પ્રતિભાવો ઉર્ફે Comments

Showing posts with label Dalit Issues. Show all posts
Showing posts with label Dalit Issues. Show all posts

Friday, April 18, 2014

દાક્તરોએ ડૉક્ટર આંબેડકરને યાદ કર્યા, પહેલી જ વાર!


અમદાવાદ એક એવું શહેર છે જ્યાં વર્ષના 365 દિવસ કાર્યક્રમો ચાલતા રહે છે. લિપ યર હોય તો 366 દિવસ પરોગરામ ચાલતા રહે છે. આ ‘પરોગરામ’ શબ્દ મુંબઈનિવાસી નાટ્યકાર મનોજ શાહએ / Manoj Shah / http://www.ideasunlimited.org/ આપેલો છે અને એટલી કબૂલાત કરીને મારી વાત આગળ વધારું છું. એક-બે આંગળીઓના વેઢે ગણાય એવા અડધો ડઝન દિવસો વર્ષમાં એવા આવે કે એ દિવસે તો કાર્યક્રમોનો રાફડો જ ફાટે. એકસરખા વિષયવસ્તુ ધરાવતા દરેક બીબાંઢાળ કાર્યક્રમોમાં સમયસર પહોંચવું હોય, ફરી વળવું હોય તો ચૂંટણી ટાણે નેતાઓ ઉડાઉડ કરે છે તેવું હેલિકૉપ્ટર્ ભાડે લેવું પડે. આમ કર્યા પછી પણ ચોવીસ કલાક ઓછા પડે.

14 એપ્રિલ આવો જ એક દિવસ છે – ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મદિવસ. બાકીના દિવસો તેમણે ઘડેલા બંધારણને / Constitution of India ઘડીભર યાદ નહીં રાખનારા, તેને કોરાણે મુકનારા, વિધાનસભા – સંસદમાં તેના લીરા ઉડાડનારા નેતાઓ આ દિવસે ઉમટી પડે. કહ્યું ને ચોવીસ કલાક પણ ઓછા પડે. ડૉ. બી.આર. આંબેડકરની / Bhimrao Ramji Ambedkar Dr. સ્મૃતિમાં કાર્યક્રમ આયોજિત કરનાર સંસ્થા અમદાવાદ મેડિકલ ઍસોસિએશનની બાબતમાં પણ એમ જ બન્યું. રાત્રે સાડા નવ પછી કાર્યક્રમ શરૂ થયો અને મુખ્ય વક્તાનો નંબર આવ્યો ત્યારે ડાયસ પર બેઠેલા મહાનુભાવોના બગાસા ખાતા ખુલ્લા મોંમાં દસ-સવા દસનો સમય જોઈ શકાતો હતો.

(ડાબેથી) કાર્યક્રમના બે આયોજકોની સાથે આર.એમ. પટેલ,
રમેશચંદ્ર પરમાર અને ડૉ. એમ.એમ. પ્રભાકર
કાર્યક્રમનો નિર્ધારિત સમય તો સાડા આઠનો હતો પણ શરૂઆતનો પ્રથમ કલાક ભોજન વ્યવસ્થાને ન્યાય આપવામાં પસાર થયો. અમદાવાદના આશ્રમરોડ પર આવેલા હેન્ડલૂમ હાઉસની પાછળ આવેલા અમદાવાદ મેડિકલ ઍસોસિએશન / Ahmedabad Medical Association – AMA / http://ahmedabadmedicalassociation.com/ ભવનના બીજા માળે આવેલા નાનકડા સભાખંડમાં ગોઠવેલી ખુરશીઓ જેટલા શ્રોતાઓ આવી ગયા એટલે કાર્યક્રમ શરૂ થયો. નાનકડા સભાખંડના નાનકડા ડાયસ પર ખુરશીઓની પણ ભીડ હતી. એક ભાઈને અમથો જ વિવેક કર્યો કે, મારી બાજુની ખાલી ખુરશીમાં બેસો. જવાબ મળ્યો, ‘ના, મારે તો સ્ટેજ પર બેસવાનું છે.’ એક જ ફૂટની નીચાઈ (ઊંચાઈ નહીં) ધરાવતા ‘સ્ટેજ’ પર બેસવા માટે ‘મહાનુભાવોનો મેળો’ જામ્યો. જોઈને થયું કે મારી બાજુમાં બેસવાનું પસંદ નહીં કરનારા ભાઈની હવે તો સ્ટેજ પરથી પણ જગ્યા ગઈ. પણ એ ભાઈ ખાસ્સા સ્વાવલંબી નીકળ્યા. પ્લાસ્ટિકની ખુરશી જાતે જ ઊંચકીને સ્ટેજ પર ગોઠવી દીધી અને પોતે પણ ગોઠવાઈ ગયા.

રમેશચંદ્ર પરમાર
શ્રોતાઓને આવકાર, કાર્યક્રમનો હેતુ, મહેમાનોનો પરિચય અને સ્વાગત, બાબાસાહેબની તસવીરને પુષ્પહાર, દીપ પ્રાગટ્ય અને મેમેન્ટો-સ્મૃતિચિહ્ન અર્પણ જેવી વિધિઓ આટોપાઈ એ પછી વક્તાઓનો વારો આવ્યો. પ્રથમ વક્તા હતા દલિત અગ્રણી અને ઉત્તમ વક્તાની જાહેર ઓળખ ધરાવતા રમેશચંદ્ર પરમાર / Rameshchandra Parmar. આયોજકોએ તેમને આપેલો વિષય હતો – આંબેડકર : એક રાષ્ટ્રીય નેતા / Ambedkar : A National Leader. વક્તવ્યના પ્રારંભે જ તેઓએ જણાવ્યું કે આજના દિવસની તેમની આ પાંચમી સભા છે અને ભણેલા-ગણેલા લોકો વચ્ચેની તો પહેલી જ. પોતે બહુધા ઝૂંપડપટ્ટીઓ, ચાલીઓમાં કે ફૂટપાથ પર જ અને સામાન્ય લોકને સમજાય તેવી ભાષામાં વક્તવ્ય આપવા માટે જાણીતા છે તેવી સ્પષ્ટતા પણ તેમણે કરી. નજીકના ભૂતકાળમાં થયેલા કેટલાક અભ્યાસો અને ડૉ. આંબેડકર પરદેશમાં જ્યાં ભણ્યા હતા તે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીએ તેના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંબંધે રજૂ કરેલા તારણોનો આધાર લઈને તેમણે ભીમરાવ રામજી એક સ્કોલર હતા તે તો સાબિત કરી દીધું. જો કે તેમને આપવામાં આવેલા વિષય અનુસાર ડૉ. આંબેડકરને નેતા / Leader રૂપે ઉપસાવવામાં ગાંધીજી તેમજ સમકાલીનોની ફૂટપટ્ટી વાપરવાને કારણે ઊણા ઊતર્યા.

ડાયસ પર...સોરી...સ્ટેજ પર બેઠા હતા એ તમામે બોલવાનું હતું કે નહીં તેની ખબર નહીં પણ તમામે એવું માની લીધેલું કે પોતે વક્તા તો છે જ. એમ થોડાક વક્તાઓ પછી વારો આવ્યો. ડૉ. એમ.એમ. પ્રભાકરનો. અમદાવાદની જગવિખ્યાત સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ. બોલવાનું શરૂ કર્યું એ પહેલા તેમના વિષયની જાણ ન થઈ અને વક્તવ્ય પૂરું થયું ત્યાં સુધી એ શું બોલ્યા તે ખબર ન પડી. પોતે કોઈ વક્તા નથી, આંબેડકર કે તેમના પ્રદાન વિશે ઝાઝું જાણતા નથી એવો દર બીજી મિનિટે એકરાર કરતા-કરતા તેઓ ખાસ્સું એવું દસ મિનિટ જેટલું બોલી ગયા. શિક્ષણ તેમજ સરકારી નોકરીઓમાં અનામતની તેમજ દર દસ વર્ષે તેની સમીક્ષા કરી રિન્યૂ કરવાની જોગવાઈથી રાજી-રાજી એવા ડૉ. પ્રભાકરને તબીબી વિદ્યાશાખાની બેઠક સંખ્યા ઓછી લાગે છે. ઉચ્ચશિક્ષણ લીધા સિવાયની કોઈ કારકિર્દી જગતમાં હોઈ શકે જ નહીં તેવું ઠસાવવા માગતા ડૉ. પ્રભાકરને સાંભળીને તેમની સલાહ અમલમાં મુકી શકે તેવા કોઈ યુવક-યુવતી સભામાં હાજર નહોતા એ ડૉક્ટરની કમનસીબી.

આર.એમ. પટેલ
આમ થોડા વક્તાઓ પછી છેલ્લે વક્તવ્ય આપવાનો વારો આવ્યો આર.એમ. પટેલનો. ગુજરાત સરકારની સનદી સેવાઓમાંથી વેળાસર નિવૃત્તિ લઈ રાજકારણમાં સમયસર ઝંપલાવનાર આર.એમ. પટેલ / R.M. Patel ભારતીય જનતા પક્ષની ટિકિટ પર પ્રથમવાર ચૂંટાયેલા અમદાવાદની અસારવા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. તેમણે ડૉ. આંબેડકરના પ્રદાન સંબંધી તથ્યો આધારિત કેટલીક વાતો કરી.

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર સહિતના નોંધપાત્ર હોદ્દાઓ સંભાળી ચૂકેલા આર્થિક વિશેષજ્ઞ ડૉ. નરેન્દ્ર જાધવ / Narendra Jadhav Dr. લિખિત આંબેડકર પરનું એક અંગ્રેજી પુસ્તક સંદર્ભ માટે સાથે લઈને આવેલા આર.એમ. પટેલ સહિતના તમામ વક્તાઓનો એક સૂર એવો હતો કે સાથી વક્તા તરીકે રમેશચંદ્ર પરમાર હોય પછી અમારે તો વળી શું કહેવાનું હોય? એમના જ્ઞાનની આગળ અમારી જાણકારી તો પાણી ભરે...વગેરે. જો કે રમેશચંદ્ર પરમારએ એવો કોઈ અનુભવ કરાવ્યો નહીં.

યુવાન વયે હૃદયરોગના હુમલાથી અવસાન પામેલા અમદાવાદના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. શ્રેણીક શાહની / Shrenik Shah Dr. શોકસભા આ જ સ્થળે મોટા હોલમાં કાર્યક્રમને સમાંતર ચાલી રહી હોવાથી અહીં ડૉક્ટરોની હાજરી ઓછી હતી. કાર્યક્રમ તેના અંત ભણી આગળ વધી રહ્યો હતો. હેતુ જણાવ્યા પછી કે મુખ્ય વક્તાઓના વક્તવ્યો સાંભળ્યા પછી પણ આ કાર્યક્રમના આયોજન પાછળનો કોઈ આશય સ્પષ્ટપણે દેખાતો નહોતો. શોકસભામાં હાજરી આપીને ઉપસ્થિત થયેલા અને હોદ્દાની રૂએ ડાયસ પર હાજર અમદાવાદ મેડિકલ ઍસોસિએશનના પ્રમુખ ડૉ. વિદ્યુત દેસાઈએ સાથી ડૉક્ટરમિત્રોને યાદ અપાવ્યું કે થોડીક આપણી, આપણા ફિલ્ડની પણ વાત કરોને. અહીં ફિલ્ડ એટલે તબીબી વ્યવસાય. સારવારના પ્રકાર કે તે સાથે સંકળાયેલી આર્થિક બાબતોથી નારાજ દર્દી કે મોટેભાગે સાથે રહેનારા તેના સગાં-સંબંધી ડૉક્ટર કે હૉસ્પિટલના કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કે ક્યારેક હિંસક મારામારી પણ કરી બેસે છે. આવી ઘટનાઓ સામે અત્યાર સુધી અસુરક્ષિત એવા ડૉક્ટરોને થોડા સમય પહેલાં કાયદાનું રક્ષણ મળ્યું છે. ગુજરાત વિધાનસભાએ આ સંદર્ભે એક ખરડો પણ 29 માર્ચ 2012ના રોજ પસાર કર્યો છે. ‘ગુજરાત તબીબી સેવા અથવા તબીબી સંસ્થામાં હિંસક ગુના રોકવા તેમજ મિલકતનું નુકસાન રોકવા – 2012 એ નામના બીલને અંગ્રેજીમાં Gujarat Medicare Service Persons and Medicare Service Institutions (Prevention of Violence and Damage or Loss of Property, Guj 13 Act 2012) એવા લાંબાલચક નામથી ઓળખાવાયો છે.

ડૉક્ટર - હૉસ્પિટલને હિંસક હુમલા સામે રક્ષણ આપતો કાયદો
એએમએના પ્રમુખ ડૉ. વિદ્યુત દેસાઈ ઇચ્છતા હતા એવી વાત ડાયસ પરનું કોઈ કરી શકે તેમ નહોતું. કારણ કે એ માટે અભ્યાસ અને સમજ બન્ને જોઈએ. કાયદાનો અભ્યાસ અને તેને ડૉ. આંબેડકર કે તેમણે આપેલી લડત સાથે પોતાની વાતને સાંકળવાની સમજ. સારવારથી નારાજ દર્દીનાં સગાં હિંસક મારામારી પર ઉતરી આવે તેની સામે ન્યાય મેળવવા ડૉક્ટર, હૉસ્પિટલ કે તેના કર્મચારીઓએ ચોક્કસ લડત આપવી જ જોઇએ. એ માટે તો દેશના પ્રથમ કાયદાપ્રધાન ડૉ. બી.આર. આંબેડકરનું / Dr. B.R. Ambedkar નામ જ કામમાં આવે. ઉપરોક્ત કાયદાની છણાવટ કરતું, સમજ આપતું લેમિનેટેડ બૉર્ડ સભામાં ઉપસ્થિત સૌ શ્રોતાઓને આપવામાં આવ્યું ત્યારે જ ખ્યાલ આવ્યો કે ઇન્ડિયન મેડિકલ ઍસોસિએશનની / Indian Medical Association / http://www.ima-india.org/ એક શાખા એવા અમદાવાદ મેડિકલ ઍસોસિએશનએ તેના દાયકાઓ જૂના ઇતિહાસમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરને યાદ કરવાનો પ્રસંગ પહેલી જ વાર કેમ પડ્યો. પડે...પડે...ક્યારેક આંબેડકરનો પણ ખપ પડે.

અમદાવાદ મેડિકલ ઍસોસિએશન ખાતે આ પ્રકારની વિચારગોષ્ઠિઓ વારંવાર થવી જોઇએ એવું પણ એક સૂચન વક્તાઓ વચ્ચેથી આવ્યું. બેશક થવી જ જોઇએ. એક-બે રૂમના નર્સિંગહોમથી લઈને નાની-મોટી હૉસ્પિટલના બાથરૂમ – સંડાસના સફાઈકામ માટે માત્રને માત્ર દલિત વ્યક્તિની પસંદગી કરવાથી લઈને પેથોલોજી પરીક્ષણ માટે આવતા માનવમળના / Stool Samples બોટલબંધ નમૂનાને પણ હાથમાં લેવાનું ટાળતા કે તેના નિકાલ માટે દલિત સફાઈ કામદારના આવવાની રાહ જોતા ડૉક્ટરો – તબીબમિત્રો કે તેમના કર્મચારીઓની ચર્ચા પણ ક્યારેક થાય તો સારું. પીડા કોને કહેવાય અને અન્યાય એટલે ખરેખર શું એ સમજાઈ જશે. ખરેખર હોં.


(તસવીરો : બિનીત મોદી)

Tuesday, March 04, 2014

‘આમ આદમી’ની સ્વમાન જાળવવાની લડાઈ


અમદાવાદ / Ahmedabad જેવા શહેરોમાં રવિવારની સવાર પણ હવે રોજ જેવી જ ઉગે છે. સોમવારની સવારથી શનિવાર સુધી રોજ કામ-ધંધે વળગવા દોડધામ કરતા લોકો રજાના દિવસે પલાંઠી વાળીને બેસવાને બદલે હરવા-ફરવા માટે દોડધામ કરતા નજરે પડે છે. એમાં હરવા-ફરવાને બદલે હડિયાપાટી કરતા હોય એવું વધારે લાગે. એમ કરવામાં ક્યારેક વિવેકભાન પણ ચૂકી જાય.

બીજી માર્ચના રવિવારની સવારે આમ જ થયું. આમિર ખાનના બહુચર્ચિત ટી.વી. શૉ ‘સત્યમેવ જયતે’ની બીજી સીઝનનો પહેલો એપિસોડ ઑન-ઍર થવાનો સમય નજીક હોય એવો જ સવારના અગિયાર આસપાસનો સમય હતો. ‘રક્તદાન, સમાજ અને માધ્યમો’ એવા એક વિષય પર પંદરેક મિનિટનું વક્તવ્ય આપવાનું હતું. આશ્રમરોડ પર હૅન્ડલૂમ હાઉસની પાછળ આવેલા અમદાવાદ મેડિકલ ઍસોસિએશન ખાતે આયોજિત કાર્યક્રમમાં પહોંચવા માટે મીઠાખળી ગામ અને તેનું રેલવે ક્રૉસિંગ વટાવીને જવાનો રસ્તો મને વધુ અનુકૂળ પડે તેમ હતો. જો કે રેલવે ક્રૉસિંગ બંધ હતું. થોડી વાર રાહ જોઈ શકું એટલો સમય મારી પાસે બચ્યો હતો. બીજી તરફ જ્યાં પહોંચવાનું હતું તે સ્થળ પર ચાલીને જઈ શકું એટલો નજીક તો પહોંચી જ ગયો હતો.

આવી ગડમથલ ચાલતી હતી તેવામાં જ વાહનોના ભોં...પૂં...ઉં...અને ભીડ વચ્ચેથી એક મોટી બૂમ સંભળાઈ કે, ‘પોલીસ આવશે પછી જ આ ક્રૉસિંગ ખૂલશે.’ રેલવે ક્રૉસિંગ પર આવી જાહેરાત થતી સંભળાય એટલે નાનો-મોટો અકસ્માત થયો હોવાનું અનુમાન સહેજે લગાવી શકાય. જો કે અહીં એવું કંઈ દેખાતું નહોતું. સમય બગાડવાનું પાલવે તેમ નહોતું એટલે સ્કૂટરને ક્રૉસિંગ સામે જ આવેલી નર્મદ – મેઘાણી લાઇબ્રેરીના બાંકડા પાસે પાર્ક કર્યું. નજીક જઈને જોયું તો પોલીસને બોલાવવી પડે તેવું કોઈ જ કારણ નજરે પડતું નહોતું. હા, ભીડ વચ્ચેથી આવતા અવાજો ‘ઝઘડો’ થયાની સાહેદી પૂરતા હતા.

ઝઘડો પણ કેવો? મારે અને તમારે જાણવો પડે એવો. ટ્રેનની અવર-જવરનો સમય નજીક આવ્યો હશે તે સૂચના મળતા જ ગેટમેને રેલવે ક્રૉસિંગ બંધ કરી દીધું. એ જ ક્ષણે ત્યાં આવી પહોંચેલા અને સહેલ-સપાટા માટે નીકળેલા એક મોટર-સાઇકલસવાર પરિવારે હુકમ કર્યો કે ‘ક્રૉસિંગ ખોલી દો, અમારે મોડું થાય છે.’ કેમ જાણે એમના મનમાં હવેલી મંદિરનો ખ્યાલ વસતો હશે જ્યાં મુખિયાજીને વિનંતી કરો તો દર્શનનો સમય વધારી આપે અને ક્યારેક બંધ દર્શનના દ્વાર પણ ખોલી આપે. જો કે અહીં એવી કોઈ શક્યતા નહોતી એટલે પરિવારના મુખિયા એવા મોટર-સાઇકલચાલકે ગેટમેનને દમ મારવાની શરૂઆત કરી. બોલાચાલીથી શરૂ થયેલી વાત ગાળાગાળી અને છેવટે જાતિ-વિષયક ઉચ્ચારણો સુધી પહોંચી. એમ સમજીને કે અહીં કામ કરનાર તે થોડા કંઈ વાણિયા, બ્રાહ્મણ, પટેલ, રાજપૂત હોવાના હતા? એટલે આને તો કંઈ પણ કહી શકાય? તેની સાથે કોઈ પણ કક્ષાની તોછડાઈ કરી શકાય?

બસ અહીં પેલા ભાઈ ગોથું ખાઈ ગયા. એવડું મોટું ગોથું કે રેલવે પોલીસ આવીને એને બાવડેથી પકડીને લઈ ગઈ. પણ આ બધું કોના પ્રતાપે? તો એનો જવાબ છે ચીમનભાઈ શીવાભાઈ ચૌહાણના પ્રતાપે.

ચીમનભાઈ ચૌહાણ : ‘આ ચાવી મારા કહ્યામાં ન હોય’
ચીમનભાઈ ચૌહાણ / Chimanbhai Chauhan અમદાવાદ શહેર વચ્ચેથી પસાર થતી મીટરગેજ રેલવે લાઇન પરના ગાંધીગ્રામ રેલવે સ્ટેશન / Gandhigram Railway Station નજીક આવેલા મીઠાખળી / Mithakhali ગામ સ્થિત પંદર નંબરના લેવલ ક્રૉસિંગના ગેટમેન છે. 2 માર્ચ 2014ની સવારે ઉપર વર્ણવેલી ઘટના ઘટી ત્યારે એમણે ગાળો સહી લીધી. સાથે-સાથે ગાળો આપનાર ભાઈને એ સમજાવવાની કોશિશ કરી કે આ ક્રૉસિંગ હવે ખુલી ના શકે. એ સિવાયની કોઈ જ પ્રતિક્રિયા આપી નહીં. હા, ક્રૉસિંગ ખુલવાની રાહ જોતા અન્ય વાહનચાલકોને તેમણે વિનંતી કરી કે, ‘બીજો રસ્તો પકડી લો. આ ક્રૉસિંગ તો હવે પોલીસ આવશે પછી જ ખૂલશે.’ એક પણ વાહનચાલકે તેમના આ નિર્ણયને પડકાર્યો નહીં બલકે તેમની પડખે ઊભા રહ્યા.

ચીમનભાઈએ લેવલ ક્રૉસિંગ પરની તેમની કૅબિનમાંના સત્તાવાર ફોનથી પોતાના ઉપરી સાહેબોને ઘટનાની જાણ કરી એટલે ગાંધીગ્રામ રેલવે સ્ટેશનની ફરજ પરની પોલીસ તરત હરકતમાં આવી. પ્લૅટફૉર્મનો બીજો છેડો પસાર કરે ત્યાં તો આ રેલવે ક્રૉસિંગ આવી જાય. ગણીને પાંચ મિનિટમાં તો આખી વાતનો ફેંસલો આવે તેવા ઘટનાક્રમની પહેલી ઈંટ મુકાઈ ગઈ. ફરજ પરના સરકારી કર્મચારીને તેના કામમાં અંતરાયરૂપ બનવાનો તેમજ કાયદાથી પ્રતિબંધિત છે તેવા જાતિ વિષયક ઉચ્ચારણો કહેવા બદલની ફરિયાદ નોંધવામાં આવી.

ચીમનભાઈ ચૌહાણ : ‘આમ આદમી’નું સ્વમાન
કોરટ-કચેરી તો થતાં થશે અને ફરિયાદની કાર્યવાહી નિયમ મુજબ આગળ ચાલશે જ. પણ સ્વમાન પામવાની, ત્વરિત ન્યાય માંગવાની ચીમનભાઈની આ પદ્ધતિ મને ગમી ગઈ. એથી ય વધુ તો પ્રતિક્રિયારૂપે એક પણ શબ્દનો જવાબ આપ્યા વિના આખી ય બાજીને જે રીતે તેમણે પોતાની તરફેણમાં કરી લીધી એ તો કાબિલેદાદ હતું. મારા માટે તો આ જ ‘સત્યમેવ જયતે’ હતું. ટી.વી. શૉ ન જોઈ શક્યાના અફસોસને ભૂલાવી દે તેવું.

ચીમનભાઈ ચૌહાણને બિરદાવવા આનાથી વધુ સારા શબ્દો મને જડતા નથી. મળી આવશે તો કહેવા માટે રૂબરૂ મળવા જ પહોંચી જઇશ. ન્યાય માટે માત્ર મિનિટો પૂરતું જ લડ્યા પણ અમીટ છાપ છોડી ગયા.

ખુદનું સ્વમાન જાળવવાની આમ આદમીની લડાઈ તો આવી જ હોયને!

(તસવીરો : બિનીત મોદી)

Friday, July 05, 2013

પગાર ત્રણસો રૂપરડી, પાટુ પડ્યું રૂપિયા ત્રણ લાખનું


ચલણી નાણાંના મૂલ્ય સંદર્ભે આંતરરાષ્ટ્રીય ધોરણે સ્વીકારાયેલા અમેરિકન ડૉલર / US Dollar સામે ભારતીય રૂપિયાનું / Indian Rupee સતત ધોવાણ થઈ રહ્યું છે એવા સમાચારોથી ગત જૂન મહિનો છવાયેલો રહ્યો. રૂપિયાના મૂલ્યમાં થતું ધોવાણ આડકતરી રીતે તો સૌ કોઈને લાગુ પડે છે પણ બહુમતી નાગરિકોને સીધેસીધી તેની સાથે કોઈ લેવાદેવા હોતી નથી.

હવે જેવા છે તેવા આ રૂપિયા જેના ખિસ્સામાં પડ્યા છે તેમના મૂલ્યોમાં કેવું અને કેટલું ધોવાણ થઈ રહ્યું છે તે આગળ વાંચતા થોડું ઘણું સમજાય એવું છે. રૂપિયાથી છલકાતા દરેક ખિસ્સાધારકને એક લાકડીએ હંકારી શકાતા નથી. એમ કરવું વાજબી પણ નથી. તોય એવું લાગે છે કે આ રીતે એકાદ શાબ્દિક ડફણું તો ફટકારવું જ રહ્યું.
જયંતિભાઈ હરિજન : સફાઈ કામદારની જિંદગી સાફ
ફોટામાં દેખાય છે તે ભાઈ નામે જયંતિભાઈ હરિજન / Jayantibhai Harijan સફાઈકામદાર / Sweeper છે. સાઇઠ વર્ષના છે એટલે આમ તો નિવૃત્ત સફાઈકામદાર એ રીતે ઉલ્લેખ કરવો જોઇએ. પરંતુ કોઈ-કોઈના સંજોગ, મોટે ભાગે ઘરની આર્થિક પરિસ્થિતિ એવી હોય કે નિવૃત્તિ એમ ઝટ નસીબ ના થાય. આમનું પણ એમ જ. નડિયાદ / Nadiad તાલુકાના પલાણા / Palana ગામે રહેતા જયંતિભાઈ પંચાયતની નોકરીમાં હતા ત્યારે ગામના શેરી – ફળિયાની સાફસફાઈ કરતા. નિવૃત્તિ પછી ગામની ભાગોળે આવેલી યુરોપ સોસાયટીમાં પણ એ જ કામ સ્વીકાર્યું. પગાર મહિને રૂપિયા બે હજાર. સોસાયટી બીનનિવાસી ભારતીયો તરીકે ઓળખાતા એનઆરઆઈ / Non Resident Indian પટેલ નાગરિકોથી ભરી-ભાદરી. આ બે હજારના પગારની તેમને મન મોટી વિસાત ન હોય. પરદેશ જેવી ચોખ્ખાઈ અહીં ઘરઆંગણે મળતી હોય તો એમ જ સમજોને કે રોજનો એક રૂપિયો...સોરી...એક ડૉલર થયો. રૂપિયાનું ધોવાણ જ એવું કરી મૂક્યું છે કે એક ડૉલરમાં આખી સોસાયટીની ગંદકી ધોવાઈ જાય – ધોવાતી રહે.

જયંતિભાઈ અગાઉ નોકરીમાં હતા ત્યારે પલાણા ગામની સંચાવાળી ખડકીમાં સાફસફાઈની જવાબદારી સંભાળતા હતા. આજે એ જગ્યા તેમના કામની જવાબદારીમાં નથી આવતી. તો ય એક સદગૃહસ્થ નામે જતીનભાઈ પટેલના / Jatin Patel કહેવાથી તેમણે તેમની હદમાં ના આવતી હોય તે જગ્યાની સફાઈ કરવાનું પણ સ્વીકાર્યું. પગાર નક્કી થયો મહિને રૂપિયા ત્રણસો. કામ શરૂ. મજેથી જ ચાલતું હશે એમ માની લઇએ. થોડો સમય વીત્યો તે કામ સોંપનાર જતીનભાઈને પરદેશ જવાનું થયું. તેમણે જયંતિભાઈને સૂચના આપી કે હવે તમે ખડકીની જગ્યામાં સફાઈકામ ના કરશો. કેમ કે મહિનો થાય ને પગાર ચૂકવવાની તેમણે વહોરેલી સ્વૈચ્છિક જવાબદારી તેઓ અન્ય કોઈને ભળાવી શકે તેમ નહોતા.

ચાલો...જે થયું તે ઠીક જ થયું...આ ક્યાં કાયમી નોકરી હતી...’ એવું ઠાલું આશ્વાસન શહેરમાં રહીને લેવું હોય તો લઈ શકાય, પલાણા જેવા ગામમાં નહીં. વૈકલ્પિક કશું કામ મળી આવે અને બીજે દિવસથી પગાર ચાલુ થઈ જાય એવા વિકલ્પો નાના ગામમાં આમેય ઓછા હોય. જયંતિભાઈ માટે તો આ એક આર્થિક ફટકો જ હતો. અને બીજો એક મોટો ફટકો પડવાની તૈયારીમાં હતો.

23મી જૂન...રવિવારની સવાર રોજ જેવી જ ઉગી હતી. પણ જયંતિભાઈ માટે જુદી હતી. ખડકીમાં સફાઈકામ નથી થતું એવું જેના ધ્યાન પર આવ્યું તે રહેવાસી નામે રાકેશ પટેલે / Rakesh Patel જયંતિભાઈ સાથે ડાયલૉગની શરૂઆત કરી જે ‘હવે પગાર નથી મળતો’ એવું કહેતાની સાથે બીજી મિનિટે ગાળાગાળીમાં ફેરવાઈ ગયો. સત્તાવાર ફરિયાદમાં પણ જે શબ્દોનો લેખિત ઉલ્લેખ કરવાનું પ્રતિબંધિત છે કે ટાળવામાં આવે છે એવા જાતિવિષયક શબ્દો જાહેરમાં બોલાયા. ‘વાત આટલેથી પતી હોત તો ઠીક હતું’ એ તો મારું – તમારું – આપણું વિશફૂલ થિંકિંગ છે. એમ થવું જરૂરી થોડું છે. શાબ્દિક માર પછી રાકેશ પટેલે ગડદાપાટુનો માર શરૂ કર્યો. જયંતિભાઈ હરિજનને એવી તો લાતો મારી કે થાપાનો બૉલ સાંધામાંથી છૂટો પડી ગયો. આટલું વાંચીને કમકમા છૂટ્યા હોય તો થોડો પોરો ખાવ અને આગળ વાંચો.

‘મારામારી’ તો કહેવાય જ નહીં કેમ કે એ તો બન્ને પક્ષે સામસામી થયેલી હોય. આને તો ‘અત્યાચાર’ / Outrage જ કહેવો પડે. માર ખાઈને કણસતા જયંતિભાઈને ગામનો રિક્ષાવાળો ઇમ્તિયાઝ પઠાણ / Imtiyaz Pathan ઘરે મુકી ગયો અને ઘરવાળાએ તેમને નડિયાદ હૉસ્પિટલ ભેગા કર્યા. ડૉક્ટરે ઑપરેશન કરીને થાપાનો સાંધો – બૉલ બેસાડ્યો. ખાનગી હૉસ્પિટલમાં થયેલી સારવાર છ આંકડામાં પડી અને તે આંકડા આગળ ફરતા રહેવાના એવી જરૂરી નથી તેવી સ્પષ્ટતા કરવાનું મને આવશ્યક લાગે છે. સફાઈકામદાર ભાઈ જયંતિભાઈ હરિજન સમાજના કયા વર્ગમાંથી આવે છે તે લખવાની અહીં ભાગ્યે જ જરૂર છે.

હા...શાહ – પરીખ, દેસાઈ – દરબાર, મહેતા – મોદી કે પંડ્યા – પટેલ પરિવારના લોકો સાફસફાઈના આ કામમાં જોડાય અને પછી પણ અત્યાચાર / Outrage ચાલુ રહે તો પછી લખવું પડશે કે અત્યાચારનો ભોગ બનનાર સમાજના દલિતવર્ગમાંથી આવે છે કે શાહુકાર – પાટીદાર વર્ગમાંથી...?

ગુજરાતના જાહેર માધ્યમો જેને ‘પટેલ પાવર’ / Patel Power કહીને બહુ પોરસાવે છે – પાનો ચઢાવે છે – પોંખે પણ છે તે પટેલ પાવર આવો હોય? ભલે તે એકલ-દોકલ અને છૂટક હોય તો ય સમાજે તેની સામે ‘રેડ કાર્ડ’ / Red Card બતાવવું જરૂરી છે...જો ‘ગ્રીન કાર્ડ’ની / Green Card ચર્ચામાંથી સમય મળે તો. બાકી અત્યારે તો આ અત્યાચારની એન્ટ્રી ખેડા જિલ્લાના વસો / Vaso પોલીસ સ્ટેશનમાં પડી ગઈ છે. અને હા, ખાટલામાં પડેલા જયંતિભાઈ છ મહિના સુધી ઊભા થાય તેમ નથી. ઊભા થયા પછી કામ કરી શકે એવી શક્યતા નહિવત્ છે એટલે ખોટની ખતવણી બહુ લાંબી ચાલવાની છે એ નક્કી. ઘટના અને ફરિયાદ નોંધાયાના સાતમા દિવસે એફઆઈઆરમાં / FIR – First Information Report નોંધાયેલા તહોમતદારની ધરપકડ કરવા તપાસકર્તા પોલીસ અધિકારીને ફોન કરીને હુકમ આપતી વખતે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણ / Makrand Chauhan ‘હું ય દલિત છું’ એમ કહી પોતાની ઓળખાણમાં ઉમેરો કરતા હોય ત્યારે આ ઘટનાની તપાસ લાંબી નહીં ચાલે અને ગુનેગારને જલદીથી સજા થશે એટલું આશ્વાસન લઈ શકાય એટલો આશાવાદ પ્રગટાવવો ખોટો નહીં.
(તસવીર
: બિનીત મોદી)

Monday, June 24, 2013

પાયખાનું પખાળવા પંદરસો કિલોમીટરનો પ્રવાસ


નોકરી – ધંધો કેમ ચાલે છે?’ એવું કોઈપણને પૂછી શકાય પણ નોકરી કેમ કરો છો?’ એવું કોઈને પૂછી શકાતું નથી. એવી પૂછપરછ કરવામાં અનેક પ્રકારની મર્યાદાઓ આડી આવે. એને વળોટીને – નેવે મૂકીને પૂછીએ તો તળપદી ભાષામાં જવાબ મળે કે પાપી પેટને ખાતર!...અને સુધરેલી ભાષામાં જવાબ મળે કે દાળ-રોટી ભેગા થવા.

હવે આ પાપી પેટ કે દાળ-રોટીનો સમૂળગો છેદ જ ઉડી જાય તેવી કોઈ નોકરી (?) હોય ખરી? ના જ હોય ને. તમારી ધારણા સાચી છે પણ મને હમણાં આ પ્રકારની નોકરી / Job જોવા મળી. ભારતીય રેલવેના / Indian Railway / http://www.indianrail.gov.in/ ડબ્બામાં. લાંબા – ટૂંકા અંતરની રોજની હજારો ટ્રેનો દેશમાં દોડે છે. એમાં આ પ્રકારની વિશિષ્ટ નોકરી જોવી હોય તો લાંબા અંતરની ટ્રેનની મુસાફરી કરવી પડે. મેં કરી. આમ તો એ મુસાફરી કશ્મીર – શ્રીનગરનું ‘કુદરતી સૌંદર્ય’ જોવા માટે કરી હતી પરંતુ યાત્રા દરમિયાન કુદરતી હાજતે જતાં અનાયાસ આ ઉપર વર્ણવી એવી નોકરી પણ જોવા મળી.

કેવી છે એ નોકરી? અને ક્યાં જોવા મળે? અમદાવાદથી જમ્મુ લઈ જતી મેઈલ-એક્સપ્રેસ ટ્રેનમાં આવી નોકરી કરનારા યુવાનો જોવા મળે. સોળ-સત્તર ડબ્બાની ટ્રેનમાં તેમની એક માત્ર કામગીરી તે પાયખાના (જાજરૂ – સંડાસ / Toilets) સાફ કરવાની. જમ્મુથી બપોરના સમયે અમદાવાદ / Ahmedabad પરત ફરતી ટ્રેન થોડા કલાકોના વિરામ બાદ રાત્રે કાં તો વેરાવળ / Veraval, Gujarat જવા ઉપડે અથવા જામનગર / Jamnagar, Gujarat પાસેના હાપા / Hapa, Jamnagar, Gujarat ગામે સીધેસીધી પહોંચે. એટલે એ નક્કી કે આ યુવાનો મોટે ભાગે સૌરાષ્ટ્રના હોય, વેરાવળ કે હાપા-જામનગરની આસપાસના ગામના પણ હોય. વેરાવળથી રાત્રે ઉપડીને બીજા દિવસની વહેલી સવારે અમદાવાદ આવતી ટ્રેનમાં બેસીને આવતા આ યુવાનો જમ્મુની / Jammu, Jammu & Kashmir State ખેપ મારીને ઘરે પાછા ફરે ત્યારે છઠ્ઠા દિવસની સવાર હોય. ચાર રાત ટ્રેનમાં અને એક રાત જમ્મુ સ્ટેશન યાર્ડમાં ગુજારતા આ યુવાનોને કામના કલાકોની ગણતરીએ પાંચ દિવસના પાંચસો લેખે મહિનાનો 2,500/- રૂપિયા પગાર / Salary મળે. બહુ તાણી-તૂસીને કામ કરે તો મહિનાના ત્રણ હજાર મળે ખરા પરંતુ શરીર એ માટે સાથ આપે તેવું રહ્યું જ ન હોય. કેમ કે આ યુવાનોને નોકરીએ રાખનાર રેલવે કોન્ટ્રાક્ટર તેમને પગાર આપે પણ જમવાની સવલતના નામે ફદિયું પણ ના પરખાવે. એટલે આ છોકરાઓ પાંચ – છ દિવસ-રાત વચ્ચે ઝોલાં ખાતી નોકરીના દિવસોનો ગુજારો ઘરેથી લાવેલા એકાદ દિવસના રોટલા-શાક કે પછી સેવ-મમરા અને બિસ્કીટ / Biscuits ખાઈને કરે. ટ્રેનના કેટરીંગ કોન્ટ્રાક્ટરના વેઇટર્સ નજર સામે ગરમા-ગરમ નાસ્તાના પેકેટ લઈને ફરતા હોય પરંતુ તેના ભાવ તેમની પહોંચ બહારના હોય. ભલે કોન્ટ્રાક્ટ હેઠળ હોય પરંતુ રેલવેની જ સેવા કરતા તેમના માટે રાહત દરના ભોજનની પણ કોઈ વ્યવસ્થા નહીં?

તેનું પરિણામ શું આવે? એ જ કે આ યુવાનો પૂરો મહિનો તો આ કામ કરી જ ન શકે. એવી શક્તિ જ ન રહી હોય. અને એમ ન થાય એટલે પૂરો પગાર પણ ના મળે. ઘરેથી નીકળ્યા પછી પાછા પહોંચતાં સુધીના આઠ ટંક માત્રને માત્ર સેવ-મમરા-બિસ્કીટના સહારે ગુજારવાના કારણે તેમના યુવાન શરીર વૃદ્ધત્વની ચાડી ખાતા દેખાય. તબીબી ભાષામાં જેમને ‘અન્ડરવેઇટ’ / Underweight કહી શકાય એ તો તેમનામાં દેખાતું સામાન્ય લક્ષણ.

પાંચ દિવસની પંદરસો કિલોમીટરની તેમની આ ‘યાત્રા’ દરમિયાનની કામગીરી શું હોય છે? સૌથી મોટી કામગીરી તે સોળે-સોળ ડબ્બાના સંડાસ / Toilet સાફ કરવાની. એ કામ તો તેઓ ‘નિયત’ ધોરણે કરતા જ હોય પરંતુ તેને વધુ ‘જવાબદાર’ બનાવવા ડબ્બે – ડબ્બે તેમના અને સુપરવાઇઝરના નામ સહિતના મોબાઇલ નંબર લખેલા કાગળો ચોંટાડ્યા હોય. મુસાફરી કરતા નાના બાળક સાથેના મમ્મી – પપ્પા હોય કે રાહત દરની મુસાફરી કરતા સિનિયર સિટીઝન, સંડાસ સહેજ ગંદુ દેખાય એટલે પહેલું કામ ફોન કરવાનું કરે. ફરજ પરના આ યુવાનોમાંથી કોઈ એક સંડાસ તો સાફ કરી જ જાય પણ બીજી તરફ તેના મોબાઇલનું બેલેન્સ પણ ‘સાફ’ થવા માંડ્યું હોય. આને નોકરી કહેવી, વેઠ કહેવી કે કરમની કઠણાઈ એ નક્કી જ ન થઈ શકે. કેમ કે ટ્રેન જેવી ગુજરાતની સરહદ પાર કરે કે મોબાઇલમાં રોમિંગ ચાર્જિસ / Mobile Roaming Charges કપાવાના શરૂ થઈ જાય. એનું કોઈ વધારાનું એલાઉન્સ / Allowance (પગાર ઉપરાંતનું ભથ્થું) મળે કે? એવા મારા સવાલના જબાવમાં સામો સવાલ આવ્યો કે ‘એટલે શું?

આ પાયખાના સાફ કરવાની મજૂરી કરવા સામે તેમને કોઈ સવલત મળે છે ખરી? હા, રાત્રે ઊંઘવાની સગવડ મળે છે. તેમના માટે એક ડબ્બામાં રિઝર્વડ્ બર્થ / Reserved Berth હોય છે. પણ એમ સુખેથી સુવા દે તો એ વેઠ શેની? સાફ-સફાઈના સાધનો તેમજ માલસામાનની સાથે તેમનાં પોતાના કપડાંલત્તાં મુકવા માટે એક સંદૂક કોન્ટ્રાક્ટરે આપી હોય. રાત્રે ટ્રેનમાં ફરતા લોકો કે રિઝર્વડ્ ડબ્બામાં ચઢતા સામાન્ય મુસાફરો એ માલસામાન ચોરી / Theft ન જાય તે માટે આ પાંચ યુવાનો તેની ચોકી કરવા માટે વારાફરતી જાગતા રહે. આમ કિલોમીટર કપાતા જાય.

મને એમ થાય છે કે ચાલતી ટ્રેઈને ગંદા થતા આ સંડાસને સાફ રાખવા તે એટલું અગત્યનું કામ છે કે તેના માટે આ યુવાનોને ઘરેથી દૂર ભૂખ્યા રહીને ઉજાગરો કરવો પડે. પંદરસો – સત્તરસો કિલોમીટરનો પ્રવાસ ખેડતી ટ્રેન રસ્તામાં નાના – મોટા પચાસ સ્ટેશનોએ ઊભી રહે છે. એમાંના કેટલાક સ્ટેશનોએ તો તે વીસ મિનિટથી લઈને અડધો કલાક સુધી થોભતી (વિરામ / હૉલ્ટ / Halt) હોય છે. ગંદા થતા પાયખાનાને સાફ કરવા માટે જે તે સ્ટેશનોએ સ્થાનિક ધોરણે કોઈ વ્યવસ્થા ન થઈ શકે?

(*) બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર : સદાકાળ સેવ મમરા 
વેરાવળ અને તેની આસપાસના ગામોના આ યુવાનો (પ્રફુલ, મિતેષ,ધર્મેન્દ્ર, રાજુ અને પરસોત્તમ) સમાજના દલિતવર્ગમાંથી / Dalit આવે છે તેવી સ્પષ્ટતા કરું કે ન કરું? ચાલશે? ના...ના...નહીં જ ચાલે. સ્પષ્ટતા નહીં કરું તો તેમની જિંદગી આમ જ ટ્રેન પર ચાલતી...માફ કરજો...દોડતી રહેશે...દાયકાઓ સુધી.

(નોંધ: કર્મશીલ લેખક – પત્રકાર ચંદુ મહેરિયાના સંપાદન હેઠળ પ્રકાશિત થતા પાક્ષિક દલિત અધિકારના 1 જૂન 2013ના અંકમાં ઉપરોક્ત લેખ પ્રકટ થયો હતો. વર્ષ: 8, અંક: 21, સળંગ અંક: 189)


(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)