પ્રતિભાવો ઉર્ફે Comments

Showing posts with label Prime Minister of India. Show all posts
Showing posts with label Prime Minister of India. Show all posts

Tuesday, June 16, 2015

વડાપ્રધાનના સિંહાસન (PMO) સામે ‘કેટ’ (CAT)ની ત્રાડ

સંજીવ ચતુર્વેદી : બદલીઓનું રોલર કોસ્ટર અને નિમણૂકના ન્યાય – અન્યાય

સનદી અધિકારીઓની કનડગત અને વારંવાર બદલીઓ કરવાના મામલે હરિયાણા / Haryana બીજા રાજ્યો વચ્ચે મેદાન મારી ગયું છે. બાપ-દાદાના કલાઈ કરવાના ધંધાને કોરાણે મુકીને પારકી જમીનો ઓળવી જવાના મલાઈદાર ધંધામાં સામેલ રોબર્ટ વાડરાને / Robert Vadra એમ કરતા રોકનાર, માર્ગમાં રોડાં નાખનાર હરિયાણા કૅડરના સનદી અધિકારી અશોક ખેમકાની / Ashok Khemka દર બે-ચાર મહિને બદલી કરી દેવામાં આવતી. ખેમકા એ દરેક પોસ્ટિંગને હસતા મોંએ સ્વીકારી પોતાની જવાબદારી નિભાવતા રહ્યા. વારંવારની બદલીને Punishment Transfer ગણતા હરિયાણા કૅડરના જ અન્ય એક અધિકારી સંજીવ ચતુર્વેદીએ શું કર્યું અને અંતે શું મેળવ્યું એ જાણવા જેવું છે.

વડાપ્રધાન કાર્યાલય (PMO) સામે દંડૂકો ઉગામતી ટ્રિબ્યૂનલ (CAT)
ભણતરની રીતે ઇલેક્ટ્રિકલ એન્જિનિઅર થયેલા હરિયાણા કૅડરના 2002ની બેચના આઈએફએસ (ઇન્ડિઅન ફોરેસ્ટ સર્વિસ) અધિકારી 41 વર્ષીય સંજીવ ચતુર્વેદીને / Sanjiv Chaturvedi તેમની માગણી પ્રમાણે કૅડર નહીં બદલી આપવાના મામલે વડાપ્રધાન કાર્યાલયને / Prime Minister’s Office http://pmindia.gov.in/en/ શૉક ટ્રિટમેન્ટ મળી છે. શૉક ટ્રિટમેન્ટ આપનાર સંસ્થાનું નામ છે CAT – સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટીવ ટ્રિબ્યુનલ / Central Administrative Tribunal http://cgat.gov.in/. ભારતીય સનદી સેવામાં / Indian Administrative Service જોડાયેલા અધિકારીઓને તેમની નિમણૂક, બદલી કે સર્વિસ દરમિયાન થતા ન્યાય-અન્યાયના પ્રશ્નો સુલઝાવવાનું...તેમાં લવાદરૂપ ભૂમિકા ભજવવાનું કામ આ સંસ્થા કરે છે. સંસ્થા પોતે પણ સરકારી જ છે એ પણ આ મામલામાં ખાસ નોંધવું રહ્યું.

બબ્બે રાષ્ટ્રપતિઓના વિધેયાત્મક અભિપ્રાય પછી 2012થી કૅડર બદલવા માગતા ને આજે 2015માં પણ જેમની ધોરણસરની નોકરીનું ઠેકાણું નથી પડ્યું તેવા IFS સંજીવ ચતુર્વેદીને આગામી બે મહિનામાં યોગ્ય પોસ્ટીંગ આપવા બાબતે CAT – સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટીવ ટ્રિબ્યુનલએ સીધો વડાપ્રધાનને કેમ આદેશ કરવો પડ્યો તે મામલો વિગતે જ તપાસીએ.

ન્યાયના પક્ષે બે રાષ્ટ્રપતિ : પ્રતિભા પાટિલ અને પ્રણવ મુખરજી
સંજીવ ચતુર્વેદીએ હરિયાણા કૅડરના આઈએફએસ અધિકારીની રૂએ 2009માં શોધી કાઢ્યું કે પ્રદેશના ગામ ઝજ્જરમાં / Jhajjar વૃક્ષારોપણ જમીનને બદલે માત્ર કાગળ પર જ થયું હતું. તેમના એક અહેવાલ માત્રથી ‘અલીબાબા ઔર ચાલીસ ચોર’ જેવા ચાલીસ અધિકારીઓ ચાર્જશીટ સાથે સસ્પેન્ડ થયા. શિરપાવરૂપે ચતુર્વેદીની બદલી કરી દેવામાં આવી જેની તેમને નવાઈ નહોતી. કેમ કે 2005થી 2010 વચ્ચે તેમની આવા જ કારણોસર બાર વખત બદલીઓ કરવામાં આવી હતી. આટલું ઓછું હોય તેમ (હવે ભૂતપૂર્વ) મુખ્યમંત્રી ભૂપિન્દર સિંઘ હુડાની / Bhupinder Singh Hooda આગેવાની હેઠળની હરિયાણા સરકારએ તેમની વિરૂધ્ધ એક ચાર્જશીટ દાખલ કરી કે તેમના સમયમાં જે વૃક્ષારોપણ થયું હતું એ વૃક્ષો બચી શક્યા નથી. ખોટા આરોપોથી તંગ આવી ગયેલા સંજીવે તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને / Pratibha Devisingh Patil પત્ર લખી જાણ કરી કે હરિયાણા સરકાર તેમની કેવી અને કેટલી હેરાનગતિ કરી રહી છે. રાષ્ટ્રપતિના કાર્યાલયે કરેલી તપાસમાં હરિયાણા સરકારના આરોપો ખોટા ઠર્યા અને ચાર્જશીટ રદ કરવામાં આવી. હરિયાણાની હુડા સરકારે રાષ્ટ્રપતિના આ નિર્ણયને બહાલ કરવાના બદલે વૃક્ષારોપણ માટે નક્કી કરવામાં આવેલી રકમનો દુરૂપયોગ થયો છે અને તેને પરત કરવા બાબતે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેવી વધુ એક ચાર્જશીટ મુકી. દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનના બદલાઈ ચુકેલા ભાડુઆત પ્રણવ મુખરજીએ / Pranab Mukherjee આ ચાર્જશીટને પણ નકારી કાઢી. કેમ કે હરિયાણામાં રહેવાને જીવનું જોખમ બતાવી ચુકેલા સંજીવ એ સમયે હરિયાણા કૅડર છોડીને કેન્દ્ર સરકારની સેવાઓમાં હંગામી ધોરણે દાખલ થઈ ગયા હતા. તેમણે કરેલી ફરિયાદોમાં કેટલાકના મામલે તો સીબીઆઈ ઇન્કવાયરી પણ ચાલી રહી હતી. રાષ્ટ્રપતિને રૂબરૂ મળીને પોતાનો કેસ સમજાવી ચુકેલા ચતુર્વેદી પોતાની હરિયાણા કૅડર કાયમ માટે છોડીને ઉત્તરાખંડ / Uttarakhand સરકારની સેવાઓમાં જવા માગતા હતા જેના માટે પ્રારંભિક તબક્કે હરિયાણા સરકાર પણ રાજી નહોતી. એ માટે રાષ્ટ્રપતિ ભવને તેમને સનદી સેવાના નિયમાનુસાર આગળ વધવાની સલાહ આપી જેનો તેમણે સ્વીકાર કર્યો.

આ દરમિયાન તેમને દિલ્હીની AIIMS – ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સીઝમાં (એઇમ્સ) ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે નિમણૂક આપી ચીફ વિજિલન્સ ઑફિસરના પદનો વધારાનો હવાલો આપવામાં આવ્યો. અહીં પણ ચતુર્વેદી ‘સીધા’ તો ન જ રહ્યા, ન તેમની કામગીરી સરળ રહી. પદ સંભાળ્યા પછી તેમણે AIIMSના કમ્પાઉન્ડમાં ચાલતી ફાર્મસીને દવાઓ સપ્લાય કરનારની ટ્રકમાંથી રૂપિયા છ કરોડની પ્રતિબંધિત દવાઓ પકડી પાડી. આ ફાર્મસી કૉંગ્રેસના ધારાસભ્ય દ્વારા ચાલતી હતી. AIIMSના ડૉક્ટરો એકૅડૅમિક દ્રષ્ટિએ જેમાંથી કશું નીપજવાનું ન હોય તેવી વણજોઈતી કૉન્ફરન્સમાં હાજરી આપવા સપત્ની-પરિવાર સાથે પરદેશની મુસાફરી કરતા હોય તેવા અમન-ચમન પ્રવાસો પર તેઓ તવાઈ લાવ્યા. અને છેલ્લે તો એમણે એ પણ શોધી કાઢ્યું કે કેન્સરથી પીડાતા એક ડૉક્ટરના કુતરાની રેડિયોથેરાપી સારવાર AIIMSમાં ચાલી રહી હતી – માણસોની હૉસ્પિટલમાં.

ચતુર્વેદીની આ પ્રકારની લોકભોગ્ય કામગીરીથી માહિતગાર અને ભારે બહુમતીથી બીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી પદે આવેલા અરવિંદ કેજરીવાલે / Arvind Kejriwal તેમની સેવાઓ દિલ્હી સરકારમાં લેવા માટે મોદી સરકાર સમક્ષ માગણી મુકી. જેનો આઈએફએસ કૅડર જેમના તાબામાં આવે તેવા કેન્દ્રિય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર / Prakash Javadekar કે સંજીવ જ્યાં ફરજ બજાવતા હતા કે આજે ૨૦૧૫માં પણ બજાવી રહ્યા છે તે AIIMS જેમના તાબામાં આવે તેવા તત્કાલીન કેન્દ્રિય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધનએ / Harsh Vardhan (Dr.) કોઈ જવાબ ન આપ્યો. આરોગ્યમંત્રીના પદ પર આવતા અગાઉ જ સંજીવ ચતુર્વેદી સામે બાંયો ચઢાવીને બેઠેલા સંસદસભ્ય જગત પ્રકાશ નડ્ડાએ / Jagat Prakash Nadda ખુરશી સંભાળતા વેંત સંજીવ પાસેથી વિજિલન્સની કામગીરી છીનવીને માત્ર ડાયરેક્ટરના પદ પર ચાલુ રહેવા જણાવ્યું કે જે અંતર્ગત ભાગ્યે જ કોઈ કામગીરી કરવાની રહેતી હતી.

કૅબિનિટમાં કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહ
અદબ, પલાંઠી અને મોં પર આંગળી
2012થી કૅડર બદલવા ઇચ્છતા સંજીવ ચતુર્વેદી નિયમ મુજબ જ્યાંથી બેદખલ થવા માગતા હતા તે હરિયાણા સરકારનું ‘નો ઑબ્જેક્શન’ સર્ટિફિકેટ્ માર્ચ 2014માં મેળવ્યું. તેમની સેવાઓ લેવા ઇચ્છુક ઉત્તરાખંડ સરકારે તેમની સેવાઓ લેવાના નિર્ણયને બીજે મહિને એપ્રિલમાં મંજુરી આપી. પર્યાવરણ મંત્રાલય અને તેના મંત્રી પ્રકાશ જાવડેકરે જુલાઈ 2014માં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના આ અધિકારીને કૅડર બદલવાની મંજૂરી આપી. આ આખો મામલો જ્યારે કેન્દ્રિય ગૃહમંત્રી (રાજનાથ સિંહ / Rajnath Singh)ના સભ્યપદ તેમજ વડાપ્રધાન (નરેન્દ્ર મોદી / Narendra Modi)ના અધ્યક્ષતા વાળી ‘અપૉઇન્ટમેન્ટ્સ કમિટિ ઑફ ધ કૅબિનિટ’ પાસે પહોંચ્યો તો કૅબિનિટે ચતુર્વેદીને ઉપરોક્ત ત્રણેય મંજુરીઓ નવેસરથી લેવાનો હુકમ કર્યો. દલીલ એવી હતી કે હવે સંબંધિત સરકારોનું (હરિયાણામાં ભાજપના મનોહરલાલ ખટ્ટર / Manohar Lal Khattar મુખ્યમંત્રી અને કેન્દ્રમાં મોદી સરકાર) નેતૃત્વ બદલાઈ ચૂક્યું હોવાથી આમ કરવું જરૂરી છે. સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટીવ ટ્રિબ્યુનલએ વડાપ્રધાનના આ નિર્ણયને રદબાતલ કરતા જણાવ્યું છે કે તમારું વલણ ન્યાય મેળવવાના પ્રાકૃતિક સિધ્ધાંતની વિરૂદ્ધ છે. સાથે જ સરકારને હુકમ કર્યો છે કે અગાઉ મેળવાયેલી મંજુરીઓને જ ધ્યાનમાં લઈ તેણે આગામી બે મહિનાના સમયગાળામાં સંજીવ ચતુર્વેદીને તેમને માંગ્યા પ્રમાણેની અને તેમની કૅડરને યોગ્ય હોય તેવી નિમણૂક આપવી.

કૅડરની મદદે કવિ, કાવ્યસંગ્રહ અને...
...રવિન્દ્રનાથ ટાગોરની કવિતા / Poem by Rabindranath Tagore
પોતાના હુકમમાં સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટીવ ટ્રિબ્યુનલએ કવિવર રવિન્દ્રનાથ ટાગોરના / Rabindranath Tagore કાવ્યસંગ્રહ ‘ગીતાંજલિ’ની / Gitanjali કવિતામાંથી પહેલી જ પંક્તિ "Where the mind is without fear and the head is held high," ટાંકીને વડાપ્રધાન, તેમની કૅબિનિટ તેમજ કેન્દ્ર સરકારને ખાસ ટકોર કરી છે કે અમને એવી આશા અને વિશ્વાસ છે કે એવી સ્થિતિ ક્યારેય આવશે જ નહીં કે જેમાં પ્રમાણિકતા બતાવનારને દંડ-સજા મળશે અને ભ્રષ્ટાચાર આચરનારને ઇનામ. યાદ રહે આવી વ્યવસ્થાઓ લાંબા સમય સુધી નથી ચાલી શકતી.

નિમણૂક મળ્યે મહદ્અંશે જેનો અંત આવશે તેવી આ લડાઈમાં અંગત ધોરણે સંજીવ ચતુર્વેદીએ શું ગુમાવ્યું છે? જવાબ છે લગ્નજીવન. રાજકારણીઓ, તેમના મળતિયા કોન્ટ્રાક્ટર તેમજ સરકારી અધિકારીઓ જેમાં મુખ્યત્વે સંડોવાયેલા હોય તેવી ભ્રષ્ટાચારની એકથી વધુ ઘટનાઓને ઉજાગર કર્યા પછી ચતુર્વેદીનું નોકરી કરવું હરામ થઈ ગયું. ટૂંકા ગાળામાં થયેલી એક ડઝન બદલીઓ અને તપાસપંચોના નાટકથી નારાજ થયેલી પત્નીને (શ્રીમતી ચતુર્વેદીને) પીયરપક્ષનો એવો સાથ મળ્યો કે દહેજ માંગણીના ખોટેખોટા આક્ષેપો પછી સંજીવનું લગ્નજીવન વિચ્છેદમાં ફેરવાઈ ગયું.

આ જ સમયગાળામાં એક સાથી અધિકારી નામે સંજીવ તોમરએ કરેલી આત્મહત્યાના મામલે પણ સંજીવ ચતુર્વેદીને તેને આપઘાતની દુષ્પ્રેરણા આપનાર તરીકે ચાર્જફ્રેમ કરવામાં આવ્યા હતા. જો કે તોમરે પોતાની વિરૂદ્ધ થઈ રહેલી ભ્રષ્ટાચારની તપાસ તેમજ સાસરીપક્ષના દહેજના આક્ષેપોને કારણે જ આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળતા સંજીવ ચતુર્વેદીને પોતાની લડાઈ આગળ લઈ જવામાં મોટી રાહત મળી હતી.

હાલમાં દિલ્હી સ્થિત AIIMSની ભવ્ય ઇમારતની એક કૅબિનમાં કામગીરી વગરના કલાકો પસાર કરતા સંજીવ ચતુર્વેદીએ થોડા દિવસો અગાઉ કેન્દ્ર સરકારને વધુ એક પત્ર લખીને જાણવા માગ્યું છે કે, ‘કોઈ પણ પ્રકારની કામગીરી સોંપ્યા વગર દર મહિને મને મસમોટી રકમનો પગાર ચુકવવાનું તમને કેવી રીતે પોસાય છે? અને ક્યાં સુધી આમને આમ ચાલુ રાખવાના છો?’ ઇચ્છીએ કે તેમને બે મહિનાની મુદતમાં આ સવાલોનો જવાબ મળી જાય.

અશોક ખેમકા અને સંજીવ ચતુર્વેદી : हरियाणा सरकार के नाक में दम
વીસ વર્ષ પહેલા 1995ની આસપાસ જમીન મહેસૂલ વિભાગના અધિકારી તરીકે સનદી કારકિર્દીનું પહેલું પોસ્ટિંગ મેળવનાર અશોક ખેમકા આજે 2015માં હરિયાણા સરકારના પુરાતત્વ વિભાગના જોઇન્ટ સેક્રેટરી તરીકે મ્યુઝિયમોની જાળવણી કરવા જેવી ‘મહત્વ’ની કામગીરી બજાવી રહ્યા છે. આશા રાખીએ કે પોસ્ટિંગની બાબતમાં સંજીવ ચતુર્વેદીની છેક જ આવી હાલત નહીં થાય.

(નોંધ: કર્મશીલ પત્રકાર-લેખક પ્રકાશ ન. શાહના તંત્રીપદે તેમજ વિપુલ કલ્યાણી અને કેતન રૂપેરાના સંપાદન સહાય હેઠળ પ્રકાશિત થતા વિચારપત્ર પાક્ષિક ‘નિરીક્ષક’ના 16 જૂન 2015 ના અંકમાં ‘ખબર જે અખબારમાં નથી’ વિભાગ તળે ઉપરોક્ત લેખ પ્રકટ થયો હતો.)

(તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)

Monday, August 20, 2012

રાજીવ ગાંધી : પ્રતિમા અને ટપાલટિકિટ – એક તુલનાત્મક ‘અભ્યાસ’



ભારતના સાતમા અને આજ સુધીના સૌથી યુવાન વડાપ્રધાન રાજીવ ગાંધીનો / Rajiv Gandhi આજે 20મી ઓગસ્ટે 69મો જન્મદિવસ છે. હયાત હોત તો એ જેમાં પાઇલટ / Pilot હતા એવી ઇન્ડિયન એરલાઇન્સમાં / Indian Airlines આજે સિનિયર સિટીઝનની રૂએ મળતો લાભ લઈ ઓછા ખર્ચે હવાઈયાત્રા કરતા હોત. એમ તો ડ્રાઇવિંગ જાણતા હોય તેવા પણ એ પહેલા જ વડાપ્રધાન / Prime Minister of India હતા. હોદ્દા પર હતા એ દરમિયાન પોતાના મતવિસ્તાર એવા ઉત્તર પ્રદેશના અમેઠીના / Amethi અંતરિયાળ વિસ્તારોની મુલાકાત સમયે પત્ની સોનિયા ગાંધીને / Sonia Gandhi સાથે બેસાડી જોંગા જીપ-કારનું સેલ્ફ ડ્રાઇવિંગ કરતા હોય તેવી તસવીરોને અખબારોમાં પહેલા પાને સ્થાન મળતું હતું.

લોકસભા ટી.વી. ચેનલ પર કદીકને કદીક દર્શાવાતા ચૂંટાયેલા સાંસદોના ગ્રૂપ ફોટામાં પહેલી હરોળમાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને / Indira Gandhi અને એ પછીની પાંચમી – સાતમી હરોળમાં તેમને રામવિલાસ પાસવાનની / Ramvilas Paswan બાજુમાં ઊભા રહેલા જોઇને આશ્ચર્ય તો થાય છે. પણ પછી પાર્લમેન્ટ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર લોકસભાના પેજિસ પર ખાંખાખોળા કરતા જાણવા મળે છે કે રાજીવ ફિરોઝ ગાંધી પહેલીવીર સાતમી લોકસભામાં પેટાચૂંટણી મારફતે ચૂંટાઈ આવ્યા હતા. સામાન્ય ચૂંટણીમાં અમેઠીની લોકસભા બેઠક પર સંજય ગાંધી / Sanjay Gandhi વિજેતા થયા હતા પરંતુ પ્લેન અકસ્માતમાં તેમનું અવસાન થયા પછી યોજાયેલી પેટાચૂંટણીમાં / By-election આ બેઠક પર પાઇલટ રાજીવ ગાંધી વિજેતા થયા હતા. જીવ્યા ત્યાં સુધી એમણે અમેઠીની બેઠક જાળવી રાખી. આઠમી લોકસભામાં પક્ષને વિક્રમજનક બહુમતી અપાવી વડાપ્રધાનપદ જાળવી રાખ્યું. નવમી લોકસભામાં વિરોધપક્ષના નેતાપદે / Leader of Opposition બિરાજ્યા. દસમી લોકસભા ચૂંટણી લડ્યા ખરા પરંતુ જીતના સમાચાર મળે તે પહેલા તેઓ જિંદગી હારી ગયા હતા.

સાતમી લોકસભા (18 જાન્યુઆરી 1980થી 31 ડિસેમ્બર 1984)ના અંતિમ દિવસોમાં જ ઇન્દિરા ગાંધીની હત્યા થતા તેઓ પાઇલટ સીટ પરથી પ્રાઇમ મિનિસ્ટરની ખુરશી પર આરૂઢ થયા. જો કે 1980માં જ નાનો પુત્ર સંજય પ્લેન ચલાવતા અકસ્માતે મૃત્યુ પામ્યો તે પછી ઇન્દિરા ગાંધીએ મોટા પુત્ર રાજીવનો રાજકારણમાં / Politics પ્રવેશ કરાવ્યો તે દિવસથી બિનસત્તાવાર ધોરણે તેઓ પાઇલટ મટી ગયા હતા. નવી દિલ્હીના 1 – સફદરજંગ રોડ સ્થિત ઇન્દિરા અને રાજીવ ગાંધીના સંયુક્ત મેમોરિયલના શો-કેસમાં રાખવામાં આવેલું તેમનું ડ્રાઇવિંગ લાઇસન્સ, ઇન્ડિયન એરલાઇન્સની સર્વિસબુક અને પાઇલટ તરીકે તેમની પસંદગીના એરક્રાફ્ટની લોગબુક ધ્યાનથી જોઇએ તો ખ્યાલ આવે છે કે રાજકારણમાં સક્રિય થયા પછી રાજીવ ગાંધીએ એરક્રાફ્ટ ઉડ્ડયન સાવ ઓછું કરી નાખ્યું હતું. લોગબુકના પાનાંઓ પર જે તે દિવસના ઉડ્ડયનનો રૂટ, સમય, તેના કલાક – મિનિટો દર્શાવ્યાની સામે રાજીવ ગાંધીની સહી જોવા મળે છે. કેટલાક ઉડ્ડયનમાં તેમની જવાબદારી મુખ્ય પાઇલટની છે તો ક્યાંક કો-પાઇલટ હોવાનો ઉલ્લેખ પણ જોવા મળે છે.

ઇન્દિરા અને રાજીવ ગાંધીનું સંયુક્ત મેમોરિયલ

નવી દિલ્હી સ્થિત ઉપરોક્ત સ્મારક એકવાર તો જોવા જેવું છે. વડાપ્રધાન તરીકેના સત્તાવાર નિવાસસ્થાન 1 – સફદરજંગ રોડ, કે જ્યાં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ હતી એ મકાનમાં જ બનાવાયેલા સ્મારકનો પ્રારંભ ઇન્દિરા ગાંધીથી થાય છે જે એમની હત્યાના દિવસ (31 ઓક્ટોબર 1984)થી રાજીવ ગાંધીની જીવની દર્શાવે છે. ફરીવાર કહું – લખું કે આ સ્મારક એકવાર તો જોવા જેવું છે.....બાકી.....
રાજીવ ગાંધી મેમોરિયલ : શ્રીપેરૂમ્બુદુર

.....બાકી અમદાવાદમાં / Ahmedabad ઇન્દિરા કે રાજીવ ગાંધીનું સ્મારક તો ક્યાંથી હોય? હા, તેમના પિતા-નાના નેહરૂચાચાના નામે બનેલા બ્રીજના લાલ દરવાજા છેડે બંધ પડેલા રૂપાલી સિનેમાની આગળના ટ્રાફિક જંક્શન પર આ માતા-પુત્રની એક સંયુક્ત પ્રતિમા મુકવામાં આવી છે. મને લાગે છે આટલું લખીને હું વાંચનાર સમક્ષ જૂઠ્ઠું બોલી રહ્યો છું. મારે સાચે-સાચું કહી જ દેવું જોઇએ.....તો...

રાજીવ - ઇન્દિરાની પ્રતિમા : કંતાનમાં કેદ

...તો સત્ય એ છે કે પ્રતિમા મુકાઈ છે એની ના નહીં, પણ તે હજી ઓઝલ-પરદાપ્રથા હેઠળ છે. એનોય વાંધો નહીં. ઠીક છે એ તો...પ્રતિમા તેનું અનાવરણ થાય તેની રાહ જોતી ઊભી રહેશે. હા, વાંધો અહીં જ છે. કારણ કે તે સાત-સાત વર્ષથી આમ જ ઊભી છે. ચોક્કસ કહું તો 2005થી. થોડી ઘણી હકારાત્મકતા સાથે પણ આ વિષયને રાજકારણથી પર રહીને જોઈ શકાય તેમ નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં / Ahmedabad Municipal Corporation આજે 2012માં તો ભારતીય જનતા પક્ષનું શાસન છે પણ વર્ષ 2000થી 2005ના સમયગાળામાં કોંગ્રેસનું શાસન હતું. શાસનના અંતિમ મહિનાઓમાં તત્કાલીન મેયર અનીસા બેગમ મિરઝાએ ઇન્દિરા-રાજીવની પ્રતિમા શહેરમાં યોગ્ય સ્થળે પ્રસ્થાપિત કરવાનો ઠરાવ સ્ટેન્ડિંગ કમિટીમાં પસાર કરાવ્યો. કોંગ્રેસના શાસન દરમિયાન જ પ્રતિમાનું નિર્માણ થઈ ગયું, હોદ્દા-સત્તાની રૂએ જે-તે અધિકારીઓ કે મ્યુનિસિપલ કમિશનરે પ્રતિમા બનાવનાર કલાકારના અમદાવાદની ભાગોળ બહાર આવેલા સ્ટુડિયો પર જઈ તેનું નિરીક્ષણ કરી આ કામ બદલ મહેનતાણું ચુકવણી કરવાના કાગળ પર મતું (સહી) મારી દીધું. આ વ્યવહારિકતા પૂરી થઈ એ સાથે કલાકારે પ્રતિમાની ડિલિવરી મ્યુનિસિપલ સત્તાવાળાઓને આપી દીધી. પ્રતિમા યોગ્ય સ્થળે ગોઠવાઈ ગઈ. એ યોગ્ય સ્થળ એટલે આ પોસ્ટ સાથેના ફોટામાં દેખાય છે એ.

બસ એ ઘડીને આજનો દિવસ. પ્રતિમા હજી ઓઝલ-પરદામાં જ છે. તેને એક મિણિયામાં મુશ્કેટાટ બાંધી રાખી છે. પ્રતિમા મુકવાનો નિર્ણય કરાવનાર અનીસા બેગમ મિરઝા હવે જન્નતનશીન છે. તેમના પછી અઢી – અઢી વર્ષની મુદતવાળા બે મેયર અમદાવાદના પ્રથમ નાગરિકનો મોભો શોભાવી ગયા – અમિત શાહ અને કાનાજી ઠાકોર. હાલના મેયર અસિત વોરાનો નંબર ત્રીજો છે. પણ પ્રતિમાની પરિસ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી એ આ ફોટામાં દેખાય એટલું સાફ છે. પ્રતિમાની ડિલિવરી થઈ અને સિમેન્ટ-કોંક્રિટના પેડસ્ટલ પર ગોઠવાઈ એ પછી એક વાત એવી વહેતી કરવામાં આવી કે તે આ બન્ને મહાનુભાવના મોભા જેવી નિર્માણ નથી થઈ. લો બોલો. અલ્યા સાહેબો, મોભા પ્રમાણે મૂર્તિ ના બની હોય તો એના બનાવનારને કહીએને. વચ્ચે એકવાર એવો પણ વિચાર કરવામાં આવ્યો કે પ્રતિમા નવેસરથી જ બનાવડાવવી. જો કે અનેક સરકારી યોજનાઓ-કાર્યક્રમોની જેમ એ વિચાર માત્ર વિચાર બનીને જ રહી ગયો.

એમ તો સ્વ. હરેન પંડ્યા (2003માં જેમની હત્યા થઈ એ ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી)ના પિતા વિઠ્ઠલભાઈને એકવાર શું ય વિચાર આવ્યો તે એમણે અમદાવાદના અખબારો જોગ નિવેદન (પ્રેસનોટ) મોકલ્યું હતું કે ઇન્દિરા-રાજીવની આ પ્રતિમાનું અનાવરણ ચોક્કસ સમય મુદતમાં નહિ થાય તો એ કામ એ પોતે કરી લેશે. શક્ય છે તેમની આવી જાહેરાત પછી એ દિવસોમાં પ્રતિમા પાસે પોલીસ પહેરો પણ બેસાડાયો હોય. જો કે આવું કે તેવું કશાય પ્રકારનું અનાવરણ આજ દિન સુધી થયું નથી. એ મતલબની જાહેરાત કરનારા વિઠ્ઠલભાઈ પણ હવે દિવંગત છે.

અગાઉ કહ્યું તેમ આ મુદ્દાને રાજકારણથી પર રહીને જોઈ શકાય તેમ નથી. એ રીતે શું કામ જોવો ય જોઇએ? અમદાવાદ કે ગુજરાતના રાજકીય જીવનમાં છેલ્લા બે દાયકાથી વિરોધપક્ષે બેસતા કોંગ્રેસ પક્ષના અમદાવાદ સ્થિત મુખ્યાલયનું નામ રાજીવ ગાંધી ભવન છે પરંતુ પ્રતિમા અનાવરણના મુદ્દે તેની સાથે સંકળાયેલા સત્તાવાળાઓને એકાદ સાદો કાગળ-પત્ર પણ લખ્યો હોય એવું જાણમાં નથી. સાત-સાત વર્ષથી કેદ થયેલી આ પ્રતિમા કોઈ ધાતુમાંથી બનાવી છે કે પથ્થરની એ પણ જાણમાં નથી. એ જે હોય તે પણ આટલા વર્ષો ટાઢ-તડકો અને વરસાદ ખમેલી પ્રતિમાના તેજ-ચળકાટ ઓછા તો થઈ જ ગયા હોય. આટલી સાદી સમજ કેળવવા માટે કંઈ કલાના નિષ્ણાત હોવું જરૂરી નથી, ચાહક હોવું પૂરતું છે. લાગે છે કે હવે તો આ કારણસર જ તેનું અનાવરણ થતું અટકાવવું જોઇશે. તેને અહીં ચોક વચ્ચેથી ખસેડી લઈ ઠેકાણાસરના ગોડાઉનમાં મુકવાની વ્યવસ્થા થશે તો મહાનુભાવનો મોભો અને માન બન્ને જળવાઈ રહેશે એ નક્કી.

જીવતી-જાગતી વસતીથી ઊભરાતા આ દેશમાં મહાનુભાવની, રાજકારણીઓની કે પછી કોઈ એક્સ – વાય – ઝેડની નિર્જીવ પ્રતિમા ચોક વચાળે કે ચાર રસ્તે મુકાવવી જોઇએ કે નહીં એ આખી જુદી જ ચર્ચાનો વિષય હોવાથી તેને ફરી ક્યારેક હાથમાં લઇશું. અત્યારે તો મારા હાથમાં રાજીવ ગાંધીની ટપાલટિકિટ (ફિલાટેલિક સ્ટેમ્પ) / Philatelic Stamp છે. લો તમે પણ જુઓ.

રાજીવ ગાંધી : એક રૂપિયાની આદમકદ  ટપાલટિકિટ

પ્રતિમાના અનાવરણ બાબતે કમનસીબ નીવડેલા રાજીવ ગાંધી ટપાલટિકિટના અનાવૃત થવા બાબતે નસીબદાર હતા. 21મી મે 1991ની રાત્રે તેમની હત્યા થઈ એ પછી આવતા જન્મદિવસ (20મી ઓગસ્ટ) એ તેમની આ પોસ્ટલ સ્ટેમ્પ રિલીઝ થઈ હતી જે મેં પ્રતિમાની પડોશમાં આવેલી જનરલ પોસ્ટ ઓફિસ (જી.પી.ઓ.)ના ફિલાટેલિક બ્યુરોમાંથી મેળવી હતી. વ્યક્તિના અવસાન પછી ત્રણ જ મહિના જેવા ટૂંકા ગાળામાં ટપાલટિકિટ તૈયાર થઈ હોય તેવો પણ આઝાદ ભારતનો આ પહેલવહેલો કિસ્સો હતો. અને એ રીતે જોઇએ તો ટપાલટિકિટ બની ગયેલા રાજીવ ગાંધી નસીબદાર હતા. પૂળો મૂકો પ્રતિમાને.....!

દિલ્હી અને શ્રીપેરૂમ્બુદુર મેમોરિયલની તસવીરો : નેટ પરથી

Tuesday, August 07, 2012

ડૉ. મનમોહન સિંહ : આજે વડાપ્રધાનપદના 3000 દિવસ



ડૉ. મનમોહન સિંહ : બે ટર્મ અને 3000 દિવસ


ગઠબંધન – તડજોડના રાજકારણના જમાનામાં સરકારો સત્તાના 100 દિવસ પૂરા કરે તો તે સમાચાર ગણાય છે. દૈનિક અખબારોના પહેલા પાને મોટું મથાળું બાંધવામાં આવે છે. સેંકડોની સંખ્યામાં કામ કરતી અને સેકન્ડમાં સમાચાર આપતી થયેલી ચોવીસ કલાકની ચેનલો માટે આજકાલ તે બ્રેકિંગ ન્યૂઝનો / Breaking News મામલો પણ ગણાતો હોય તો નવાઈ નહીં. સરકાર, પછી તે રાજ્યની હોય કે કેન્દ્રની – સત્તાના 100 દિવસ પૂરા કરે અને સમાચાર બને તેવો પહેલવહેલો લાભ ગઠબંધનના રાજકારણની નવેસરથી શરૂઆત થઈ ત્યારે વિશ્વનાથ પ્રતાપસિંહના / Vishwanath Pratap Singh વડાપ્રધાનપદ / Prime Minister of India હેઠળની સરકારને મળ્યો હતો. આ યાદીમાં છેલ્લું તો નહીં પણ લેટેસ્ટ નામ ઉત્તર પ્રદેશના સૌથી યુવાન મુખ્યમંત્રી અખિલેશ યાદવનું / Akhilesh Yadav સામેલ થયું છે.
વાજપેયી : 13 દિવસ અને 13 સપ્ટેમ્બર
સત્તાના સો દિવસ તો ખરા જ ખરા, પણ આજનો 7મી ઓગસ્ટનો દિવસ એમાં ખાસ છે. દેશના ચૌદમા વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ / Dr. Manmohan Singh આજે લાગલગાટ સત્તાના ત્રણ હજાર દિવસ પૂરા કરી રહ્યા છે. હા, 3000 દિવસ. પહેલીવાર 22મી મે 2004ના દિવસે પદગ્રહણ કરી 2009માં એ પદ – સત્તા  જાળવી રાખતા એમણે આજે આ મુકામ હાંસલ કર્યો છે. સરકારો આવે ને જાય પણ એક નહીં ઘણી બધી રીતે જોતાં ડૉ. મનમોહન સિંહની આ સિદ્ધિ નોંધપાત્ર છે. એટલા માટે, કેમ કે તેમના પુરોગામી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી / Atal Bihari Vajpayee કોંગ્રેસ પુનઃ સત્તાસ્થાને આવતા એટલા બધા બેબાકળા થઈ ગયા હતા કે ડૉ. સિંહની સરકારનું પતન હાથવેંતમાં છે એવી આગાહીઓ એક વાર નહીં ત્રણ-ત્રણ વાર કરી હતી. સમય હતો મે – 2004નો.
ભારતનું વડાપ્રધાન પદ સંભાળવા માટે સોનિયા ગાંધીએ / Sonia Gandhi બતાવેલી અસમર્થતા અથવા તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ / Dr. A.P.J. Abdul Kalam પાછલી અસરથી 2012માં આત્મકથાના પાનાંઓ વચ્ચે સંભારે છે એમ વ્યક્ત કરેલી ઇચ્છા પછી ડૉ. મનમોહન સિંહે વડાપ્રધાન પદ સંભાળ્યું ત્યારે 1996માં થયેલા જાતઅનુભવને સંભારીને વાજપેયીએ નવી સંભવિત સરકારનું ભાવિ ભાખી નાંખ્યું કેઆ સરકાર મારી જેમ તેર દિવસ પણ નહીં જુએ. એ સમય વીતી ગયો એટલે તેમના જ મુખેથી બીજી આગાહી સરી આવી કે આ સરકાર સો દિવસ પણ પૂરા નહીં કરે. કર્યા, ડૉ. સિંહની સરકારે સત્તાગ્રહણના 100 દિવસ પણ પૂરા કર્યા. આવા બે રોકડા અનુભવ પછી વાજપેયી જેવા પીઢ અને ડિપ્લોમેટ પ્રકારના રાજકારણીએ આમ તો આગાહી કરવાનું બંધ કરીને પ્રભુભક્તિ કે રામનામમાં તલ્લિન થઈ જવું જોઇએ. પરંતુ તેમણે એમ ન કરતાં ત્રીજી વાર જ્યોતિષનો સહારો લીધો. જાહેર કર્યું કેદિલ્હીના એક જ્યોતિષીએ મને છાતી ઠોકીને (કોની છાતી એ સ્પષ્ટતા નહોતી) કહ્યું છે કે આ સરકાર 13મી સપ્ટેમ્બર પહેલા ગબડી પડશે.ફરીથી યાદ કરાવવાનું કે આ વાત અથવા તો અગડમ-બગડમ આગાહીઓ 2004ના વર્ષની છે. હા, એ દેશનું વડાપ્રધાનપદ સંભાળી ચૂકી હોય એવી વ્યક્તિના મુખે અને તે પણ જાહેરમાં – માધ્યમોની વચ્ચે કહેવાઈ હતી એટલે 2012માં તેને યાદ કરવી – પ્રસ્તુત કરવી જરૂરી બની જાય છે.
ખેર ! ડૉ. મનમોહન સિંહ તેમના પુરોગામી વાજપેયીની જેમ ત્રીજી વાર વડાપ્રધાન બને કે ન બને આજે ત્રણ હજાર દિવસનો મુકામ સર કરી રહ્યા છે. તેમના શાસનકાળની મૂલવણી અનેક મુદ્દે અને મોરચે થઈ શકે તેમ છે. તેમના પૂર્વસૂરિઓએ શાસનકાળ દરમિયાન કરેલા પ્રદાનને આધારે ડૉ. મનમોહન સિંહની ક્ષમતાનું મૂલ્યાંકન પણ થઈ શકે. હા, યાદ આવ્યું. તેમની કારકિર્દીનું એક પગથિયું મૂલ્ય સાથે જ જોડાયેલું છે. રિઝર્વ બેન્કના / Reserve Bank of India ગવર્નર રહી ચૂકેલા ડો. સિંહની સહી ભારતીય ચલણ એવા રૂપિયાની નોટ પર જોવા મળતી હતી.
આ વાત પણ અત્યારે એટલે યાદ કરવી ગમે છે કેમ કે અઠવાડિયા પછી દેશ તેનો છાસઠમો સ્વાતંત્ર્ય દિન ઉજવશે. મનમોહન સિંહ સળંગ નવમી વખત દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી આપશે. તેમનો જ્યાં જન્મ થયો હતો તે પાકિસ્તાનનો જન્મ પણ ભારતની સાથોસાથ થયો હતો. કહેવા પૂરતી કે કાગળ પરની હોય તેવી લોકશાહી શાસનવ્યવસ્થા હોવાનો દાવો પાકિસ્તાન પણ કરતું રહે છે. પરંતુ પાસઠ વર્ષનું તેનું શાસન જોતાં એ દાવો માનવો મુશ્કેલ છે. ચલણી નોટ સહિતના મૂલ્યોનો એવો રકાસ થયો છે કે પાકિસ્તાનના કેટલાક આંતરિક આર્થિક વ્યવહારો હવે ડોલરની ભાષામાં ચર્ચાય છે અને થાય છે પણ ખરા.
મને લાગે છે કે મનમોહન સિંહ જેવા નીવડેલા અર્થશાસ્ત્રીએ આપણને આ પરિસ્થિતિથી તો કમ-સે-કમ બચાવી રાખ્યા છે. રિઝર્વ બેન્કનું ગવર્નરપદ સંભાળનાર સરકારી કર્મચારી એ જ સરકારના વડાપ્રધાન પણ હોય તેવી લોકશાહી પણ ભારતમાં જ સંભવી શકે છે, પાકિસ્તાનમાં નહીં. બાકી 2014માં આવનારી સોળમી લોકસભાની ચૂંટણી પછી દેશનું નેતૃત્વ (વડાપ્રધાનપદ એમ પણ વાંચી શકાય) લેવા માટે આજથી – દોઢ વર્ષ પૂર્વેથી જ કેવી લડાઈઓ શરૂ થઈ ગઈ છે. વાજપેયીના અનુગામી નહીં બની શકેલા લાલ કૃષ્ણ અડવાણીએ / Lal Krishna Advani તેની શરૂઆત બ્લોગ’ / Blog લખવાથી કરી છે જેનું અંતિમ પરિણામ વોટીંગ મશીન થકી પ્રાપ્ત થવાનું છે. હા, મનમોહન સિંહને આવા કોઈ પ્રયત્નો કર્યા વગર જ સત્તા મળી છે.
ચેમ્બરથી વડાપ્રધાનની ચેમ્બર સુધી
ડૉ. મનમોહન સિંહ (રાજ્યસભામાં વિરોધપક્ષના નેતા)
શ્રેયસ પંડ્યા (ગુજરાત વેપારી મહામંડળના પ્રમુખ)
ભૈરવદાન ગઢવી (ગુજરાત પ્રદેશ કોંગ્રસના પ્રમુખ)
પૃથ્વીરાજસિંહ ચૌહાણ (કોંગ્રસના ગુજરાત પ્રભારી)
બ્લોગપોસ્ટ સાથેનો આ ફોટો તેનો જ એક નમૂનો છે. વડાપ્રધાન બન્યાના ઠીક દોઢ મહિના અગાઉ 10મી એપ્રિલે અમદાવાદની / Ahmedabad ચૂંટણી પ્રચાર મુલાકાતે આવનારા અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની / Gujarat Chamber of Commerce and Industry મુલાકાત લેનારા આ પૂર્વ નાણામંત્રીને ક્યાં ખબર હતી કે ચેમ્બરની મુલાકાત લીધા પછી તે વડાપ્રધાનની ચેમ્બરમાં બેસવાના છે. અને હા, તેમના પછી બે દિવસે – 12મી એપ્રિલે ચેમ્બરની મુલાકાત લેનારા તત્કાલીન નાણામંત્રી જસવંતસિંહને / Jaswant Singh પણ ક્યાં ખબર હતી કે તેઓ થોડા વખત પછી ચેમ્બર વિનાના થઈ જવાના છે.
ગુજરાત વેપારી મહામંડળનું મુખપત્ર 
(એપ્રિલ - 2004)
તો ત્રીજી વાર વડાપ્રધાન બને કે ન બને પરંતુ આજે સાઉથબ્લોકની ઓફિસમાંથી દેશનો વહીવટ કરતા ત્રણ પુત્રીઓના પિતા સરદાર મનમોહન સિંહને ત્રણ હજાર દિવસના શાસનની ખૂબ – ખૂબ શુભેચ્છાઓ.

( - વડાપ્રધાનની તસવીરો : નેટ પરથી
- અમદાવાદ મુલાકાતની તસવીર : ગુજરાત વેપારી મહામંડળના તત્કાલીન પ્રમુખ શ્રેયસ   પંડ્યાના સૌજન્યથી)