પ્રતિભાવો ઉર્ફે Comments

Showing posts with label Indian Politics. Show all posts
Showing posts with label Indian Politics. Show all posts

Thursday, January 31, 2019

જ્યોર્જ ફર્નાન્ડિઝ : ગુજરાત – સંસદીય કારકિર્દીનું પહેલું પગથિયું

જ્યોર્જ ફર્નાન્ડિઝ / George Fernandes
3 જૂન 1930 થી 29 જાન્યુઆરી 2019
મેંગ્લોરથી નવી દિલ્લી

જ્યોર્જ ફર્નાન્ડિઝને / George Fernandes અનેક રીતે યાદ રાખવામાં આવશે. કામદારોના નેતા, તેમના અધિકારો માટેના લડવૈયા, મુંબઈના ટેક્ષી ચાલકોના યુનિયનના સ્થાપક, દેશવ્યાપી રેલવે હડતાળના સફળ બ્લુ પ્રિન્ટર, કટોકટીનો વિરોધ કરનાર અને એ માટે કુખ્યાત થયેલા બરોડા ડાઇનામાઇટ કેસ થકી જેલવાસ ભોગવનાર, જેલવાસ દરમિયાન જ લોકસભા ચૂંટણી જીતનાર, કેન્દ્રિય ઉદ્યોગ પ્રધાનની રૂએ કોકાકોલાને હાંકી કાઢનાર, રેલવે મંત્રી થયા ત્યારે એ જ કોકાકોલા રેલવે સ્ટેશનો સહિત દેશભરમાં પુનઃ વેચાતું થયું, સંરક્ષણ મંત્રીની રૂએ પૃથ્વી પરની સૌથી ઊંચી અને દુર્ગમ ગણાતી યુધ્ધ ભૂમિ સિઆચેનની / Siachen મુલાકાત કરનાર પહેલા ડિફેન્સ મિનિસ્ટર તેમજ એ જ મંત્રાલયમાં થયેલા કૉફીન કમ આર્થિક કૌભાંડોને કારણે પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી અને છેલ્લે જે રાજકીય પક્ષની સ્થાપનામાં ચાવીરૂપ ભૂમિકામાં હતા એ જનતા દળ (યુનાઈટેડ)ના / Janta Dal (United) નવા નેતૃત્વએ તેમને પંદરમી લોકસભા ચૂંટણીની ટિકિટથી વંચિત રાખ્યા.

ચોથી લોકસભાથી ચૌદમી લોકસભા વચ્ચે નવ-નવ મુદત માટે ચૂંટણી વિજેતા થનાર તેમજ માત્ર અગિયાર મહિના જેવા ટૂંકા સમયગાળા માટે એક જ વખત રાજ્યસભાનું સભ્યપદ મેળવનાર જ્યોર્જ ફર્નાન્ડિઝનું ચૂંટણી રાજકારણ ગુજરાતથી શરૂ થયું હતું. હા, રિપીટ ગુજરાતથી.

ગુજરાત રાજ્યની સ્થાપના 1960માં થઈ ત્યારે પહેલી ગુજરાત વિધાનસભાની રચના મુંબઈ રાજ્યની બીજી વિધાનસભામાંથી થઈ. મુંબઈ રાજ્ય બીજી વિધાનસભાની રચના માટે 1957માં બીજી લોકસભા સાથે જ સામાન્ય ચૂંટણી યોજાઈ ત્યારે જ્યોર્જ ફર્નાન્ડિઝ માંડવી (120) બેઠક પરના અપક્ષ ઉમેદવાર હતા. બેઠક પરના વિજેતા કૉંગ્રેસના ઉમેદવાર (અબ્દુલ કાદર શેલભોય) અને તેમની નજીકના પ્રતિસ્પર્ધક અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પરાજિત ઉમેદવાર (શાંતારામ શીવરામ સાવરકર) સામે ત્રીજા ક્રમે આવેલા જ્યોર્જ મેથ્યૂ જહોન ફર્નાન્ડિઝને (ચૂંટણી પંચના રેકર્ડ મુજબ સત્તાવાર નામ – ફર્નાન્ડિઝ જ્યોર્જ મેથ્યૂ જહોન) માત્ર 4,848 (કુલ મતદાનના 13.13%) મત મળ્યા હતા. આમ રાજકીય જીવનના પ્રારંભે પહેલી ચૂંટણીમાં પરાજિત થયેલા જ્યોર્જ ફર્નાન્ડિઝ પ્રથમ મુંબઈના અને પાછળથી ગુજરાતની પ્રથમ વિધાનસભાના માનનીય સભ્ય થતા રહી ગયા. કેમ કે બીજી વિધાનસભાથી માંડવી મતવિસ્તારનો ગુજરાતમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

પ્રથમ પરાજય પછી પરત મુંબઈ જઈને મજૂર ચળવળ તરફ સક્રિય થયેલા જ્યોર્જ ફર્નાન્ડિઝ પ્રારંભે 1961માં બોમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશનની / Bombay Municipal Corporation ચૂંટણી જીતીને નગરસેવક બન્યા. બીજી મુદત માટે વિજેતા થયા એ સમયગાળામાં સીધું લોકસભા ચૂંટણીમાં જ ઝુકાવ્યું અને જાયન્ટ કીલર તરીકે ચોથી લોકસભામાં (1967 – 1971) પહેલો પ્રવેશ કર્યો. જાયન્ટ કીલર / Giant Killer એટલે ચૂંટણીજંગના અર્થમાં રાજકારણમાં નવો-સવો પ્રવેશેલો ઉમેદવાર મોટું માથું ગણાતા પ્રતિસ્પર્ધી ઉમેદવારને પરાજિત કરે એ. એ અર્થમાં જ્યોર્જ ફર્નાન્ડિઝે સદોબા પાટીલ ઉર્ફે એસ.કે. પાટીલને / S.K. Patil પરાજિત કર્યા હતા. ત્રણ વખત મુંબઈના મેયર રહી ચૂકેલા, પહેલી-બીજી અને ત્રીજી લોકસભાના સભ્ય હોવા ઉપરાંત પ્રથમ ત્રણ વડાપ્રધાનો જવાહરલાલ નેહરુ, લાલ બહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધીના પ્રધાનમંડળનો હિસ્સો રહી ચૂકેલા તેમજ મહારાષ્ટ્રના રાજકારણના અજેય અને તાજ વગરના રાજા ગણાતા શક્તિશાળી કૉંગ્રેસી નેતા સદાશીવ કનોજી પાટીલને મહારાષ્ટ્રની દક્ષિણ મુંબઈ બેઠક પરથી જ્યોર્જ ફર્નાન્ડિઝે સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટીના ઉમેદવાર લેખે 29,434 મતથી પરાજિત કર્યા હતા. આ મત તફાવત દસ ટકાનો હતો અને બેઠક પર કુલ આઠ ઉમેદવારો હતા એ પણ નોંધવું રહ્યું.

જ્યોર્જની સામે પરાજય પામેલા કૉંગ્રેસ પક્ષના સદોબા પાટીલ આ જ ચોથી લોકસભામાં પેટાચૂંટણીના માધ્યમથી ચોથી વાર લોકસભામાં પહોંચવામાં સફળ થયા. એ માટે ગુજરાત નિમિત્ત બન્યું. બનાસકાંઠા બેઠક પર ચૂંટાયેલા સ્વતંત્ર પક્ષના સંસદસભ્ય મનુભાઈ અમરસીની ચૂંટણીને સર્વોચ્ચ અદાલતે ગેરકાયદે ઠરાવી રદબાતલ જાહેર કરવાનો ચૂકાદો આપ્યો હતો. બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષે એસ.કે. પાટીલને ઉમેદવાર બનાવ્યા. મોરારજી દેસાઈના આગ્રહથી સદોબા પાટીલ ઠેઠ મુંબઈથી ગુજરાતના બનાસકાંઠામાં પેટાચૂંટણી લડવા માટે આવ્યા અને જીતી પણ ગયા.

એ પછી પાંચમી લોકસભા (1971 – 1977) ચૂંટણીમાં તેમણે ઉમેદવારી નહોતી કરી. પરંતુ મજૂર ચળવળ, આંદોલનો, 1974ની વીસ દિવસ ચાલેલી દેશવ્યાપી રેલવે હડતાલ, ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીનો / State of Emergency વિરોધ અને ભાંગફોડિયા પ્રવૃત્તિમાં કથિત સંડોવણી કે કાવતરું ઘડવાના આરોપોસર જેલવાસ તેમજ સાંકળ-હાથકડી સાથે કૉર્ટમાં રજૂ કરતી દિલ્લી પોલીસની અખબારોમાં પ્રકટ થતી તસવીરોથી જ્યોર્જ ફર્નાન્ડિઝ ભારતભરના નાગરિકો વચ્ચે છવાઈ ગયા હતા. એવા છવાઈ ગયા કે જેલવાસ ભોગવતા, મતવિસ્તારની એકપણ મુલાકાત કર્યા વિના, માત્ર ટેકેદારોના પ્રચારથી જ્યોર્જ છઠ્ઠી લોકસભા (1977 – 1979) ચૂંટણીમાં બિહારની મુજફ્ફરપુર / Muzaffarpur લોકસભા બેઠક પરથી ભારતીય લોકદળના ઉમેદવાર લેખે 3,34,217ના મત તફાવતથી બીજી મુદત માટે ચૂંટાઈ આવ્યા. કૉંગ્રેસ પક્ષના નીતિશ્વર પ્રસાદ સિંઘ સહિત આઠ ઉમેદવારો તેમના પ્રતિસ્પર્ધી હતા. લોકસભાની આ મુદતમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ મોરારજી દેસાઈના વડાપ્રધાનપદ હેઠળની જનતા પાર્ટી સરકારમાં પ્રારંભે સંદેશાવ્યવહાર ખાતાના પ્રધાન નિમાયા. પાછળથી તેમને ઉદ્યોગ પ્રધાન બનાવાયા. મતવિસ્તાર મુજફ્ફરપુરની મુલાકાત દરમિયાન સ્થાનિક લોકો તેમના સંસદસભ્ય – લોકસભા પ્રતિનિધિ સમક્ષ પાણીની સમસ્યા લઈને આવ્યા. એ દરમિયાન જ ફરજ પરના જિલ્લા કલેક્ટરે તેમના સ્વાગતમાં કોકાકોલા / Coca Cola ધર્યું. જ્યોર્જને સમજાઈ ગયું કે પીવાના કે વપરાશયોગ્ય પાણીની સમસ્યાના મૂળમાં આ બહુરાષ્ટ્રીય કંપની છે. ગણતરીના દિવસોમાં તેમણે મલ્ટીનેશનલ કંપની નામે કોકાકોલાને દેશમાંથી ઉચાળા ભરાવ્યા.

કાર્યકારી રાષ્ટ્રપતિ બી.ડી. જત્તીના હસ્તે પ્રથમવાર
પ્રધાનપદના શપથ, 28 માર્ચ 1977
સાતમી લોકસભા (1980 – 1984) ચૂંટણી આવતા તેઓ જનતા પાર્ટીથી વિમુખ થઈ ગયા હતા. આ ચૂંટણીમાં જનતા પાર્ટી (સેક્યુલર)ની ટિકિટ પર ઉમેદવારી કરીને પુનઃ બિહારની મુજફ્ફરપુર બેઠક પરથી ત્રીજી મુદત માટે લોકસભામાં ચૂંટાઈ આવ્યા. આ ચૂંટણીમાં જ્યોર્જ માત્ર 23,109 મત તફાવત, માત્ર પાંચ ટકા મત તફાવતથી વિજેતા થયા હતા. ગત ચૂંટણી કરતા મત માર્જિનમાં 90%નો ગંજાવર ઘટાડો. ઘટાડાનું કારણ તેમની સામે પ્રતિસ્પર્ધક તરીકે જનતા પાર્ટીના દિગ્વિજય નારાયણ સિંહની ઉમેદવારી હતી. એમની સાથે કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર અને પંદર અપક્ષો તો ખરા જ ખરા. એમ બેઠક પર કુલ અઢાર ઉમેદવારો મેદાનમાં હતા.

વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા પછી સહાનુભૂતિના મોજામાં યોજાયેલી આઠમી લોકસભા ચૂંટણી (1984 – 1989)માં જ્યોર્જ ઉમેદવારી કરવાથી દૂર રહ્યા હતા. આ સમયગાળામાં રાજીવ ગાંધીની કૉંગ્રેસથી છૂટા પડેલા વિશ્વનાથ પ્રતાપસિંહના જનતા દળ સાથે જોડાયેલા જ્યોર્જ નવમી લોકસભા (1989 – 1991) ચૂંટણીમાં જનતા દળના ઉમેદવાર લેખે બિહારની મુજફ્ફરપુર બેઠક પરથી ચોથી મુદત માટે ચૂંટાઈ આવ્યા. સૌથી નજીકના પ્રતિસ્પર્ધી કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર લલિતેશ્વર પ્રસાદ સાહીને તેમણે 2,85,010 મત તફાવતથી પરાજય આપ્યો જે ઓગણચાલીસ ટકાથી વધુ હતો. આ સિવાય સત્તર ઉમેદવારો મેદાનમાં હતા. લોકસભાની આ મુદતમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ વિશ્વનાથ પ્રતાપસિંહના વડાપ્રધાનપદ હેઠળની જનતા દળ સરકારમાં રેલવે મંત્રીનું / Minister of Railway પદ પામ્યા તેમજ કાશ્મીરની બાબતોનો વધારાનો હવાલો સંભાળતા હતા.

દસમી લોકસભા (1991 – 1996) ચૂંટણીમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ જનતા દળના ઉમેદવાર લેખે બિહારની મુજફ્ફરપુર બેઠક પરથી પાંચમી મુદત માટે ચૂંટાઈ આવ્યા. આ બેઠક પર આ વખતે સંખ્યામાં અધધ કહી શકાય તેવા છેંતાલીસ ઉમેદવારો મેદાનમાં હતા. જ્યોર્જ આ વખતે કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર રઘુનાથ પાંડે સામે માત્ર 50,047 મત તફાવતથી વિજેતા થયા જે ફક્ત આઠ ટકા હતો.

ઉપરોક્ત સમયગાળામાં વેરવિખેર થઈ ગયેલા જનતા દળના ટુકડા પ્રયોગ પછી જ્યોર્જ ફર્નાન્ડિઝે 1994માં તેમના મિત્ર અને લાંબાગાળાના કમ્પેનિયન એવા જયા જેટલી / Jaya Jaitley સાથે મળીને સમતા પાર્ટી / Samata Party નામે નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. અગિયારમી લોકસભા (1996 – 1998) ચૂંટણીમાં તેઓ બેઠક બદલીને બિહારની જ નાલંદા લોકસભા બેઠકથી સમતા પાર્ટીના ઉમેદવાર લેખે છઠ્ઠી મુદત માટે ચૂંટાઈ આવ્યા. બેઠક પર ચોત્રીસ ઉમેદવારો મેદાનમાં હતા. 1,67,864 મત તફાવત, આશરે ઓગણીસ ટકા મત તફાવતથી વિજેતા થયેલા જ્યોર્જ વિરૂધ્ધ આ ચૂંટણીમાં મુખ્ય પ્રતિસ્પર્ધક કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના ઉમેદવાર વિજય કુમાર યાદવ હતા. ભૂતપૂર્વ સમાજવાદી નેતા સામે સામ્યવાદી પક્ષના ઉમેદવાર. એક મહિલા નામે કુમારી બચ્ચી સિંહાનો અપક્ષ ઉમેદવાર લેખે સામનો કરવાનું પહેલી વાર જ્યોર્જને આવ્યું તે પણ ઉલ્લેખનીય ગણવું રહ્યું કેમ કે અગાઉની કોઈ ચૂંટણીમાં તેમની સામે મહિલાઓની ઉમેદવારી નહોતી.

બારમી લોકસભા (1998 – 1999) ચૂંટણીમાં બિહારની નાલંદા લોકસભા બેઠકથી સમતા પાર્ટીના ઉમેદવાર લેખે સાતમી મુદત માટે ચૂંટાઈ આવ્યા. 1,15,670 મત તફાવત, આશરે તેર ટકા મત તફાવતથી વિજેતા થયેલા જ્યોર્જ વિરૂધ્ધ આ ચૂંટણીમાં મુખ્ય પ્રતિસ્પર્ધક રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર રામ સ્વરૂપ પ્રસાદ હતા. એ સિવાય નવ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જ્યોર્જે તેમની રાજકીય કારકિર્દીમાં પહેલી વખત રાષ્ટ્રીય જનતા દળ નામે એક પ્રાદેશિક પક્ષનો સામનો કરવાનો આવ્યો એ પણ ઉલ્લેખવું રહ્યું. આ પક્ષની સ્થાપના તેમના જ એક સમયના રાજકીય સાથી લાલુ પ્રસાદ યાદવે કરી હતી. લોકસભાની આ મુદતમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ અટલ બિહારી વાજપેયીના વડાપ્રધાનપદ હેઠળની સંયુક્ત મોરચા (એનડીએ) સરકારમાં સંરક્ષણ મંત્રીનું પદ પામ્યા. અમેરિકાની વિનંતી કે આર્થિક પ્રતિબંધોની ધમકીને અવગણીને ન્યૂક્લિઅર ટેસ્ટ પોખરણ-2’ આ દરમિયાન થયો.

સિઆચેનમાં સંરક્ષણમંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝ
તેરમી લોકસભા (1999 – 2004) ચૂંટણીમાં બિહારની નાલંદા લોકસભા બેઠકથી જનતા દળ (યુનાઇટેડ) નામે નવા પક્ષના ઉમેદવાર લેખે આઠમી મુદત માટે ચૂંટાઈ આવ્યા. સમતા પાર્ટીનું વિલીનીકરણ કરીને આ નવા પક્ષની સ્થાપના શરદ યાદવ, નીતિશકુમાર જેવા જૂના સાથીઓ સાથે મળીને કરી હતી. 1,05,821 મત તફાવત, આશરે બાર ટકા મત તફાવતથી વિજેતા થયેલા જ્યોર્જ વિરૂધ્ધ આ ચૂંટણીમાં મુખ્ય પ્રતિસ્પર્ધક કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના ઉમેદવાર ગયા સિંઘ હતા. એ સિવાય સાત ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. લોકસભાની આ મુદતમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ અટલ બિહારી વાજપેયીના વડાપ્રધાનપદ હેઠળની સંયુક્ત મોરચા (એનડીએ) સરકારમાં સંરક્ષણ મંત્રીનું પદ બીજી વાર પામ્યા. સંરક્ષણ મંત્રાલય વિરૂધ્ધ થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો, કોફીન ખરીદી કૌભાંડ, તહેલકા સામયિક અને વેબ પોર્ટલ દ્વારા થયેલા સ્ટીંગ ઑપરેશનને કારણે જ્યોર્જ ફર્નાન્ડિઝે આ સમયગાળામાં રાજીનામું આપી સંરક્ષણ મંત્રાલયનો પદભાર નામોશીભેર છોડવાનો અવસર પણ થોડા વખત માટે આવ્યો હતો. બીજી તરફ આ જ બીજી મુદતના સંરક્ષણ મંત્રીના પદ પર રહેતા તેમણે પંદરથી વધુ વખત સિઆચેન યુધ્ધક્ષેત્રની મુલાકાત લઈ વારંવાર અકસ્માતનો ભોગ બનતું વાયુસેનાનું મીગ-21 વિમાન ઉડતું કોફીન છે એવી ફેલાયેલી ગેરસમજ દૂર કરી. આ દુર્ગમ યુધ્ધક્ષેત્રના જવાનોને અતિ વિકટ ફરજ બજાવવામાં ખૂટતા જરૂરી સાધન-સરંજામની ખરીદી માટે સરકારી પ્રક્રિયાઓને તત્કાળ બાજુ પર મુકી દઈ ત્વરિત નિર્ણયો લીધા. આવા નિર્ણયો લેવામાં વિલંબ કરતા નવી દિલ્લી સાઉથ બ્લોક સ્થિત સંરક્ષણ મંત્રાલયના ત્રણ અધિકારીઓને પાઠ ભણાવવા શિક્ષા રૂપે સિઆચેનના જવાનોની કપરી પરિસ્થિતિ સમજાય એ માટે ફરજ બજાવવા, કામગીરી કરવા સીધા સિઆચેન બેઝ કેમ્પ જ મોકલી આપ્યા.

ચૌદમી લોકસભા (2004 – 2009) ચૂંટણીમાં પુનઃ એક વાર બેઠક બદલીને મૂળ મતવિસ્તાર બિહારના મુજફ્ફરપુર પાછા ફર્યા. જનતા દળ (યુનાઇટેડ)ના ઉમેદવાર લેખે નવમી અને છેલ્લી મુદત માટે ચૂંટાઈ આવ્યા. માત્ર 9,585 મત તફાવતથી વિજેતા થયેલા જ્યોર્જ વિરૂધ્ધ આ ચૂંટણીમાં મુખ્ય પ્રતિસ્પર્ધક રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર ભગવાન લાલ સાહની હતા. એ સિવાય બાર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. આ ચૂંટણી પરિણામ પછી કૉંગ્રેસ પક્ષે સત્તાનું નેતૃત્વ સંભાળ્યું અને ડૉ. મનમોહન સિંહ વડાપ્રધાન પદે આવ્યા. વિદેશી બાબતો સંભાળતી મંત્રાલયની એક સમિતિમાં જ્યોર્જનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો.

ઉપરોક્ત સમયગાળામાં જનતા દળ (યુનાઇટેડ)નું નેતૃત્વ શરદ યાદવ અને નીતિશકુમારે સંભાળી લીધું હતું. પંદરમી લોકસભાની ચૂંટણી સમયે 2009માં પક્ષે તમે હવે વૃધ્ધ થયા છો એમ કહીને ટિકિટ ફાળવણી ન કરી. પક્ષના આ નિર્ણયથી ગિન્નાયેલા જ્યોર્જ ફર્નાન્ડિઝે બિહારની મુજફ્ફરપુર બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરી. ચોવીસ ઉમેદવારો ધરાવતી બેઠક પરના ચૂંટણીજંગમાં તેમને માત્ર 22,804 મત મળ્યા જે કુલ મતદાનના માત્ર સાડા ત્રણ ટકા હતા. તેમને ટિકિટ નહીં આપવાનો નિર્ણય નીતિશકુમારે કર્યો હતો. એટલે પોતાના પક્ષના કદાવર નેતાનું માન રાખવા બીજા નેતા શરદ યાદવે રાજ્યસભાની તેમની બેઠક રાજીનામું આપીને ખાલી કરી. રાજ્યસભાની આ બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં જ્યોર્જે અપક્ષ ઉમેદવારી કરી અને તેમનું સમર્થન કરતા જનતા દળ (યુનાઇટેડ) દ્વારા કોઈ ઉમેદવાર ઊભો રાખવામાં ન આવ્યો. જ્યોર્જ ફર્નાન્ડિઝ બિહારથી ચૂંટાયેલા જનતા દળ (યુનાઇટેડ)ના ઉમેદવાર લેખે માત્ર અગિયાર મહિના જેટલા ટૂંકા સમયગાળા માટે (મુદત : 4 ઑગસ્ટ 2009 થી 7 જુલાઈ 2010) રાજ્યસભાના સભ્યપદે બેઠા.

આમ મુંબઈ રાજ્ય બીજી વિધાનસભાના પરાજિત ઉમેદવાર લેખે શરૂ થયેલી જ્યોર્જ ફર્નાન્ડિઝની રાજકીય યાત્રા વાયા બોમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશન થઈ લોકસભા પહોંચી. નવ વખતના સભ્યપદ તેમજ ચાર વખતના મંત્રીપદ પછી રાજ્યસભાની અગિયાર મહિનાની મુદત સાથે પૂર્ણ થઈ.

જ્યોર્જ ફર્નાન્ડિઝ અને પત્રકાર કિરીટ ભટ્ટ
વડોદરા સરકીટ હાઉસ, 1978

તસવીર સૌજન્ય : ચિરંતના ભટ્ટ
બરોડા ડાઇનામાઇટ કેસ સમયે વડોદરાના સ્થાનિક પત્રકાર કિરીટ ભટ્ટ / Kirit Bhatt સાથે થયેલો પરિચય જ્યોર્જ ફર્નાન્ડિઝે કિરીટભાઈના અવસાન સુધી પરિવાર સાથે જાળવી રાખ્યો. કિરીટ ભટ્ટના પુત્રી અને પત્રકાર – લેખક ચિરંતના ભટ્ટના / Chirantana Bhatt જણાવ્યા પ્રમાણે કટોકટીના સમયગાળામાં અન્ડરગ્રાઉન્ડ રહેતા જ્યોર્જ ત્રણ દિવસ સુધી વડોદરાના તેમના ઘરે છુપાયા હતા. સંરક્ષણમંત્રી પદનો હવાલો બીજી વાર સંભાળ્યો ત્યારે અમદાવાદ – ગુજરાતના સંસદસભ્ય હરીન પાઠક / Harin Pathak સંરક્ષણ રાજ્યમંત્રી લેખે તેમના સહાયક હતા એ નોંધવું રહ્યું. યોગાનુયોગ કહો તો એ કે જેમ જ્યોર્જ ફર્નાન્ડિઝ બોમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશનના નગરસેવકમાંથી સીધા ચોથી લોકસભામાં પ્રવેશ્યા હતા એમ હરીન પાઠક પણ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના નગરસેવકમાંથી સીધા નવમી લોકસભામાં પ્રવેશ્યા હતા. જ્યોર્જની જેમ હરીન પાઠકે પણ સંરક્ષણ રાજ્યમંત્રી પદે રહેતા અમદાવાદના એક પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહની હત્યાના જૂના કેસમાં તેમની સામે આરોપી તરીકેના ચાર્જ ફ્રેમ થતા તત્કાળ રાજીનામું આપવું પડ્યું હતું. આ બન્ને રાજીનામાનું પરિણામ એ આવ્યું કે પ્રધાન વિનાના સંરક્ષણ મંત્રાલયનો હવાલો થોડા સમય માટે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ / Atal Bihari Vajpayee સંભાળ્યો હતો.

વર્ષ 2002ની ગોધરા રેલવે સ્ટેશન પરની ટ્રેન દુર્ઘટના સમયે ભારતીય લશ્કરની પહેલી કુમક મદદ અમદાવાદને તેમની પહેલથી – સત્તાથી મળી જેનો ગુજરાત છેડે યથાયોગ્ય ઉપયોગ મોડો મોડો થયો અથવા તો નરસંહાર રૂપે નુકસાન થયા પછી થયો.

સત્તાના રાજકારણથી દૂર થયા પછી જ્યોર્જના મૂળ પરિવારજનો એવા તેમના ભાઈઓએ તેમને મળવા તો પત્ની લૈલા કબીરે તેમની નજીક પહોંચવા અને સ્ત્રીમિત્ર જયા જેટલીને તેમના જીવનમાંથી દૂર રાખવા દિલ્લી હાઇકોર્ટનો સહારો લેવો પડ્યો હતો. આ ઘટનાક્રમ થકી દુનિયાને પહેલીવાર જાણ થઈ કે સર્વોચ્ચ અદાલતના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ ચીફ જસ્ટીસ અલ્તમસ કબીર એ લૈલા કબીરના પિતરાઈ ભાઈ છે, જ્યોર્જના સાળા છે જેઓએ આ અદાલતી કાર્યવાહીથી પોતાની જાતને વેગળી રાખવા તત્કાળ રજા પર ઉતરી જવાનું વાજબી સમજ્યું હતું. અલ્તમસ કબીરના કાકા અને લૈલા કબીરના પિતા, જ્યોર્જના સસરા હુમાયુ કબીર બંગાળી ભાષાના કવિ-નવલકથાકાર હોવા સાથે શિક્ષણ ક્ષેત્રે પ્રવૃત્ત હતા અને કેન્દ્ર સરકારમાં મંત્રી પદે રહેતા જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રીના મંત્રીમંડળમાં શિક્ષણમંત્રીની જવાબદારી સંભાળી હતી. પ્રથમ રાજ્યસભાના અને પછી લોકસભાના સભ્ય રહી ચૂકેલા હુમાયુ કબીરે મદ્રાસ સ્ટેટના ગવર્નર બનવાની ઈન્દિરા ગાંધીની દરખાસ્ત નકારી કાઢી હતી.
ભારતીય રાજકારણના અભ્યાસીઓ અને જ્યોર્જ ફર્નાન્ડિઝના રાજકીય જીવનને નજીકથી જાણનારા – સમજનારા એકથી વધુ લોકો એવું માને છે કે રામ મનોહર લોહિયાના સમાજવાદી વિચારોથી પ્રભાવિત થઈને રાજકારણમાં સક્રિય થયેલા જ્યોર્જ સક્રિય રાજકારણની છેલ્લી ઇનીંગમાં ભારતીય જનતા પક્ષની નજીક સરક્યા પછી ભાગ્યેજ કોઈ પદ-સત્તાનો નકાર કરી શકે એવી સ્થિતિમાં રહ્યા હતા. અવસાન સાથે જ જ્યોર્જના જીવન પર આધારિત બાયોપિક ફિલ્મ બનાવવાની જાહેરાત બાલ ઠાકરેની બાયોપિક ઠાકરે નામે રજૂ કરી ચૂકેલા નિર્માતા અને શિવસેના સાંસદ સંજય રાઉતે કરી છે. ફિલ્મ નિર્માણના તબક્કેથી સિલ્વર સ્ક્રીન પર રજૂ થશે ત્યાં સુધી જ્યોર્જનું નામ ચર્ચામાં રહેશે. એ સિવાય પણ સરકાર, સત્તાતંત્રો સામે લડાયક વૃત્તિ બતાવવાની, યોધ્ધા બનવાની જ્યારે, જ્યાં અને જેમને પણ જરૂર પડશે તેવા દરેક લોકોને જ્યોર્જ ફર્નાન્ડિઝની યાદ આવતી રહેવાની છે – કટોકટીની પચાસમી, સાઇઠમી, પંચોતેરમી કે સો વર્ષની સરકારી કે ખાનગી જેવી સ્મૃતિ ઉજવણીઓ થશે ત્યારે ત્યારે પણ જ્યોર્જ યાદ આવવાના છે એ નક્કી સમજો.
(તસવીરો : ઇન્ટરનેટ પરથી)

Sunday, March 16, 2014

રાજ્ય સરકારોનાં ‘બાળમરણ’ : ટૂંકી મુદતની સરકારોની લાંબી યાદી


અરવિંદ કેજરીવાલ, પૂર્વ મુખ્યમંત્રી – દિલ્હી

ગજ્જર હૉલ, લૉ ગાર્ડન, અમદાવાદમાં (*)

બાર મહિનાની મહેનત પછી અને નાગરિકજુવાળના સમર્થનથી સત્તાપ્રાપ્તિ સુધી પહોંચેલી ‘આમ આદમી પાર્ટી’ની / Aam Aadmi Party / http://www.aamaadmiparty.org/ દિલ્હી સરકારે સાત અઠવાડિયાના અંતે રાજીનામું ધરી દીધું તેની ઘણાને નવાઈ લાગે છે. જાણે કે છ બોલની એક જ ઑવરમાં મેચ પૂરી થઈ ગઈ! નવાઈ તો લાગવી જ જોઇએ. લોકસમર્થન, લોકપ્રિયતા, પક્ષીય સમર્થન કે વહીવટ પર પકડ ગુમાવી ચુકેલા અથવા પક્ષના કેન્દ્રિય નેતાઓને અપ્રિય થઈ પડેલા રાજ્યકક્ષાના નેતાઓ...ખાસ કરીને એવા મુખ્યમંત્રીઓને તેમના પદ પરથી હટાવવા માટે હાઇકમાન્ડ્સને નવનેજા ઉતરતા હોય છે. એવે સમયે ભ્રષ્ટાચાર, જનલોકપાલ બિલ, વીજળી – પાણીની સુવિધા જેવા નાગરિકોને – મતદારોને સીધા સ્પર્શતા મુદ્દાઓ માટે અરવિંદ કેજરીવાલ / Arvind Kejriwal જેવી વ્યક્તિ તેમના વડપણ હેઠળની સરકારનું માથું તાસક પર ધરી દે તે વાત નવી નવાઈની જ લેખાવવી જોઇએ. આટલા ટૂંકા ગાળામાં આમ કરનારા અરવિંદ કેજરીવાલ પહેલા મુખ્યમંત્રી છે.

જો કે અલ્પજીવી નીવડેલી રાજ્ય સરકારોની યાદી લાંબી છે અને તેમાં ત્રણ એન્ટ્રી કેન્દ્ર સરકારના નામે પણ બોલે છે. ભલે તેના કારણો ગમે તે હોય. અહીં ‘અલ્પજીવી’ની વ્યાખ્યા બાંધવા માટે સત્તાના સો (100) કે તેથી ઓછા દિવસના સમયગાળાનો માપદંડ રાખ્યો છે. કેટલાક સંજોગોમાં એ માપદંડને સવાસો (125)થી દોઢસો (150) દિવસ એટલે કે વધુમાં વધુ પાંચેક મહિના સુધી લંબાવવાની છૂટ લીધી છે એટલી જરૂરી સ્પષ્ટતા. સરકારોના પતન કે મુખ્યમંત્રીઓના પદભ્રષ્ટ થવાના અનેક કારણો હોઈ શકે છે એટલે તે વિગતોમાં ઊંડા ન ઊતરતાં અહીં માત્ર એવી સરકારોની યાદી આપવાનો જ ઉપક્રમ રાખ્યો છે. પ્રથમ અને અંતિમ દિવસને પણ ગણતરીમાં લીધા છે. ટૂંકી મુદત માટે મુખ્યમંત્રીની ગાદી મેળવનારા પાછળથી લાંબા પટે કામ કરવા, સત્તામાં રહેવા નસીબદાર થયા છે. તો એથી ઉલટું લાંબો સમય સત્તા ભોગવનારા મુખ્યમંત્રીઓને ટૂંકા સમયગાળા માટે ગાદી સંભાળવાનો વખત પણ આવ્યો છે.

યાદીની શરૂઆત કેન્દ્રિય સ્તરથી કરીએ તો બે કેન્દ્ર સરકારો ટૂંકા સમયગાળા માટે અસ્તિત્વમાં આવી હતી અને એક કેન્દ્ર સરકાર તેના લલાટે અલ્પજીવી આયુષ્ય લખાવીને આવી હતી.
1) ગુલઝારીલાલ નંદા (ભારતના વડાપ્રધાન, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
27-05-1964થી 09-06-1964 14 દિવસ / પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના અવસાનને પગલે નિમણૂક
2) ગુલઝારીલાલ નંદા (ભારતના વડાપ્રધાન, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
11-01-1966થી 24-01-1966 14 દિવસ / બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના અવસાનને પગલે નિમણૂક
3) અટલ બિહારી વાજપેયી (ભારતના વડાપ્રધાન, રાજકીય પક્ષ – ભારતીય જનતા પક્ષ)
16-05-1996થી 01-06-1996 17 દિવસ / સૌથી ટૂંકી મુદતની કેન્દ્ર સરકાર

રાજ્ય સરકારોની યાદી જોઇએ તો અલ્પજીવી રાજ્ય સરકારનો પહેલો દાખલો મદ્રાસ પ્રેસિડન્સી રાજ્યમાંથી મળે છે.
1) કુર્મા વેન્કટા રેડ્ડી નાયડુ (મુખ્યમંત્રી – મદ્રાસ પ્રેસિડન્સી)
01-04-1937થી 14-07-1937 105 દિવસ
નોંધ: આજનું તામિલનાડુ રાજ્ય તે સમયે મદ્રાસ પ્રેસિડન્સી રાજ્ય તરીકે અસ્તિત્વ ધરાવતું હતું. કુર્મા નાયડુની વચગાળાની સરકારને કોઈ રાજકીય પક્ષનું પીઠબળ નહોતું.
2) મોહમ્મદ યુનુસ (મુખ્યમંત્રી – બિહાર, અપક્ષ)
01-04-1937થી 19-07-1937 110 દિવસ
નોંધ
: ભારતને સ્વતંત્રતા મળી એ અગાઉ આ વચગાળાની સરકાર હતી.
3) પનમપીલ્લી ગોવિંદા મેનન (મુખ્યમંત્રી, જૂનું કોચીન રાજ્ય, હાલનું કેરળ)
01-09-1947થી 31-10-1947 61 દિવસ
નોંધ
: તેમના શાસનની અંતિમ તારીખ ઉપલબ્ધ નથી. આથી ઑક્ટોબરના અંતિમ દિન સુધી ગણીને શાસનના દિવસોની ગણતરી કરી છે. રાજકીય પક્ષની માહિતી ઉપલબ્ધ નથી.
4) પ્રફુલ્લ ચન્દ્ર ઘોષ (પ્રથમ મુખ્યમંત્રી – પશ્ચિમ બંગાળ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
15-08-1947થી 14-01-1948 153 દિવસ
02-11-1967થી 20-02-1968 111 દિવસ, અપક્ષ તેમજ પ્રોગ્રેસિવ ડેમૉક્રૅટિક અલાયન્સ ફ્રન્ટ
02-04-1971થી 28-06-1971 88 દિવસ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
નોંધ: પ્રફુલ્લ ચન્દ્ર ઘોષએ ત્રણેય મુદતમાં ટુંકા સમયગાળા માટે જ સત્તા સંભાળી હતી.
5) સી.એસ. વેંકટાચારી (મુખ્યમંત્રી – રાજસ્થાન, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
06-01-1951થી 25-04-1951 110 દિવસ
6) કડીદલ મન્જપ્પા (મુખ્યમંત્રી – મૈસુર, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
19-08-1956થી 31-10-1956 74 દિવસ
નોંધ: આજનું કર્ણાટક રાજ્ય તે સમયે મૈસુર રાજ્ય તરીકે અસ્તિત્વ ધરાવતું હતું.
7) રવિશંકર શુક્લ (પ્રથમ મુખ્યમંત્રી – મધ્ય પ્રદેશ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
01-11-1956થી 31-12-1956 61 દિવસ
8) ભગવંતરાવ મંડલોઈ (મુખ્યમંત્રી – મધ્ય પ્રદેશ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
01-01-1957થી 30-01-1957 30 દિવસ
નોંધ: 12-03-1962થી 29-09-1963 દરમિયાન દોઢ વર્ષની મુદત માટે શાસન કર્યું. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
9) કૈલાસ નાથ કાત્જુ (મુખ્યમંત્રી – મધ્ય પ્રદેશ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
31-01-1957થી 14-03-1957 43 દિવસ
નોંધ: 14-03-1957થી 11-03-1962 દરમિયાન પાંચ વર્ષની મુદત માટે શાસન કર્યું. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
નોંધ: મધ્ય પ્રદેશના પ્રથમ ત્રણેય મુખ્યમંત્રીઓએ ટૂંકી મુદત માટે શાસન કર્યું હતું એ નોંધવું રહ્યું.
10) દીપ નારાયણ સિંઘ (મુખ્યમંત્રી – બિહાર, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
01-02-1961થી 18-02-1961 18 દિવસ
11) એસ.આર. કાન્થી (મુખ્યમંત્રી – કર્ણાટક, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
14-03-1962થી 20-06-1962 99 દિવસ
12) પી. કે. સાવંત (મુખ્યમંત્રી – મહારાષ્ટ્ર, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
25-11-1963થી 04-12-1963 10 દિવસ
નોંધ: પુરોગામી મુખ્યમંત્રી મારોતરાવ કન્નમવારનું પદ પર રહેતા અવસાન થતાં વચગાળાની સરકારના વડા રૂપે તેમની કામચલાઉ નિમણૂક કરવામાં આવી હતી.
13) ગોપી ચંદ ભાર્ગવ (પ્રથમ મુખ્યમંત્રી – પંજાબ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
21-06-1964થી 06-07-1964 16 દિવસ
નોંધ: 15-08-1947થી 13-04-1949 અને 18-10-1949થી 20-06-1951 દરમિયાન બે મુદતમાં કુલ મળીને સવા ત્રણ વર્ષથી વધુ શાસન કર્યું. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
14) ગ્યાની ગુરમુખ સિંઘ મુસાફીર (મુખ્યમંત્રી – પંજાબ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
01-11-1966થી 08-03-1967 128 દિવસ
15) પંડિત ભગવત દયાળ શર્મા (પ્રથમ મુખ્યમંત્રી – હરિયાણા, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
01-11-1966થી 23-03-1967 143 દિવસ
16) ચન્દ્ર ભાનુ ગુપ્તા (મુખ્યમંત્રી – ઉત્તર પ્રદેશ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
14-03-1967થી 02-04-1967 20 દિવસ
નોંધ: 07-12-1960થી 01-10-1963 અને 26-02-1969થી 17-02-1970 દરમિયાન બે મુદતમાં કુલ મળીને પોણા ચાર વર્ષથી વધુ શાસન કર્યું. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
17) લોન્ગજામ થમ્બાઉ સિંઘ (મુખ્યમંત્રી – મણિપુર, રાજકીય પક્ષ – મણિપુર યુનાઇટેડ ફ્રન્ટ)
13-10-1967થી 24-10-1967 12 દિવસ
18) સતીશ પ્રસાદ સિંઘ (મુખ્યમંત્રી – બિહાર, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
28-01-1968થી 01-02-1968 5 દિવસ
19) બિન્ધેશ્વરી પ્રસાદ માંડલ / બી.પી. માંડલ (મુખ્યમંત્રી – બિહાર, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
01-02-1968થી 02-03-1968 31 દિવસ
20) ભોલા પાસવાન શાસ્ત્રી (મુખ્યમંત્રી – બિહાર, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ-ઓ)
22-03-1968થી 29-06-1968 100 દિવસ
નોંધ
: બરાબર એક વર્ષ પછી 22-06-1969થી 04-07-1969 13 દિવસની મુદત માટે બીજી વાર મુખ્યમંત્રી થયા. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ-ઓ.
21) સી.એન. અન્નાદુરાઈ (મુખ્યમંત્રી – તામિલનાડુ, રાજકીય પક્ષ – દ્રવિડ મુન્નેત્ર કઝગમ)
14-01-1969થી 03-02-1969 21 દિવસ
નોંધ: તામિલનાડુ નામકરણ પહેલા મદ્રાસ રાજ્ય નામથી ઓળખાતા તેના છેલ્લા મુખ્યમંત્રી એવા સી.એન. અન્નાદુરાઈએ 06-03-1967થી 14-01-1969 દરમિયાન પોણા બે વર્ષથી વધુની મુદત માટે શાસન કર્યું. રાજકીય પક્ષ – દ્રવિડ મુન્નેત્ર કઝગમ
22) વી.આર. નેદુન્ચેઝિયાન (મુખ્યમંત્રી – તામિલનાડુ, રાજકીય પક્ષ – દ્રવિડ મુન્નેત્ર કઝગમ)
03-02-1969થી 10-02-1969 8 દિવસ
નોંધ: લગભગ અઢાર વર્ષના ગાળા પછી 24-12-1987થી 07-01-1988 દરમિયાન પુનઃ 15 દિવસ માટે મુખ્યમંત્રીપદ સંભાળ્યું. રાજકીય પક્ષ – એઆઈએડીએમકે. બન્ને વખત તેમની નિમણૂક કાર્યકારી, હંગામી ધોરણે થઈ હતી એવું રેકર્ડ દર્શાવે છે.
23) નરેશચન્દ્ર સિંઘ (મુખ્યમંત્રી – મધ્ય પ્રદેશ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
13-03-1969થી 25-03-1969 13 દિવસ
24) હરિહર સિંઘ (મુખ્યમંત્રી – બિહાર, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
26-02-1969થી 22-06-1969 117 દિવસ
25) ત્રિભુવન નારાયણ સિંઘ (મુખ્યમંત્રી – ઉત્તર પ્રદેશ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
18-10-1970થી 03-04-1971 168 દિવસ
26) કર્પૂરી ઠાકુર (મુખ્યમંત્રી – બિહાર, રાજકીય પક્ષ – સમાજવાદી પક્ષ)
22-12-1970થી 02-06-1971 163 દિવસ
27) પ્રકાશ ચન્દ્ર સેઠી (મુખ્યમંત્રી – મધ્ય પ્રદેશ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
29-01-1972થી 22-03-1972 54 દિવસ
નોંધ: 23-03-1972થી 22-12-1975 દરમિયાન પોણા ચાર વર્ષની મુદત માટે શાસન કર્યું. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
28) વિલિયમસન એ. સંગમા (પ્રથમ મુખ્યમંત્રી – મેઘાલય, રાજકીય પક્ષ – એપીએચએલસી)
21-07-1972થી 18-03-1973 241 દિવસ
નોંધ: છ વખત મેઘાલયના મુખ્યમંત્રી રહી ચુકેલા ડબલ્યુ એ. સંગમાએ કુલ ચૌદ વર્ષ શાસન કર્યું. માત્ર બીજી મુદતમાં આઠ મહિના જેવા ટુંકા સમયગાળા માટે સત્તા પર આવ્યા. રાજકીય પક્ષ – પહેલી ત્રણ મુદત દરમિયાન એપીએચએલસી અને બાકીની ત્રણ મુદત દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
29) સુબ્રમણ્યન રામાસ્વામી (મુખ્યમંત્રી – પોંડીચેરી, રાજકીય પક્ષ – એઆઈએડીએમકે)
06-03-1974થી 28-03-1974 23 દિવસ
નોંધ: 02-07-1977થી 12-11-1978 દરમિયાન સવા વર્ષથી વધુની મુદત માટે શાસન કર્યું. રાજકીય પક્ષ – એઆઈએડીએમકે
30) મોહમ્મદ અલીમુદ્દીન (મુખ્યમંત્રી – મણિપુર, રાજકીય પક્ષ – મણિપુર પીપલ્સ પાર્ટી)
04-03-1974થી 09-07-1974 128 દિવસ
નોંધ: 23-03-1972થી 27-03-1973 દરમિયાન એક વર્ષની મુદત માટે શાસન કર્યું. રાજકીય પક્ષ – મણિપુર પીપલ્સ પાર્ટી
31) યન્ગમાસો શૈઝા (મુખ્યમંત્રી – મણિપુર, રાજકીય પક્ષ – મણિપુર હિલ્સ યુનિયન)
10-07-1974થી 05-12-1974 149 દિવસ
32) જહોન બોસ્કો જાસોકી (મુખ્યમંત્રી – નાગાલેન્ડ, રાજકીય પક્ષ – નાગા નેશનલ ડેમોક્રેટીક પાર્ટી)
10-03-1975થી 20-03-1975 11 દિવસ
નોંધ: 05-06-1980થી 18-11-1982 દરમિયાન અઢી વર્ષની મુદત માટે શાસન કર્યું. રાજકીય પક્ષ – નાગા નેશનલ ડેમોક્રેટીક પાર્ટી
માધવસિંહ સોલંકી,

પૂર્વ મુખ્યમંત્રી – ગુજરાત
ગાંધીનગરના ઘરમાં (*)
33) માધવસિંહ ફૂલસિંહ સોલંકી (મુખ્યમંત્રી – ગુજરાત, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
24-12-1976થી 10-04-1977 108 દિવસ
10-12-1989થી 04-03-1990 85 દિવસ
નોંધ: ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રીપદે આવેલા માધવસિંહ સોલંકીએ 07-06-1980થી 10-03-1985 અને 11-03-1985થી 06-07-1985 દરમિયાન બે મુદતમાં કુલ મળીને પાંચ વર્ષથી વધુ શાસન કર્યું. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
34) કે. કરૂણાકરન (મુખ્યમંત્રી – કેરાલા, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
25-03-1977થી 25-04-1977 32 દિવસ
28-12-1981થી 17-03-1982 80 દિવસ
નોંધ: 24-05-1982થી 25-03-1987 અને 24-06-1991થી 16-03-1995 દરમિયાન બે મુદતમાં કુલ મળીને સાડા આઠ વર્ષથી વધુ શાસન કર્યું. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
35) બિનાયક આચાર્ય (મુખ્યમંત્રી – ઓડિસા, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
29-12-1976થી 30-04-1977 123 દિવસ
36) રામ લાલ ઠાકુર (મુખ્યમંત્રી – હિમાચલ પ્રદેશ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
28-01-1977થી 30-04-1977 93 દિવસ
નોંધ: 14-02-1980થી 07-04-1983 દરમિયાન ત્રણ વર્ષની મુદત માટે શાસન કર્યું. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
37) પ્રફુલ્લા કુમાર દાસ (મુખ્યમંત્રી – ત્રિપુરા, રાજકીય પક્ષ – કૉંગ્રેસ ફોર ડેમૉક્રસી)
01-04-1977થી 25-07-1977 116 દિવસ
38) રાધિકા રંજન ગુપ્તા (મુખ્યમંત્રી – ત્રિપુરા, રાજકીય પક્ષ – જનતા પાર્ટી)
26-07-1977થી 04-11-1977 102 દિવસ
39) થેનફુન્ગા સૈલો (મુખ્યમંત્રી – મિઝોરમ, રાજકીય પક્ષ – મિઝો પીપલ્સ કૉન્ફરન્સ)
02-06-1978થી 10-11-1978 162 દિવસ
40) ડાર્વિન ડિએન્ગદોહ પુઘ (મુખ્યમંત્રી – મેઘાલય, રાજકીય પક્ષ – એપીએચએલસી)
21-02-1979થી 06-05-1979 75 દિવસ
નોંધ: 10-03-1978થી 21-02-1979 દરમિયાન એક વર્ષની મુદત માટે શાસન કર્યું. રાજકીય પક્ષ – એપીએચએલસી
41) તોમો રીબા (મુખ્યમંત્રી – અરૂણાચલ પ્રદેશ, રાજકીય પક્ષ – પીપલ્સ પાર્ટી ઑફ અરૂણાચલ પ્રદેશ)
18-09-1979થી 03-11-1979 47 દિવસ
42) સી. એચ. મોહમ્મદ કોયા (મુખ્યમંત્રી – કેરાલા, રાજકીય પક્ષ – ઇન્ડિઅન યુનિયન મુસ્લિમ લીગ)
12-10-1979થી 01-12-1979 51 દિવસ
43) જોગેન્દ્ર નાથ હઝારિકા (મુખ્યમંત્રી – આસામ, રાજકીય પક્ષ – જનતા પાર્ટી)
09-09-1979થી 11-12-1979 94 દિવસ
44) સુંદરલાલ પટવા (મુખ્યમંત્રી – મધ્ય પ્રદેશ, રાજકીય પક્ષ – જનતા પક્ષ)
20-01-1980થી 17-02-1980 29 દિવસ
નોંધ: 05-03-1990થી 15-12-1992 દરમિયાન પોણા ત્રણ વર્ષની મુદત માટે શાસન કર્યું. રાજકીય પક્ષ – ભારતીય જનતા પક્ષ
45) સેનાયન્ગબા ચુબાતોશી જમીર / એસ.સી. જમીર (મુખ્યમંત્રી – નાગાલેન્ડ, રાજકીય પક્ષ – યુનાઇટેડ ડેમોક્રેટીક ફ્રન્ટ - પ્રોગ્રેસિવ)
18-04-1980થી 05-06-1980 49 દિવસ
નોંધ: ચાર વખત નાગાલેન્ડના મુખ્યમંત્રી રહી ચુકેલા એસ.સી. જમીરએ કુલ પંદરથી વધુ વર્ષ શાસન કર્યું. માત્ર પહેલી મુદતમાં ટુંકા સમયગાળા માટે સત્તા પર આવ્યા. રાજકીય પક્ષ – યુનાઇટેડ ડેમોક્રેટીક ફ્રન્ટ - પ્રોગ્રેસિવ અને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
46) રિશાંગ કેઇશિંગ (મુખ્યમંત્રી – મણિપુર, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
27-11-1980થી 27-02-1981 93 દિવસ
47) કેશબ ચન્દ્ર ગોગોઈ (મુખ્યમંત્રી – આસામ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
13-01-1982થી 19-03-1982 66 દિવસ
48) કોટલા વિજય ભાસ્કર રેડ્ડી (મુખ્યમંત્રી – આંધ્ર પ્રદેશ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
20-09-1982થી 09-01-1983 112 દિવસ
49) બ્રિન્ગટન બુહાઈ લિંગડોહ / બી.બી. લિંગડોહ (મુખ્યમંત્રી – મેઘાલય, રાજકીય પક્ષ – એપીએચએલસી)
02-03-1983થી 31-03-1983 30 દિવસ
નોંધ: 07-05-1979થી 07-05-1981 અને 26-03-1990થી 10-10-1991 દરમિયાન બે મુદતમાં કુલ મળીને સાડા ત્રણ વર્ષથી વધુ શાસન કર્યું. રાજકીય પક્ષ – એપીએચએલસી અને એચપીયુ
50) ભીમ બહાદુર ગુરુંગ / બી.બી. ગુરુંગ (મુખ્યમંત્રી – સિક્કીમ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
11-05-1984થી 25-05-1984 15 દિવસ
51) નદેન્દલા ભાસ્કર રાવ (મુખ્યમંત્રી – આંધ્ર પ્રદેશ, રાજકીય પક્ષ – તેલુગુ દેશમ પાર્ટી)
16-08-1984થી 16-09-1984 32 દિવસ
52) હીરા લાલ દેવપુરા (મુખ્યમંત્રી – રાજસ્થાન, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
23-02-1985થી 10-03-1985 16 દિવસ
અર્જુન સિંઘ, પૂર્વ મુખ્યમંત્રી – મધ્ય પ્રદેશ

સૌથી ટૂંકી મુદતના મુખ્યમંત્રી
પ્રો. કે.એમ. ચાન્ડી

તત્કાલીન રાજ્યપાલ – મધ્ય પ્રદેશ
53) અર્જુન સિંઘ (મુખ્યમંત્રી – મધ્ય પ્રદેશ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
11-03-1985થી 12-03-1985 2 દિવસ
નોંધ: 08-06-1980થી 10-03-1985 દરમિયાન પોણા પાંચ વર્ષની મુદત માટે શાસન કર્યું. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ. બે દિવસના મુખ્યમંત્રીપદ માટે અર્જુન સિંઘની શપથવિધિ કરાવનાર રાજ્યપાલ પ્રો. કે.એમ. ચાન્ડીએ આ અગાઉ ગુજરાતનું રાજ્યપાલપદ પણ નવ મહિના માટે સંભાળ્યું હતું. બે દિવસના મુખ્યમંત્રીપદ પછી 14 માર્ચ 1985ના રોજ અર્જુન સિંઘને પંજાબના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. આ નવી નોકરી માત્ર આઠ મહિના ચાલી હતી.
54) જાનકી રામચંદ્રન (મુખ્યમંત્રી – તામિલનાડુ, રાજકીય પક્ષ – એઆઈએડીએમકે)
07-01-1988થી 30-01-1988 24 દિવસ
55) હરી દેવ જોશી (મુખ્યમંત્રી – રાજસ્થાન, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
04-12-1989થી 04-03-1990 91 દિવસ
નોંધ: 11-08-1973થી 29-04-1977 અને 10-03-1985થી 20-01-1988 દરમિયાન બે મુદતમાં કુલ મળીને સાડા છ વર્ષથી વધુ શાસન કર્યું. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
56) શ્યામા ચરણ શુક્લ (મુખ્યમંત્રી – મધ્ય પ્રદેશ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
09-12-1989થી 04-03-1990 86 દિવસ
નોંધ: 26-03-1969થી 28-01-1972 અને 23-12-1975થી 29-04-1977 દરમિયાન બે મુદતમાં કુલ મળીને સવા ચાર વર્ષ શાસન કર્યું. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
હેમાનન્દા બિસવાલ,

પૂર્વ મુખ્યમંત્રી – ઓડિસા
બ્લોગ લેખક સાથે બુરલા-ભુવનેશ્વરની
એક મુલાકાત દરમિયાન (*)
57) હેમાનન્દા બિસવાલ (મુખ્યમંત્રી – ઓડિસા, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
07-12-1989થી 05-03-1990 89 દિવસ
નોંધ: બરાબર દસ વર્ષ પછી 06-12-1999થી 05-03-2000 દરમિયાન 91 દિવસની ટૂંકી મુદત માટે બીજીવાર સત્તામાં આવ્યા. રાજીનામાની તારીખ પણ એની એ જ રહી. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
58) જગન્નાથ મીશ્રા (મુખ્યમંત્રી – બિહાર, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
06-12-1989થી 10-03-1990 95 દિવસ
નોંધ: અગાઉની બે મુદત 11-04-1975થી 30-04-1977 અને 08-06-1980થી 14-08-1983 દરમિયાન કુલ મળીને પાંચ વર્ષથી વધુ શાસન કર્યું. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
59) ચર્ચીલ અલેમાઓ (મુખ્યમંત્રી – ગોઆ, રાજકીય પક્ષ – પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક ફ્રન્ટ)
27-03-1990થી 14-04-1990 19 દિવસ
60) કે.એલ. ચીશી (મુખ્યમંત્રી – નાગાલેન્ડ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
16-05-1990થી 19-06-1990 35 દિવસ
61) બનારસી દાસ ગુપ્તા (મુખ્યમંત્રી – હરિયાણા, રાજકીય પક્ષ – જનતા દળ)
22-05-1990થી 12-07-1990 52 દિવસ
નોંધ: 01-12-1975થી 30-04-1977 દરમિયાન સવા વર્ષની મુદત માટે શાસન કર્યું. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
62) ઓમ પ્રકાશ ચૌટાલા (મુખ્યમંત્રી – હરિયાણા, રાજકીય પક્ષ – જનતા દળ)
12-07-1990થી 17-07-1990 6 દિવસ
22-03-1991થી 06-04-1991 16 દિવસ, રાજકીય પક્ષ – સમાજવાદી જનતા પાર્ટી
નોંધ: 02-12-1989થી 22-05-1990 172 દિવસ, પ્રથમ મુદત, રાજકીય પક્ષ – જનતા દળ અને 24-07-1999થી 04-03-2005, ચોથી મુદતમાં સાડા પાંચ વર્ષ શાસન કર્યું. રાજકીય પક્ષ – ઇન્ડિઅન નેશનલ લોક દળ
63) રવિ નાઇક (મુખ્યમંત્રી – ગોઆ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
02-04-1994થી 08-04-1994 7 દિવસ
નોંધ: 25-01-1991થી 18-05-1993 દરમિયાન સવા બે વર્ષની મુદત માટે શાસન કર્યું. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
64) માયાવતી (મુખ્યમંત્રી – ઉત્તર પ્રદેશ, રાજકીય પક્ષ – બહુજન સમાજ પાર્ટી)
03-06-1995થી 18-10-1995 138 દિવસ
નોંધ: ચાર વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચુકેલા તેમજ ‘બહન કુમારી માયાવતી’ તરીકે ઓળખાવા માગતા તેમણે કુલ સાત વર્ષ શાસન કર્યું. માત્ર પહેલી મુદતમાં ટુંકા સમયગાળા માટે સત્તા પર આવ્યા. રાજકીય પક્ષ – બહુજન સમાજ પાર્ટી
65) હરચરણ સિંઘ બ્રાર (મુખ્યમંત્રી – પંજાબ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
31-08-1995થી 21-01-1996 144 દિવસ
66) ભૂમિધર બર્મન (મુખ્યમંત્રી – આસામ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
22-04-1996થી 14-05-1996 23 દિવસ
જગદમ્બિકા પાલ, પૂર્વ મુખ્યમંત્રી – ઉત્તર પ્રદેશ
રોમેશ ભંડારી

તત્કાલીન રાજ્યપાલ – ઉત્તર પ્રદેશ
67) જગદમ્બિકા પાલ (મુખ્યમંત્રી – ઉત્તર પ્રદેશ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
21-02-1998થી 23-02-1998 3 દિવસ
નોંધ: ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઇટ પર પણ પૂર્વ મુખ્યમંત્રી લેખે જગદમ્બિકા પાલનો નામોલ્લેખ કરવાનું ટાળવામાં આવ્યું છે. (લિન્ક – http://upgov.nic.in/upexcms.aspx) તેની પાછળની કથા કંઈક આવી છે. તત્કાલીન મુખ્યમંત્રી કલ્યાણસિંહના વડપણ હેઠળની રાજ્ય સરકારને વિસર્જિત કરવામાં આવી ત્યારે ભારતીય વિદેશ સેવાના નિવૃત્ત અધિકારી એવા તત્કાલીન રાજ્યપાલ રોમેશ ભંડારીએ જગદમ્બિકા પાલની મુખ્યમંત્રીપદે ઉતાવળે શપથવિધિ આટોપી લીધી. કલ્યાણસિંહ સરકારનું વિસર્જન ગેરબંધારણીય રસ્તે થયું હતું તેવા અલાહાબાદ વડી અદાલતના હુકમના પગલે કલ્યાણસિંહની સરકાર ત્રીજા જ દિવસે પુનઃ સત્તામાં આવી. તેના પ્રકારનો આ એકમાત્ર દાખલો હોવાથી પણ તેની નોંધ અહીં લેવાનું મને યોગ્ય લાગે છે.
68) ડૉ. વિલ્ફ્રેડ ડિસોઝા (મુખ્યમંત્રી – ગોઆ, રાજકીય પક્ષ – ગોઆ રાજીવ કૉંગ્રેસ)
30-07-1998થી 26-11-1998 120 દિવસ
નોંધ: ભા.રા.કૉંથી છૂટા પડીને ગોઆ રાજીવ કૉંગ્રેસ નામનો અલગ ચોકો કરતા અગાઉ ડૉ. વિલ્ફ્રેડ ડિસોઝાએ 18-05-1993થી 02-04-1994 અને 08-04-1994થી 16-12-1994 દરમિયાનની બે મુદત માટે કુલ મળીને પોણા બે વર્ષથી વધુ શાસન કર્યું. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
69) દિલીપ રમણલાલ પરીખ (મુખ્યમંત્રી – ગુજરાત, રાજકીય પક્ષ – રાષ્ટ્રીય જનતા પાર્ટી)
28-10-1997થી 04-03-1998 128 દિવસ
70) એસ.સી. મારક (મુખ્યમંત્રી – મેઘાલય, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
27-02-1998થી 10-03-1998 12 દિવસ
નોંધ: 19-02-1993થી 27-02-1998 દરમિયાન પાંચ વર્ષની મુદત માટે શાસન કર્યું. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
71) સુષ્મા સ્વરાજ (મુખ્યમંત્રી – દિલ્હી, રાજકીય પક્ષ – ભારતીય જનતા પક્ષ)
13-10-1998થી 02-12-1998 51 દિવસ
72) લુઇઝિન્હો ફલેરિઓ (મુખ્યમંત્રી – ગોઆ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
26-11-1998થી 09-02-1999 76 દિવસ
નોંધ
: 09-06-1999થી 24-11-1999 169 દિવસ / ટૂંકી મુદતનું બીજું શાસન, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
73) નીતીશ કુમાર (મુખ્યમંત્રી – બિહાર, રાજકીય પક્ષ – જનતા દળ-યુનાઇટેડ)
03-03-2000થી 10-03-2000 8 દિવસ
74) રાધાબિનોદ કોઇજામ (મુખ્યમંત્રી – મણિપુર, રાજકીય પક્ષ – સમતા પાર્ટી)
15-02-2001થી 01-06-2001 107 દિવસ
75) જે. જયલલિતા (મુખ્યમંત્રી – તામિલનાડુ, રાજકીય પક્ષ – એઆઈએડીએમકે)
14-05-2001થી 21-09-2001 131 દિવસ
નોંધ: 2011થી તામિલનાડુનું મુખ્યમંત્રીપદ ચોથી વખત સંભાળી રહેલા જયલલિતાના કુલ શાસનનું 2014માં આ તેરમું વર્ષ ચાલી રહ્યું છે. માત્ર પહેલી મુદતમાં ટુંકા સમયગાળા માટે સત્તા પર આવ્યા. રાજકીય પક્ષ – એઆઈએડીએમકે
76) પી. શનમુગમ (મુખ્યમંત્રી – પોંડીચેરી, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
24-05-2001થી 26-10-2001 156 દિવસ
નોંધ: 22-03-2000થી 15-05-2001 દરમિયાન એક વર્ષથી વધુની મુદત માટે શાસન કર્યું. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
77) ઓ. પન્નીરસેલવમ (મુખ્યમંત્રી – તામિલનાડુ, રાજકીય પક્ષ – એઆઈએડીએમકે)
21-09-2001થી 01-03-2002 162 દિવસ
78) ભગત સિંઘ કોશિયારી (મુખ્યમંત્રી – ઉત્તરાખંડ, રાજકીય પક્ષ – ભારતીય જનતા પાર્ટી)
30-10-2001થી 01-03-2002 123 દિવસ
79) પ્રતાપસિંઘ રાણે (મુખ્યમંત્રી – ગોઆ, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
02-02-2005થી 04-03-2005 31 દિવસ
નોંધ: ચાર વખત ગોઆના મુખ્યમંત્રી રહી ચુકેલા પ્રતાપસિંઘ રાણેએ કુલ મળીને પંદરથી વધુ વર્ષ શાસન કર્યું. માત્ર ત્રીજી મુદતમાં ટુંકા સમયગાળા માટે સત્તા પર આવ્યા. દસ વર્ષની પહેલી મુદતની ચૂંટણી કૉંગ્રેસ-યુ પક્ષના બેનર હેઠળ જીત્યા પછી પક્ષપલટો કરી ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની આગેવાનીમાં સત્તા ચાલુ રાખી હતી.
80) શીબુ સોરેન (મુખ્યમંત્રી – ઝારખંડ, રાજકીય પક્ષ – ઝારખંડ મુક્તિ મોરચા)
02-03-2005થી 12-03-2005 11 દિવસ
27-08-2008થી 18-01-2009 145 દિવસ
30-12-2009થી 31-05-2010 153 દિવસ
નોંધ: ત્રણ વખત મુખ્યમંત્રીપદ સંભાળનાર શીબુ સોરેનએ ટૂંકી મુદતોના આ અનુભવ પછી 13 જુલાઈ 2013ના રોજ પુત્ર હેમંત સોરેનને મુખ્યમંત્રી પદ સોંપવાનું મુનાસિબ સમજ્યું.
81) બી.એસ. યેદ્દીયુરપ્પા (મુખ્યમંત્રી – કર્ણાટક, રાજકીય પક્ષ – ભારતીય જનતા પક્ષ)
12-11-2007થી 19-11-2007 8 દિવસ
નોંધ: 30-05-2008થી 31-07-2011 દરમિયાન ત્રણ વર્ષ ઉપરાંતની મુદત માટે શાસન કર્યું. રાજકીય પક્ષ – ભારતીય જનતા પક્ષ
82) ડૉ. ડોનવા દેથવેલસન લપાંગ / ડી.ડી. લપાંગ (મુખ્યમંત્રી – મેઘાલય, રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)
04-03-2008થી 19-03-2008 16 દિવસ
નોંધ: પાંચ વખત મેઘાલયના મુખ્યમંત્રી રહી ચુકેલા ડી.ડી. લપાંગએ કુલ છથી વધુ વર્ષ શાસન કર્યું. માત્ર ચોથી મુદતમાં ટુંકા સમયગાળા માટે સત્તા પર આવ્યા. રાજકીય પક્ષ – ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
83) અરવિંદ કેજરીવાલ (મુખ્યમંત્રી – દિલ્હી, રાજકીય પક્ષ – આમ આદમી પાર્ટી)
28-12-2013થી 14-02-2014 49 દિવસ

છત્તીસગઢ અને જમ્મુ-કશ્મીર – આ બે રાજ્યો એવા છે જ્યાં આ બ્લોગ પોસ્ટ લખાય છે ત્યાં સુધી કોઈ સરકાર ટુંકી મુદત માટે સત્તામાં આવી નથી.


ભારતના જે રાજ્યોમાં મુખ્યમંત્રીદસ વર્ષ કે તેથી વધુના સમયગાળા માટે લાંબા પટે શાસન કરી ગયા તેની વિગતો જાણવા બ્લોગની આ પોસ્ટ વાંચો – નરેન્દ્ર મોદી
: ‘ડબલ’ ડિજિટમાં શાસન કરનારા ગુજરાતના ‘સિંગલ’ મુખ્યમંત્રી. આ રહી લિન્ક – ક્લિક કરો http://binitmodi.blogspot.in/2012/10/blog-post.html


(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો : નેટ પરથી)