પ્રતિભાવો ઉર્ફે Comments

Showing posts with label અંગત. Show all posts
Showing posts with label અંગત. Show all posts

Tuesday, April 25, 2017

હસુકાકી : પરિચય પાંચ વર્ષનો, હેત આજીવન



હસિતા હસમુખ શાહ / Hasita Hasmukh Shah [22 ફેબ્રુઆરી 1927 થી 11 એપ્રિલ 2017] ગોધરા (પંચમહાલ, ગુજરાત) થી લાન્સિંગ (મિશિગન, અમેરિકા) 

હસુકાકીને મારી પાંચ – છ વર્ષની ઉંમરે 1976માં પહેલીવાર મણિનગર – અમદાવાદની ગંગેશ્વર સોસાયટીમાં જોયા હતા અને છેલ્લીવાર મળવાનું થયું 2006માં એ શહેર પણ અમદાવાદ / Ahmedabad. આ સમયગાળો આમ તો ત્રીસ વર્ષનો છે પણ તેમના પરિચયનો આલેખ મારે પાંચેક વર્ષનો જ આપવાનો થાય છે. સગપણમાં મારા મોટાકાકી થતા અને જેમની સાથેનો પરિચય તો આજીવન જ હોવો જોઇએ એમ સામાન્યપણે માનવાનું મન થાય પરંતુ અંગત આલેખમાં પાંચ વર્ષ જેટલા ટૂંકા ગાળા માટે જ કેમ મારે તેમના વિશે લખવાનું થાય છે તેના કારણો આગળ – ઉપર વાંચવા મળશે.

હા, સમયગાળો ભલે ટૂંકો હોય પરંતુ તેમની સાથેની યાદોનો સરવાળો લાંબો છે. 2006માં અમદાવાદ આવેલા મોટાકાકા (હસમુખ મહાસુખલાલ શાહ / Hasmukh MahasukhLal Shah) અને હસિતાકાકીને લઇને મારે લેખક – પત્રકાર રજનીકુમાર પંડ્યાના / Rajnikumar Pandya ઘરે મળવા જવાનું હતું. અંગત ધોરણે મારા માટે ગુરુ – માર્ગદર્શક રજનીભાઈ દસ વર્ષ અગાઉ 1996ની તેમની પરિવારસહ (તરૂકાકી અને દિકરી તર્જની) અમેરિકા મુલાકાત દરમિયાન મોટાકાકાના આમંત્રણથી તેમના મહેમાન થયા હતા. રજનીકાકાનો ખાસ આગ્રહ હતો કે મારે કાકા-કાકીને સાંજના ભોજન માટે તેમના ઘરે લઈ આવવા. ‘બાબા, તું ’ને તારા બન્ને કાકાઓ તો માત્ર સાહિત્યની જ વાતો કરશો અને હું એકલી કંટાળી જઇશ’ એવા કારણોસર કાકી મણિનગર અમારી સાથે આવવાનું છેવટ સુધી ટાળતા રહ્યા. એમ નહીં થાય એવી આ ‘બાબા’એ ખાતરી આપ્યા પછી તે મારી અને કાકાની સાથે આવવા તૈયાર થયા. હા, ‘બાબા’ એ તેમનું મારા માટેનું કાયમી સંબોધન હતું જે મને આજ દિન સુધી ગમતું આવ્યું છે. કેમ ન ગમે? કાકીએ આપેલું છે.

મણિનગરની ભાગોળ નજીક આવી એટલે કાકી બોલ્યા કે, ‘બાબા, મને મુક્તિમેદાન લઈ જઇશ?’ એક સમયે મણિનગરમાં રહ્યો હોવાના કારણે વિસ્તારને સારી રીતે જાણતા મેં ગાડી તે તરફ વાળી. કાકીએ કહ્યું ત્યાં જઇને કાર ઉભી રાખી. કાચ ઉતારીને ક્યાંય સુધી તે એ વિસ્તારને નીરખતા રહ્યા. કઇંક શોધી રહ્યા હોય એમ પણ લાગ્યું. થોડી વાર પછી મોટાકાકા બોલ્યા કે કાકીના પપ્પા રતિલાલ બારશેરીઆનું ઘર આ વિસ્તારની કોઈ એક સોસાયટીમાં હતું. કાકી સહિતના પાંચ બહેનોના લગ્ન પછી તેઓ વતન ગોધરા છોડીને મણિનગર-અમદાવાદના મુક્તિમેદાનના ઘરમાં રહેતા હતા.

નાટકો, ફિલ્મો, હરવા-ફરવાના સ્થળોની જેમ જીંદગી સાથે જોડાયેલા કેટલાક દ્રશ્યો આજીવન ભૂલાતા નથી હોતા. એ રીતે ગાડીમાં બેઠા-બેઠા જ પિતાના ઘરને શોધવાનો પ્રયત્ન કરતા અને છેવટે કશું નહીં પામ્યાની લાગણી સાથે સજળ આંખોએ ‘ચાલ બાબા હવે આગળ જઇએ’ એમ કહેતા કાકીને હું કદી ભૂલી શકતો નથી, ભૂલી શકવાનો નથી. મુક્તિમેદાનમાં પિતાનું જૂનું ઘર શોધતા હસુકાકી (સત્તાવાર નામ હસિતાકાકી) 11 એપ્રિલ 2017ની વહેલી સવારે અમેરિકામાં ‘મુક્તિ’ પામ્યા. તેમની વિદાયની અંગત રીતે મને પડેલી આ એવી ખોટ છે જેની શરૂઆત હું નવ – દસ વર્ષનો અને પ્રકાશ વિદ્યા મંદિર, ભૈરવનાથ-મણિનગર સ્થિત સ્કૂલના ત્રીજા ધોરણમાં ભણતો હતો ત્યારે થઈ હતી. તેની શરૂઆત કંઇક આ રીતે થઈ હતી.

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની નોકરીમાં બઢતી સાથે બદલી (પ્રમોશન વીથ ટ્રાન્સફરના ધોરણે) પામેલા પપ્પાને (પ્રફુલ મહાસુખલાલ મોદી / Praful MahasukhLal Modi ) મળવા આવેલા કાકી તેમને જે કહી રહ્યા હતા તેનો સાર આવો હતો. તેમનું કહેવું હતું કે, ‘અમદાવાદ જેવા શહેરમાં પાંચ-છ વર્ષથી ભણતા બાબાને ઠાસરા (યાત્રાધામ ડાકોર નજીકનું ગામ) જેવા પ્રમાણમાં નાના ગામમાં સાથે લઇને જશો તો ભણવાનું જલદીથી પાટે નહીં ચઢે. બગડે પણ ખરું એવી આશંકા પણ વ્યક્ત કરી. તેને અમે લઈ જઇશું. અમારી સાથે રહીને ભણશે.’ સગપણમાં પપ્પાના મોટાભાભી થતા અને તેમની – મોટાભાઈની સાથે રહીને જ પૂના જેવા શહેરમાં ભણેલા પપ્પાએ મારા ભણતરની બાબતમાં તેમની આ વાત માનવી પડે તેમ હતી પરંતુ ‘એકના એક છોકરા’ની વ્યાખ્યામાં આવતો હું તેમની આ દરખાસ્તનો લાભ મમ્મી – પપ્પાની લાગણી સામે પામી શકું તેમ નહોતો. ઠાસરા જઇને અંગ્રેજી વિષય વગર ચોથા ધોરણથી ભણવાનું શરૂ કર્યું.

જો કે દર ઉનાળા વૅકેશનમાં મને અમદાવાદ બોલાવીને તેઓ આ ખોટ સરભર કરી દેતા. ટેલિફોનની સગવડ બન્ને પક્ષે નહોતી (મોટાકાકાના ઘરે ટેલિફોન હતો) એવા 1980 – 1985 વચ્ચેના સમયમાં તેઓ મોટાકાકા પાસે પત્ર લખાવી કે બૅન્કમાં ટેલિફોન કરાવી મને ‘બાબા’ને અમદાવાદ મોકલવાની – મુકી જવાની ઉઘરાણી કરતા. એ સમયગાળામાં જો વતન ગોધરા જવાના હોય તો એ જવાબદારી કાકી પોતે ઉપાડી લેતા. અગાઉ લખ્યું તેમ આ સમયગાળો કે ઉનાળા વૅકેશનની સંખ્યા ચાર-પાંચથી વધારે નહીં હોય પરંતુ મારા માટે એ સોનેરી દિવસો હતા. ઠાસરા કે દેવગઢ બારિઆ જેવા નાના ગામમાંથી અમદાવાદ જેવા શહેરમાં ભલે થોડા દિવસો માટે પણ આવીને રહેવાનું મળે, મારી ઉંમરના કે થોડા મોટા એવા વસુફોઈના સંતાનો સાથે ફરવાનું મળે તેનું મોટું આકર્ષણ રહેતું.

મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત પ્રકાશન સંસ્થા ‘નવજીવન પ્રેસ’ સામે 6 – દેવઆશિષ અપાર્ટમેન્ટ (ગુજરાત વિદ્યાપીઠ લેન, આશ્રમ રોડ) એ કાકા – કાકીનું ઘર. (હાલમાં મિત્ર પ્રણવ અધ્યારૂ નું ઘર ) મારા લાલનપાલનમાં કોઈ કમી ન રાખતા કાકી એ વાત બહુ જલદી પામી જતા કે મને ઘરમાં કે અપાર્ટમેન્ટમાં મારી ઉંમરના કોઈની કંપની મળતી નથી. વાંચવા માટે પુસ્તકો – બાળ સામયિકો લાવી આપતા પરંતુ એ રીતે પણ સમય પસાર કરવાની એક મર્યાદા રહેતી. ત્રણેય પિતરાઈ ભાઈઓ (સંદીપ, ઇપ્સિત અને વિનીત) ઉંમરમાં મારાથી મોટા હતા. સંદીપભાઈ ફાર્મસી ક્ષત્રે મિત્રોના સાથમાં દવાના ઉત્પાદન સંબંધી કામમાં આગળ વધી રહ્યા હતા તો ઇપ્સિત – વિનીતભાઈ પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા. સમય સંજોગો બદલાતા આજે નથી કળાતો તેવો ‘જનરેશન ગૅપ’ એ સમયે હું પામી શકતો. આના ઉપાય તરીકે કાકી બને તેટલો સમય મારી સાથે વાતો કરીને પસાર કરતા. એથી આગળ વધીને તે વસુફોઈના દિકરા દિવ્યાંગને સાબરમતીથી બોલાવવાનો પ્રયત્ન કરતા. ‘એકના એક છોકરા’ની વ્યાખ્યામાં આવતા દિવ્યાંગ માટે પણ એમ સાબરમતીથી ઇન્કમટેક્ષ આવવું સહેલું નહોતું.

‘દેવઆશિષ’માં એકલા રહેવાની આટલી નાની અમથી ખોટ સિવાય બાકીના બધા જ આનંદો મારી સાથે હતા. જોઈ શકતો કે મને અમદાવાદ બોલાવવાનો કાકીનો હરખ સમાતો નથી. ‘બિનીત આવ્યો છે’ એવી જાણ કરતો ફોન બધા જ સગાં-સંબંધીને કરે. મારી વાત પણ કરાવડાવે. સવારે માત્ર ચા-નાસ્તો કરીને બૅન્કના મેનેજર તરીકે ફરજ પર હાજર થતા જતા મોટાકાકાને બપોરના જમવા માટે ઘરે વેળાસર આવી જવાની ખાસ તાકીદ કરે તે માત્ર મારા માટે જ. કેમ કે તેઓ જાણતા હતા કે મને સવારે અગિયાર વાગ્યાની આસપાસ જમીને સ્કૂલે જવાની ટેવ પડેલી છે. ઇપ્સિત – વિનીતભાઈને મને ફરવા લઈ જવા માટે કહેતા. આ દરમિયાન કાકી મારા માટે જે કામ ઉલટભેર કરતા તે પેન્ટ-શર્ટના કાપડની ખરીદી કરવાનું. મને સાથે લઇને જાય અને ઇન્કમટેક્ષ આસપાસની દુકાનો બતાવી કાપડની પસંદગી કરવાનું કહે. પેન્ટ – શર્ટ સિવડાવવા માટે વિકલ્પ ખુલ્લો રાખતા. કાં તો મોટાકાકાની સાથે જવાનું અથવા ઠાસરા – દેવગઢ બારિઆ પહોંચીને તૈયાર કરાવવાના.

હસુકાકી મારામાં વિશ્વાસ પણ ગજબનો મુકતા. સંદીપભાઈના અમેરિકા ગયા પછીના સમયમાં ઉનાળા વૅકેશનમાં અમદાવાદ જતો ત્યારે ઇપ્સિતભાઈ – વિનીતભાઈ રાત્રે મોડે સુધી વાંચતા હોય. અગાસીમાં આવીને સુઈ ગયા હોય તેની સવારે જોઇએ ત્યારે જ ખબર પડે. (તેમની નજીકમાં પાળેલું પપી રૉકી પણ સોડ તાણીને સૂતું હોય.) સવારનું દૂધ લેવા જવા માટે કાકીએ રીતસરના બન્ને ભાઇઓને કાલાવાલા કરવા પડે. એકવાર સવારના પહોરમાં કાકી મને જ સાથે લઈ ગયા. આકાશવાણીની સામે ‘નવદીપ’ બિલ્ડીંગની લાઇનમાં આજે જ્યાં ‘બૅન્ક ઓફ બરોડા’ની બ્રાન્ચ છે તેની ફૂટપાથ પર ‘આબાદ ડેરી’ની દૂધની કેબીન હતી. મને કહે ‘બાબા, કાલથી મને અહીંથી દૂધ લાવી આપજે.’ ભલે બહુ થોડા દિવસ માટે પણ ઘરથી દૂર એકલો કોઈ વસ્તુ ખરીદવા, ઘરની જરૂરિઆતની ચીજવસ્તુ લેવા અમદાવાદ જેવા શહેરમાં હું એકલો ફરું છું તેનો મને જબરો રોમાંચ થતો. કદાચ આત્મવિશ્વાસ પ્રગટવો કે પ્રક્ટાવવાનું કામ આવી નાની-નાની વાતોથી જ થતું હશે.

યુવાન – યુવતીઓ વચ્ચે કે નવદંપતી વચ્ચે હવે વપરાઇને લપટો પડી ગયેલો શબ્દ ‘લોંગડ્રાઇવ’ મેં પહેલીવાર કાકીના મોંઢે એંસીના દાયકામાં સાંભળ્યો હતો અને તેનો સંદર્ભ પણ આજના જેવો નહોતો. ક્યાંથી હોય? વૅકેશન દરમિયાન જ જસુફોઈ – કાન્તિફુઆના ઘરે શાહીબાગ કે ચંપાફોઈ – અરવિંદફુઆના ઘરે રાણીપ કોઈ એક દિવસ સાંજના સમયે પારિવારિક ભોજનનો કાર્યક્રમ બને. દૂર સાબરમતી રહેતા વસુફોઈનો પરિવાર (નવીનફુઆ, નીતા-લીના-ગોપીબહેન અને દિવ્યાંગ) વાહનવ્યવહારના ટાંચા સાધનો વચ્ચે પણ સમયસર આવી પહોંચ્યો હોય. ભોજન અને એ પછીની વ્યવસ્થાઓ આટોપવાનું કામ કરતા મોડું થાય એટલે વસુફોઈ – નવીનફુઆ માટે મોડે સુધી રોકાવાનું શક્ય ન હોય. કેમ કે રિક્ષા મળશે કે નહીં તેની ચિંતા હોય. રિક્ષાવાળો સાબરમતી આવવાની રાત્રે ‘ના’ પાડી શકે એટલું તો એ દૂર હતું જ. પણ હસુકાકી જેનું નામ. તેમની ચિંતા દૂર કરતા તરત કહે કે, ‘નવીનભાઈ...વસુબહેન...હું ’ને તમારા ભાઈ...ભલે ગમે તેટલું મોડું થાય...ગાડીમાં સાબરમતી મુકી જઇશું...અમારે એ બહાને લોંગડ્રાઇવ થઈ જશે.’

દસથી પંદર દિવસ માટે મોટાકાકા – હસુકાકી સાથે અમદાવાદ રહેવાનું થતું. મને યાદ નથી આવતું કે પાછા મોકલતી વખતે એમણે કદી કોઈનો સંગાથ શોધવાનો પ્રયત્ન કર્યો હોય. મોટેભાગે કાકી જાતે જ મુકવા આવતા. કહે પણ ખરા કે ‘એ બહાને મને ગોધરા જવા મળશે.’ હા, ભારતમાં તેમને ત્રણ શહેરો પ્રિય હતા. ગોધરા, અમદાવાદ અને શ્રીનાથજી. ગોધરા જતી વખતે વચ્ચે યાત્રાધામ ડાકોરનું બસ સ્ટેશન એવું આવે કે જ્યાં બસ પંદર-વીસ મિનિટ જેટલો લાંબો સમય ઊભી રહે. શુકનના દર્શન કરાવવા કે ‘છેડાછેડી’ માટે હાથમાં તેડેલા બાળ વર-કન્યાને લઈને ફરતા આદિવાસી માતા-પિતાનું દ્રશ્ય બસમાં બેઠા-બેઠા જ જોવા મળે. એ જોઇને કાકી બહુ હરખથી કહેતા કે, ‘બાબા, તને આ રીતે પરણાવવાનો છે.’

પિસ્તાલીસ પાર કર્યા પછી આ સઘળું યાદ કરવાનું નિમિત્ત હસુકાકીની વિદાય બની તેના દુઃખ અને આનંદનું પ્રમાણ મારા પક્ષે એકસરખું છે. દસ વર્ષની ઉંમરે ભણવા માટે સાથે લઈ જવા આવેલા, પેકિંગ થયેલી ઘરવખરી વચ્ચે મારી સ્કૂલબેગને શોધતા અને જો મળે તો હાથમાં લઈ લેવા તત્પર કાકીને કે એ સમયને હું ભૂલી શકતો નથી. આ લખું છું ત્યાં સુધી મને હંમેશા એવું જ લાગ્યું છે કે ભલે થોડા વર્ષો માટે ખરી પણ તેમના હાથે ઘડાયેલી જિંદગી જુદી હોત. એમ થઈ ન શક્યું તેનો અફસોસ.

કાકી ખાસ્સા પ્રભાવક પણ હતા. તેમના ત્રણ પુત્રો કે ભાણા – ભત્રીજાઓ ઊંચાઇની બાબતમાં તેમને આંબવા લાગ્યા હતા પણ મજાક – મશ્કરીનો વખત ન હોય એ સિવાયના સમયમાં તેમની સાથે એક અંતર જાળવીને વાત કરવી પડતી એવો મારો ખ્યાલ છે. મારા પપ્પા રોકડા પાંચ વર્ષ તેમની સાથે પૂનામાં રહ્યા હતા. પ્રભાવમાં ન આવ્યા હોય તેની જ નવાઈ ગણાવી જોઇએ. એક વખત એવું બન્યું કે મોટાકાકા અને ત્રણેય દિકરાઓની ગેરહાજરીમાં દિવાળી નિમિત્તે ઘરના રસોડાના માળિયાની સાફસફાઈ કરવાનું કામ કાકીએ કોઇની પણ મદદ લીધા વિના જાતે જ ઉપાડી લીધું. નિસરણી કે ટેબલ ખસી જવાને કારણે તેઓ લગભગ સાતેક ફીટની ઊંચાઇએથી પડી ગયા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને તેની સારવાર પણ લાંબી ચાલી હતી. તેના દુઃખાવાની અસર તો આજીવન રહી.

આ ઘટનાની પપ્પા પર એવી અસર પડી કે એ પછી તેઓ મમ્મીને કદી માળિયા પર સાફસૂફી માટે એકલી ન ચઢવા દેતા. એ કામ થવાનું હોય ત્યારે પોતાની હાજરી અનિવાર્ય ગણતા પપ્પા જ્યારે અમદાવાદમાં પોતાનું મકાન લેવાની તપાસ કરતા ત્યારે ટેનામેન્ટ કે અપાર્ટમન્ટ માળિયાની સગવડ વિનાના હોય તો એવા મકાનને ખરીદવા પ્રાયોરિટી આપતા. એવું માળિયા વગરનું મકાન અમદાવાદમાં મળ્યું નહિ એ જુદી વાત છે. હા, અમદાવાદથી બદલી પામેલા પપ્પાને ફરી એકવાર પ્રમોશન સાથે બદલી મળી અને તે પણ અમદાવાદ – વડોદરા જેવા શહેરમાં જ થાય તેવા સંજોગો ઊભા થયા. પહેલી પસંદગી તો અમદાવાદ શહેરની જ હોયને?

પ્રમોશન સાથે ફરી એક વાર બદલી પામેલા પપ્પા સાથે 1986માં અમદાવાદ આવવાનું થયું. નવેસરથી આશા જાગી કે હવે કાકી સાથે કે તેમની નજીક રહેવા મળશે. જો કે પારિવારિક કારણસર પૌત્ર નીલ (સંદીપભાઈનો પુત્ર અને હું જેના પરિચયમાં આવ્યો તે પરિવારની ત્રીજી પેઢીનું પ્રથમ સંતાન)ની સંભાળ લેવાની જરૂર ઊભી થતા હસુકાકીને 1987માં પ્રથમવાર અમેરિકા જવાનું થયું. આરંભે એમ લાગતું હતું કે આ એક હંગામી વ્યવસ્થા છે પરંતુ બદલાતા સંજોગો વચ્ચે પહેલા કાકી, પારૂલભાભી, કાકા અને છેલ્લે ઇપ્સિત – વિનીતભાઈ પણ અમેરિકા સ્થાયી થતા તેમનું અમેરિકામાં રહેવું કાયમી થઈ ગયું.

એ જમાનો રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરીઅલનો હતો. ‘દૂરદર્શન’ પર પ્રસારિત થતી ટી.વી. સિરિઅલ કાકી નિયમિત જોતા. પહેલીવાર અમેરિકા જતા અગાઉ મને કહે કે ‘બાબા, તું મને આ સિરિઅલની વાર્તા કેવી રીતે આગળ વધે છે તે પત્ર લખીને જણાવતો રહેજે.’ આમ તો સંત તુલસીદાસની પ્રસિધ્ધ કૃતિ ને હિન્દુ ધર્મના ગ્રંથ એવા ‘રામાયણ’ના સૈકાઓથી ચાલી આવતા કથાનકમાં રામાનંદ સાગર નવું શું જણાવવાના હતા? પણ કાકીની ઇંતજારીને કારણે મને તેમને પત્રો લખવાની ટેવ પડી. ધીરે-ધીરે એમાં અમદાવાદની, ગુજરાતની, ભારતની સમાચાર જોગ ઘટનાઓને ઉમેરતો ગયો. પરિવારનજનોના સારા – માઠા જેવા હોય તેવા સમાચારો પણ લખતો. એ બધું વાંચવાની તેમને મઝા પડે છે એમ તરત મને ફોન કરીને જણાવતા અથવા કાકા પાસે પત્રના જવાબમાં લખાવડાવતા. મને પણ એમને પત્ર લખવાનો એવો આનંદ આવતો કે બે-ત્રણ પાનાથી શરૂ થયેલા પત્રો પછી છ-સાત પાના સુધી પહોંચ્યા હતા. સંદેશાવ્યવહારની સગવડો વધતાં અને ખાસ તો સસ્તા દરના ઇન્ટરનેટ ટેલિફોનનો વ્યાપ વધતાં પત્ર લખવાનું મારા પક્ષે ઓછું થતું ચાલ્યું. જો કે કાકી જેનું નામ...મને હંમેશા કહેતા રહેતા કે મારી એકલીના માટે પણ તું પત્ર લખ. જો કે ઇ-મેલ, ફેસબુક, ચેટીંગ અને વોટ્સઅપના જમાનામાં એ કદી શક્ય ન બન્યું.

મારી મમ્મી (સુધા પ્રફુલ મોદી) તેના લગ્નને યાદ કરતી વખતે પણ મહત્તમ રીતે તો કાકીને જ યાદ કરે છે. જૂની વાતોને સંભારતા મને – શિલ્પાને કહે છે કે, ‘આ મોદી કુટુંબમાં હું વીસ વર્ષની ઉંમરે પરણીને આવી ત્યારે તો મોટાભાઈ-ભાભીના લગ્નને પંદર ઉપરાંત વર્ષ થઈ ગયા હતા. સૌથી મોટા સંદીપભાઈ હાઇસ્કૂલથી આગળ ભણતા હતા.’ (હસમુખકાકા અને હસિતાકાકીની લગ્ન તારીખ : 13 ડિસેમ્બર 1949) ત્રણ સંતાનોના ખુદના પરિવારની સાથે એક નાના ભાઈ અને ચાર બહેનોના પરિવારની ઘણી બધી સાંસારિક જવાબદારીઓને નિભાવવાની સાથે કાકા-કાકીએ તેનું નવા પરિવારને જરૂરી એવું ઘડતર કર્યું, કયા સંજોગોમાં સાચવી અને જરૂર પડી ત્યાં છત્ર બનીને મા-બાપની જેમ જ ઊભા રહ્યા તેની વાતો કરતા મમ્મી થાકતી નથી.

શિલ્પા સાથે વિવાહ થયો તેને થોડો સમય વીત્યે લગ્નની તારીખ પણ નક્કી થઈ. શક્ય હોય તેવી તમામ સાદગીને અપનાવીને લગ્ન કરવા એવું અમારા બન્નેના પક્ષે દંપતિ બન્યા અગાઉથી નક્કી હતું. પરિવારજનોની મને-કમને પણ તેમાં સંમતિ હતી. આ બધું જ જાણતા હોવા છતાં હસુકાકી મોટાકાકાને ખાસ આગ્રહ કરી અમદાવાદ સુધી લઈ આવ્યા તે અમારા ચાર વ્યક્તિના પરિવાર માટે અતિ આનંદની ઘટના બની રહી. કદાચ એ જ કારણ હતું કે સાદાઈનો ખ્યાલ છતાં તેમની ઉપસ્થિતિને વધાવવા અમે મેરેજ રિસેપ્શન તેની પરંપરાગત શૈલીમાં નહીં પરંતુ મિત્રો – સગાં – સંબંધીઓ સૌ એક-બીજાને મળી શકે એ વિચારથી જ એક નાનકડો મેળાવડો લગ્નની સાંજે જ આયોજિત કર્યો હતો. કાકીએ તેમના આ લાડકા ‘બાબા’ને સાદાઇથી લગ્ન કરવાના ઇરાદાથી ચલિત કરવાનો એક પણ પ્રયત્ન કર્યો નહોતો. એમ કરવું તેમના હકમાં હતું છતાં મારા વિચાર નીચે અન્ડરલાઇન કરી કાકા-કાકીએ મને મોટી રાહત કરી આપી હતી.

ઘરની નજીકમાં આવેલી કોઈ જગ્યાએ પહોંચવા કે ઘર નજીક રહેતા તેમના (કાકીના) મામાને મળવા માટે કાઇનેટિક હોન્ડા સ્કૂટર પાછળ બેસવાની ફરમાઇશ કરતા કાકીને મારાથી પણ ઓછો પરિચય ધરાવતી શિલ્પા ભૂલી શકતી નથી. (કાઇનેટિક હોન્ડા પર બેઠેલા કાકી ઇપ્સિતભાઈની ઇન્ડ-સુઝુકી મોટર સાઇકલ પર બેસતા હતા એ દિવસોની યાદ અપાવતા હતા.) તેમણે આપેલી કેટલીક કિચન ટીપ્સને પણ શિલ્પાએ ગાંઠે બાંધી છે. ‘બાબા, તું અમેરિકા આવવાનો પ્રયત્ન તો કરી જો’ એમ અનેકવાર કહેતા કાકીને હું કાયમ કહેતો કે મારા એટલા બધા ભાઇઓ – બહેનો અમેરિકામાં છે કે તેઓ અહીં આવે ત્યારે ‘આવો’ કહેનારું પણ કોઈ જોઇશેને? એટલા માટે પણ મને અહીં ભારતમાં – અમદાવાદમાં રહેવા દો. અને આમ કાકી માની જતા. ઘણી બધી વાતે માની જતા કાકી મંદિરે નહીં જવાની કે નાથદ્વારાની ગીરદીમાં દર્શને નહીં જવા બાબતે કોઈની સલાહ ન માનતા. મોટાકાકા કહે તો પણ નહીં. મોટાકાકા આવી સલાહ મશ્કરીના અંદાજમાં જ આપે છે એવું પામી ગયેલા તેમના સહીતના અમે સૌ કોઈ ભાણા – ભત્રીજાઓ એમની તરફેણમાં દલીલો કરતા ત્યારે કાકી રાજી – રાજી થઈ જતા.

હા, એમને ખુશ કરી દે...રાજી રાખે તેવા ત્રણ સ્થળો ભારતમાં હતા – ગોધરા / Godhra, અમદાવાદ / Ahmedabad અને નાથદ્વારા / Nathdwara. અમેરિકામાં એવા ત્રણ સ્થળો તે લાન્સિંગ / Lansing, રાલે / Raleigh અને સિનસિનાટી / Cincinnati...ત્રણ દિકરાઓના ઘર. પત્રમાં કે ફોનની વાતચીતમાં ‘શ્રીનાથજી’ના દર્શને સાથે જવું છે એવી તેમની ઇચ્છા જુદા-જુદા કારણોસર તેમની ભારત મુલાકાત વખતે શક્ય નહોતી બની. હા, સાથે ગોધરા જવાનું એકથી વધુ વાર શક્ય બન્યું હતું.

કેટલીક ઘટનાઓની જીવનભર અસર અથવા તો યાદ કાયમ રહે છે એવું મેં મારી બાબતમાં નોંધ્યું છે. કેમ અને તે સારું છે કે ખરાબ તેની મને ખબર નથી અને એવી કોઈ ફોર્મ્યૂલા હોય તો તે કેટલી જડબેસલાક છે તેની મને માહિતી નથી. વાત એમ છે કે ગોધરા પહોંચીએ તે પહેલા ડાકોરની એક મુલાકાતમાં દર્શન કર્યા પછી કારની પાછળની સીટમાં તેઓ પૂર્ણપણે બેસી જાય એવી કોઈ દરકાર રાખ્યા વગર જ ડ્રાઇવરે ગાડી સહેજ આંચકા સાથે ચલાવી અને કાકી પડી ગયા. કોઈ ઇજા વગર બચી ગયા, સલામત હતા. એ પછી મેં તેમને કારમાં બેસાડ્યા એ સાથે જ એમણે મને દરવાજો બંધ કરતો અટકાવી દીધો. મને કહે, ‘ના. દરવાજો હું જાતે જ બંધ કરીશ. અમેરિકામાં કારમાં બેસતી વખતે કોઈ બીજાએ દરવાજો બંધ કર્યો તો મારી આંગળી ચગદાઈ ગઈ હતી.’ એમ કહીને તેમણે મને કારના દરવાજા અને બોડી વચ્ચે પીસાઇને વાંકી વળી ગયેલી ઇજાગ્રસ્ત આંગળી બતાવી. આ ઘટના જાણ્યા પહેલાથી કાર ચલાવતો હું તેમની આ વાત સાંભળ્યા પછી પણ ગાડી તો ચલાવું જ છું. પણ હવે ગાડીમાં બેસનાર સૌ બરાબર બેસી-ગોઠવાઈ ગયા છે તેની ખાતરી કર્યા પછી હું છેલ્લે જ ડ્રાઇવર સીટ પર બેસું છું. અને હા, દરવાજો પણ જે-તે વ્યક્તિને જ બંધ કરવા દઉં છું. દરકાર ગણો તો એ અને શીખવાનું ગણો તો એ પણ તે અજાણતાં પણ હું શીખ્યો છું તો કાકીની આ વીતકકથા પરથી. આ ઘટના – વાતને તેમના પ્રભાવ તરીકે પણ ખતવી શકાય એમ છે. એટલા માટે કે તેમનો આવો પ્રભાવ મારા પપ્પા પર પણ હતો જે વાતનો આગળ ઉલ્લેખ કર્યો છે. મોટા ભાઈ અને ચાર મોટી બહેનોના પરિવારમાં પપ્પાને ‘પ્રફુલભાઈ’નું માનાર્થે સંબોધન કરનાર એક જ વ્યક્તિ હતા – હસિતા હસમુખ શાહ. માત્ર અમારા જ નહીં, ઘણા બધાના સુખનું સરનામું એવા હસુકાકીને અલવિદા.
(તસવીર : શાહ પરિવારના સૌજન્યથી)


Wednesday, November 30, 2016

ફોઇનું નામ – વસુમતી : સરનામું – સાબરમતી

[vc_row row_height_percent="0" overlay_alpha="50" gutter_size="3" shift_y="0"][vc_column][vc_column_text]

[caption id="attachment_48371" align="aligncenter" width="240"]vasumati-shah વસુમતી નવીનચન્દ્ર શાહ / Vasumati Navinchandra Shah 31-08-1937થી 01-12-2015[/caption]

ગોધરામાં જન્મેલા, સ્કૂલે ગયેલા, પૂનામાં કૉલેજ ભણેલા વસુફોઈ લગ્ન કર્યાના બીજા દિવસથી અમદાવાદના સાબરમતીમાં રહેવા આવી ગયા હતા. એમ તો એ નવા વાડજમાં પણ રહ્યા અને ઇઠ્યોતેર વર્ષની ઉંમરે વસ્ત્રાપુરના ઘરમાં અવસાન પામ્યા ત્યારે ત્રણ દીકરીઓ અને એક દીકરાનો પરિવાર સાથે હતો. ચાર સંતાનોની માતા એવા ફોઇએ પાંચ બાળકોને લાડ-પાન લડાવ્યા, જીદ – માગણી સંતોષી, સાથે બેસાડીને ભણાવ્યા અને વખત આવ્યે સૌને પોતપોતાના જીવનમાં થાળે પણ પાડ્યા. આ પાંચમું બાળક એટલે મારા પપ્પા સદગત પ્રફુલભાઈ મોદી. ઉંમરમાં પપ્પાથી માત્ર ત્રણ વર્ષ મોટા વસુફોઇને તેમનાથી મોટી ત્રણ બહેનો (સ્વ. મધુકાન્તાબહેન પરીખ, સ્વ. જસુબહેન પરીખ, ચંપાબહેન પરીખ) અને એક મોટાભાઈ હસમુખભાઈ શાહ.

ઉંમર – અવસ્થાને કારણે બા – દાદા (લલિતાબહેન અને મહાસુખલાલ શાહ)ને વતન ગોધરાના ઘરમાં એકલા રાખવાનું કે અન્ય સ્વજનોની જવાબદારી પર છોડવાનું શક્ય નહોતું. બૅન્ક ઑફ બરોડાની નોકરીમાં પ્રમોશન / બઢતી મળતા મોટાકાકાને પૂના જવું અનિવાર્ય થયું ત્યારે તેઓ તેમનાથી નાના ભાઈ – બહેનને પણ સાથે પૂના લઈ ગયા. પ્રફુલ અને વસુ. બન્નેના સ્કૂલથી આગળના અભ્યાસ માટે પણ એ જરૂરી હતું. ફોઈ બી.એ થયા અને પપ્પાએ વાયરલેસ ઓપરેટરનો કોર્સ કર્યો. પૂનાથી મોટાકાકાની બદલી લંડનની બ્રાન્ચમાં થતા બા-દાદા અને ભાઈ-બહેન ગોધરા પરત આવ્યા.

લગ્નની સુવર્ણજયંતિ ઉજવીને વિદાય થયેલા વસુફોઈ પચાસ વર્ષ પહેલા પરણીને અમદાવાદ આવવાના હતા તેના દિવસો અગાઉથી તેમને ઘર-પરિવાર અને બહેનપણીઓ પાસેથી ખૂબ બધી સલાહો મળવા લાગી હતી. તેનું એકમાત્ર કારણ નાની ઉંમર અને ગોધરા જેવા પ્રમાણમાં નાના ગામથી અમદાવાદ જેવા મોટા શહેરમાં કરવાનું લગ્ન સ્થળાંતર. જો કે પાછલા વર્ષોમાં ફોઈએ એકવાર મને કહ્યું હતું કે અમદાવાદ આવીને રહેવાની તેમને પોતાને કોઈ ખાસ ફીકર નહોતી. કેમ કે તેમનાથી મોટા જસુબહેન અને માસીયાઈ બહેન (બીજા સગપણે જેઠાણી) ચંપાબહેન / http://binitmodi.com/2016/03/%E0%AA%9A%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE-%E0%AA%85%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BF%E0%AA%82%E0%AA%A6%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B9-%E0%AA%89%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AB%E0%AB%87/ પહેલેથી અમદાવાદમાં જ રહેતા હતા અને તેમનો સાથ મળી રહેવાનો હતો તેની ખાતરી હતી.

એમ તો પરિવારના સૌ કોઇને જ તેમનો સાથ જીવનભર મળી રહેવાનો હતો. તેમના પરિચયમાં આવનારું ભાગ્યે જ કોઈ એવું હશે જેને વસુફોઈ મદદરૂપ ન થયા હોય. સાજા સમા હોવ કે માંદગી, સારો – માઠો કોઈ પણ પ્રસંગ હોય, અમદાવાદમાં કે ક્યાંય પણ...તેમના ખુદના વિષમ સંજોગો હોય તો પણ વસુબહેન મદદ કરવા આવી પહોંચશે તેવી ખાતરી રાખી શકાતી. આવી ખાતરી એટલા માટે પણ રાખી શકાતી કેમ કે ફોઈના ઘરમાં તેમના સાસુ ચંદનબા હતા. નીતા – લીનાબહેનના લગ્ન થયા ત્યાં સુધી...અરે...નીકીનો (લીનાબહેનની દીકરી) જન્મ થયો ત્યાં સુધી હતા. ચંદનબા...ચંદનબહેન નટવરલાલ શાહ...ખૂબ મળતાવડા. નજીક જઇને મળીએ એટલે હેતથી માથે હાથ ફેરવે. એક વાર એવું થયું કે ફોઈના સાબરમતીના ઘરમાં આરામખુરશીમાં બેઠેલા પપ્પાના માથા પર રેડિયો પડ્યો. શૉ કેઇસમાં ગોઠવાયેલો, વાલ્વવાળો, મલ્ટીબૅન્ડ એવો વજનદાર રેડિયો. શૉ-કેઇસના નકુચા ઢીલા પડ્યા હશે તે પપ્પાના માથા પર પડ્યો. ચંદનબા ક્યાંય સુધી પપ્પાના માથે હાથ ફેરવતા રહ્યા હોય એવું સાત-આઠ વર્ષની ઉંમરે જોયેલું દ્રશ્ય યથાતથ યાદ છે. સાથે – સાથે પૂછતા પણ જાય...“ભઈ, બવ વાગ્યું...નહીં?”

ફોઈના ખુદના બા બન્યાના અડતાલીસ કલાકમાં જ ચંદનબા ચાલ્યા ગયા. એમ વિચારીને કે, ‘વસુ’ પોતે પણ બા બની ગઈ તો હવે એક ઘરમાં બે બાનું શું કામ છે? ચંદનબાને તેમની ઇચ્છા મુજબની ધર્મયાત્રા કરાવવા નવીનફુઆ – વસુફોઈએ અંગત પ્રશ્નો જો કોઈ હોય તો તેને પણ તત્કાળ તો દૂર હડસેલીને તેમને જાત્રા કરાવવાને જ પ્રાધાન્ય આપ્યું હતું.

પારસી ચાલ સ્થિત ફોઈના સાબરમતીના ઘરે મોટેભાગે ઉનાળા વૅકેશન દરમિયાન મારે રહેવા જવાનું થાય. સાંજ પડ્યે ઠંડા પહોરે બા (ફોઈના સાસુ) રામનગર – જવાહરચોકના રામજી મંદિર દર્શને મને, દિવ્યાંગને અને ગોપીબહેનને લઇને જાય. ઘરે પાછા વળતા બાળકોને પિપરમિન્ટ વહેંચતા દાદાના ઘર પાસે અવશ્ય ઊભા રહે. દાદા આઘા-પાછા હોય તો રાહ જોઇને પણ પિપરમિન્ટ લઇને જ આગળ વધવાનું એવો ચંદનબાનો આગ્રહ રહેતો. આજે પિસ્તાલીસ પાર કર્યા પછી એવું લાગે છે કે આ તેમણે આપેલા સંસ્કાર હતા. આજે પણ ઘરમાં અરવિંદફુઆ, ગિરીશભાઈ કે તેમના જેવા કોઈ વડીલ પાસેથી મળ્યાની પાંચમી – દસમી મિનિટે પિપરમિન્ટ ન મળે તો માગી લેતા કોઈ સંકોચ નથી થતો. શેને માટે થવો જોઇએ?

સગપણમાં ભાભી એવી મારી મમ્મી સાથે ફોઇને બહેનપણા હતા. ઉંમરમાં ઘણો બધો તફાવત નહીં હોવાનો કે એક જ પરિવારના સૌથી નાના ભાઈ-બહેન હોવાનો આ આડકતરો લાભ હતો. એ પણ સમજાય છે કે ફોઈની વિદાય પછી મમ્મી (સુધાબહેન મોદી) માટે કપરો સમય છે. છેલ્લા દાયકામાં ફોઈ-ફુઆ પરિવાર સાથે વસ્ત્રાપુર રહેવા આવી ગયા પછી તો ભૌગોલિક અંતર પણ ન રહ્યું જે એક જમાનામાં સિત્તેરના દાયકામાં જોજનો જેવું લાગતું હતું. કેમ કે અમે મણિનગર રહેતા અને વસુમતીફોઈ સાબરમતી.

સ્ટેટ બૅન્કની નોકરીમાં બઢતીના વર્ષો અમદાવાદ બહાર ગાળ્યા પછી પુનઃ એકવાર પપ્પાની બદલી અમદાવાદ થઈ ત્યારે વસતી, વિસ્તાર અને સમૃધ્ધિથી ફાટ-ફાટ થતા અમદાવાદમાં આશરો આપનારું ઘર તાત્કાલિક મળે એમ નહોતું. બૅન્ક પણ એ વ્યવસ્થા ચોક્કસ સમયગાળા પછી જ કરી શકે તેમ હતી. એવો લાભ લેવા જતાં અમદાવાદ જેવા શહેરમાં થયેલી બદલી અને કાયમી વસવાટની તક ગુમાવવી પડે તેમ હતી. એ સમયે વસુફોઈ જ પપ્પાની મદદે આવ્યા. પપ્પા સાબરમતીના ઘરમાં છ મહિના ઉપરાંતના સમય માટે રહ્યા. ટીફીન ખાવાની ટેવ ન ધરાવતા પપ્પાને (પ્રફુલ મોદી / http://binitmodi.com/2013/10/%E0%AA%AA%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D/) નવ-સાડા નવે ગરમાગરમ થાળી પીરસીને બૅન્કમાં મોકલતા રહ્યા. એટલે તો કહું છું કે ચાર સંતાનોના મમ્મી એવા વસુફોઈએ પાંચ જણને થાળે પાડ્યા હતા. ખોટું કહ્યું?

વસુફોઈની વાત જેમ એમના સાસુના ઉલ્લેખ વગર થઈ શકતી નથી તેમ એમના મદદગાર થવાના એકાધિક પ્રસંગો વગર પણ થઈ શકે તેમ નથી. મહેમાનની અવર-જવર વધવાની હોય ત્યારે પણ એમની મદદ લઈ શકાય અને માંદગીના દહાડા ટૂંકા કરવા માટે પણ. અથાણાની ધોમધખતી સિઝનમાં પણ તેમને યાદ કરી શકાય અને દિવાળીના નાસ્તા બનાવવાની તૈયારી કરતી વખતે પણ. દિવાળીના દિવસો પછી તરત વિદાય પામેલા વસુફોઈનું જેવું હેત મારા પપ્પા પામ્યા એવો લાભ અનિશા – દિવ્યાંગની પુત્રી ધૃવિશા અને પુત્ર ધૈર્ય તેમજ દોહિત્ર તપનના (નીતાબહેનનો દીકરો / http://binitmodi.com/2013/12/%E0%AA%A8%E0%AB%80%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%80%E0%AA%96-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AC%E0%AA%B9%E0%AB%87%E0%AA%A8-%E0%AA%AA/) સંતાન જાહનવી સુધી પહોંચ્યો એ અમારે પરિવારને મન મોટી દિવાળી છે.[/vc_column_text][/vc_column][/vc_row]

Monday, March 28, 2016

ચંપા અરવિંદલાલ શાહ ઉર્ફે ચંપા સાકરલાલ મોદી ઉર્ફે ચંપાફોઈ રાણીપવાળા...

ચંપા અરવિંદલાલ શાહ / Champa ArvindLal Shah

04-08-1931થી 18-03-2016

મારે બે ચંપાફોઈ છે. એક તે પપ્પાના સગા બહેન (ચંપાબહેન કંચનલાલ પરીખ) જેઓ હાલ અમેરિકામાં વસે છે. બીજા તે પપ્પાના પાલીમાસીની દીકરી બહેન એમ એ સગપણથી થતા ચંપાફોઈ. વતન ગોધરાના કાજીવાડા (આજે શ્રીજીવાડા તરીકે ઓળખાતું ફળિયું)માં સાથે જ રહેલી, ઉછરેલી, ભણેલી બન્ને માસિયાઈ બહેનો વચ્ચે બહેનપણાનું પ્રમાણ વધુ હતું. કાળક્રમે આમ તો બન્ને ચંપાફોઈ અમેરિકા જઈ દીકરા સાથે રહ્યા પણ અમદાવાદવાળા ચંપાફોઈની ઓળખાણ આ રીતે અપાતી – રાણીપવાળા ફોઈ, ચંપા અરવિન્દ શાહ / Champa Arvind Shah.
હા, રાણીપનું / Ranip, Ahmedabad નામ પાડ્યા વગર તેમની વાત થઈ શકે તેમ નથી. આજે 2016માં એકવીસમી સદીનો દોઢ દાયકો વીતી ગયા પછી પણ કોઈના મોંઢે એમ સાંભળું કે ‘છોકરીના ઘરનું ના ખવાય’ અથવા તો ‘છોકરીના ઘરે મા-બાપથી ના રહેવાય’, તો આ વાક્યો સાંભળીને બોલનાર પર ગુસ્સો તો પાછળથી આવે પણ પહેલા ચંપાફોઈ યાદ આવે. પાલીમાસી – સાકરમાસા, તેમના મા-બાપને તેઓ હક્કપૂર્વક કહેતા કે પાલી-કાકા વર્ષે એકવાર તો અઠવાડિયું – પખવાડિયું તમારે મારી સાથે રહેવા અમદાવાદ આવવાનું જ. સગવડે તેમને શહેરમાં ફરવા પણ લઈ જતા. જો કે મોટાભાગના સગાં – સંબંધી તેમને રાણીપ, ગીતાંજલિ સોસાયટીના ઘરે જ મળવા જતા. એ રીતે 1986 – 1987ના ગાળામાં પાલીમાસી – સાકરમાસાને આખરીવાર અમદાવાદમાં જોયા હશે.
30 ડિસેમ્બર 2015થી 3 જાન્યુઆરી 2016 વચ્ચે પાંચ દિવસ માટે વતન ગોધરામાં યોજાયેલા કુટુંબમેળા ‘Modi – Mody Reunion’ / http://www.modimody.com/ માં સાકરમાસા – પાલીમાસીની સાથે ચંપાબહેનને તેમનાથી નાના છ ભાઈ-બહેનોની (વિનોદ – અરૂણ – અનિલા – સતીષ – બટુક અને યોગેશ) સંભાળ લેનાર – દરકાર કરનાર એક માત્ર બહેન રૂપે યાદ કરવામાં આવ્યા. (વાંચો વિનોદ મોદી વિશે / Vinod Mody / http://www.binitmodi.blogspot.in/2014/02/blog-post.html) પાલીમાસીના સતત માંદગીભર્યા સંજોગોને લઇને આમ કરવું જરૂરી હતું અને એ જવાબદારીને સુપેરે સંભાળી લેનાર મોટી બહેન માટે સૌથી નાના ભાઈ ડૉ. યોગેશ મોદીએ / Yogesh Mody એમ કહ્યું કે, ‘અમારા માટે તો ચંપાબહેન એટલે મા પછીની મા’. કાર્યક્રમના એક તબક્કે બહુ ગૌરવપૂર્વક તેમને યાદ કરવામાં આવ્યા કે, જે કંપાઉન્ડમાં ભેગા થઈને આજે આપણે જલસો કરી રહ્યા છીએ તેમાંના બંગલાની ટાઇલ્સ ઘસવા ચંપાએ બહેન સુમતીની / Sumatiben Shah / http://www.binitmodi.blogspot.in/2014/12/blog-post.html સાથે જાત ઘસી નાખી હતી. ચીંધેલા કામ માટે કે જાણ્યા – અજાણ્યા પરિચિતોને ખપમાં આવવા જાત ઘસી નાખવાનો સિલસિલો ફોઈ પરણીને અમદાવાદ આવ્યા તે પછી પણ ચાલુ રહ્યો.
અગિયાર ભાઈ-બહેનોમાં ચોથા નંબરે આવતા ચંપાબહેન / Champa Arvind Shah વતન ગોધરાથી / Godhra પરણીને અમદાવાદ / Ahmedabad આવ્યા (લગ્ન તારીખ 12 ફેબ્રુઆરી 1955) ત્યારે પહેલા સાબરમતી / Sabarmati અને તે પછી રાણીપ રહેવા ગયા. કુટુંબમાં ભણતરને, વિશેષપણે ભાઈઓના અભ્યાસને જોઇને અમદાવાદ આવ્યા હતા એટલે ભણતરની મહત્તાને સમજતા હતા. ઉચ્ચ અભ્યાસ કરતા તેમનાથી નાના ભાઈ અરૂણ / Arun Mody, રતિકાકાના દીકરા ચીનુ / Chinoo Modi અને ઓચ્છવકાકાની દીકરી લતા (હાલ લંડનમાં રહેતા ડૉ. લતા તુષાર ભટ્ટ / Lata Tushar Bhatt) ને ભણતરમાં તો તે મદદરૂપ થઈ શકે એમ નહોતા. પરંતુ એવો આગ્રહ જરૂર રાખતા કે શનિ-રવિની રજામાં હોસ્ટેલ છોડીને ભાઈ-બહેન તેમના ઘરે આવે. ‘અઠવાડિયે એક વાર પણ ઘરના રોટલા ખાશો તો ભણવામાં મન સારું લાગશે’ એવો તેમનો સાદો તર્ક રહેતો. નવાઈ લાગે પણ તેમના આ તર્ક – ડહાપણનો લાભ પછીની પેઢીના ભાણા – ભત્રીજાઓને પણ મળ્યો. જેમ કે વી.એસ. હોસ્પિટલમાં મેડિકલનો અભ્યાસ કરતા રાજેશભાઈ / Rajesh Parikh (મધુકાન્તા નટવરલાલ પરીખ ઉર્ફે બબુફોઈના દીકરા, હાલ સુરત) અને એમ.કોમ તેમજ અકાઉન્ટન્સીનો વિશેષ અભ્યાસ કરતા મીનેષભાઈ / Minesh Mody (ઉર્મિલા અને સુરેન્દ્ર સાકરલાલ મોદીના દીકરા, હાલ અમેરિકા) એ દિવસોને યાદ કરતા આજે પણ કહે છે કે ચંપાફોઈ સહિતના કેટલાક પરિવારજનોના ઘર અમદાવાદમાં હોવાના કારણે અમારી કારકિર્દી સરળતાથી આગળ ચાલી. અમને ઘર-ગામ જલદીથી યાદ નહોતું આવતું.
ભાઈ કે ભાણા – ભત્રીજાઓને ચંપાફોઈનો જે લાભ ભણતી વખતે મળ્યો હતો તે મારા પપ્પા સ્વ. પ્રફુલ મોદીને / Praful Modi / http://www.binitmodi.blogspot.in/2013/10/blog-post_23.html નોકરીના વર્ષો દરમિયાન મળ્યો. સ્ટેટ બૅન્કની નોકરી દરમિયાન પપ્પા રાણીપ શાખામાં મેનેજરના હોદ્દા પર હતા. 1987 – 1988ના સમયમાં રાણીપ આજના જેટલું વિક્સેલું નહીં એટલે રાણીપ ગામની બૅન્કની નોકરી રાજાના રજવાડા જેવી હતી. સમજોને કે એવું રજવાડું કે પપ્પા દરરોજ બપોરે બહેનના ઘરનો ચા – નાસ્તો કરવા જઈ શકતા હતા. આંગણે આવેલા અતિથિને ખવડાવી – પીવડાવીને વિદાય આપવાના ફોઈ એટલા આગ્રહી હતા કે અઠવાડિયે – પંદર દિવસે તેઓ પપ્પાને અચૂક આગ્રહ કરે કે, ‘પ્રફુલ, સુધાને બસ-રીક્ષામાં રાણીપ પહોંચવાનો ફોન કરી દે. સાંજે જમવાનું અમારી સાથે.’ આટલું કહીને બીજા કામે કે વાતે વળગી જાય તો એ ચંપાફોઈ નહીં. પ્રફુલ ફોન કરે પણ ખરો અને મોટે ભાગે ના પણ કરે એવી પાકી ખાતરી ધરાવતા તેઓ જાતે જ મમ્મીને ફોન કરીને હુકમની બજવણી કરી દે.
ચંપાફોઈ માટે એમ પણ કહી શકાય કે ટેલિફોનનો સંશોધક એલેકઝાન્ડર ગ્રેહામ બેલ / Alexander Graham Bell જન્મ્યો ન હોત તો ફોઈએ આ દુનિયામાં આવવાનું જ માંડી વાળ્યું હોત. ફોન હાથવગો હતો તો નંબરો એમને મોંઢે રહેતા હતા. ડાયરી જોવાની જરૂર ના પડે. પાંચસો ઉપરાંત પરિવારોમાં ફેલાયેલા ગોધરાના વતનીઓ વિષેના સાજા સમાના – માંદગીના, સારા – નરસા, જૂના – નવા બધા જ સમાચારો તેમની પાસેથી મળે. વાત-વિગત જાણીને બેસી રહેવાનું તેમના સ્વભાવમાં નહોતું. જરૂર જણાય ત્યાં મદદરૂપ થવા પહોંચી જાય. વતનથી આવતા દૂર-સુદૂરના સગાં-સંબંધી કે ભાઈ સુરેન્દ્ર / Surendra Mody / http://www.binitmodi.blogspot.in/2013/07/blog-post_30.html અને સગપણમાં નાનાકાકા થતા એવા નગીનકાકાની તેમણે દોઢ-બે મહિનાથી લઇને સળંગ ચાર-પાંચ મહિનાના ગાળા માટે સંભાળ લીધી હોય તેવા એકથી વધુ દાખલા જાણવા મળે છે. અમદાવાદ જેવા વસતી અને વિસ્તારની રીતે ફાટ-ફાટ થતા શહેરમાં ટાંચા સાધનો વચ્ચે, સ્કૂટર જેવી આજે પ્રાથમિક ગણાતી સગવડ વિના ઘરથી હોસ્પિટલ સુધી એ.એમ.ટી.એસની બસમાં ટીફીન સાથે દોડાદોડ કરતા ચંપાફોઈને પડતી મુશ્કેલીઓ-વિપદાની આજે તો માત્ર કલ્પના જ કરવાની રહે.
જસુફોઈ – કાન્તિલાલ પરીખ, હસમુખભાઈ શાહ – હસિતાકાકી (મારા મોટાકાકા – કાકી), ‘નાનુકાકા’ના હુલામણા નામથી જાણીતા હસમુખભાઈ મહેતા – ડૉ. કુસુમકાકી નાયક, ચંપાફોઈ – અરવિંદફુઆ અને તબીબી પ્રૅક્ટિસમાં આગવું નામ ધરાવતા ડૉ. ચીનુકાકા અને ડૉ. હંસાકાકી મોદી...આ પાંચ પરિવાર – દંપતી વચ્ચે એવી એક અવ્યક્ત સમજણ હતી કે એક-બીજાના સુખ – દુઃખમાં હંમેશા એકબીજાની પડખે રહેવું. કદાચ આ હૂંફને કારણે જ અમદાવાદ જેવા શહેરમાં પણ તેમનો સમય બહુ સરળતાથી વીત્યો. એવી સરળતાથી કે ઓરમુ, બાફેલો લોટ (ખીચુ), હાંડવો, મકાઇનો દાણો અને જાડા મઠિયા જેવી પરંપરાગત વાનગીઓ ખાવાની ફરમાઇશ અડધી રાતે પણ એકબીજાને કરી શકે અને એ ફરમાઇશ પાછી પૂરી થાય પણ ખરી. એવી ફરમાઇશ કે જે ખિસ્સામાં છલોછલ રૂપિયા સાથે હોટલમાં કદી ન પૂરી થાય. એવા છલોછલ રૂપિયા તો આ સૌ પાસે પણ ક્યાં હતા? હા, એમનો વૈભવ અકબંધ હતો.
અમદાવાદમાં મારા પપ્પા પોતાનું કહી શકાય એવું ઘરનું ઘર લઈ શક્યા તેનો સઘળો શ્રેય આ ચંપાફોઈને જાય છે. રાણીપમાં / Ranip, Ahmedabad એ સમયે તેમના ઘરની સામે જ ફ્લેટ – અપાર્ટમન્ટની હારમાળા બંધાતી જતી હોય. તેઓ કાયમ કહે કે ‘પ્રફુલ, આમાંનો એક ફ્લેટ તું નોંધાવી દે. બૅન્કવાળાને રૂપિયાની તકલીફ ના હોય. હોય તો મને કહે. હું સગવડ કરી દઉં.’ બેશક આ કોઈ ઠાલા વાક્યો નહોતાં. બિલકુલ જવાબદારી પૂર્વક બોલાતા શબ્દો હતા અને એમ બોલનારા તેઓ એકલા જ હતા. સામે પક્ષે રાણીપમાં મકાન ખરીદવા બાબતે તે આગ્રહી પણ નહોતા. કેમ કે તેમને ખબર હતી કે થોડાં વર્ષોમાં તેઓ પોતે જ દીકરા નૈલેશ પાસે કાયમી ધોરણે અમેરિકા રહેવા – સ્થાયી થવા જવાના છે.
આગળ જણાવ્યું તેમ ભણતરનું મહત્વ તેઓ એવું સમજતા અને સામેનાને સમજાવતા કે ભણવામાં દાંડાઈ કરતા કેટલાક ભાણા – ભત્રીજા રીતસર તેમનાથી ડરતા. સ્કૂલના ખરાબ પરિણામ સાથે જો ચંપાફોઈની અડફેટે આવી ગયા તો મર્યા સમજો. કૌટુંબિક સંજોગોને કારણે અમેરિકા જવાની ઉજળી તકો સામે દીકરા નૈલેશને / Nailesh Arvind Shah તેમણે એકથી વધુ વાર તાકીદ કરતા સમજાવ્યું હતું કે અમદાવાદથી વજનદાર ડીગ્રી લઈને અમેરિકા જવાનું કેટલું ઉપયોગી છે.
અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપની (હવે ટોરન્ટ પાવરથી ઓળખાતી)ની નોકરીમાંથી 1990માં અરવિંદફુઆ / Arvind Shah વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા. એ પછી ચંપાફોઈ-ફુઆ કાયમ માટે અમેરિકા ગયા. તેમનું આ સ્થળાંતર નૈલેશભાઈ અને ડૉ. સોનલભાભીની / Sonal Nailesh Shah વ્યવસાયી કારકિર્દી માટે આશિર્વાદરૂપ નીવડ્યું. મમ્મી – પપ્પાના સાથ-સંગાથથી તેઓ બન્ને ઉચ્ચ કારકિર્દીના દરેક પડાવ સરળતાપૂર્વક, બીનજરૂરી સંઘર્ષ વિના પાર પાડી શક્યા તેવું શાહ દંપતી ગૌરવપૂર્વક આજે પણ યાદ કરે છે. તેમના સંતાનો અંજલી / Anjalee – શાલિનને / Shalin પણ બા-દાદાની એવી તો અભૂતપૂર્વ કંપની મળી કે બાળપણના ધીંગા-મસ્તીના, ભણવામાં પા...પા...પગલી માંડવાના, સંસ્કાર સિંચનના કે ઉચ્ચ કારકિર્દી માટે અગત્યનો કહી શકાય તેવો કિશોરાવસ્થા સુધીનો ગાળો તેમના માટે યાદગાર બની રહ્યો. એવો યાદગાર જે આજન્મ ભૂલી ન શકાય.
સ્વજનોને મળવા તેમજ ચારધામયાત્રાના એક અધૂરા પડાવને પૂર્ણ કરવા ફોઈ-ફુઆ 2003માં એકાદ વર્ષ – બાર મહિના માટે જ કર્મભૂમિ અમદાવાદ આવ્યા હતા. ઑક્ટોબર 2004માં અચાનક આવી પડેલી માંદગીએ તેમના અમદાવાદ વસવાટને 2004ના અંતભાગથી 2016ના પ્રારંભ – મૃત્યુશૈયા સુધી લંબાવી દીધો. આ દરમિયાન ચાલેલી એમની માંદગી અને અવ્યક્ત પીડાનો તો કોઈ હિસાબ નથી. પરંતુ તેમની જીવનીનો થોડો હિસાબ – હિસ્સો લખાય એવી નૈલેશભાઈની ઇચ્છાને પૂર્ણ કરવી તેને હું મારું કર્તૃત્વ સમજું છું. આટલું લખીને મેં શરૂઆત કરી આપી છે. એમાં પરિવારજનો – પરિચિતો પણ જોડાય તો ઉત્તમ. તેમની માંદગીના પ્રારંભિક દિવસોમાં પરિવારના ડૉ. ચીનુકાકા મોદી / Chinoo Modi, ડૉ. કુસુમકાકી મહેતા – નાયક / Kusum Naik – Mehta, ડૉ. રાજેશ પરીખ / Rajesh Parikh અને વિશાળ મોદી પરિવારના અમેરિકા સ્થિત ડોક્ટરો તરફથી પ્રાપ્ત સલાહ – મદદની નોંધ લેવા માટે આ જગ્યા નાની પડે.
એ જ ક્રમમાં વ્યવસાયે ખુદ ડેન્ટીસ્ટ એવા ડૉ. સોનલભાભીના અમદાવાદ સ્થિત ડેન્ટીસ્ટ મિત્ર ડૉ. શૈલેશભાઈ શાહ / Shailesh Shah, ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. કલ્પેશ પટેલ / Kalpesh Patel, ક્રિષ્નાબહેન પરમાર, બહેન શ્યામલી સહાના, આનલબહેન પંચાલ તરફથી સતત સારવારની અને બહેન કમુબહેન સોની, તેમના પુત્ર નિલેશ / Nilesh Soni અને ગીતાબહેન દવે તરફથી ઘરકામ સહયોગની મદદ અવિરત મળતી રહી.
સગપણમાં મારા સગા ફોઈ એવા વસુફોઈ ચંપાફોઈ સાથે ડબલ સગાઈ ધરાવતા હતા. પરણ્યા પછી માસિયાઈ બહેન સાથે નવું સગપણ ઉમેરાયું – દેરાણી જેઠાણીનું. હા, વસુફોઈના જેમની સાથે લગ્ન થયા તે નવીનચંદ્રફુઆ અરવિંદફુઆના સગા નાનાભાઈ થાય. એ નાતે બન્ને બહેનો દેરાણી-જેઠાણી થઈ. મને આ ડબલ સગાઈ વિશે મોડી-મોડી ખબર પડી હતી. નીતા / Nita Anil Parikh / http://www.binitmodi.blogspot.in/2013/12/blog-post.html -લીના-ગોપી-દિવ્યાંગને તેમના કાકા-કાકી (અને માસી-માસા પણ ખરા) એવા ચંપાફોઈ-ફુઆ માટે ‘બેન-કાકા’ એવું સંબોધન સાંભળતો થયો અને સવાલ કર્યો ત્યારે મમ્મી-પપ્પાએ મને આ ડબલ સગાઈના સંબંધની જાણ કરી હતી.
ચંપાફોઈની માંદગીના વર્ષો દરમિયાન જ વિદાય પામેલા નવીનફુઆ / Navinchandra Shah (વિદાય વર્ષ 2012) અને વસુફોઈ / Vasumati Shah (વિદાય વર્ષ 2015)ની હૂંફ અને જરૂર પડ્યે સહયોગ મોટાભાઈ અરવિંદભાઈને મળતો રહ્યો. ઉપર જેમનો ઉલ્લેખ કર્યો તે બહેનો નીતા-લીના-ગોપી અને જમાઈઓ અનિલ પરીખ / Anil Parikh – સંજય શાહ / Sanjay Shah અને નીકેશ શાહ / Nikesh Shah, તેમના સંતાનો દોહિત્રા તપન / Tapan Parikh, હર્ષલ / Harshal Shah, મનન / Manan Shah, નીકી ઉમંગ શાહ / Niki Shah – Umang Shah અને ભાઈ દિવ્યાંગ / Divyang Shah – અનીશા દિવ્યાંગ / Anisha Shah સહિતના બૃહદ શાહ પરિવારના સ્વજનોએ આપેલા સહયોગ – પ્રદાનને સમાવી લેવા આવો જ બીજો લેખ લખવો પડે અને તેનો પનો પણ ટૂંકો પડે તેની મને ખાતરી છે. જો કે એક વિશેષણનો ઉલ્લેખ કરવો રહ્યો કે મોદી પરિવારના જમાઈઓને સુરેન્દ્રકાકા બહાદુર’ શબ્દની નવાજેશ કરીને જ બોલાવતા હતા.
નૈલેશભાઈએ નહીં, વિશેષ આભાર મારે નારણપુરાના આકાશ – 3 અપાર્ટમન્ટ પરિવારનો માનવાનો છે. રાણીપની ગીતાંજલિ સોસાયટીનું ઘર છોડ્યા પછીની આ જગ્યાએ ચંપાફોઈ આખર સુધી રહ્યા. પાર્કિંગ એરિયામાં ધીંગા – મસ્તી કરતા બાળકો અને કોમન પ્લોટમાં થતા ભજન – કિર્તન, હોમ – હવન, નવરાત્રિ જેવા જાહેર આયોજનો અને તેમાંથી રેલાતા સૂર ફોઈની રહી-સહી ચેતનાને માંદગીના – સારવારના આ વર્ષો દરમિયાન સંકોરતા રહ્યા.

એક અંગત પીડા પણ ફોઈની સાથે જ જોડાયેલી છે. તેમના જેવા જ કારણોસર અને ઑક્ટોબર – નવેમ્બર 2004ના એ જ ગાળામાં ગંભીર માંદગીમાં પટકાયેલી મારી પત્ની શિલ્પાને / Shilpa Binit Modi યુવાન – નાની ઉંમર હોવાને કારણે સ્ટર્લિંગ હોસ્પિટલની / Sterling Hospitals / http://www.sterlinghospitals.com/ સારવારનો જે લાભ મળ્યો તેવો લાભ અમદાવાદની એ જ સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ એવા ચંપાફોઈને અનેકાનેક પ્રાર્થનાઓ અને અગણિત ખર્ચ છતાં પ્રૌઢાવસ્થાને કારણે કદી ન મળ્યો. અગિયાર વર્ષ પાંચ મહિના (4170 દિવસ) પથારીવશ અવસ્થામાં રહેલા ચંપાફોઈ પંચાશી (85) વર્ષની વયે 18 માર્ચ 2016ની સવારે સત્તાવાર એક્ઝિટ કરી ગયા.

Thursday, December 25, 2014

સુમતિફોઈ : પપ્પાની પાંચમી બહેન

સુમતિ હરવદન શાહ / Sumati Harvadan Shah
13-03-1934થી 13-12-2014

સુમતિ સાકરલાલ મોદી ઉર્ફે સુમતિ હરવદન શાહ – સગપણમાં પપ્પાના માસી (પાર્વતી સાકરલાલ મોદી)ના દીકરી અને એ નાતે મારા ફોઈ થાય. સગી ચાર બહેનો (સ્વ. મધુકાન્તાબહેન, સ્વ. જસુબહેન, ચંપાબહેન અને વસુબહેન) ઉપરાંત પપ્પા પર સૌથી વધુ જો કોઈ હેત વરસાવનારું હોય તો તે આ સુમતિફોઈ / Sumati Harvadan Shah. વતન ગોધરામાં જન્મેલા (જન્મ તારીખ : 13 માર્ચ 1934) અને જન્મારો કાઢેલા આ ફોઈએ અને હરવદનફુઆએ મને એક જબરા વૈભવની નવાજેશ કરી હતી.

એ વૈભવ એટલે હરવદનફુઆના ટાઇપરાઇટર / Typewriter સામે બેસવાનો. આજની આઈપેડ – સ્માર્ટફોનની સગવડ પણ સાવ ફીક્કી લાગે તેવો વૈભવ એટલે સ્વ. હરવદનફુઆના ટાઇપરાઇટર સામે બેસવા મળે તે. ગોધરાની સાયન્સ કૉલેજમાં લૅબોરેટરિ આસિસટન્ટ (પ્રયોગશાળા સહાયક) રહી ચૂકેલા તેઓ વધારાની આવક માટે ગુજરાતી – અંગ્રેજી ટાઇપરાઇટિંગ / Typewriting તેમજ નાના-મોટા વેપારીઓ માટે નામું લખવાનું કામ વ્યવસાયી ધોરણે કરતા હતા. કૉલેજથી આવે ત્યારે કે પછી પોતાના કામમાંથી અવકાશ મળે એટલે મશીન પર કોરો કાગળ ચઢાવીને વિદ્યાર્થીઓને ટાઇપરાઇટિંગ શીખવવાનું કામ પણ તેઓ કરતા. 2001માં તેમનું અવસાન થયા પછી તેર વર્ષે 2014ના અંતિમ દિવસોમાં સુમતિફોઈ પણ ચાલી નીકળ્યા. બસ એ બાર-તેર વર્ષની જ ઉંમર હતી જ્યારે મને ટાઇપરાઇટરનો ચસકો લાગ્યો હતો. પપ્પાની બૅન્કની નોકરી સાથે ગામે-ગામ ફરતો રહેતો હું જ્યારે બૅન્કમાં જવાની તક મળે ત્યારે ટાઇપ મશીન પર હાથ અજમાવતો. એમ ગોધરા / Godhra, District : Panchmahal જતો ત્યારે સુમતિફોઈના ઘરે જવાના બે આકર્ષણો રહેતા...જાડા મઠિયા અને અંગ્રેજી – ગુજરાતી ટાઇપરાઇટર. હરવદનફુઆ વિદ્યાર્થીઓને શીખવતા એટલા જ ઉમળકાથી મને પણ ટાઇપ મશીન પર કોરો કાગળ ચઢાવી આપતા.

ટાઇપરાઇટરનો વૈભવ
સંસ્કૃત / Sanskrit ભાષાની પંડિતાઈ પ્રત્યેના અણગમાએ અને હરવદનફુઆની સલાહ પર 1985માં દસમા ધોરણમાં મેં જ્યારે સંસ્કૃતની અવેજીમાં ટાઇપરાઇટિંગ વિષય પસંદ કર્યો ત્યારે કમ્પ્યુટર ન તો ફોટામાં જોયું હતું, નામ પણ નહોતું સાંભળ્યું. ફુઆનું એવું કહેવાનું હતું કે આ ટાઇપરાઇટિંગ તને કારકિર્દીમાં આગળ વધવામાં ખૂબ કામ લાગશે, ઉપયોગી થઈ પડશે. એ વખતે ન સમજાયેલા તેમના આ શબ્દો સ્વ. ફોઈ – ફુઆ વિશે કમ્પ્યુટરના માધ્યમથી જ બ્લોગ માટે લખતાં અને ભાષાનું વ્યવસાયી કામ કરતાં આજે સમજાઈ રહ્યા છે એ મારે સ્વીકારવું રહ્યું.

કારકિર્દી માટે મેં જેમ ફુઆની સલાહ સ્વીકારી તેમ આર્થિક સમૃદ્ધિ માટે પપ્પા (સ્વ. પ્રફુલ મોદી / http://binitmodi.blogspot.in/2013/10/blog-post_23.html) સુમતિફોઈની સલાહ અચૂક માનતા. તેઓ એલ.આઈ.સી / Life Insurance Corporation of India / http://www.licindia.in/ અને પોસ્ટ ઑફિસ / India Post / http://www.indiapost.gov.in/ બચતનું કામ કરતા અને પપ્પા પાસે આગ્રહ કરીને બચત કરાવડાવતા. નોકરીના કે તે પછી નિવૃત્તિના વર્ષો દરમિયાન અંગત વાતચીતમાં પપ્પા ફોઈનો આગ્રહ તેમને કેવો-કેટલો ફળદાયી રહ્યો તેનો ખાસ ઉલ્લેખ કરતા એક વાત અચૂક કહેતા કે અમદાવાદ / Ahmedabad જેવા શહેરમાં પોતાનું મકાન ખરીદવા માટે બિલ્ડરને આપવી પડતી તફાવત રકમ (માર્જિન મની / Margin Money)ની વ્યવસ્થા એ બચત ફોઈ મારફતે પરત મેળવીને કેવી રીતે મદદરૂપ નીવડી હતી. એમ તો આ ફોઈ જમવાના ભાણે આગ્રહ કરવામાં પણ કોઈ કસર છોડતા નહીં. કાજીવાડા – ગોધરાના તેમના આંગણે મમ્મી – પપ્પાની સાથે કે એકલા ગયેલા મને કદી એવું યાદ નથી આવતું કે હું ખાલી પેટે કે હાથે પાછો ફર્યો હોઉં. ચા-નાસ્તાના ટાઇમે નાસ્તો અને જમવાના ટાઇમે આગ્રહ કરીને ડાઈનિંગ ટેબલ પર બેસાડી દેતા સુમતિફોઈ તેમનાથી વિખૂટાં પડતી વેળાએ પોતાની બંધ મુઠ્ઠી ખોલતા અને ઝડપભેર મારી હથેળીને મુઠ્ઠી બનાવીને દબાવી દેતા કહેતા કે ‘આ તારા હકના છે.’ આનાકાનીને કોઈ અવકાશ જ નહોતો એવો તેમનો આ આગ્રહ મને બહુ પાછળથી પપ્પાએ સમજાવ્યો હતો કે બચત કરનારની રોકાણ રકમ પર એજન્ટ હોવા લેખે તેમને જે કમિશન મળતું તે ફોઈ પોતાના ખપ પૂરતી રાખીને બાકીની રકમ આ રીતે પરત કરી દેતા હતા. પપ્પાએ તે રકમ લેવાની કદીકને આનાકાની કરી હશે તે એમણે રકમ મારા હાથમાં મુકવી શરૂ કરી.

છ ભાઈઓ અને પાંચ બહેનોના પરિવારમાં સુમતિફોઈ પાલીમાસી અને સાકરમાસાનું પાંચમું સંતાન હતા. (તેમના ભાઈ સુરેન્દ્ર મોદી / http://binitmodi.blogspot.in/2013/07/blog-post_30.html અને ભાઈ વિનોદ મોદી / http://www.binitmodi.blogspot.in/2014/02/blog-post.html વિશે વાંચો.) સુરેન્દ્રકાકા – વિનોદકાકા સિવાયના ભાઈઓ કારકિર્દી માટે તેમ સુમતિફોઈ – અનિલાફોઈ સિવાયની બહેનો સંતાનો સાથે અમેરિકામાં વસે છે. કિશોરાવસ્થામાં વતન ગોધરામાં ઉજવેલી એક દિવાળી એવી યાદ આવે છે કે અમેરિકા વસતા તેમના મોટાભાગના ભાઈઓ-બહેનો ગોધરા આવ્યા હતા. ભાઈબીજના દિવસે તેમણે સૌને જમવાનું આમંત્રણ આપ્યું હતું. ભાણા-ભત્રીજાઓની સાથે તો એ સંખ્યા બહુ મોટી થાય.

એ સંખ્યા જાણીને મારા પપ્પાએ તેમને એવું સૂચન કર્યું કે, ‘બહેન નાના ઘરમાં બધા કેમના સમાઇશું? હું તો તારો માસીયાઈ ભાઈ છું...સુધા અને બિનીત સાથે બીજે દિવસે આવીશ તો નહીં ચાલે?’ તોલી-જોખીને બોલાયેલા તેમના જવાબનો પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ બન્ને યાદ રહે તેવા હતા...‘મારું દિલ જ મોટું છે, ઘર મોટું કરીને શું કામ છે?’...‘અને હા મોટાભાઈ (સુરેન્દ્ર)ને વિનોદ નહીં આવે તો ચાલશે...તારે તો એમનાથી પહેલા આવી પહોંચવાનું.’

આ સત્તાવાહી અવાજ સાંભળી લીધા પછી પપ્પાએ કંઈ કરવાનું રહેતું નહીં. ભાઈબીજના ભોજનને અને ફોઈના આગ્રહને ન્યાય આપ્યેજ છૂટકો. અફસોસ કે આવો સત્તાવાહી અવાજ હવે સાંભળવા નહીં મળે. જેમનું દિલ મોટું હતું એવા સુમતિફોઈ માંદગી અને એકલતાના કારણે ગોધરા જેવા પ્રમાણમાં નાના નગરની જાહોજલાલી, અડોશ-પડોશ છોડીને ન ગમતું હોવા છતાં છેવટના વર્ષોમાં અમદાવાદ જેવા મોટા શહેરમાં આવીને દીકરી-જમાઈના પરિવાર સાથે રહ્યા. શ્વસુર પક્ષે ખંભાત / Khambhat શહેર સાથે નાતો ધરાવતા તેઓ અમદાવાદમાં નાની દીકરી દીપ્તી હીમલ શાહના / Dipti Himal Shah ઘરે શનિવાર, 13 ડિસેમ્બર 2014ની સવારે એક્યાશી વર્ષની વયે અવસાન પામ્યા. મોટી દીકરી મોના દીનેશ દોશી / Mona Dinesh Doshi પડોશના ગાંધીનગર શહેરમાં જ પરિવાર સાથે રહે છે જેમણે મમ્મીનો નાની બચતનો વ્યવસાયી વારસો બરાબર ફોઈની અદાથી જ સંભાળ્યો છે.


(તસવીરો : બિનીત મોદી)

Monday, February 10, 2014

વિનોદ સાકરલાલ મોદી : ભણતર-ગણતર ગોધરામાં, કર્મભૂમિ કલ્યાણ અને વિદાય વડોદરામાં

વિનોદ સાકરલાલ મોદી / Vinod Sakerlal Mody
01-04-1936થી 02-02-2014

નિવૃત્તિ પછીનો આંશિક સમય અમેરિકામાં બે પુત્રોના પરિવાર સાથે ગાળનાર વિનોદકાકાનું રવિવાર 2 ફેબ્રુઆરી 2014ની સવારે 78 વર્ષની વયે વડોદરામાં અવસાન થયું. નાનો પુત્ર અર્પિત અમેરિકાથી આવી પહોંચતા મંગળવાર 4 ફેબ્રુઆરીની સવારે વતન ગોધરામાં પરિવારજનોની ઉપસ્થિતિમાં તેમની અંતિમવિધિ સંપન્ન કરવામાં આવી.

સગપણમાં વિનોદકાકા / Vinod Sakerlal Mody મારા પિતા (સ્વર્ગસ્થ પ્રફુલ મોદી / Late Praful Modi / http://binitmodi.blogspot.in/2013/10/blog-post_23.html)ના માસીયાઈ ભાઈ અને એ રીતે મારા કાકા થતા હતા. અગાઉ અહીં હું જેમના વિશે લખી ગયો છું તે સુરેન્દ્રકાકાના / Late Surendra Mody / http://binitmodi.blogspot.in/2013/07/blog-post_30.html સગા નાના ભાઈ.

1 એપ્રિલ 1936ના રોજ ગોધરા (જિલ્લો: પંચમહાલ)માં જન્મેલા વિનોદકાકાએ / Vinod Mody અમદાવાદની એલ.એમ. ફાર્મસી કૉલેજમાંથી / L.M. College of Pharmacy, Ahmedabad / http://lmcp.in/ બી. ફાર્મનો અભ્યાસ કર્યો હતો. કારકિર્દીના પ્રારંભની એકાદ-બે નોકરી પછી તેઓ મફતલાલ ગ્રૂપની કેમિકલ કંપની ઇન્ડિયન ડાયસ્ટફ ઇન્ડસ્ટ્રીઝમાં જોડાયા હતા અને નિવૃત્તિ સુધીનો પૂરો સમય કંપનીના કલ્યાણ (જિલ્લો: થાણે, મહારાષ્ટ્ર) / Kalyan, District: Thane, Maharashtra State યુનિટ સાથે જોડાયેલા રહ્યા હતા. માતા – પિતા (પાર્વતીબહેન અને સાકરલાલ મગનલાલ મોદી) તેમજ વતનથી ખાસા દૂર તેઓ દિવાળી – નૂતનવર્ષના તહેવારની ઉજવણી કરવા પરિવાર સાથે અચૂક ગોધરા / Godhra, Gujarat આવતા અને સૌને મળતા. નિવૃત્તિના થોડા વર્ષો પછી તેઓ અમેરિકા દીકરાઓ સાથે જઈને વસ્યા હતા. તેમનો વતનઝૂરાપો અને પરિવારજનોને ઉમળકાભેર મળવાનો ખ્યાલ એવો મજબૂત હતો કે પાંચ વર્ષ અગાઉ તેમણે વડોદરાને / Vadodara તેમનું બીજું ઘર બનાવ્યું હતું. દોઢ-બે વર્ષે એકવાર અહીં આવીને તેઓ તેમનો પ્રવાસનો શોખ પણ મિત્રો સાથે રહીને પૂરો કરતા હતા. એવા એક રાજસ્થાનના પ્રવાસમાં તેઓ મારા મમ્મી – પપ્પા (સુધા અને પ્રફુલ મોદી)ને પણ સાથે લઈ ગયા હતા.

અમેરિકાથી વાયા વડોદરા અમદાવાદ આવી પહોંચતા તેઓ અહીં પણ સૌ પરિચિતોને મળવા જતા હતા. એ રીતે જોતાં તેમના અવસાનના સમાચાર અમદાવાદ સ્થિત પરિવારજનો માટે આઘાતજનક બની રહ્યા. કેમ કે અવસાનના માત્ર ચોવીસ કલાક અગાઉ શનિવાર 1 ફેબ્રુઆરીની સવાર સુધી તેઓ અમદાવાદમાં ચંપાફોઈ – અરવિંદફુઆ (તેમના મોટા બહેન – બનેવી)ના મહેમાન હતા, તેમને મળવા આવ્યા હતા. પ્રતિકૂળ તબિયતને લઈને તેમણે આ વખતે કોઈને પણ મળવાનું ટાળી વડોદરાના ઘરે પહોંચી જવાનું ઠીક સમજ્યું હતું. એ રીતે આ તેમની છેલ્લી અમદાવાદ / Ahmedabad મુલાકાત બની રહી. રવિવારની સવારે બેચેની લાગવાની ફરિયાદ પછી પ્રાથમિક સારવાર મળે તે પહેલાં જ તેમનું દુઃખદ અવસાન થયું.

છ ભાઈઓમાં તેઓ બીજા નંબરે અને પાંચ બહેનો સાથેના પરિવારમાં તેઓ છઠ્ઠા નંબરે હતા. વિનોદકાકાના પરિવારમાં પત્ની સતુકાકી સાથે સંતાનોમાં બે દીકરાઓ પાર્થિવ / Parthiv (પુત્રવધૂ રેના) અને અર્પિત / Arpit (પુત્રવધૂ વૈશાલી)નો સમાવેશ થાય છે.

આઠ – દસ વર્ષની ઉંમરે મમ્મી – પપ્પા સાથે તેમના કલ્યાણના ઘરે રહેવા ગયો હોવાનું યાદ છે. વતનમાં દિવાળી કે તેની આસપાસના દિવસોમાં અનેકવાર જેમને મળ્યાની સ્મૃતિઓ મનમાં જડાયેલી છે તેવા સ્વર્ગસ્થ પાલીમાસી અને સાકરમાસાના સંતાનોના આ જગતમાંથી વિદાય પામતા જવાના સમાચાર પીડા આપનારા, ખાલીપો સર્જનારા બની રહે છે. તેમની પછીની પેઢીના મને એમ પણ લાગે છે કે અમે હવે બાળક મટી રહ્યા છીએ.


વતન ગોધરામાં ‘પાર્વતી’ બંગલાની પરસાળમાં પાડેલો એક ફોટો અહીં આ સ્થાને મુકવાની ઇચ્છા રોકી શકતો નથી. આ રહી તેમની ઓળખાણ. ઊભા રહેલા ડાબેથી – પ્રફુલ મોદી અને સુધા પ્રફુલ મોદી (મારા મમ્મી-પપ્પા), દમયંતી અરૂણ મોદી, સતુ વિનોદ મોદી, ઉર્મિલા સુરેન્દ્ર મોદી, હીંચકે બેઠેલા ડાબેથી ત્રણ ભાઈઓ અરૂણ, વિનોદ અને સુરેન્દ્ર સાકરલાલ મોદી.