સાથે જોડી આપવાનું ગોર-કર્મ તેમના દ્વારા જ થાય છે.
મારા દુબઈ જતાં પહેલાં મીઠાઇની મિજબાની.....

આજ સુધીમાં જે બે-ત્રણ વાર અનાયાસે રડી પડાયું હશે એમાંનો એક પ્રસંગ તેમની સાથે સંકળાયેલો છે. તેમનું અમેરિકાના પ્રવાસે જવું અને મારે નોકરી માટે થઈને દુબઈ-અબુધાબી / Dubai - Abu Dhabi જવાની તૈયારી કરવાની હતી. એ વખતે મળીને છૂટાં પડતાં એક ક્ષણ મને એવું થયું કે હવે અમે કદી મળી જ નહીં શકીએ અને એમણે પોતાની ઉંમર સામે જોયુંનિયતિ અને નસીબ કે ત્રણ વર્ષના ગાળામાં ફરીથી મળ્યા. કાયમ માટે હવે છૂટા નહીં જ પડીએ તેવી લાગણી સાથે મળ્યા.

એ વાતનેય આજે તો દોઢ દાયકો થવા આવ્યો. તેમના થકી પ્રાપ્ત થયેલા મિત્રો કે પરિચિતોની યાદી બનાવું તો એની પણ ડિરેક્ટરી બનાવવી પડે. એટલે એ કામ હમણાં બાજુએ રાખું છું. તેમની વિશિષ્ટ કાર્યશૈલી વિષે વિગતે લખવાની લાલચ ખાળીને અહીં માત્ર અછડતો જ પરિચય આપું છું. આ લાલચ એટલા માટે ખાળી છે કે તેની વધુ વિગતો બીરેને તેના બ્લોગ પર મૂકી છે. તે વાંચવા અહીં ક્લીક કરો.
http://birenkothari.blogspot.in/2012/07/blog-post_06.html

તેમના બ્લોગના પ્રથમ વર્ષ નિમિત્તે રજનીકાકાની પોતાની કેફીયત અહીં ક્લીક કરવાથી વાંચી શકાશે.

http://zabkar9.blogspot.in/2012/07/blog-post_06.html


અમારા જેવા અનેકોના એ ગુરુ બની રહ્યા છે. (તેમનું એલુમની એસોસિએશન બનાવવા જેવું ખરું).

ગુરુ આજે છઠ્ઠી જુલાઈએ પંચોતેરમા વરસમાં પ્રવેશી રહ્યા છે ત્યારે મારા સહિત અનેકો તરફથી તેમને હાર્દિક શુભેચ્છાઓ.

Tuesday, June 19, 2012

યશવન્ત મહેતા : બાળસાહિત્યકારનો અમૃતપ્રવેશ


યશવન્ત મહેતા : આજે પંચોતેરમાં પ્રવેશ,
પત્ની દેવીબહેન સાથે..... 

સક્રિય પત્રકારત્વની પચાસી પાર કરી ચુકેલા યશવન્તભાઈ આજે 19મી જૂને પંચોતેરમા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. (જન્મવર્ષ – 1938 : લીલાપુર, સુરેન્દ્રનગર જિલ્લો) સાહિત્યના એકથી વધુ પ્રકારના વિષયોમાં તેમણે કરેલું ખેડાણ 450 ઉપરાંત પુસ્તકોમાં સમાયું – સચવાયું છે. જો કે તેમની મુખ્ય ઓળખ બાળસાહિત્યકારની રહી છે. એ એમની નિસબતનો વિષય પણ રહ્યો છે એમ કહેવું જોઇશે. બાલસાહિત્ય અકાદમીની સ્થાપના માત્ર નહીં, વખતોવખત – વર્ષમાં બે-ચાર વાર બાલદિન / Children's Day સિવાય પણ બાળકોને કેન્દ્રમાં રાખી કાર્યક્રમો કરવાની સક્રિયતા તેમણે બતાવી છે, હજી ચાલુ છે. સ્થળ – સમય કે બાળકોની સંખ્યાને લક્ષમાં લીધા વિના બાળકોની પ્રવૃત્તિઓમાં તેઓ હોંશભેર જોડાય છે. એ માટે જાત ઘસી નાંખવાની કે ખિસ્સા પર ઘસરકો પડે તેની આગોતરી તૈયારી પણ યશદાદાએ રાખી જ હોય. આ યશદાદા એ બાળકોએ આપેલું હુલામણું નામ છે.

એમ તો યશવન્તભાઈ / Yeshwant Mehta એક જમાનામાં જાવા મોટરસાઈકલ ચલાવતા હતા. મને લાગે છે એના પર સવાર થયેલા યશવન્ત મહેતા ખરેખર 'દાદા' જેવા જ લાગતા હશે. ગુજરાતી પત્રકારત્વની નોકરીમાં ઝીણું કાંતવાનો – પુષ્કળ લખવાનો અને બદલામાં આછો – પાતળો પગાર પામવાનો જમાનો હતો એવા દિવસોમાં તેમણે આ મોટરસાઈકલ વસાવેલી. શરીર પાસેથી લેતા હતા એટલું જ કામ એ જાવા / Jawa Motorcycle પાસેથી લેતા. સમવયસ્ક અને સમવ્યવસાયી મિત્રો પણ તેને ખપમાં લેતા. એની વાત આગળ ઉપર.

પત્રકારત્વ – લેખનની વ્યવસાયી કામગીરીના નાતે હું જ્યાં જોડાયેલો છું તે પ્રકાશન સંસ્થા ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય કે લેખકો – પત્રકારોના સંગઠન ગુજરાતી લેખક મંડળ / Gujarati Lekhak Mandal સાથે યશવન્તભાઈ વર્ષોથી જોડાયેલા છે. મંડળના તેઓ અધ્યક્ષ છે. એ રીતે તેમની સાથે વાત – વિવાદ કે ડાયલોગ થવાના સંજોગ ઊભા થતા રહે. આવી જ એક વાતચીત દરમિયાન કહેતા કેપાસે વાહન હોવું એ 1990 પહેલાના જમાનામાં મોટી જણસ ગણાતી. જાવા જેવી હેવીવેઇટ મોટરસાઈકલ હોવાના કારણે હું ઝડપભેર રિપોર્ટીંગ અને અન્ય કામ માટે ફરી વળતો. એ જોઈને મિત્રોને પણ ક્યારેક એ રીતે કામ કરવાની હોંશ જાગતી અને પાસે વાહન ન હોવાના કારણે પાછા પડતા. હું ડ્રાઈવર બનીને તેમની મદદે આવતો.

ગુજરાતી પત્રકારત્વમાં કે ગુજરાતી જોડણીકોશમાં ફ્રિ-લાન્સ શબ્દ દાખલ નહોતો થયો એવે સમયે તેમણે ગુજરાત સમાચાર / Gujarat Samachar જેવા મોટા ગજાના અખબારની કંઈક અંશે સલામત ગણાતી એવી નોકરી માત્ર મુક્તપણે કામ કરવાના એક માત્ર ઇરાદાથી જ મૂકી દીધી. એમાં તે સફળ પણ થયા. સાહિત્ય સર્જન કર્યું – બાળકોની પ્રવૃત્તિઓમાં જોડાયા – છેવાડાના માણસની ચિંતા સેવતું લેખન કરી એ માંહેની પ્રવૃત્તિ કરી – ભૂતકાળમાં લખેલું ગ્રંથસ્થ કર્યું. આ બધું કરવામાં આર્થિક પાસું પણ જળવાઈ રહ્યું તે એ રીતે કે માત્ર લેખનની આવક પર તેઓ આવકવેરાનું રીટર્ન ફાઇલ કરે છે – એ પણ નિયમિત.

એમ તો બીજું પણ એક કામ તેઓ નિયમિત કરે છે એ પત્નીને પિયર તેડવા જવાનું. ગુજરાતી લેખક મંડળની શુક્રવારી બેઠકમાં અધ્યક્ષના હોદ્દાને વચમાં લાવ્યા વિના કે તેના કથિત મોભાનો સહેજ સરખો ભાર રાખ્યા વિના તેઓ વહીવટી કામગીરી કરતા હોય. જેમાં કવર પર સરનામાં કરવાનું કામેય કોઈ છોછ વિના કરતા જાય. એમ કરતા સાથી મિત્રોને ખબર આપે કે પોતે આવતા શુક્રવારે બેઠકમાં હાજરી નહીં આપે. હા, એમને કેમ નથી આવવાના એવું પણ પૂછી શકાય – હકપૂર્વક નહીં, હેતથી. પૂછીએ એટલે કહેદેવીબહેનને પિયર મોરબી / Morbi તેડવા જવાનું છે.’ તેમની ઉંમર સામે જોતા કદાચ તેમને ચીડવવા માટે જ હું પૂછી બેસું કેકેમ, તમે તેડવા ના જાવ તો એ ના આવે?’ યશવન્ત મહેતા આંખ મીંચકારીને ભારપૂર્વક જવાબ આપે – ના. હા, આંખ મીંચકારે એ ક્ષણ પૂરતા તમે એમને રોમેન્ટિક પણ કહી શકો.

આવા સવાલો પૂછીને હું તેમને હેરાન ન કરું એટલે પછીના શુક્રવારે એ મીઠાઈ લઈને આવે – દેવીબહેનના હાથે બનાવેલી સુખડી, મગસ કે મોહનથાળ. મંડળના સભ્યોને તેનો લાભ મળે પણ સિંહફાળો મારા ભાગે હોય. મઝા આવે. દિલીપ રાણપુરા સાથેની તેમની દોસ્તી એવી કે એમના વિશેની કોઈ વાત એ આંખમાં ઝળઝળિયા વગર પૂરી જ ના કરી શકે. દિલદાર એવા કે બાળસાહિત્ય અંગેનું કેન્દ્રિય સાહિત્ય અકાદમીનું / Sahitya Akademi સન્માન જાહેર થયું તો એ લેવા માટે મિત્રો નટવર પટેલ અને યોસેફ મેકવાનને પોતાના ખર્ચે દિલ્હી સાથે લઈ ગયા. પ્રકાશક સાથેનો સંબંધ એવો કે મનુભાઈ શાહ એ સન્માન વેળાએ તેમને સરપ્રાઇઝ આપવા ઉપસ્થિત રહ્યા.

તેમના વિશે આટલું કે વિસ્તારથી ના લખવું હોય અને એક વાક્યમાં પરિચય આપવો હોય તોય આપી શકાય. પારકાના સુખે સુખી અને દુઃખે અતિ દુઃખી થતો જણ એટલે યશવન્ત દેવશંકર મહેતા. તેમના પરિવારમાં બે દીકરીઓ ઋતંભરા (સાઇકાયટ્રિસ્ટ ડૉ. – સુરત), પ્રતીચી (આવકવેરા વિભાગવડોદરા) અને દીકરો ઈશાન (કમ્પ્યૂટર એન્જિનિઅર) અમદાવાદમાં સાથે રહે છે.

પોસ્ટની સૌથી ઉપરનો દેવીબહેન સાથેનો તેમનો આ ફોટો વર્ષ 2006નો શ્રી ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક’ તેમને એનાયત થયો ત્યારે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સભાખંડમાં 30 ડિસેમ્બર 2006ની સાંજે પાડ્યો હતો.

Friday, May 25, 2012

ગીતાંજલિ મધુસૂદન ઢાંકી : વિદ્યાવ્યાસંગીના જીવનસંગિનીની વિદાય

કવિ – લેખક – સાહિત્યકાર– કલાકાર આ જગતમાંથી વિદાય લે ત્યારે માધ્યમોમાં એ બાબતની નોંધ લેવાય છે. સારું છે. જો કે એ લાભ એમના પરિવારજનોને મળતો નથી. એ બાબતમાં સંતાનો સુધી લીટી લાંબી ન કરીએ તોય એ લાભ દિવંગતના પતિ કે પત્નીને મળે, મળવો જોઈએ એવી લાગણી થયા કરે. હવે લાગણીનું તો એવું છે ને કે તેને કાબુમાં – સીમિત રાખવી પડે. જો કે આજે આવી નોંધ લેવી પડે તેવું એક કારણ મળ્યું છે.

        ભારતીય દેવાલય સ્થાપત્યના અભ્યાસી પ્રોફેસર મધુસૂદન ઢાંકીના પત્ની ગીતાંજલિબહેનનું બુધવાર
23 મે 2012ના રોજ અમદાવાદમાં અવસાન થયું. તેમની સાથે કોઈ અંગત પરિચય તો નહોતો કે કદી મળવાનું પણ નહોતું થયું. મને લાગે છે અહીં કે આગળ ઉપર લખવા માટે એ કંઈ જરૂરી પણ નથી. વ્યક્તિ સાથે અંગત પરિચય હોવો એ કંઈ લખવા માટેની લાયકાત થોડી છે? હા, લાયકાત તો ગીતાંજલિબહેને મેળવી હતી – તેમની, તેમના જવાની નોંધ લેવી પડે તેવી.

        ચોરાસી વર્ષના મધુસૂદન ઢાંકીને / Madhusoodan Dhanki (જન્મતારીખ
: 31 જુલાઈ 1927) ગયા વર્ષે 2010નો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો ત્યારે પ્રકટ થયેલા તેમના પરિચયમાં ગીતાંજલિબહેનના પ્રદાનની પણ નોંધ લેવાઈ છે.
ચંદ્રક અર્પણ સમારંભમાં ડાબેથી હેમન્ત દવે, કુમારપાળ દેસાઈ,
ભોળાભાઈ પટેલ, મધુસૂદન ઢાંકી, પ્રદીપ મહેંદીરત્તા અને ગીતાંજલિબહેન ઢાંકી

        નડિયાદ – વલ્લભ વિદ્યાનગરના પ્રાધ્યાપક હેમન્ત દવેએ લખેલા એ પરિચયનો શબ્દશઃ – અંશતઃ પાઠ આ રહ્યો.....
ઢાંકીસાહેબની આ વિદ્યાયાત્રા તેમનાં જીવનસંગિની ગીતાંજલિબહેન વિના સંભવિત નહોતી એમ બેહિચક કહી શકાય. કપરામાં કપરા સમયે પણ તેઓ સાહેબના પડખે ઊભાં રહ્યા છે, તેમને હિમ્મત બંધાવી છે, સંશોધન માટે પ્રોત્સાહન આપ્યું છે. સાહેબના પુસ્તકો, લેખોની સ્વચ્છ – સુવાચ્ય પ્રતો તૈયાર કરવી, સંશોધનમાં ઉપયોગી પુસ્તકાદિ હાથવગાં રાખવાં, ઢાંકીસાહેબની તમામ નાનીનાની બાબતોનું ધ્યાન રાખવું, બલકે એક નાના બાળકની રખાય તેવી કાળજી તેમણે ઢાંકીસાહેબની રાખી છે. ઢાંકીસાહેબ છેલ્લી માંદગીમાંથી જો ઊઠી શક્યા તો તે ગીતાંજલિબહેનના નિઃસ્વાર્થ, નિર્વ્યાજ પ્રેમથી જ, અને એ આખા સમયનો આ લખનાર સાક્ષી છે. આ સન્માન એથી ઢાંકીસાહેબનું જેટલું છે તેટલું જ ગીતાંજલિબહેનનું પણ છે.
મધુસૂદન ઢાંકી, હેમન્ત દવે અને ગીતાંજલિબહેન ઢાંકી

મને લાગે છે શ્રીમતી ગીતાંજલિબહેન મધુસૂદન ઢાંકીને શ્રદ્ધાંજલિ પાઠવવા તેમના પરિચયમાં અપાયેલા આ શબ્દો જ પૂરતા છે. એવો પરિચય આપનાર હેમન્ત દવેએ વધુમાં જણાવ્યું કે સ્થાપત્ય અભ્યાસ માટે ઢાંકીસાહેબના દેશ-પરદેશના પ્રવાસમાં તેઓ હંમેશા સાથે રહી તેમની દૈનિક સગવડોનો ખ્યાલ રાખતા એ તો સામાન્ય વાત થઈ. એ ઉપરાંત સાથે રાખેલું અભ્યાસલક્ષી સાહિત્ય જરૂર પડે રેફરન્સ મેળવવા ઉપલબ્ધ કરી આપતા. જે વિગતો ન હોય તેની યાદી બનાવતા અને પ્રવાસ બાદ તે માહિતી ક્યાંથી મળી શકે તેનું ફોલોઅપ કરતા. એ માટે કરવા પડતા ફોન – પત્રવ્યવહારમાં ઢાંકીસાહેબની સાથે તેમની સામેલગીરી હોય જ. પ્રકટ થવા મોકલાતા સંશોધનપત્રો, લેખો કે પુસ્તકો માટેની પ્રેસકોપી તેઓ તૈયાર કરતા.
પોસ્ટ સાથેના આ ફોટા ઢાંકીસાહેબને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ – અમદાવાદ ખાતે વર્ષ 2010નો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક શનિવાર19 નવેમ્બર 2011ની સાંજે અર્પણ થયો ત્યારે પાડ્યા હતા. ગીતાંજલિબહેન માટે લખાયેલા શબ્દો અને એ લખનાર હેમન્ત સુધ્ધાંના સેવા – સમર્પણ છતા થતા દેખાય એ જ આ છબિનું મૂલ્ય.

Thursday, May 17, 2012

રમેશ પારેખ : છ અક્ષરના નામની વિદાયને વરસ થયા છ


રમેશ પારેખ / Ramesh Parekh
27-11-1940થી 17-05-2006

        ગુજરાતી ભાષા લખતા– વાંચતા આવડતી હોય, સાહિત્ય વાંચન ગમતી બાબત હોય, કવિતાને ચાહતા હો તો પછી માની લો કે રમેશ પારેખ / Ramesh Parekh પ્રત્યે પ્રીતિ હોયહોય...ને હોય જ. આ અફર બાબત છે; ગમે તો વધાવી લો, એવી રીતે જાણે અમરેલી / Amreli નગરે કવિને વધાવ્યા હતા. 1991માં કવિના જન્મદિને (27 નવેમ્બર) વનપ્રવેશની પૂર્ણાહૂતિ રંગે-ચંગે ઉજવાઈ ત્યારે વતન એવું અમરેલી ગામ આખું હિલોળે ચઢ્યું હતું. માત્ર સાહિત્યિક સામયિકો નહીં, દૈનિક અખબારો માટે પણ રમેશ પારેખના વનપ્રવેશની પૂર્ણાહૂતિ એ સમાચાર હતા. એમ સમજો કે જે છાપાંઓએ જિંદગી ધરીને તેમની કવિતા નહોતી પ્રકટ કરી તેણે પણ આ ઉજવણીના સમાચારની નોંધ લીધી હતી. ટૂંકમાં કવિ તેમની કવિતાઓની જેમ જ છાપાંઓમાં છવાઈ ગયા હતા. છ અક્ષરના નામનો એ પહેલો પરિચય હતો. કવિના વનપ્રવેશની ઉજવણીમાં તો કંઈ સામેલ નહોતું થઈ શકાયું પરંતુ પરોક્ષ રીતે સામેલ થવાનું શક્ય બન્યું ખરું. કઈ રીતે?

        રજનીકુમાર પંડ્યા / Rajnikumar Pandya સાથે નિયમિત ધોરણે કામ કરતો એ અરસામાં તેમના સ્વર્ગસ્થ પિતા દેવરામભાઈ પંડ્યા વિશે તેમણે એક લેખ સુરતથી પ્રકટ થતા
ઉત્સવ પાક્ષિકને મોકલ્યો હતો. સાથે લેખને અનુરૂપ તસવીરો પણ ખરી. લેખ પ્રકાશિત થયો એ પછી કોઈ સામાજિક કામે મારે સુરત જવાનું થયું. રજનીકાકાએ એક કામ સોંપ્યું કે તારે યાદ રાખીને એ તસવીરો પરત લઈ આવવાની. ચીંધેલું કામ પાર પાડવા ઉત્સવની ઓફિસે પહોંચ્યો અને તંત્રી ભીખેશ ભટ્ટને મળ્યો. તસવીરો તો પરત મળી જ. ભીખેશભાઈએ બીજું એક કવર હાથમાં મુકતા કહ્યું, “રમેશ પારેખના વનપ્રવેશની તસવીરો છે. અમે નોંધ લઈ લીધી છે. હવે આ ફોટા અમારે કશા કામના નથી. તું ઇચ્છે તો લઈ જઈ શકે છે. એ ફોટા હજી આજેય મારી પાસે સચવાયેલા છે. કવિ રમેશ પારેખનું મારા માટે એ કાયમી સંભારણું છે.

સમગ્ર કવિતા 'છ અક્ષરનું નામ'નું હરીન્દ્ર દવેના હસ્તે લોકાર્પણ,

સાથે છેલભાઈ વ્યાસ, હર્ષદ ચંદારાણા, ડૉ. ભરત કાનાબાર અને વસંત પરીખ


        
માનવીની ભવાઈ ફિલ્મ કવિ સાથે બેસીને જોયાનું સ્મરણ છે. પન્નાલાલ પટેલની જાણીતી – જ્ઞાનપીઠ એવોર્ડથી પોંખાયેલી નવલકથા માનવીની ભવાઈ / Manvini Bhavai પરથી એ જ નામે ઉપેન્દ્ર ત્રિવેદીએ નિર્માણ કરેલી ગુજરાતી ફિલ્મમાં રમેશ પારેખે એક ગીત લખ્યું હતું.....કાળુ તારે તે કેડિયું ક્યાંથી લ્યા.....અમદાવાદના શિવ સિનેમામાં ફિલ્મનો પ્રિમિઅર શો યોજાયો ત્યારે રજનીકુમાર પંડ્યાએ તેમની સાથે ઓળખાણ કરાવી. એ સમયે તેમને પગમાં ફ્રેક્ચર થયું હતું. કોઈની મદદ લીધા વિના કે ટેકા વગર ડગ ના માંડી શકે. કવિની બીડીની તલબ હવે જાણીતી વાત થઈ ગઈ છે, એ સમયે નહોતી. ચાલુ ફિલ્મે જ એમણે રજનીકાકાને કહ્યું કે બાથરૂમ જવું પડશે. ઑડિટોરિયમની બહાર નીકળીને લયમાં બોલ્યા...બાથરૂમ તો એક બહાના હૈ, બીડી કા કસ લગાના હૈ.

        કવિ સાથે ઓળખાણ થઈ પરંતુ અંગત પરિચયમાં કદી આગળ ન વધી શક્યો. રાજકોટ – અમદાવાદનું અંતર પણ તેમાં કારણભૂત ખરું. મિત્ર જિતુ વઢવાણા થકી કવિ રાજેન્દ્ર શુક્લના / Rajendra Shukla પરિચયમાં આવવાનું થયું ત્યારે એ બન્ને વચ્ચેની મિત્રતા જોતાં એવી તક મળશે એવી આશા જરૂર જાગી પણ એ દિવસો આવ્યા જ નહીં. હા
, જિતુએ પોતે પ્રોડક્શન કરેલી રમેશ પારેખના ગીતોની એક ઑડિયો કેસેટ 'ગીત હાળાં ધક્કા-મુક્કી થાય' આપી જે વારંવાર સાંભળવી ગમે એવી છે. હવે તો તેની સીડી પણ બની છે.
રમેશ પારેખ - રાજેન્દ્ર શુક્લ : મૈત્રીનો અભિષેક
રમેશ પારેખનો પોસ્ટમાં સૌથી ઉપરનો અને રાજેન્દ્ર શુક્લ સાથેનો આ ફોટો રવિવાર, 4 સપ્ટેમ્બર 2005ના રોજ ગજ્જર હોલ ખાતે આયોજિત કવિ રાજેન્દ્ર શુક્લના કાવ્યસંગ્રહ ગઝલ સંહિતાના વિમોચન – સ્વરાભિષેક પ્રસંગે અમદાવાદ આવ્યા ત્યારે પાડ્યો હતો. વીસમી સદીના ઉત્તરાર્ધની ગુજરાતી કવિતાનો પર્યાય ગણાય એવા રમેશ મોહનલાલ પારેખની સરળતા જ આ ફોટો જોયાની પળે યાદ આવે. કેવી સરળતા? ફોટો પડાવવા માટે તેમને વિનંતી કરી. ગીત-સંગીતના કાર્યક્રમ પછી સ્ટેજ પરના ગાદી-તકિયા એમને એમ જ હતા. એ ગંદા ન થાય તેનો ખ્યાલ કરતા ફોટો પાડવા માટે હું કોઈ સારા લોકેશનની શોધમાં હતો. તો મને કહે કે તમે હાથ પકડીને જ્યાં ઊભા રાખશો ત્યાં ઊભા રહીશું, તમે ફોટો પાડી લેજો. પાડી લીધો. એ ફોટા વારે-વારે જોઈને એટલું જ કહેવાનું મન થાય કે એ ક્ષણો પાછી મળે. તેમની કવિતાઓ વાંચતા – પઠન કરતાં હંમેશા લાગ્યું છે કે આ કવિતાઓ તો ગીત-સંગીતની સંગતમાં જ સંભળાય. તેમની સદાય રહેનારી સ્મૃતિને સંકોરતી આ એક કવિતા.....

વરસાદ ભીંજવે
આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે
નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે
ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે
પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલો ધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,

        કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.


ખુદની કવિતા આસિત દેસાઈના મુખે સાંભળતા રમેશ પારેખ