પ્રતિભાવો ઉર્ફે Comments

Showing posts with label Book Release. Show all posts
Showing posts with label Book Release. Show all posts

Tuesday, June 04, 2013

કાયદો હાથમાં લેશો નહીં, કોઈ લે ત્યારે આ પુસ્તિકાઓ હાથવગી રાખજો.....


વૅકેશનનો માહોલ છે. સ્કૂલો, કૉલેજો અને કૉર્ટમાં પણ ઉનાળુ વૅકેશન / Summer Vacation. કૉર્ટનું વૅકેશન સત્તાવાર ધોરણે તો સમાપ્ત થયું છે પણ તેને કાયમી ધોરણે પૂરું કરવા ચેન્નાઈના / Chennai એક વકીલ નામે કે. શ્યામ સુંદરે / K Shyam Sundar મદ્રાસ વડી અદાલતમાં / Madras High Court તે બાબતે પુનર્વિચારણા માગતી અરજી કરીને કોરટને ખુદને ન્યાયના કઠેડામાં ઊભી કરી છે. એટલા માટે કે વૅકેશનનું જાહેરનામું મદ્રાસ વડી અદાલતે જ બહાર પાડ્યું છે. બ્રિટિશ શાસન / British Power સમયે અંગ્રેજ ન્યાયાધીશો ભારતના ઉનાળાની ગરમી સહન નહોતા કરી શકતા. તેમની સવલત માટે કૉર્ટમાં ઉનાળુ વૅકેશન આપવાની પ્રથા શરૂ કરવામાં આવી હતી. શ્યામ સુંદરની પ્રાથમિક દલીલ એ છે કે સ્વતંત્રતા મળ્યા પછીના સાતમા દાયકાએ જજની કાર, ચેમ્બર અને કૉર્ટરૂમ સુધ્ધાં એરકંડિશન્ડ થઈ ગયા હોય ત્યારે વૅકેશન આપવાની પ્રથાને તિલાંજલિ આપવાનો સમય પાકી ગયો છે. (સમાચાર સંદર્ભ: http://www.news.civilserviceindia.com/pil-questions-summer-vacation-for-the-high-courts/)

(ડાબેથી) ઇન્દુકુમાર જાની, અશ્વિન કારીઆ, જે.જી. હિંગરાજીઆ,
જસ્ટિસ એ.જી. ઉરેજી, ડી.જી. કારીઆ અને રશ્મિકાન્ત શાહ
જો કે એવું છે કે કૉર્ટનું વૅકેશન વકીલ – અસીલ અને ન્યાયાધીશ સિવાયના વર્ગને પણ ક્યારેક ફળે ખરું. મારા સહિત ઘણા બધાંને ફળ્યું તેવું. શનિવાર, પહેલી જૂનની નમતી બપોરે પાલનપુર / Palanpur શહેરના જી.ડી. મોદી વિદ્યા સંકુલના હૉલમાં કાયદા વિદ્યાશાખાના નવ પુસ્તકોનું વિમોચન થયું. કાનૂની શબ્દકોશ (ડિક્ષનરી / English to Gujarati Dictionary)ના બે વૉલ્યુમ (Glossary of Legal : Words, Terms, Phrases, Maxims and Doctrines અને Concise Law Dictionary / બન્નેના પ્રકાશક: સી. જમનાદાસની કંપની / C. Jamnadas & Co., C-18, માધવપુરા માર્કેટ, શાહીબાગ રોડ, અમદાવાદ / Ahmedabad380 004. ફોન: 079-3028 9001) અને જન સામાન્યને કાયદાની સરળ સમજૂતી આપતી જુદા-જુદા વિષયની સાત પુસ્તિકાઓ. ડિમાઈ સાઇઝના ત્રીસથી સો પાનાં વચ્ચે સમાઈ જતી ‘કાયદાની કેડીએ’ શ્રેણી અંતર્ગતની સાત પુસ્તિકાઓના વિષય આ રહ્યા – ભારતીય બંધારણ, માનવ અધિકારો, પર્યાવરણ સુરક્ષાધારો (1986), સ્ત્રીઓ – બાળકો અને મા-બાપને માટે ભરણપોષણની કાયદાકીય જોગવાઈઓ, બંધારણ હેઠળના મૂળભૂત અધિકારો અને ફરજો, ગ્રાહક સુરક્ષાધારો અને હિન્દુ લગ્નધારા અંતર્ગત છૂટાછેડાની જોગવાઈઓ...તમામના પ્રકાશક ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય / Goorjar Granthratna Karyalaya અને પ્રાપ્તિસ્થાન ગૂર્જર સાહિત્ય ભવન – રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ / Ahmedabad 380 001. ફોન (079) 2214 4663 અને ઇ-મેઇલ: goorjar@ yahoo.com


કાનૂની શબ્દકોશના વિમોચનકર્તા : શ્રી નવલચંદ ગોવિંદજી કારીઆ
શબ્દકોશ સાથે સાત પુસ્તિકાઓના વિમોચન માટે કાયદાની જુદી-જુદી શાખાઓ સાથે જોડાયેલા સાત મહાનુભાવો ઉપસ્થિત હતા જેમની આગેવાની લીધી હતી શ્રી નવલચંદ ગોવિંદજી કારીઆએ / Navalchand Govindji Karia. સગપણમાં ગણીએ તો ઉપરોક્ત પુસ્તિકાશ્રેણીના સહલેખક અને સમગ્રપણે તેના સંપાદનની જવાબદારી અદા કરનાર પ્રાધ્યાપક અશ્વિનકુમાર કારીઆના / Ashwin N. Karia પિતા. અને હા સગપણને સાવ કોરાણે મુકીએ તો તેમની પહેલી ઓળખ એ કે ગુજરાતમાં કાયદાશાસ્ત્રની સેવા કરતા વકીલાતના ક્ષેત્રમાં સાત દાયકાનો સૌથી દીર્ઘ અનુભવ ધરાવનાર ધારાશાસ્ત્રી / Longest Served Practicing Advocate of Gujarat.

સાહેબો સાંભળો ‘પિતાએ મને વકીલ શું બનાવ્યો, મારી ત્રણ-ત્રણ પેઢી વકીલાતમાં આવી’
સાથે રિટાયર્ડ જસ્ટિસ ડી.જી. કારીઆ, પ્રકાશક રશ્મિકાન્ત શાહ અને ડીઆઈજી આર.જે. સવાણી
વિમોચન વિધિ / Book Release Function પછી વક્તવ્ય આપતી વખતે સત્તાણું વર્ષીય નવલચંદદાદાએ (પ્રેક્ટિસીંગ એડવોકેટ્સના તો ખરેખરા દાદા!) કોને યાદ કર્યા હશે તે કલ્પી શકાય ખરું? તેમના પિતાજીને. તેમણે જણાવ્યું કે 1939માં બી.એ. પાસ થઈને પોસ્ટમાસ્તર પિતા સમક્ષ મુંબઈ જઈને નોકરીએ વળગવાની ઇચ્છા જણાવી તો એમણે મને પોતાની ઇચ્છા જણાવી. એમ કહીને કે ‘હોય કંઈ. નોકરીએ વળગવાની શું ઉતાવળ છે? મારે તો તને એલ.એલ.બીનું / LL.B ભણાવીને વકીલ બનાવવો છે વકીલ.’ દાદા કહે કે હું વકીલ શું બન્યો તે આજે સિત્તેર વર્ષ પછી વકીલાતના / Advocate ક્ષેત્રમાં મારી ત્રણ-ત્રણ પેઢી સક્રિય છે. મને એનો આનંદ છે કે એ તમામને કામ કરતા જોવા હું હાજર છું.

કાનૂની શબ્દકોશની પ્રથમ આવૃત્તિ 6 ડિસેમ્બર 1981ના રોજ ગુજરાત વડી અદાલતના / High Court of Gujarat / http://gujarathighcourt.nic.in/ નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ બીપીનચંદ્ર જે. દિવાનના / Bipinchandra J. Divan /  http://gujarathighcourt.nic.in/formerchjustice.asp?formercjsid=6&x=14&y=6 હસ્તે અમદાવાદમાં / Ahmedabad વિમોચન પામી હતી. 2013માં પાલનપુર / Palanpur, Banaskantha District ખાતે તેની પાંચમી આવૃત્તિનું વિમોચન કર્યા પછી નવલચંદદાદાએ કહ્યું કે છઠ્ઠી આવૃત્તિના વિમોચનમાં હાજર રહેવાની મારી મહેચ્છા છે – આપ સૌ ઉપસ્થિતોની શુભેચ્છા છે એમ ગણી લઉં છું.

પુત્રના પુસ્તકનું વિમોચન પિતાના હસ્તે
કાયદા વિદ્યાશાખાના અધ્યાપન ક્ષેત્રે ચાર દાયકાનો બહોળો અનુભવ ધરાવતા અને તે સંબંધી ગુજરાતીમાં લેખન કરતા-કરતા પ્રકાશનના આ વિશિષ્ટ પ્રકલ્પ સાથે જોડાયેલા અશ્વિનભાઈ કારીઆએ / Ashwin N. Karia પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે વિદ્યાર્થી અવસ્થામાં નોંધો કરવાની પડેલી ટેવ મને લેખક બનવામાં ઉપયોગી નીવડી છે. એવી નોંધો તૈયાર કરતા જ હું શૈક્ષણિક પુસ્તકોનું પ્રકાશન કરતી સંસ્થા સી. જમનાદાસની કંપનીના સંપર્કમાં આવ્યો અને 1974માં પહેલું પુસ્તક પ્રકાશિત થયું. 1981માં પ્રથમવાર પ્રકાશિત શબ્દકોશ આઠ વર્ષની મહેનતને અંતે તૈયાર થયો હતો જે કામ ગોધરાના / Godhra અગ્રણી વકીલ ભૂપેન્દ્રભાઈ સોનીના / Bhupendra Soni સહકાર વિના શક્ય બનવાનું નહોતું. પાંચમી આવૃત્તિના વિમોચનમાં તેઓ સપરિવાર અહીં ઉપસ્થિત છે તેનો આનંદ વ્યક્ત કરતા તેમણે વધુમાં જણાવ્યું કે સી. જમનાદાસની કંપનીના સંચાલક રશ્મિકાન્તભાઈ શાહ / Rashmikant Shah સાથેના પરિચયનું ચાલીસમું વર્ષ ચાલી રહ્યું છે અને હવે અમારા સંબંધો લેખક – પ્રકાશકના સંબંધની પ્રચલિત વ્યાખ્યાને પણ વળોટી ગયા છે. કારીઆ પરિવારના બહુમતી સભ્યો ગુજરાતના / Gujarat વિવિધ શહેરોમાંથી આ કાર્યક્રમ નિમિત્તે પોતાની કર્મભૂમિ પાલનપુર / Palanpur સુધી આવ્યા તેની નોંધ લેતા તેમણે સૌનો આભાર માન્યો હતો.

કાનૂની શબ્દકોશના બીજા ગ્રંથના વિમોચનકર્તા ઇન્દુકુમાર જાની
કર્મશીલ પત્રકાર અને પાક્ષિક નયા માર્ગ’ના / Naya Marg Gujarati Fortnightly તંત્રી ઇન્દુકુમાર જાનીએ / Indukumar Jani આ પ્રસંગે ઉપસ્થિત રહેતા કરસનદાસ માણેકની કવિતા ‘શાને આવું થાય છે’ યાદ કરી ગરીબોના – કચડાયેલા વર્ગના હામી બની રહેવાની ઉપસ્થિત સૌને – ખાસ કરીને ન્યાયપ્રક્રિયા સાથે જોડાયેલા સૌને અપીલ કરી હતી. અશ્વિન કારીઆનો આ ગુણ જ મને નાદુરસ્ત તબિયત અને આરોગ્યની અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે પણ અમદાવાદથી પાલનપુર સુધી ખેંચી લાવ્યો છે તેમ તેમણે જણાવ્યું હતું. દેશની સર્વોચ્ચ અદાલતમાં વકીલાત કરતા રિટાયર્ડ જસ્ટિસ ડી. જી. કારીઆએ / Justice D. G. Karia પ્રતિભાવ આપતા જણાવ્યું કે કારીઆ પરિવારના બહુમતી સભ્યો કાયદાની પ્રેક્ટિસ સાથે સંકળાયેલા છે. કાયદા વિદ્યાશાખાના નવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાની એકૅડેમિક કરિઅર અપનાવનાર અશ્વિનભાઈ અમારા પરિવારનું ઘરેણું છે.

‘અજ્ઞાનને લઈ લોકો કાયદાથી ડરે છે’
- જસ્ટિસ એ.જી. ઉરેજી
બનાસકાંઠા જિલ્લા અદાલતના ન્યાયાધીશપદેથી થોડા સમય અગાઉ જ બઢતી પામીને ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિપદે વરાયેલા એ. જી. ઉરેજી / Justice A. G. Uraizee / http://gujarathighcourt.nic.in/judgelist.asp?judgeid=64 વિમોચન પ્રસંગે ઉપસ્થિત રહેવાની અનુમતિ પાલનપુરમાં ફરજ બજાવતા જ આપી ચૂક્યા હતા. પ્રસંગને દિપાવવા ખાસ અમદાવાદથી આવી પહોંચેલા જસ્ટિસ ઉરેજીએ તેમના વક્તવ્યમાં પોતાની વિદ્યાર્થી અવસ્થાને યાદ કરતાં એ સમયે અંગ્રેજી પુસ્તકોની ભરમાર વચ્ચે ગુજરાતી શબ્દકોશ કેટલો ઉપયોગી થઈ પડ્યો હતો તેની યાદ – અનુભવકથા વર્ણવી હતી. તેમણે જણાવ્યું કે, ‘કાયદાથી લોકો ડરે છે કારણ કે અજ્ઞાન પ્રવર્તે છે.’

‘આ પુસ્તિકાઓના પ્રચારની જવાબદારી હવે મારી’
- જિલ્લા કલેક્ટર જે.જી. હિંગરાજીઆ
બનાસકાંઠા લોકસભા બેઠકના તત્કાલીન સંસદસભ્ય મુકેશ ગઢવીના થોડા સમય પહેલા થયેલા અવસાનને કારણે આયોજિત પેટાચૂંટણીનું મતદાન કાર્યક્રમના બીજે દિવસે બીજી જૂને-રવિવારે યોજાવાનું હતું. મતદાન વ્યવસ્થા ગોઠવવાની અનેક જવાબદારીઓ અને કામના બોજ વચ્ચે પણ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર / Banaskantha District Collector જે. જી. હિંગરાજીઆ / J. G. Hingrajia કાર્યક્રમમાં પૂરો સમય ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે કાયદાના અજ્ઞાન સંબંધી જસ્ટિસ ઉરેજીની ટીકાને દૂર કરવા હું અને મારું વહીવટીતંત્ર આ પુસ્તિકાઓનો ઉપયોગ કરીશું, એટલું જ નહીં તેનો પ્રચાર – પ્રસાર કરવા માટે અમારાથી બનતા તમામ પ્રયત્નો કરીશું.

‘શોષિતોનું સાંભળનાર કોઈ તંત્ર મારા ગુજરાતમાં હોય’
- પોલીસ અધિકારી આર.જે. સવાણી
રેશનલ વિચારધારાના પ્રચાર – પ્રસારમાં સક્રિય રહેવા સાથે ગુજરાતના પોલીસતંત્રમાં ડી.આઈ.જી કક્ષાનો ઉચ્ચ હોદ્દો ધરાવતા પોલીસ અધિકારી આર.જે. સવાણીએ / R. J. Savani આ પ્રસંગે જણાવ્યું કે સમાજના છેવાડાના માનવી તેમજ કચડાયેલા–પીડિત–શોષિત વર્ગને ન્યાય મળે એવું કાયદાતંત્ર ગોઠવવાની તાતી જરૂર છે. અત્યારે એથી ઊલટી પરિસ્થિતિ છે. એક ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ‘જમીન ટોચમર્યાદા ધારા’ / Land Ceiling Act નામના પ્રવર્તમાન કાયદા વચ્ચે કોઈ વ્યક્તિ બે હજાર એકર જમીનની માલિકી ધરાવતો હોવાનો દાવો કરે અને તેને યથાર્થ ઠેરવવા વળી એમ પણ કહે કે હું તેની સામે આવકવેરો / Income Tax પણ ભરું છું ત્યારે થાય કે આ હજારો એકર જમીનના મૂળ માલિકો એવા ખેડૂતોની વાત-વેદના સાંભળીને તેમને ન્યાય અપાવનારું કોઈ તંત્ર પણ ગુજરાતમાં હોવું જોઇએ.

કાર્યક્રમના સંચાલક અને પુસ્તિકાઓના સહલેખક
તૃપ્તિ કારીઆ પિતા અશ્વિનભાઈ સાથે
સમગ્ર કાર્યક્રમનું સંચાલન તૃપ્તિ અશ્વિનભાઈ કારીઆએ / Trupti Karia કર્યું હતું જેઓ અમદાવાદમાં વકીલાતના વ્યવસાયમાં સક્રીય છે. ફૅમિલી કૉર્ટમાં / Family Court પ્રેક્ટિસ કરતા તૃપ્તિબહેને પ્રારંભે જ ઉપસ્થિત મહેમાનોને કાર્યક્રમ દરમિયાન પોતાનો મોબાઇલ ફોન ‘સાઇલન્ટ મૉડ’ પર રાખવાની વિનંતી કરી હતી. કૉર્ટની સુનાવણી દરમિયાન મોબાઇલની રીંગ વાગતા અઠવાડિયા અગાઉ મારે પોતે પણ પચાસ રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો એવી માહિતી આપતા તેમણે ઉમેર્યું કે દંડનો હુકમ કરનાર જસ્ટિસ એ. જી. ઉરેજીસાહેબ અહીં ઉપસ્થિત છે ત્યારે મારી આ વિનંતી આપની વિશેષ જવાબદારી બની જાય છે. હા, એ અર્થમાં કાર્યક્રમ ખરેખર જ વિશિષ્ટ હતો. કૉર્ટના વૅકેશન સમાપ્તિનો છેલ્લો દિવસ હતો. પાલનપુર શહેરની સાથે બનાસકાંઠા, પાટણ / Patan, સાબરકાંઠા / Sabarkantha (હિંમતનગર / Himmatnagar) અને મહેસાણા / Mehsana એમ ચાર જિલ્લાના અગ્રણી વકીલો કાયદા સાહિત્યના આ વિમોચન કાર્યક્રમમાં ઉલટભેર ઉપસ્થિત હતા. ચાર કલાક ચાલેલા આ પ્રસંગ દરમિયાન મોબાઇલ રણકે નહીં તેની દરેકે દરકાર રાખી હતી. કૉર્ટનું વૅકેશન ક્યારેક આ રીતે પણ ફળે ખરું કે ન્યાયતંત્ર સાથે જોડાયેલા લોકોને આ પ્રકારના કાર્યક્રમમાં હાજર રહેવાની અનુકૂળતા થાય.

કાર્યક્રમના અંતે પરિવારજનોના પ્રતિનિધિ સરખા દોહિત્ર મેધાંશ (લેખકના હાથમાં)
અને મિત્રજનોના પ્રતિનિધિ સરખા ધીરુભાઈ મીસ્ત્રી (લેખકના પિતા સાથે સુરવાલમાં)
તેમજ આમંત્રિત મહેમાનો સાથે અશ્વિન કારીઆ
કાયદાની સાથે રેશનાલિઝમની / Rationalism પ્રવૃત્તિઓમાં માત્ર વૈચારિક નહીં પણ સાથી દોસ્તોને સક્રિય સાથ આપતા – સાથ નિભાવી જાણતા એક જુદા જ અશ્વિન કારીઆની વાત પણ અહીં ફરી ક્યારેક કરીશું.


(કાર્યક્રમની તસવીરો : બિનીત મોદી)

Monday, September 10, 2012

વર્ગીસ કુરિયન : આપનો ફોટો પાડવો એ ‘મારું સ્વપ્ન’


ડૉ. વર્ગીસ કુરિયન : 26-11-1921થી 09-09-2012 

પુસ્તક લોકાર્પણ – વિમોચન કાર્યક્રમની તસવીરો અવસર-સમય મળ્યે લેતો હોઉં છું. પોસ્ટ સાથેની આ તસવીરો એવા જ એક કાર્યક્રમની છે જે 2006ના વર્ષમાં અમદાવાદમાં યોજાયો હતો. મારા માટે એ અવસર હતો. એવો અવસર જેને મેં કેમેરો હાથમાં લીધો હોય તેના પહેલા દિવસથી ઝંખ્યો હોય. કેમ? થોડું બેકગ્રાઉન્ડ જાણવું અને ફ્લેશબેકમાં જવું જરૂરી છે.

સ્કૂલના બારમાંથી પાંચ ઘોરણ ઠાસરામાં ભણવાનું થયું. ખેડા જિલ્લાના તીર્થધામ ડાકોર / Dakor પાસેના એ ગામની વિશેષતા તો કોઈ હતી નહીં. સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયામાં / State Bank of India કામ કરતા પપ્પા (પ્રફુલ મોદી)ને પ્રમોશન સાથે મળવાપાત્ર ટ્રાન્સફરને કારણે અહીં રહેવા – ભણવાનું થયું હતું. ત્રણ ધોરણ સુધી અમદાવાદમાં ભણ્યા પછી ચોથું ધોરણ ઠાસરાની તાલુકા શાળામાં ભણ્યો અને આગળ ભણવા માટે પાંચમા ધોરણથી ધી જે. એમ. દેસાઈ હાઇસ્કૂલમાં / The J.M. Desai High School દાખલ થયો. પ્રિન્સીપાલ પણ એ વર્ષે જ સ્કૂલમાં દાખલ થયા હતા. રમેશચંદ્ર બી. જોશી તેમનું નામ. તુવેરદાળના ઉત્પાદનથી પ્રખ્યાત વાસદ નજીકના રણોલી જેવા ઠાસરા કરતા પ્રમાણમાં નાના ગણાય તેવા ગામની સ્કૂલનું આચાર્યપદ છોડીને તેઓ અહીં આવ્યા હતા. સ્કૂલ તો મોટી હતી જ, વિદ્યાર્થીઓને ભણાવવા કરતાંય તેમનું ઘડતર થાય એ જોવાની એમની મોટી હોંશ હતી. ગામના વેપારીઓ-કમ-સ્કૂલના ટ્રસ્ટીઓ એવા કેટલાક ખડ્ડૂસોની મરજી વિરૂદ્ધ એ દિશામાં તેમણે કેટલાંક પગલાં પણ લીધા હતા.

વર્ષોના વીતવા સાથે તેમાંની ઘણી બધી વાતો-બાબતો આજે યાદ નથી રહી. યાદ રહી ગઈ છે આર.બી. જોશી સાહેબની એક પ્રવૃત્તિ. સ્કૂલના વાર્ષિક કાર્યક્રમ નિમિત્તે તેઓ ખેડા જિલ્લાની ગણમાન્ય કહી શકાય તેવી વ્યક્તિને વિદ્યાર્થીઓના જીવન ઘડતર સંબંધિત પ્રવચન માટે નિમંત્રણ આપતા. મને બરાબર યાદ છે કે પહેલા વર્ષે બોરસદની બી.એડ. કૉલેજના પ્રિન્સીપાલ પુનમભાઈ પટેલ આવ્યા હતા (જેઓ પાછળથી સ્કૂલના ટ્રસ્ટીમંડળમાં પણ સામેલ થયા), બીજા વર્ષે આજે છે તેથી ઓછા જાણીતા અને તે સમયે દંતાલી વાળા સ્વામી એવા વિશેષણથી ઓળખાતા સચ્ચિદાનંદ આવ્યા હતા તો ત્રીજા વર્ષે આણંદથી આવેલા ડૉ. વર્ગીસ કુરિયનના / Verghese Kurien પ્રવચનનો લાભ અમને વિદ્યાર્થીઓને મળ્યો હતો. સીધો નહીં આડકતરો. કારણ કે ભાષણ તો તેમણે અંગ્રેજીમાં આપ્યું હતું જેનું હાર્દ અમને વિદ્યાર્થીઓને જોશી સાહેબે ગુજરાતીમાં કહી સંભળાવ્યું હતું.

એ સમયે તેમણે કહેલી વાતો તો આજે યાદ નથી. હા, એટલું યાદ છે કે અગાઉના બે મહાનુભાવો કરતા તેમની મુલાકાત વિશિષ્ટ હતી. તેમના આગમન સમયે મારા પાડોશી અને ઠાસરાના મામલતદાર એવા ગિલ્બર્ટ જે. નેઝરથ હોદ્દાની રૂએ સ્કૂલમાં હાજર હતા અને કારમાંથી ઉતરતા ડૉ. કુરિયનને / Dr. Verghese Kurien તેમણે સેલ્યુટ આપી હતી. બસ, એ ક્ષણથી એ સેલ્યુટ મનમાં અંકાઈ ગઈ છે. એટલી ખબર પડી કે તેઓ કોઈ મોટી હસ્તી હતા – મહાનુભાવ હતા. આજે ગાંધીનગર ખાતે સચિવાલયમાં ગુજરાત સરકારના એક નિગમના મેનેજિંગ ડિરેક્ટરના પદ પર કાર્યરત નેઝરથ સાહેબ સાથેની ફોન વાતચીતમાં ભૂતકાળનો એ પ્રસંગ યાદ કર્યો તો એમણે માહિતી આપી કે એ સમયે (વર્ષ 1981) ડૉ. કુરિયનને ભારત સરકારના પદ્મશ્રી અને પદ્મભૂષણ જેવા સન્માન મળી ચૂક્યા હતા અને એ સમયના પ્રોટોકોલ પ્રમાણે આવી સન્માનપાત્ર વ્યક્તિની મુલાકાત-ઉપસ્થિતિ સમયે મામલતદારે હાજર રહેવું અનિવાર્ય લેખાતું હતું.

હા, કેમેરો હાથમાં લીધો એ દિવસથી અને તેમણે કરેલી કામગીરી સંબંધે સમજણનો થોડો ઘણો ઉઘાડ થયો ત્યારથી તેમનો ફોટો પાડવો એ મારા માટે પણ અનિવાર્ય બની ગયું હતું. કેમ? એના કારણમાં સંભવતઃ ઉપરોક્ત ઘટના જ હોય એમ હું આજે 2012માં એમની વિદાય વેળાએ માનું છું. આણંદમાં સાવ જ લૉપ્રોફાઇલ રહીને વૈશ્વિક સ્તરનું પ્રદાન કરી ચૂકેલા ડૉ. કુરિયનનો ફોટો એમ અમદાવાદ રહ્યે તો કેમ પડે? જો કે એવો અવસર મને તેમની શ્વેતક્રાંતિને કારણે નહીં પણ સાહિત્યને કારણે મળ્યો. રિપીટ...પુસ્તક લોકાર્પણ – વિમોચન કાર્યક્રમની તસવીરો અવસર-સમય મળ્યે લેતો હોઉં છું. કેમ? એના કારણોની ખબર નથી. શોધવાય નથી. નિજાનંદ – હા, એ એક કારણ ખરું. પુસ્તક વિમોચનનો મુખ્ય કાર્યક્રમ સંપન્ન થાય તે પછીની ઑફ સ્ટેજ તસવીરો લેવી એ મારો મનગમતો વિષય છે જે મને વારંવાર ઝડપવો – માણવો ગમે છે. ડૉ. કુરિયનની બાબતમાં એવો અવસર મને 2006માં મળ્યો જ્યારે તેમની અંગ્રેજી આત્મકથા ‘I too had a Dream’ના ગુજરાતી અનુવાદનું અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલમાં વિમોચન હતું. દિવસ હતો 13મીઓગસ્ટ 2006 અને રવિવારની સવાર.

(ડાબેથી) સુધા મહેતા, મોલી કુરિયન, ડૉ. વર્ગીસ કુરિયન, બકુલ ત્રિપાઠી,
ભગતભાઈ શેઠ, ચિંતન શેઠ અને સુનીતા ચૌધરી
સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં મારું સ્વપ્ન નામે અનુવાદિત ડૉ. કુરિયનની આત્મકથાના પ્રકાશક આર.આર. શેઠની કંપની / www.rrsheth.com દ્વારા આયોજિત એ કાર્યક્રમમાં ગુજરાતના સહકારી જગતના મોટાભાગના આગેવાનો ઉપસ્થિત હતા. એમાંના એક એવા ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને દૂધસાગર ડેરીના ચેરમેન વિપુલ ચૌધરી આજે અમૂલનું / www.amul.com ચેરમેનપદ સંભાળે છે. કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં તેમજ સ્ટેજ પરના બેકડ્રોપમાં લખ્યા પ્રમાણે પુસ્તકનું વિમોચન ગુણવંત શાહ / Gunvant Shah કરવાના હતા પરંતુ કોઈક કારણસર તેઓ કાર્યક્રમમાં પહોંચી શકે તેમ ન હતા. એટલે તેમના સ્થાને પુસ્તકના લોકાર્પણકર્તા બનેલા હાસ્યલેખક બકુલ ત્રિપાઠીએ / Bakul Tripathi પોતાના વક્તવ્યના પ્રારંભે જ કહ્યું કે, આ કામગીરી મારા ભાગે ઇન્ટરનલ ઓપ્શનમાં આવી છે. હું અને ગુણવંતભાઈ બન્ને એક જ પ્રકાશક સાથે જોડાયેલા લેખકો છીએ. સમારંભનું પ્રમુખપદ સંભાળનાર બકુલભાઈ તે સમયે ગુજરાતી સાહિત્ય પરિષદના / www.gujaratisahityaparishad.com પ્રમુખપદે કાર્યરત હતા. પુસ્તક વિમોચનનો મુખ્ય કાર્યક્રમ સંપન્ન થયા પછી શ્રોતાઓ સાથે પ્રશ્નોત્તરીનો સમય ફાળવવામાં આવ્યો હતો. એક પ્રશ્ન તેમને એવો પૂછવામાં આવ્યો કે, અમૂલ જેવું સહકારી ક્ષેત્રનું ઉત્તમ મોડેલ તેઓએ અન્યત્ર કે અન્ય ક્ષેત્રમાં શા માટે ન વિક્સાવ્યું?”…તેમણે ત્વરિત અને તાર્કિક જવાબ આપ્યો કે, મારું જ્ઞાન ડેરી ટેક્નોલોજિ પૂરતું સીમિત હતું અને એના માટે જ ગુજરાત આવ્યો હતો. બીજા પણ પ્રશ્નો પૂછાયા પરંતુ તેમનો આ જવાબ યાદ રહી ગયો છે.

પુસ્તક પ્રાકટ્યનો પ્રતિભાવ...અને...
...શ્રોતાઓ સાથે સવાલ – જવાબ
ઉપરોક્ત કાર્યક્રમના અઢારમા દિવસે 31મીઓગસ્ટે બકુલ ત્રિપાઠીનું અમદાવાદમાં અવસાન થયું. એ રીતે આ કાર્યક્રમ તેમનો છેલ્લો જાહેર કાર્યક્રમ બની રહ્યો. બકુલ ત્રિપાઠીના દુઃખદ અવસાનના સમાચારથી માહિતગાર થયેલા કુરિયન સાહેબે તેમની બીજી સપ્ટેમ્બરે પ્રસ્થાન પામેલી અંતિમયાત્રા અગાઉ પોતાના પ્રતિનિધિને ગુજરાતી સાહિત્ય પરિષદના પટાંગણમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મોકલીને પોતાની નિસબત પ્રકટ કરી હતી. આવી કે આ પ્રકારની કંઇક નિસબતોની આજના ગુજરાતમાં મોટી ખોટ વર્તાય છે એ અહીં માત્ર ઉલ્લેખવાનો નહીં, અલગ લેખનો વિષય છે.

ન્યુઝ ચેનલ સી.એન.એન-આઈ.બી.એન / CNN-IBN www.ibnlive.in.com તરફથી 2011માં ડૉ. વર્ગીસ કુરિયનને લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ જાહેર થયો તેના સમારંભમાં સન્માન સ્વીકારતા અને પ્રતિભાવ આપતા તેમને ટી.વી.માં જોયા હતા. એ એવો સમય હતો જ્યારે ઇ-મેલના ઇનબોક્ષમાં રોજની બે મેઇલ તેમને લગતી આવતી હતી. ડૉ. કુરિયનને ભારતરત્ન મળે તે માટે ચલાવાતી ઓનલાઇન ઝુંબેશમાં સામેલ થવાનું આમંત્રણ કે પીટીશન સાઇન કરવાનું જણાવતી એ ઇ-મેલ એકવીસમી સદીનો – સમયનો તકાજો હતી. દેશ માટે શ્વેત ક્રાંતિની ઝુંબેશ સફળતાપૂર્વક પાર પાડનાર માટે ભારતરત્નની ઓનલાઇન ઝુંબેશ કરવી પડે તેને પણ સમયની બલિહારી જ કહેવી પડે.

કાર્યક્રમના અંતે કુરિયન દંપતી સાથે બકુલ ત્રિપાઠી

ડૉ. વર્ગીસ કુરિયન – આણંદમાંથી માત્ર આપના નશ્વર દેહને અલવિદા અપાઈ છે, આત્માએ તો અમૂલમાં કાયમી સ્થાન બનાવી લીધું છે.