પ્રતિભાવો ઉર્ફે Comments

Showing posts with label સમાજ. Show all posts
Showing posts with label સમાજ. Show all posts

Monday, September 05, 2016

લાડુના ધંધામાં લિસ્ટેડ કંપની અને ‘જિઓ’ વગાડે મૃત્યુઘંટ

ગણેશ મહોત્સવ, વસ્ત્રાપુર, અમદાવાદ : વર્ષ 2006

ગણેશજીની આરાધનાના દિવસોનો આજથી આરંભ થાય છે. જાહેર સ્થળો પર ગણેશજીની સ્થાપનાનો સંકલ્પ લેનારા નાના-મોટા મંડળો તેમની પસંદગી – ઑર્ડર પ્રમાણે મૂર્તિ બનાવાઈ રહી છે કે કેમ તેની પાછલા કેટલાક દિવસોથી દેખરેખ રાખી રહ્યા હતા. ઘર-પરિવાર વચ્ચે સ્થાપનાનો સંકલ્પ લેનારા મૂર્તિ ખરીદીની પસંદગી પ્રક્રિયામાં છેલ્લા દિવસ સુધી વ્યસ્ત રહ્યા. પ્લાસ્ટર ઑફ પૅરિસ મટિરિયલ / PoP Material વડે બનતી મૂર્તિઓ ગણેશ વિસર્જન ટાણે પર્યાવરણ માટે હાનિકારક બને છે. તે બાબતે પાછલા કેટલાક વર્ષોથી આવેલી જાગૃતિને કારણે માટીની મૂર્તિઓ બની રહી છે જે વિસર્જન માટે પર્યાવરણમિત્ર ગણાય છે.

ગમે તે કહો પણ આ ગણપતિની મૂર્તિનો / Ganesh Idol ધંધો દેશવ્યાપી હોવા છતાં હજી સુધી કોઈ કંપનીએ તેમાં પગપેસારો નથી કર્યો. ઇશ્વર – ભગવાનની મૂર્તિનું સર્જન કરવું એ આમ તો સોમપુરા કળાકારો – સ્થપતિઓનો પારંપરિક વ્યવસાય છે. પણ વાત જ્યારે ગણેશ સ્થાપનાની આવે ત્યારે સંકલ્પ લેનારે મૂર્તિ લેવા માટે અમદાવાદ / Ahmedabad પૂરતી વાત કરીએ તો ગુલબાઈ ટેકરા / Gulbai Tekra વિસ્તારના કળાકારોની જ મુલાકાત લેવી પડે છે. ગુજરાતના અન્ય શહેરો-ગામોની મને માહિતી નથી.

મૂર્તિની ખરીદી પછી ગણેશ / Ganesh સ્થાપના સંદર્ભે બજારમાંથી ખરીદવાની મહત્વની વસ્તુનું નામ છે મોદક. ગણેશજીને પ્રિય છે તેવા મોદક. ઘરમાં બનાવી શકાય તેવા મોદક મીઠાઈવાળા પાસે (કંદોઈ) તૈયાર પણ મળે છે. એકાદ – બે વર્ષથી મોદકના આકારને ચોકલેટમાં ઢાળવાનું શરૂ થયું છે. સારું છે, ખોટું નથી. ગણપતિ મહોત્સવમાં ઉલટભેર ભાગ લેતા બાળકોને આકર્ષવા અને તેમનો ઉત્સાહ ટકાવી રાખવા માટે સીધેસીધી ચોકલેટ આપો તેના કરતા ચોકલેટ મોદક સારા. એમાં ઉમેરો કરવાનો તો એટલો કે ચાલુ સાલ આ ધંધામાં ગ્રૂપ ઑફ હૉટેલ્સનું સંચાલન કરતા ‘ધ ગ્રાન્ડ ભગવતી’ / http://www.thegrandbhagwati.com/ TGB જૂથે પણ ઝુકાવ્યું છે. હવે એ સારું છે કે ખોટું તે નક્કી કરવાનું કામ હવે પછીની  વિગતોના આધારે વાંચનાર પર છોડું છું.

પ્રસાદ સાથે જે પવિત્રતાનો ખ્યાલ જોડાયેલો છે તેની તો સમજો કે અહીં વાટ જ લાગી જાય છે. પવિત્રતાના ખ્યાલને જરા કોરાણે મુકીએ તો બીજો મુદ્દો એ છે કે શેરી, ગલી, સોસાઇટીના નાકે આવેલી મીઠાઈવાળાની દુકાને જે વસ્તુ સહેલાઇથી ઉપલબ્ધ છે તેના માટે મારે-તમારે એક લિસ્ટેડ કંપનીનું શરણું લેવાનું છે. હા, ચોકલેટ મોદકના પ્રસાદીયા ધંધામાં પ્રવેશનારી લેટેસ્ટ દુકાન TGBની પેરન્ટ કંપની ‘ભગવતી હૉટેલ્સ એન્ડ બૅન્કવેટ્સ લિમિટેડ’ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જની લિસ્ટેડ કંપની છે.

કંપનીની નોંધણી કરાવતા સમયે લાગુ પડતા 1957ના ભારતીય કંપની ધારા / Companies Act 1957 પ્રમાણે નામ-સરનામા-મૂડી ભંડોળ અને કંપનીના નફા-તોટામાં હિસ્સો ધરાવનારની વિગતો આપવા સાથે કંપની શું કામ કરશે તેની વિગતો પણ દર્શાવવાની હોય છે. મોદકના ધંધામાં કંપની પ્રવેશ પછી મને લાગે છે કે નોંધણી કરનારા અધિકારીઓએ હવે પછી એવી પણ એક બાંયધરી લેવી પડશે કે શેરબજારના માધ્યમથી રોકાણકારો પાસેથી નાણા ઉસેટીને તોતિંગ સાઇઝની બની જતી કંપનીઓ નાના વેપારીઓના ધંધા પર તરાપ નહીં મારે. અરે અમદાવાદમાં તો મીઠાઈની એક દુકાનનું નામ જ ‘શેરબજાર ચવાણા એન્ડ મીઠાઈવાલા’ છે.

આવી બાંયધરી લેવાય ત્યારે ખરી. બાકી તો એવું છે કે નાના વેપારીઓના ધંધા પર તરાપ મારનારું કે આમ કરનારું ભગવતી ગ્રૂપ પહેલું પણ નથી અને છેલ્લું પણ નથી. ઘરવપરાશની રોજિંદી ચીજ-વસ્તુઓ વેચવા માટે ‘મોલ’ના રૂપાળા નામ તળે રિલાયન્સ જૂથે / Reliance Group of Companies ‘રિલાયન્સ ફ્રેશ’ નામે બજાર પ્રવેશ કર્યો ત્યારે શાક-બકાલુ વેચવાની યોજના પણ તેમાં ધીરે રહીને સામેલ થઈ ગઈ. પરિણામ શું આવ્યું? શાકભાજીની લારીઓ ઓછી થઈ ગઈ અને કાછીયાઓની દુકાનનાં શટર પડી ગયા. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં હું જ્યાં રહું છું તેની આસપાસ શાકભાજીની ચાર દુકાનો બંધ થતી નજર સામે જોઈ. પેકેટબંધ લોટ મળતા થયા પછી અનાજ દળવાની બે ઘંટીઓના માલિકોને ધંધો બંધ કરવાનો તો વખત આવ્યો જ પણ સાથે-સાથે તેમને જૂની મશીનરીના કોઈ ખરીદનાર પણ ના મળ્યા. મશીનરી ભંગારના ભાવે વેચવા કાઢવી પડી.

એમ સમજો કે આ સઘળું ‘રિલાયન્સ’ / http://www.ril.com/ અને તેના જેવી અન્ય કંપનીઓના પ્રતાપે થયું. રિલાયન્સ, જેણે 2016ના આ સપ્ટેમ્બર મહિનાની પહેલી તારીખે મોબાઇલ નેટવર્કના બજારમાં ‘જિઓ’ / https://www.jio.com/ નામે એવો પ્રવેશ કર્યો છે કે તેની સમકક્ષની જ સેવા આપતી અન્ય કંપનીઓનો મૃત્યુઘંટ વાગી જાય. ખુદની પ્રચાર સામગ્રીમાં ભડકામણા લાલ રંગનો વિશેષપણે ઉપયોગ કરનારી વોડાફોન અને એરટેલ જેવી મોબાઇલ નેટવર્ક કંપનીઓ હાલ પૂરતી તો ‘જિઓ’ની કસ્ટમર ઑફરની વિગતોથી પોતે જ ભડકી ઉઠી છે.

ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતમાં વેપાર કરવાની યોજનાના પગલે આવેલા બ્રિટિશરાજ પછી દેશને સ્વતંત્રતા અપાવતા બસો વર્ષ લાગ્યા. આઝાદીના સિત્તેરમા વર્ષે નાના-મોટા સઘળા કારોબાર જો કંપનીઓને જ હવાલે કરવાના હોય તો થોડા જ વર્ષોમાં પરિસ્થિતિ એવી આવી પડશે કે વેપારીના નામનો જ વીંટો વળી ગયો હશે.

સરકાર માઈ-બાપ તમે સાંભળો છો? આ તે કેવો વિકાસ છે કે જે અનેક મા-બાપને અને તેમનાં ઉગતાં – ઉછરતાં સંતાનોના ભવિષ્યને – સ્વપ્નાંને કળી ફૂટતા વેંત જ ભરખી જાય છે.


(તસવીરો : બિનીત મોદી)

Saturday, August 27, 2016

પાટીદાર તાયફો ઉર્ફે આંદોલન : મેદાનને સાચી ઓળખ મળી, અનામતનું અચોક્કસ હતું – છે અને રહેશે

પાટીદાર અનામત તાયફો : ગુજરાત યુનિવર્સિટી મેદાન, અમદાવાદ

ગુજરાતના પાટીદારોના એકવીસમી સદીના બ્રાન્ડ ન્યૂ આગેવાનોએ અનામતના નામે શરૂ કરેલા તાયફાને એક વર્ષ પૂરું થયું. અનામતની ગેરબંધારણીય માગણી સાથે મહેસાણાથી શરૂ થયેલા તાયફાને આંદોલન ગણવું મારા માટે અને કદાચ તમારા માટે પણ મુશ્કેલ છે તેમ હું માની લઉં છું. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં જીએમડીસી ગ્રાઉન્ડ / GMDC Ground, Ahmedabad તરીકે વ્યાપક ઓળખ ધરાવતી જગ્યાએ 25 ઑગસ્ટ 2015ના દિવસ દરમિયાન યોજાયેલા ધરણાને બહોળો પ્રતિસાદ મળ્યો તે પછી આ તાયફો રાજ્યભરમાં ફેલાઈ ગયો અને ગુજરાત બહાર પણ પોતાના માટે થોડી જગ્યા કરી.

ધરણાંને પગલે એક પછી એક આવી પડતી ગેરવાજબી માગણીઓ, તેની સામે ઘૂંટણિયા નહીં ટેકવવાની આનંદીબહેન પટેલ સરકારની મક્કમતા, તાયફાના આગેવાન હાર્દિક ભરતભાઈ પટેલની ધરપકડ, તેને પગલે ફાટી નીકળેલા તોફાનો, અસંતોષ અને છેલ્લે રાજદ્રોહના આરોપસર હાર્દિક પટેલને પડેલી મહિનાઓ લાંબી ચાલેલી જેલ અને કારાવાસમાંથી મુક્તિ. આ ઘટનાક્રમ બહુ જાણીતો છે અને વાંચવા – જાણવા માટે વેબદુનિયામાં ઠેકઠેકાણે ઉપલબ્ધ છે એટલે અહીં હું તે ઉતારતો નથી. અહીં જે ઉતારવા માગું છું તે એ જે અંગતપણે અનુભવ્યું છે.

આલ્ફા વન મોલ બંધ...
25 ઑગસ્ટ 2015ના દિવસે ધરણાં – આંદોલન સંબંધી સમાચારો ટીવીની ચોવીસ કલાક ચાલતી ન્યૂઝ ચેનલો પર ચાલુ જ હતા. એ જોતાં આખો દિવસ ઘરમાં પૂરાઈ રહ્યા પછી ચાર-પાંચ વાગ્યાની આસપાસ થયું કે અનામત આંદોલનના તાયફા સ્થળે જઇને પણ માહોલને રૂબરૂમાં અને નજીકથી જોવો જોઇએ. અમદાવાદમાં વસ્ત્રાપુરમાં જ્યાં રહું છું એ ઘરથી જીએમડીસી ગ્રાઉન્ડ નામથી અત્યાર સુધી ઓળખાતી આવતી જગ્યા નજીક છે. ત્યાં જતાં પહેલા મેં મારા મિત્ર અશ્વિન ચૌહાણને / Ashwin Chauhan ફોન કર્યો. તેમણે પણ મારી સાથે આવવાની ઇચ્છા વ્યક્ત કરી. જો કે એ પહેલા એમણે મને પોતાને ઘરે આવીને પાણીપુરીને ન્યાય આપવાનું આમંત્રણ આપ્યું. ‘પાટીદારોને ન્યાય મળે ત્યારે ખરો’ એમ વિચારતો હું મિત્ર દંપતી સોનલ – અશ્વિનના ઘરે પહોંચી ગયો. ગુજરાત વિદ્યાપીઠમાં / Gujarat Vidyapith, Ahmedabad પત્રકારત્વ વિભાગના પ્રાધ્યાપક અશ્વિનના પત્ની સોનલ પંડ્યા / Sonal Pandya ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના નિયામક છે. એ રાહે ગુજરાત યુનિવર્સિટીના / Gujarat University ટીચર્સ ક્વાટર્સમાં રહેતા અશ્વિનને મારી જેમ જ ઘર નજીક સામે આવેલા જીએમડીસી મેદાનની મુલાકાત લેવાનું મન થાય તે સ્વાભાવિક છે.

...રસ્તા બંધ અને બંદોબસ્તમાં મહેસાણા પોલીસ...
અશ્વિનને ઘરે આવેલા સંબંધીઓ-મહેમાનો સાથે આંદોલનની સહજ વાતો થઈ અને પાણીપુરીને ન્યાય આપવામાં લગભગ સાંજ પડી ગઈ. એ પછી હું અને અશ્વિનકુમાર ચૌહાણ બીઆરટીએસનો ટ્રેક / BRTS, Ahmedabad ક્રોસ કરી અંધજન મંડળની / Blind People’s Association પાછળના રસ્તે મેદાન તરફ આગળ વધ્યા. સાથે ઘરે થયેલી વાતનું અનુસંધાન પણ ચાલુ હતું. અશ્વિનનું કહેવું હતું કે, આંદોલનનું આયોજન કરનારાથી લઇને વહીવટીતંત્ર, પોલીસ અને સરકાર સુદ્ધાં આ મેદાનને ‘જીએમડીસી ગ્રાઉન્ડ’ નામે ઓળખાવે છે. હકીકતે આ મેદાનની જગ્યાની માલિકી ગુજરાત યુનિવર્સિટીની છે તેવી માહિતી આપતા પ્રોફેસરે કહ્યું કે ગુજરાત યુનિવર્સિટીના વહીવટીતંત્રને પણ આ બદલાયેલી અને આપવામાં આવતી ખોટી ઓળખ સામે વાંધો પડતો નથી તેનું આશ્ચર્ય થાય છે. મને પણ આ વાત જાણીને નવાઈ લાગી. વાતવાતમાં મેં પણ યાદ કર્યું કે એક રૂપિયાના ટોકન ભાડાથી આ જગ્યા પાટીદાર અનામત આંદોલન સમિતિને / PASS વાપરવા આપનાર જગ્યાના લીઝ હોલ્ડર ગાંધી કૉર્પોરેશનએ એ દિવસના અખબારમાં છપાવેલી જાહેરાતમાં પણ તેનો ઉલ્લેખ ‘જીએમડીસી ગ્રાઉન્ડ’ તરીકે કર્યો હતો. મતલબ કે ભાડૂઆત પોતે જ જગ્યાને ખોટી રીતે ઓળખાવતો હતો.

...અને મેદાનમાં જગ્યા નથી...
મેદાન પર આ ખોટી ઓળખ બાબત તરફે કોઇનું ધ્યાન દોરી શકાય તો એમ કરીએ એવી વાતો કરતા અમે જીએમડીસી ગ્રાઉન્ડ નજીક પહોંચ્યા એ સાથે જ દૂરથી લાકડીઓ ઉછળતી દેખાઈ. થોડાક માણસોની નાસભાગ જોઇને અમે બન્નેએ એકમેકના હાથ પકડી લીધા. થોડા આગળ વધવાની હિંમત કરી પણ એ કશા કામની નહોતી એ અમને સમજાઈ ગયું હતું. ‘કઈ બાજુ ભાગવું?’ અથવા તો ‘કોના ઘર તરફ ભાગવું?’ એવી અનિશ્ચિતતા વચ્ચે અમે ‘ઘરે પહોંચીને ફોન કરજો’ એમ બોલતા એકબીજાના હાથ છોડીને વિરૂદ્ધ દિશામાં ભાગ્યા. એમ કરીને અમે બન્ને પોતપોતાના ઘરે સલામતીપૂર્વક પહોંચી જવાના હતા તેની ખાતરી હતી. ભાગીને મેદાન નજીકની ઝૂંપડપટ્ટીમાં સંતાયા પછી હું થોડીવારે બહાર આલ્ફા વન મોલ તરફના રસ્તા પર નીકળ્યો. ચારે તરફ નીરવ શાંતિ હતી. પોલીસ ધારે તો આંદોલન નામે ચાલતા તાયફાની ગણતરીની મિનિટોમાં શું વલે કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું હતું. મેદાનમાં પાર્ક થયેલા વાહનો જેમના તેમ રહી ગયા હતા. તેના માલિકો પોલીસને તે પરત મેળવવા માટે વિનવણી કરી રહ્યા હતાં. પોલીસ સત્તાવાળાઓએ ઇલેક્ટ્રિસિટી સપ્લાય બંધ કરીને જ આ ઑપરેશન પાર પાડ્યું હતું એટલે વાહનો જે તે વ્યક્તિ માટે શોધવા કે પોલીસ માટે પણ શોધીને સોંપવાનું શક્ય નહોતું રહ્યું. પોલીસ તે સૌને સત્તાવાહી તો ક્યાંક વિનંતીના સૂરમાં એક જ વાત કહી રહી હતી કે, ‘આવતીકાલે સવારે આવીને વાહન લઈ જજો, તે સલામત જ છે’.

રસ્તે ચાલતા જતાં કોઈ ત્રાહિત વ્યક્તિની વાતો સાંભળવી એ સારું લક્ષણ તો નથી જ પણ અમદાવાદ જેવા ભીડ-ભાડથી ખદબદતા શહેરો વચ્ચે ચાલતા આ લક્ષણને જાળવી રાખવું હવે અઘરું છે. હું કોશિશ કરું છું પણ એમ થઈ શકતું નથી. મને પણ એક પોલીસવાળાની વાત સંભળાઈ ગઈ. તે ફરજ પરના તેના ઉપરી અમલદારને કહી રહ્યો હતો…‘સાહેબ, સારું થયું. જેણે પણ આ ઑર્ડર આપ્યો તેણે સારું કર્યું. બે દિવસથી અહીં ભૂખ્યા-તરસ્યા ખડે પગે ફરજ નિભાવતા કંટાળી ગયા હતા. બહુ દિવસે હાથ સાફ કરવાનો સારો મોકો મળ્યો.’

પાટીદારોની અનામતની માગણીઓનો તો આમેય કોઈ ઉકેલ આવવાનો નથી એ હવે મને, તમને, એમને સૌને રોજ-બ-રોજના સમાચારો, કૉર્ટ કાર્યવાહી અને તેના વિશ્લેષણ પરથી સમજાઈ ગયું છે. જે થોડાક લોકોને નથી સમજાયું તેને પણ વખત જતાં સમજાઈ જશે તેની ગૅરન્ટી.

...પછી જગ્યા જ જગ્યા...
મને કે અશ્વિનને અમે જે ઇચ્છતા હતા એવી રજૂઆત કરવાની કોઈ તક મળી નહોતી. પણ આ પાટીદાર આંદોલન નામે થયેલા તાયફા પછી એક સારું કામ એ થયું કે જીએમડીસી ગ્રાઉન્ડ હવે સત્તાવાર ધોરણે ‘ગુજરાત યુનિવર્સિટી મેદાન’ તરીકે ઓળખાતું થયું છે. પાછલા દાયકા એકથી ગુજરાત સરકાર આ સ્થળે નવરાત્રીનું સરકારી આયોજન કરતી આવી છે. તેની જાહેરાતોમાં સરકાર પોતે જ મેદાનને ‘જીએમડીસી’ના નામે ઓળખાવતી હતી. ‘વિશ્વ યોગ દિવસ’ નિમિત્તે 21મી જૂને યોજાયેલા સરકારી કાર્યક્રમમાં આ જગ્યાને સત્તાવાર રીતે ‘ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ’ નામથી ઓળખાવનાર સરકાર અને જગ્યાનો હવે પછી ઉપયોગ કરનારા એ પરંપરા ચાલુ રાખે તેવી મુજ બિન-આંદોલનકારી નાગરિકની અપેક્ષા.

(તસવીરો : બિનીત મોદી)

Monday, August 01, 2016

પાટલૂન વેચવા પાણીનો વેડફાટ

તસવીર પ્રતિકાત્મક છે, પાણી નહીં


ચોમાસાની ઋતુ છે. જમાનો ડિજિટલ બન્યો અને સ્માર્ટફોન આવ્યો તેના દાયકા અગાઉથી હું ડાયરી વાપરતો આવ્યો છું. આજે પણ કેટલાક કામ, પ્રસંગો કે ભાવિ યાદગીરી નિમિત્તની યાદી માટે ડાયરીનો જ ઉપયોગ કરું છું. મોટેભાગે એમ બનતું આવ્યું છે કે દસમી જૂનની આસપાસના તારીખ-વારના પાને મારે નોંધ કરવાની આવે કે ‘અમદાવાદમાં આજે સિઝનનો પહેલો ધોધમાર વરસાદ’. જૂની ડાયરીઓના પાનાં ફેરવતાં માલૂમ પડે છે કે કોઈ વર્ષે આવી નોંધ લેવાનો મોકો મોડો મળ્યો છે અને ગયા વર્ષે 2015માં તો આવી કોઈ નોંધ લેવાનો સમૂળગો વારો જ નથી આવ્યો.

આ વર્ષે પણ પરિસ્થિતિ અલગ તો નથી જ અને હવે ચિંતાના વાદળોનો ઘેરાવ થાય તેવી બની છે. અખબારી અહેવાલો જણાવે છે કે...વરસાદની આવક હજી જોઇએ એવી થઈ નથી. જળાશયોમાં માત્ર થોડા દિવસો ચાલે એટલું જ પાણી બચ્યું છે. પાણીની બાબતમાં સ્થિતિ વિકટ બને તેવા એંધાણ. થોડા દિવસની સાદી વ્યાખ્યા છે, એક કે બે પખવાડિયા અથવા મહિનો માસ. પછી એ સ્થિતિને પહોંચી વળવાના ઍક્શન પ્લાન ઘડવામાં આવે અને તેનો અમલ કરતાં બીજું ચોમાસું આવી જાય. વચ્ચે-વચ્ચે ટૅન્કરથી પાણી પહોંચતું કરવાની વાતો કરવામાં આવે અથવા તો ભારતીય રેલવેના ટૅન્કર કન્ટેનર ટ્રેનની મહેરબાનીથી ખરેખર એમ થાય પણ ખરું.

વરસાદી પાણીનો પૂરતા પ્રમાણમાં સંગ્રહ નથી થતો એટલે આ સમસ્યામાં રતિભાર ફર્ક પડે તેવું કશું અત્યારે નજીકમાં કે ક્ષિતિજ પર દેખાતું નથી. હા, પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તે સાફ દેખાઈ રહ્યું છે, ધોળે દિવસે થઈ રહ્યો છે. આ પોસ્ટ સાથેના વિડિઓમાં તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. તેના વિવરણમાં આગળ વધુ તે પહેલા એક સ્પષ્ટતા એ પણ કરી લઉં કે આ કોઈ વ્યક્તિગત કે સંસ્થાગત નહીં પણ પ્રતિકાત્મક ઉદાહરણ છે.


ફેશન, ફૂડ અને ફ્રેન્ડસર્કલ સાથે ફરવા માટે જાણીતા નવરંગપુરા, અમદાવાદના સી.જી. રોડ પરથી ગુલબાઈ ટેકરા જવાના રસ્તે આવેલા શ્રી બાલાજી હાઇટ્સ નામના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર અગાઉ જોયેલું દ્રશ્ય ભૂલી શકાય તેવું નથી. રવિવારનો દિવસ (24 જુલાઈ 2016) હતો. મોટાભાગની બંધ દુકાનો વચ્ચે આ એકજ દુકાન (પોસ્ટમાં સૌથી ઉપરનો ફોટો) ખુલ્લી હતી. ગ્રાહકો આવવાને વાર હતી એવી દુકાનનું આંગણુ ચોક્ખુંચણક થઈ રહ્યું હતું. દિવસ દરમિયાન પાંચ-દસ ગ્રાહકો શર્ટ-પાટલૂન ખરીદવા આવે-તો-આવે...એવી સંભાવના વચ્ચે વૉટરપાઇપથી ગૅલનબંધ પાણી ફરશ પર વહાવાઈ રહ્યું હતું. (જૂઓ લિન્ક https://www.youtube.com/watch?v=jPUGbs94wR4) રબર વાઇપરની મદદથી ફરશને એટલી ઘસવામાં આવતી હતી જાણે ફર્શને ફેશિયલ થઈ રહ્યું હોય. ફોટામાં અને વિડિઓમાં દેખાતા આ કામ કરનારા તો વખાના અને પગારના માર્યા આ કામ કરે. ‘આવો વેડફાટ ન થાય કે આ રીતે કામ ન કરાય’ એમ કહેનારું તેમને કોઈ નહોતું. એવો પણ સવાલ થાય કે શૉરૂમનું આંગણું એટલી મહત્વની જગ્યા છે કે તેને આમ રોજે-રોજ ચોક્ખી રાખવી પડે. અને તે પણ કોના માટે? થોડા સંભવિત ગ્રાહકોને આવકારવા માટે? અને ‘કોના ભોગે?’ એવો જો સવાલ થાય તો તેનો જવાબ પણ નજીકમાં જ છે.

સી.જી. રોડથી ગુલબાઈ ટેકરાના રસ્તે આગળ વધો એટલે જે રહેણાંક વસતી આવે છે તેને અમદાવાદી શહેરીજનો મજાકમાં ‘હોલિવુડ’ નામે ઓળખે છે. શહેરી ગરીબોથી ગીચોગીચ એવી વસતીમાં ચોમાસાના પ્રારંભે ગણેશ ભગવાનની મૂર્તિ બનાવવાના કામની શરૂઆત થાય છે. એ સમયે તેમણે દિવસની શરૂઆત પાણીના બે ટૅન્કર મંગાવીને કરવી પડે છે. એક ખુદના માટે અને બીજું મૂર્તિ બનાવવાના કામ માટે. આખરે રોજી-રોટીનો સવાલ છે. આ ઉપર જે લોકો શૉરૂમનું આંગણું ચોક્ખું કરી રહ્યા છે તેઓ આ વસતીમાંથી જ આવે છે. ખુદના વપરાશ માટે તેઓ કે તેમનો પરિવાર પાણીના ટૅન્કરના રૂપિયા ખર્ચે છે, તાણી-તૂસીને પાણી વાપરે છે. બીજી તરફ રોજી-રોટી તેમના જ હાથે આ રીતે પાણી વહાવડાવે છે, વેડફાટ કરાવે છે.


હવે અહીંથી થોડે આગળ વધીને વસ્ત્રાપુરની ભાગોળે પહોંચીએ તો આવે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ – અમદાવાદ / Indian Institute of Management, Ahmedabad / http://www.iimahd.ernet.in/ આંતરરાષ્ટ્રિય સ્તરે ખ્યાતિપ્રાપ્ત આ શૈક્ષણિક સંસ્થાના ભણતર વિશે તો કશું કહેવાપણુ છે નહીં. પણ ગણતરમાં મોટું મીંડું. આ વિડિઓ લિન્ક જ જોઈ લો. https://www.youtube.com/watch?v=3SfrEInP1Jk આપણે શૉરૂમનું આંગણું ચોક્ખુંચણક થતું જોયું. તેની સામે આ એક મોટું એકરબંધ પરિસર છે. તેના આંગણામાં સંખ્યાબંધ વૃક્ષો ’ને ઝાડ-પાન છે. તેની પર બેસતા પક્ષીઓ કુદરતી ક્રમમાં જ શૌચક્રિયા કરે છે ’ને ઉડી જાય છે. પાછળ મુકી જાય છે તેમની હગાર. હવે આ એક કુદરતી પ્રક્રિયા છે. પણ તેને સાફ કરવા માટે કુદરત પાસેથી જ મેળવેલું ગૅલનબંધ પાણી રીતસરનું વેડફાઈ રહ્યું છે. બાગકામમાં વપરાતા ખુરપી જેવા સાધનથી પહેલા સુકાઈ ગયેલી હગારને ખોતરવામાં આવે છે. પછી તેના કારણે પડી ગયેલા ડાઘાડૂઘીને વૉટરજેટ નૉઝલથી પાણીનો પુષ્કળ મારો ચલવીને દૂર કરવામાં આવે છે. પરિસરનો સાફસફાઈનો કોન્ટ્રેક્ટ ધરાવતી એજન્સીના કર્મચારીઓ માટે આ તેમના ઉપરીએ સોંપેલું કામ માત્ર છે. તેના પર આઈઆઈએમ જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાના વહીવટી અધિકારીની પણ સીધી દેખરેખ નથી. એટલે આમ કરવું કેટલું જરૂરી છે? જરૂરી હોય તો પણ સાફસફાઈની આ એકમાત્ર પધ્ધતિ છે? કોઈ વૈકલ્પિક ઉપાય છે? આવા સવાલોના જવાબ આઈઆઈએમ કૅમ્પસ પરથી મળતા નથી. એ જવાબ અહીંથી દૂર આવેલા દિલ્હીમાંથી મળે છે. વાંચનારને જાણવું રસપ્રદ થઈ પડશે કે દિલ્હીમાં યમુના નદીના કિનારે આવેલા અને એકરબંધ વિસ્તારમાં ફેલાયેલા અક્ષરધામ પરિસરમાં / http://www.swaminarayan.org/ પણ આવી જ સમસ્યા છે. પણ તેનો ઉકેલ સ્વામિનારાયણ સંસ્થાના સેવક સાધુ-સંતો જરા જુદી રીતે કરે છે. માત્ર થોડા લિટર પાણીના ઉપયોગથી પ્લાસ્ટિકની આરી વડે ચરકને ખોતરી, ડાઘાડૂઘી દૂર કરી ડોલ પાણીની મદદ વડે પિંકસ્ટોન પરથી પક્ષીઓની હગારને દૂર કરવામાં આવે છે.

વપરાશ અને નિભાવ ખર્ચની રીતે ‘સફેદ હાથી’ ગણાય છે તેવી સફેદ કલરની અને રંગ-રંગીન ગાડીઓની સંખ્યા દેશમાં વધતી ચાલી છે. તેના પગલે પાણીના વેડફાટનું પ્રમાણ પણ વધ્યું છે. ચપટીક ડાઘાડૂઘી ધરાવતી ગાડીને વૉટરપાઇપથી ગૅલનબંધ પાણીનો વેડફાટ કરીને ધોવામાં આવે છે. કેટલીક વાર એ કામ ચાલુ વરસાદે થતું પણ જોઈ શકાય છે. અમદાવાદ – વડોદરા – સુરત જેવા સ્માર્ટ સિટીથી લઇને નાના શહેરોમાં કારનો ચહેરો ચકચકિત કરી આપતા વ્યવસાયી ધોરણે સેવા આપતા એકમોની સંખ્યા વધી છે. માત્ર થોડા કલાકો માટે ગણ્યાગાંઠ્યા લોકોના ખપમાં આવતી ગાડીને સાફ કરવા માટે, ધોવા માટે અર્ધી ડોલ પાણી બસ થઈ પડે. તેના બદલે આવતીકાલે પાણીની ઉપલબ્ધિ જ સમૂળગી ધોવાઈ જાય તે હદે આજે પાણીનો ઉપયોગ થઈ રહ્યો છે.

તેની વિસ્તૃત વાત નવેસરથી અને નવા વિડિઓ સાથે કરીશું એ નક્કી જાણજો.

(તસવીર : બિનીત મોદી અને વિડિઓ લિન્ક યુ-ટ્યૂબના સૌજન્યથી)

Tuesday, March 04, 2014

‘આમ આદમી’ની સ્વમાન જાળવવાની લડાઈ


અમદાવાદ / Ahmedabad જેવા શહેરોમાં રવિવારની સવાર પણ હવે રોજ જેવી જ ઉગે છે. સોમવારની સવારથી શનિવાર સુધી રોજ કામ-ધંધે વળગવા દોડધામ કરતા લોકો રજાના દિવસે પલાંઠી વાળીને બેસવાને બદલે હરવા-ફરવા માટે દોડધામ કરતા નજરે પડે છે. એમાં હરવા-ફરવાને બદલે હડિયાપાટી કરતા હોય એવું વધારે લાગે. એમ કરવામાં ક્યારેક વિવેકભાન પણ ચૂકી જાય.

બીજી માર્ચના રવિવારની સવારે આમ જ થયું. આમિર ખાનના બહુચર્ચિત ટી.વી. શૉ ‘સત્યમેવ જયતે’ની બીજી સીઝનનો પહેલો એપિસોડ ઑન-ઍર થવાનો સમય નજીક હોય એવો જ સવારના અગિયાર આસપાસનો સમય હતો. ‘રક્તદાન, સમાજ અને માધ્યમો’ એવા એક વિષય પર પંદરેક મિનિટનું વક્તવ્ય આપવાનું હતું. આશ્રમરોડ પર હૅન્ડલૂમ હાઉસની પાછળ આવેલા અમદાવાદ મેડિકલ ઍસોસિએશન ખાતે આયોજિત કાર્યક્રમમાં પહોંચવા માટે મીઠાખળી ગામ અને તેનું રેલવે ક્રૉસિંગ વટાવીને જવાનો રસ્તો મને વધુ અનુકૂળ પડે તેમ હતો. જો કે રેલવે ક્રૉસિંગ બંધ હતું. થોડી વાર રાહ જોઈ શકું એટલો સમય મારી પાસે બચ્યો હતો. બીજી તરફ જ્યાં પહોંચવાનું હતું તે સ્થળ પર ચાલીને જઈ શકું એટલો નજીક તો પહોંચી જ ગયો હતો.

આવી ગડમથલ ચાલતી હતી તેવામાં જ વાહનોના ભોં...પૂં...ઉં...અને ભીડ વચ્ચેથી એક મોટી બૂમ સંભળાઈ કે, ‘પોલીસ આવશે પછી જ આ ક્રૉસિંગ ખૂલશે.’ રેલવે ક્રૉસિંગ પર આવી જાહેરાત થતી સંભળાય એટલે નાનો-મોટો અકસ્માત થયો હોવાનું અનુમાન સહેજે લગાવી શકાય. જો કે અહીં એવું કંઈ દેખાતું નહોતું. સમય બગાડવાનું પાલવે તેમ નહોતું એટલે સ્કૂટરને ક્રૉસિંગ સામે જ આવેલી નર્મદ – મેઘાણી લાઇબ્રેરીના બાંકડા પાસે પાર્ક કર્યું. નજીક જઈને જોયું તો પોલીસને બોલાવવી પડે તેવું કોઈ જ કારણ નજરે પડતું નહોતું. હા, ભીડ વચ્ચેથી આવતા અવાજો ‘ઝઘડો’ થયાની સાહેદી પૂરતા હતા.

ઝઘડો પણ કેવો? મારે અને તમારે જાણવો પડે એવો. ટ્રેનની અવર-જવરનો સમય નજીક આવ્યો હશે તે સૂચના મળતા જ ગેટમેને રેલવે ક્રૉસિંગ બંધ કરી દીધું. એ જ ક્ષણે ત્યાં આવી પહોંચેલા અને સહેલ-સપાટા માટે નીકળેલા એક મોટર-સાઇકલસવાર પરિવારે હુકમ કર્યો કે ‘ક્રૉસિંગ ખોલી દો, અમારે મોડું થાય છે.’ કેમ જાણે એમના મનમાં હવેલી મંદિરનો ખ્યાલ વસતો હશે જ્યાં મુખિયાજીને વિનંતી કરો તો દર્શનનો સમય વધારી આપે અને ક્યારેક બંધ દર્શનના દ્વાર પણ ખોલી આપે. જો કે અહીં એવી કોઈ શક્યતા નહોતી એટલે પરિવારના મુખિયા એવા મોટર-સાઇકલચાલકે ગેટમેનને દમ મારવાની શરૂઆત કરી. બોલાચાલીથી શરૂ થયેલી વાત ગાળાગાળી અને છેવટે જાતિ-વિષયક ઉચ્ચારણો સુધી પહોંચી. એમ સમજીને કે અહીં કામ કરનાર તે થોડા કંઈ વાણિયા, બ્રાહ્મણ, પટેલ, રાજપૂત હોવાના હતા? એટલે આને તો કંઈ પણ કહી શકાય? તેની સાથે કોઈ પણ કક્ષાની તોછડાઈ કરી શકાય?

બસ અહીં પેલા ભાઈ ગોથું ખાઈ ગયા. એવડું મોટું ગોથું કે રેલવે પોલીસ આવીને એને બાવડેથી પકડીને લઈ ગઈ. પણ આ બધું કોના પ્રતાપે? તો એનો જવાબ છે ચીમનભાઈ શીવાભાઈ ચૌહાણના પ્રતાપે.

ચીમનભાઈ ચૌહાણ : ‘આ ચાવી મારા કહ્યામાં ન હોય’
ચીમનભાઈ ચૌહાણ / Chimanbhai Chauhan અમદાવાદ શહેર વચ્ચેથી પસાર થતી મીટરગેજ રેલવે લાઇન પરના ગાંધીગ્રામ રેલવે સ્ટેશન / Gandhigram Railway Station નજીક આવેલા મીઠાખળી / Mithakhali ગામ સ્થિત પંદર નંબરના લેવલ ક્રૉસિંગના ગેટમેન છે. 2 માર્ચ 2014ની સવારે ઉપર વર્ણવેલી ઘટના ઘટી ત્યારે એમણે ગાળો સહી લીધી. સાથે-સાથે ગાળો આપનાર ભાઈને એ સમજાવવાની કોશિશ કરી કે આ ક્રૉસિંગ હવે ખુલી ના શકે. એ સિવાયની કોઈ જ પ્રતિક્રિયા આપી નહીં. હા, ક્રૉસિંગ ખુલવાની રાહ જોતા અન્ય વાહનચાલકોને તેમણે વિનંતી કરી કે, ‘બીજો રસ્તો પકડી લો. આ ક્રૉસિંગ તો હવે પોલીસ આવશે પછી જ ખૂલશે.’ એક પણ વાહનચાલકે તેમના આ નિર્ણયને પડકાર્યો નહીં બલકે તેમની પડખે ઊભા રહ્યા.

ચીમનભાઈએ લેવલ ક્રૉસિંગ પરની તેમની કૅબિનમાંના સત્તાવાર ફોનથી પોતાના ઉપરી સાહેબોને ઘટનાની જાણ કરી એટલે ગાંધીગ્રામ રેલવે સ્ટેશનની ફરજ પરની પોલીસ તરત હરકતમાં આવી. પ્લૅટફૉર્મનો બીજો છેડો પસાર કરે ત્યાં તો આ રેલવે ક્રૉસિંગ આવી જાય. ગણીને પાંચ મિનિટમાં તો આખી વાતનો ફેંસલો આવે તેવા ઘટનાક્રમની પહેલી ઈંટ મુકાઈ ગઈ. ફરજ પરના સરકારી કર્મચારીને તેના કામમાં અંતરાયરૂપ બનવાનો તેમજ કાયદાથી પ્રતિબંધિત છે તેવા જાતિ વિષયક ઉચ્ચારણો કહેવા બદલની ફરિયાદ નોંધવામાં આવી.

ચીમનભાઈ ચૌહાણ : ‘આમ આદમી’નું સ્વમાન
કોરટ-કચેરી તો થતાં થશે અને ફરિયાદની કાર્યવાહી નિયમ મુજબ આગળ ચાલશે જ. પણ સ્વમાન પામવાની, ત્વરિત ન્યાય માંગવાની ચીમનભાઈની આ પદ્ધતિ મને ગમી ગઈ. એથી ય વધુ તો પ્રતિક્રિયારૂપે એક પણ શબ્દનો જવાબ આપ્યા વિના આખી ય બાજીને જે રીતે તેમણે પોતાની તરફેણમાં કરી લીધી એ તો કાબિલેદાદ હતું. મારા માટે તો આ જ ‘સત્યમેવ જયતે’ હતું. ટી.વી. શૉ ન જોઈ શક્યાના અફસોસને ભૂલાવી દે તેવું.

ચીમનભાઈ ચૌહાણને બિરદાવવા આનાથી વધુ સારા શબ્દો મને જડતા નથી. મળી આવશે તો કહેવા માટે રૂબરૂ મળવા જ પહોંચી જઇશ. ન્યાય માટે માત્ર મિનિટો પૂરતું જ લડ્યા પણ અમીટ છાપ છોડી ગયા.

ખુદનું સ્વમાન જાળવવાની આમ આદમીની લડાઈ તો આવી જ હોયને!

(તસવીરો : બિનીત મોદી)

Monday, June 24, 2013

પાયખાનું પખાળવા પંદરસો કિલોમીટરનો પ્રવાસ


નોકરી – ધંધો કેમ ચાલે છે?’ એવું કોઈપણને પૂછી શકાય પણ નોકરી કેમ કરો છો?’ એવું કોઈને પૂછી શકાતું નથી. એવી પૂછપરછ કરવામાં અનેક પ્રકારની મર્યાદાઓ આડી આવે. એને વળોટીને – નેવે મૂકીને પૂછીએ તો તળપદી ભાષામાં જવાબ મળે કે પાપી પેટને ખાતર!...અને સુધરેલી ભાષામાં જવાબ મળે કે દાળ-રોટી ભેગા થવા.

હવે આ પાપી પેટ કે દાળ-રોટીનો સમૂળગો છેદ જ ઉડી જાય તેવી કોઈ નોકરી (?) હોય ખરી? ના જ હોય ને. તમારી ધારણા સાચી છે પણ મને હમણાં આ પ્રકારની નોકરી / Job જોવા મળી. ભારતીય રેલવેના / Indian Railway / http://www.indianrail.gov.in/ ડબ્બામાં. લાંબા – ટૂંકા અંતરની રોજની હજારો ટ્રેનો દેશમાં દોડે છે. એમાં આ પ્રકારની વિશિષ્ટ નોકરી જોવી હોય તો લાંબા અંતરની ટ્રેનની મુસાફરી કરવી પડે. મેં કરી. આમ તો એ મુસાફરી કશ્મીર – શ્રીનગરનું ‘કુદરતી સૌંદર્ય’ જોવા માટે કરી હતી પરંતુ યાત્રા દરમિયાન કુદરતી હાજતે જતાં અનાયાસ આ ઉપર વર્ણવી એવી નોકરી પણ જોવા મળી.

કેવી છે એ નોકરી? અને ક્યાં જોવા મળે? અમદાવાદથી જમ્મુ લઈ જતી મેઈલ-એક્સપ્રેસ ટ્રેનમાં આવી નોકરી કરનારા યુવાનો જોવા મળે. સોળ-સત્તર ડબ્બાની ટ્રેનમાં તેમની એક માત્ર કામગીરી તે પાયખાના (જાજરૂ – સંડાસ / Toilets) સાફ કરવાની. જમ્મુથી બપોરના સમયે અમદાવાદ / Ahmedabad પરત ફરતી ટ્રેન થોડા કલાકોના વિરામ બાદ રાત્રે કાં તો વેરાવળ / Veraval, Gujarat જવા ઉપડે અથવા જામનગર / Jamnagar, Gujarat પાસેના હાપા / Hapa, Jamnagar, Gujarat ગામે સીધેસીધી પહોંચે. એટલે એ નક્કી કે આ યુવાનો મોટે ભાગે સૌરાષ્ટ્રના હોય, વેરાવળ કે હાપા-જામનગરની આસપાસના ગામના પણ હોય. વેરાવળથી રાત્રે ઉપડીને બીજા દિવસની વહેલી સવારે અમદાવાદ આવતી ટ્રેનમાં બેસીને આવતા આ યુવાનો જમ્મુની / Jammu, Jammu & Kashmir State ખેપ મારીને ઘરે પાછા ફરે ત્યારે છઠ્ઠા દિવસની સવાર હોય. ચાર રાત ટ્રેનમાં અને એક રાત જમ્મુ સ્ટેશન યાર્ડમાં ગુજારતા આ યુવાનોને કામના કલાકોની ગણતરીએ પાંચ દિવસના પાંચસો લેખે મહિનાનો 2,500/- રૂપિયા પગાર / Salary મળે. બહુ તાણી-તૂસીને કામ કરે તો મહિનાના ત્રણ હજાર મળે ખરા પરંતુ શરીર એ માટે સાથ આપે તેવું રહ્યું જ ન હોય. કેમ કે આ યુવાનોને નોકરીએ રાખનાર રેલવે કોન્ટ્રાક્ટર તેમને પગાર આપે પણ જમવાની સવલતના નામે ફદિયું પણ ના પરખાવે. એટલે આ છોકરાઓ પાંચ – છ દિવસ-રાત વચ્ચે ઝોલાં ખાતી નોકરીના દિવસોનો ગુજારો ઘરેથી લાવેલા એકાદ દિવસના રોટલા-શાક કે પછી સેવ-મમરા અને બિસ્કીટ / Biscuits ખાઈને કરે. ટ્રેનના કેટરીંગ કોન્ટ્રાક્ટરના વેઇટર્સ નજર સામે ગરમા-ગરમ નાસ્તાના પેકેટ લઈને ફરતા હોય પરંતુ તેના ભાવ તેમની પહોંચ બહારના હોય. ભલે કોન્ટ્રાક્ટ હેઠળ હોય પરંતુ રેલવેની જ સેવા કરતા તેમના માટે રાહત દરના ભોજનની પણ કોઈ વ્યવસ્થા નહીં?

તેનું પરિણામ શું આવે? એ જ કે આ યુવાનો પૂરો મહિનો તો આ કામ કરી જ ન શકે. એવી શક્તિ જ ન રહી હોય. અને એમ ન થાય એટલે પૂરો પગાર પણ ના મળે. ઘરેથી નીકળ્યા પછી પાછા પહોંચતાં સુધીના આઠ ટંક માત્રને માત્ર સેવ-મમરા-બિસ્કીટના સહારે ગુજારવાના કારણે તેમના યુવાન શરીર વૃદ્ધત્વની ચાડી ખાતા દેખાય. તબીબી ભાષામાં જેમને ‘અન્ડરવેઇટ’ / Underweight કહી શકાય એ તો તેમનામાં દેખાતું સામાન્ય લક્ષણ.

પાંચ દિવસની પંદરસો કિલોમીટરની તેમની આ ‘યાત્રા’ દરમિયાનની કામગીરી શું હોય છે? સૌથી મોટી કામગીરી તે સોળે-સોળ ડબ્બાના સંડાસ / Toilet સાફ કરવાની. એ કામ તો તેઓ ‘નિયત’ ધોરણે કરતા જ હોય પરંતુ તેને વધુ ‘જવાબદાર’ બનાવવા ડબ્બે – ડબ્બે તેમના અને સુપરવાઇઝરના નામ સહિતના મોબાઇલ નંબર લખેલા કાગળો ચોંટાડ્યા હોય. મુસાફરી કરતા નાના બાળક સાથેના મમ્મી – પપ્પા હોય કે રાહત દરની મુસાફરી કરતા સિનિયર સિટીઝન, સંડાસ સહેજ ગંદુ દેખાય એટલે પહેલું કામ ફોન કરવાનું કરે. ફરજ પરના આ યુવાનોમાંથી કોઈ એક સંડાસ તો સાફ કરી જ જાય પણ બીજી તરફ તેના મોબાઇલનું બેલેન્સ પણ ‘સાફ’ થવા માંડ્યું હોય. આને નોકરી કહેવી, વેઠ કહેવી કે કરમની કઠણાઈ એ નક્કી જ ન થઈ શકે. કેમ કે ટ્રેન જેવી ગુજરાતની સરહદ પાર કરે કે મોબાઇલમાં રોમિંગ ચાર્જિસ / Mobile Roaming Charges કપાવાના શરૂ થઈ જાય. એનું કોઈ વધારાનું એલાઉન્સ / Allowance (પગાર ઉપરાંતનું ભથ્થું) મળે કે? એવા મારા સવાલના જબાવમાં સામો સવાલ આવ્યો કે ‘એટલે શું?

આ પાયખાના સાફ કરવાની મજૂરી કરવા સામે તેમને કોઈ સવલત મળે છે ખરી? હા, રાત્રે ઊંઘવાની સગવડ મળે છે. તેમના માટે એક ડબ્બામાં રિઝર્વડ્ બર્થ / Reserved Berth હોય છે. પણ એમ સુખેથી સુવા દે તો એ વેઠ શેની? સાફ-સફાઈના સાધનો તેમજ માલસામાનની સાથે તેમનાં પોતાના કપડાંલત્તાં મુકવા માટે એક સંદૂક કોન્ટ્રાક્ટરે આપી હોય. રાત્રે ટ્રેનમાં ફરતા લોકો કે રિઝર્વડ્ ડબ્બામાં ચઢતા સામાન્ય મુસાફરો એ માલસામાન ચોરી / Theft ન જાય તે માટે આ પાંચ યુવાનો તેની ચોકી કરવા માટે વારાફરતી જાગતા રહે. આમ કિલોમીટર કપાતા જાય.

મને એમ થાય છે કે ચાલતી ટ્રેઈને ગંદા થતા આ સંડાસને સાફ રાખવા તે એટલું અગત્યનું કામ છે કે તેના માટે આ યુવાનોને ઘરેથી દૂર ભૂખ્યા રહીને ઉજાગરો કરવો પડે. પંદરસો – સત્તરસો કિલોમીટરનો પ્રવાસ ખેડતી ટ્રેન રસ્તામાં નાના – મોટા પચાસ સ્ટેશનોએ ઊભી રહે છે. એમાંના કેટલાક સ્ટેશનોએ તો તે વીસ મિનિટથી લઈને અડધો કલાક સુધી થોભતી (વિરામ / હૉલ્ટ / Halt) હોય છે. ગંદા થતા પાયખાનાને સાફ કરવા માટે જે તે સ્ટેશનોએ સ્થાનિક ધોરણે કોઈ વ્યવસ્થા ન થઈ શકે?

(*) બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર : સદાકાળ સેવ મમરા 
વેરાવળ અને તેની આસપાસના ગામોના આ યુવાનો (પ્રફુલ, મિતેષ,ધર્મેન્દ્ર, રાજુ અને પરસોત્તમ) સમાજના દલિતવર્ગમાંથી / Dalit આવે છે તેવી સ્પષ્ટતા કરું કે ન કરું? ચાલશે? ના...ના...નહીં જ ચાલે. સ્પષ્ટતા નહીં કરું તો તેમની જિંદગી આમ જ ટ્રેન પર ચાલતી...માફ કરજો...દોડતી રહેશે...દાયકાઓ સુધી.

(નોંધ: કર્મશીલ લેખક – પત્રકાર ચંદુ મહેરિયાના સંપાદન હેઠળ પ્રકાશિત થતા પાક્ષિક દલિત અધિકારના 1 જૂન 2013ના અંકમાં ઉપરોક્ત લેખ પ્રકટ થયો હતો. વર્ષ: 8, અંક: 21, સળંગ અંક: 189)


(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)