પ્રતિભાવો ઉર્ફે Comments

Showing posts with label Felicitation. Show all posts
Showing posts with label Felicitation. Show all posts

Wednesday, July 09, 2014

સન્માનનો સિક્કો એટલે કે અસલી રબર સ્ટૅમ્પ


વાત મોડી લખું છું પણ તેની તીવ્રતા મોળી પડી હોય એવું જરા પણ લાગતું નથી. એવું માનવાને કોઈ કારણ પણ નથી. વાત જાણે એમ બની કે...

રક્તજૂથના સંશોધક કાર્લ લેન્ડસ્ટેઇનર
દર વર્ષે જૂન મહિનો આવે અને રક્તદાનની પ્રવૃત્તિને સામૂહિકપણે યાદ કરવામાં આવે છે. એમજ સમજોને કે 14મી એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકરને અને 31મી ઑક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવામાં આવે કે 15મી ઑગસ્ટે જેમ દેશદાઝનો ઉભરો ચઢે એમ જ 14મી જૂન આવે ને રક્તદાનની પ્રવૃત્તિની વાર્ષિક નોંધ લેવાય છે. માનવશરીરમાંના રક્તનો વિસ્તૃત અભ્યાસ કરી તેને ‘એ’ અને ‘બી’ એવા અલગ-અલગ જૂથમાં વર્ગીકૃત કરનાર અમેરિકન સંશોધક કાર્લ લેન્ડસ્ટેઇનરનો / Karl Landsteiner જન્મદિવસ એટલે 14મી જૂન. રક્તદાન પ્રવૃત્તિને તેમના જન્મદિવસ સાથે જોડી કાર્લ લેન્ડસ્ટેઇનરને આ દિવસે સંભારવામાં આવે છે. ભારતીય રેડ ક્રોસ સોસાયટી અને તેની સાથે સંલગ્ન શાખાઓ – સંસ્થાઓનો કાર્યક્રમ આયોજનમાં સિંહફાળો હોય છે. સારું છે, તેનાથી પ્રવૃત્તિને વેગ મળે છે. બ્લડ ડોનેશન કેમ્પ (રક્તદાન શિબિરો)નું આયોજન કરવામાં આવે, રક્તદાન કરનારાઓનું સન્માન થાય કે કેમ્પ આયોજકોને મળતી સફળતાની નોંધ લેવાય તેનાથી સમાજમાં એક સારો દાખલો બેસે છે. હા, ક્યારેક કોઈ ચૂક થઈ જાય છે. જેવી આ વર્ષે થઈ.

વાત જાણે એમ બની કે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 14મી જૂને નહીં પણ તેના પછીના દિવસ 15મી જૂને રક્તદાનની પ્રવૃત્તિને પ્રમાણવાનો એક જાહેર કાર્યક્રમ યોજાઈ ગયો. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સાથે ગુજરાત સ્ટેટ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટી અને ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન જેવી બે માતબર સંસ્થાઓ પણ કાર્યક્રમના આયોજનમાં સામેલ હતી. સરકારી, અર્ધ-સરકારી અને આ પ્રકારના કામમાં જોડાયેલી સેવાભાવી સંસ્થાઓના સહયોગથી આયોજિત થાય તેવો જ કાર્યક્રમ હતો. જેમ કે કાર્યક્રમનો વિધિવત આરંભ થાય તે પહેલા આમંત્રિત મહેમાનો – આગંતુકોનું રજિસ્ટ્રેશન, કાર્યક્રમ સંબંધી વિગતો જણાવતો પૉર્ટફોલિઓ – આઈડેન્ટિટી ટેગ આપવો અને પછી ચા-નાસ્તો. ભજન (વક્તવ્યો) સાંભળીએ તે પહેલા સેમી-ભોજનનો પ્રબંધ. અહીં પણ એમ જ થયું.

સન્માનનો સિક્કો અને સ્ટૅમ્પ પેડ : જુગતજોડી
ગાંધીનગરની સિવિલ હૉસ્પિટલના પ્રાંગણમાં નવા બંધાયેલા ભવ્યાતિભવ્ય ઑડિટોરિયમમાં આયોજિત કાર્યક્રમ સ્થળે હું પણ એક આમંત્રિતની રૂએ સવાર-સવારમાં જ પહોંચી ગયો. રજિસ્ટ્રેશનની વિધિ પછી પૉર્ટફોલિઓ કિટ લઈને ચા-નાસ્તા માટે આગળ વધતો હતો ત્યાંજ એક નહીં બે હાથ આડા આવ્યા. એકે મારા હાથમાં ગિફ્ટ થમાવી અને બીજા હાથે કહ્યું ‘લાવો તમારો બીજો હાથ’. હવે પછીની વાત ડાયલૉગ સ્વરૂપે જ વાંચીએ.
કેમ? શેના માટે?
તમારા કાંડા પર સિક્કો મારવાનો છે.
સિક્કો? શેના માટે?
આ તમને ગિફ્ટ આપીને તેની સાબિતી માટે. બીજીવાર લેવા આવો તો અમને ખબર પડી જાય ને.
તમારી ભલી થાય. રક્તદાન કરનારા કે એ પ્રવૃત્તિનો હિસ્સો બનીને સમાજસેવામાં ફાળો આપનારનું સન્માન પણ કરવું છે અને હારોહાર એમને અપ્રમાણિક પણ ધારી લેવા છે. આ હાળું જબરું. મગજ ફાટ-ફાટ જ થવું ઘટે. થઈ જ રહ્યું હતું છતાંયે કેમેય કરીને અટકાવી-ટકાવી રાખ્યું. એટલા માટે કે શાંતિથી આ બાબતની રજૂઆત કરીશ તો આમ સિક્કો મારવાનો ક્રમ અટકી જશે એવો મને વિશ્વાસ હતો.

સિક્કો મારવાની જવાબદારી જેમના માથે થોપી હતી તેઓ દેખાવે તાજા કૉલેજ પાસ-આઉટ યુવક-યુવતીઓ જણાતા હતા. માણસ અને અહીં તો આપે જેને આમંત્રણ આપી બોલાવ્યો છે તેના શરીર પર આમ રબર સ્ટૅમ્પના સિક્કા ન થોપાય તેવી દલીલ કરી. આ તો ગૌરવહનન અને ગુલામીની નિશાની જેવું છે એમ પણ સમજાવ્યું. પણ તેઓ કંઈ કરી શકે તેમ ન હતા. ખરેખર કરવાનું તો કંઈ હતું જ નહીં, જે કરતા હતા તેને અટકાવવાનું હતું. ‘અમને જેમણે સૂચના આપી છે તેમને વાત કરો’ એવા સૂચન સાથે તેઓમાંના એકે એક હોદ્દેદાર જણાતી વ્યક્તિ તરફ આંગળી ચીંધી. એ દિશામાં આગળ વધું તે પહેલા જ બીજી સૂચના આવી...‘તમે સિક્કો મરાવો છો કે પછી ગિફ્ટ મુકી દો છો?

હાથમાં પકડેલી ગિફ્ટને તો પડતી જ મૂકી. આત્મસન્માનને પડતું મુકવું પડે એ પહેલાનો એ સહેલો રસ્તો હતો. ગિફ્ટ શું હતી? એક દિવાલ ઘડિયાળ. ક્વાર્ટઝ્ મૂવમેન્ટ વાળી વૉલ ક્લોક. આજથી ત્રીસ વર્ષ અગાઉ પહેલવહેલી વાર 1985ની આસપાસ બજારમાં આવી ત્યારે સો રૂપિયાની કિંમતે મળતી આવી ઘડિયાળ આજે પણ 100/- રૂપિયામાં જ મળે છે. એક નવો પૈસો ઓછો નહીં ને એક વધારે પણ નહીં. ભેટમાં મળતી વસ્તુ અમૂલ્ય ગણાય એવી સાદી સમજણ હતી પણ હૈયાસૂઝ એમ કહેતી હતી કે એ લેવા માટે હથેળીમાં સિક્કો ના મરાવાય.

સન્માનના સિક્કા ના પડાવો, છાપ પડાવો
જેમની તરફ આંગળી ચીંધી હતી તે કાર્યક્રમ આયોજનના હોદ્દેદાર ભાઈને મળ્યો. આગળ જણાવી છે એ જ વાત તેમની આગળ કહી. સમજ્યા પણ ખરા. તેમની પાસે પણ દલીલ હતી કે ‘આ એક જાહેર સ્થળ છે. કાર્યક્રમ સાથે સંબંધ ના હોય તેવા લોકો સવારનો ચા-નાસ્તો તો ઝાપટી જ ગયા છે. ભેટ પણ લઈ જાય તો તેમનું શું કરવું?.’...‘આયોજકની રૂએ તમે એનો કોઈ વિકલ્પ શોધી કાઢો અથવા તો કાર્યક્રમના અંતે ઑડિટોરીયમમાંથી બહાર નીકળતી વ્યક્તિને જ ગિફ્ટ આપવાનું રાખો’ એવા સૂચન સાથે અને કાંડા પર સિક્કો મારવાનું કામ તાત્કાલિક અસરથી બંધ થાય છે તેવી ખાત્રી મેળવીને અમે છૂટા પડ્યા.

વિરોધનો મારો મુદ્દો સાચો અને સમયસરનો હતો એમ અન્ય હોદ્દેદારો અને સાથીમિત્રોએ પણ સ્વીકાર્યું. મને ખુદને આ પ્રસંગ સાથે વધુ એક વાર ખાતરી થઈ કે વાતમાં વજૂદ હોય તો વિરોધ કરી શકાય અને લાંબી-પહોળી લપમાં પડ્યા વિના તેનો નિવેડો લાવી શકાય છે.

આવો, આ પ્રકારનો જ નિવેડો લાવવાના કામનો પાટનગર પછીનો ભાગ બીજો અમદાવાદમાં ભજવી શકાય તેમ છે. અનલિમિટેડ ભોજનનો આનંદ ઓછો પણ વધુમાં વધુ વાનગીઓનો વિકલ્પ આપતી અમદાવાદની કેટલીક રેસ્ટોરન્ટમાં ગ્રાહક તરીકે રૂપિયા ગણી આપ્યા પછી થાળી લેવાનો ઑપ્શન એક જ વારનો ઉર્ફે સિંગલ ટાઇમ હોય છે. ભોજનની થાળી પર ગ્રાહક બીજી વાર હાથ નહીં અજમાવે તેની ખાતરી કઈ રીતે લેવામાં આવે છે? કાંડા પર સિક્કો મારીને. બીજી કોઈ રીત છે ખરી? હોય તો જરૂર જણાવશો.


(રંગીન તસવીરો : બિનીત મોદી)

Thursday, January 16, 2014

વતનમાં વિદ્યાગુરુ રતિલાલ બોરીસાગરને સન્માનનો Showerbath


રતિલાલ બોરીસાગર : શિક્ષકનું સન્માન
શિક્ષક તરીકેની પહેલી અને હાસ્યલેખક તરીકેની આજીવન ઓળખ ધરાવતા રતિલાલ બોરીસાગરને બુધવાર, 5 જાન્યુઆરી 2011ની સાંજે સાવરકુંડલાવાસીઓએ મન ભરીને પોંખ્યા હતા. સન્માન સમારંભ જ્યાં યોજાયો હતો તે સ્થળ જે.વી. મોદી હાઇસ્કૂલના પટાંગણમાં ત્રણ હજાર ઉપરાંત શ્રોતાગણ ઉપસ્થિત હતો. એ જ સ્કૂલ કે જ્યાં રતિભાઈ (જન્મ : 31 ઑગસ્ટ 1938) 1949માં 11 વર્ષની ઉંમરે પાંચમા ધોરણમાં દાખલ થયા હતા અને પછી આ જ સ્કૂલમાં 19 વર્ષની વયે 1957માં શિક્ષક પણ થયા.

‘વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન’ના નેજા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ શિક્ષક અને આજીવન રામકથાકાર મોરારિબાપુના હસ્તે ડૉ. રતિલાલ બોરીસાગરને / Ratilal Borisagar શાલ, સન્માનપત્ર અને માનધન અર્પણ થયા. માનધનની રકમ તેમણે પ્રતિષ્ઠાનને તુર્તજ ભાવિ કાર્યક્રમો માટે સુપ્રત કરી દીધી. સમારંભ સ્થળે સમયસર આવી પહોંચેલા મોરારિબાપુએ જણાવ્યું કે 65 વર્ષમાં પહેલી વાર ક્યાંક સમયસર નહીં, સમય કરતાં વહેલો પહોંચ્યો છું. શિક્ષકનું સન્માન અને તેય સ્કૂલના મેદાનમાં, પછી મોડા પડાય જ શી રીતે એવી ટીપ્પણી પણ કરી લીધી. સ્કૂલમાં આવતા અગાઉ સાવરકુંડલામાં / Savarkundla ફરતા મોરારિબાપુએ / Moraribapu ખુદે અનુભવ્યું કે બોરીસાગર સાહેબને સન્માનવા આજે તો ગામ હિલોળે ચઢ્યું છે. મને પોતાને પણ એવો એક અનુભવ થયો. અમદાવાદથી અહીં હું પત્રકાર-લેખક રજનીકુમાર પંડ્યા / Rajnikumar Pandya સાથે આવ્યો હતો. રજનીભાઈ શેવીંગ કીટ સાથે લાવવાનું ભૂલી ગયા એટલે અમે એક મેડિકલ સ્ટોર પર એ માટે જઈ પહોંચ્યા. તેના માલિક રાજુભાઈએ સન્માન સમારંભમાં આવ્યા છો એવી પ્રાથમિક પૂછપરછ પછી જણાવ્યું કે પોતે પણ એમાં સામેલ થવા માટે દુકાન આજે વહેલી બંધ કરી દેવાના છે.

રતિલાલ...આજે તો આ આસન ગ્રહણ કરો
સમારંભ સ્થળે આવી પહોંચેલા મોરારિબાપુએ સ્ટેજ પર જવા માટે પ્રથમ રતિલાલ બોરીસાગરને આગળ કર્યા. બીજી દરકાર એ લીધી કે તેઓએ તેમના માટેની ખાસ સોફા ચેર રતિલાલને ઓફર કરી. ‘આજે તો આ આસન ગ્રહણ કરો’ તેમ પણ કહ્યું. મોરારિબાપુ એ સોફા ચેર પર બેસવા રાજી ન હતા. રતિલાલ જ તેના પર બેસે એવો આગ્રહ ક્યાંય સુધી કર્યા પછી તેમણે એમ કરવા, એ માટે સમજાવવા રઘુવીર ચૌધરીને પણ ભલામણ કરી. જો કે બેઠક વ્યવસ્થા અગાઉથી ગોઠવાયા પ્રમાણે જ ચાલી. નાદુરસ્ત તબિયતને લઈ સુશીલાબહેન બોરીસાગર કાર્યક્રમમાં મોડેથી આવ્યા. જો કે રતિલાલે ત્યાં સુધી બાજુમાં બેઠેલા રઘુવીર ચૌધરીને જાણ તો કરી જ દીધી હતી કે આપ મારી પત્નીની જગ્યાએ બેઠા છો.

રતિલાલ બોરીસાગરને માનધન અર્પણ કરતા (ડાબેથી) વસંત પરીખ,
મોરારિબાપુ, રતિલાલ બોરીસાગર, રઘુવીર ચૌધરી અને
પ્રતિષ્ઠાનના પ્રમુખ હરેશ મહેતા
પ્રારંભિક પ્રાર્થના, સ્વાગત વિધિ, પ્રતિષ્ઠાનનો પરિચય અને સ્થાપના પાછળના ઉદ્દેશો જણાવ્યા પછી બોરીસાગર સાહેબનો બોલવાનો વારો આવ્યો. તેમણે પ્રારંભે જ કહી દીધું કે સવારે મને કુરતા – સલવાર – કોટીના ડ્રેસમાં જેમણે પણ જોયો છે અને અત્યારે જે આ જોધપુરી સ્ટાઇલ કોટ-પેન્ટમાં જોઈ રહ્યા છો તે બન્ને જોડી કપડાં પ્રતિષ્ઠાનના ટ્રસ્ટીઓએ સીવડાવી આપેલા છે. પોતે કોઈ કામની ના નથી કહી શકતા એ તેમને અહીં પણ નડી ગયું એવી નિખાલસ કબૂલાત પણ કરી લીધી. સુશીલાબહેન સાથેના લગ્ન સમયે પણ કોટ – પેન્ટ તો મિત્રના જ ઉછીના લાવીને પહેરેલા એમ શ્રોતાઓ સમક્ષ કહી એ મિત્ર હરી આચાર્યને યાદ પણ કરી લીધા. અરધો કલાકના વક્તવ્યમાં બોરીસાગરે મિત્રો, ભણતર, કારકિર્દી, નોકરીઓ, સંઘર્ષો, જીવનમાં જોયેલી લીલી – સૂકી, સગાં – સંબંધીઓ, સાહિત્યિક પ્રવૃત્તિઓ, લેખન, પારિતોષિકો, સન્માન જેવાં કંઈક વિષયો આવરી લીધા. જો કે એ બધાથી ઉપર આજનું સન્માન સદાય યાદ રહેશે એમ પણ જણાવ્યું. મિત્રો – સગાં – સંબંધીઓને કોઇક મિષે મદદે આવ્યા હશે તો એ કામ નિયતિએ તેમની પાસે કરાવ્યું હશે એમ કહી જશ ખાટવાની વૃત્તિને તેઓ ક્યાયં છેટી મૂકી આવ્યા.

સુશીલાબહેન બોરીસાગરનું સન્માન
મોરારિબાપુએ પ્રવચનમાં ઘણી બધી વાતો ઉલ્લેખવા સાથે દાખલો આપ્યો કે પ્રતિષ્ઠાન તો પ્રમાણિક માણસનું જ શોભે. રતિલાલ નખશિખ પ્રમાણિક છે, સજ્જન છે એનું ઉદાહરણ આપતા કહ્યું કે આ માણસ તેને કોટ – પેન્ટ – કોટી સીવડાવી આપનારની ક્રેડિટ પણ ભૂલતો નથી એટલે તેને પ્રમાણિક ગણવો જ રહ્યો. તેમણે પ્રવચનનો પિરિઅડ પૂરેપૂરો લીધો – પીસ્તાલીસ મિનિટ. રતિલાલને શાલ, સુશીલાબહેન બોરીસાગરને તેમજ શિક્ષિકા બહેનોને સાડી અને નાનાભાઈ જેબલિયાને રામનામની કામળી આપી અંગત ધોરણે પણ સન્માન કર્યું.

સાવરકુંડલાના નગરજનો
શિક્ષણ – સાહિત્ય અને તેની વહીવટી શાખાઓમાં રતિલાલ બોરીસાગરની કામગીરીએ તેમને અઢળક મિત્રો આપ્યા અને તેઓ પાંચમાં પૂછાય – પૂછાતાં રહે એવા રાખ્યા છે. કદાચ એટલે જ વતન અને સ્કૂલ બન્ને છોડ્યાના 36 વર્ષ પછી યોજાયેલા સન્માન સમારંભમાં પણ રતિલાલ બોરીસાગરને વતનવાસીઓનો એટલો જ પ્રેમ મળ્યો જેટલો અગાઉ શિક્ષક તરીકે યોજાયેલા વિદાય સમારંભમાં મળ્યો હતો. 73 વર્ષના રતિલાલ 75ના થાય અને અમૃત મહોત્સવ ઉજવીએ એવા લાંબા વાયદા કરવાના બદલે તેમને સન્માનવાનો પહેલવહેલો વિચાર મુશાયરા સંચાલક અંકિત ત્રિવેદીએ આપ્યો એ સાથે જ પ્રવૃત્ત થયેલા સાવરકુંડલાની / Savarkundla, Amreli District સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓએ આ ખાસ આયોજન માટે અને તે થકી લાંબા પટે કંઈક નક્કર કામ કરવાની ખેવના ધરાવતા પ્રતિષ્ઠાનની રચના કરી. નામ આપ્યું – વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન.

જેમના નામે વ્યક્તિવિશેષ સન્માન થયું
પ્રતિષ્ઠાનના નેજા હેઠળ જ યોજાયેલા સન્માન સમારંભમાં રતિલાલ બોરીસાગર ઉપરાંત ત્રણ વ્યક્તિવિશેષોને પુરસ્કૃત કરાયા. નાનાભાઈ જેબલિયાને દર્શક સાહિત્ય સન્માન, આચાર્યા જ્યોતિબહેન સોમાણીને લલ્લુભાઈ શેઠ શિક્ષણ સન્માન અને દમયંતીબહેન ત્રિવેદીને પી. આર. સલોત શ્રેષ્ઠ યુવા શિક્ષક પારિતોષિક પૂર્વ શિક્ષક અને વર્તમાન રામકથાકાર મોરારિબાપુના હસ્તે અપાયા. ઉપરોક્ત ત્રણેય પુરસ્કાર દર વર્ષે સમિતિ શોધન પ્રક્રિયા થકી અપાશે. આ અવૉર્ડ જ્યારે પણ સાવરકુંડલાની ધરતી પરથી અપાય ત્યારે બોરીસાગર સાહેબનું સાંનિધ્ય મળતું રહે એવી ઇચ્છા તેમના પૂર્વ વિદ્યાર્થી અને પ્રતિષ્ઠાનના પ્રમુખ હરેશ મહેતાએ / Haresh Mehta કરી હતી. બોરીસાગરના પરમ મિત્ર વસંતભાઈ પરીખે રતિલાલની લાક્ષણિકતાઓ તેમના જીવન અને સાહિત્યમાંથી ખોળી – ખોળીને વર્ણવી હતી.
નાનાભાઈ જેબલિયાનું સન્માન

રજનીકુમાર પંડ્યા કહે...
રતિલાલ...રૂક જાવ...
આ પ્રસંગે પ્રતિષ્ઠાનના ટ્રસ્ટીઓએ બોરીસાગર સાથે સંકળાયેલા સમકાલીનો તેમજ કેટલાક સાહિત્યિક મિત્રોનું સન્માન પણ કર્યું હતું. આવું જ સન્માન પામેલા પત્રકાર-લેખક રજનીકુમાર પંડ્યાએ પ્રતિભાવમાં કહ્યું કે રતિભાઈ કોઇક કારણસર અમદાવાદ છોડી વતન પરત આવવા માગતા હતા ત્યારે મેં જ તેમને સમજાવીને અમદાવાદમાં રોકી લીધા. મારા એમ કરવાથી સાવરકુંડલાએ એક શિક્ષક ગુમાવ્યો છે પણ ગુજરાતને શિક્ષણ-સાહિત્યના ક્ષેત્રે એક મોટી ઉપલબ્ધિ થઈ છે એમ કહી રજનીકુમારે સન્માન સમારંભના આયોજન માટે સાવરકુંડલાના નગરવાસીઓને અભિનંદન આપ્યા. આ નિમિત્તે પત્રકાર – સંપાદક ભિખેશ ભટ્ટ / Bhikhesh Bhatt સંપાદિત પુસ્તક ‘અમારા બોરીસાગર સાહેબ’નું પ્રકાશન થયું. કાર્યક્રમ સ્થળે રતિલાલ બોરીસાગર સહિત અન્ય લેખકોના પુસ્તક વેચાણની વ્યવસ્થાને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો.

ભિખેશ ભટ્ટ સંપાદિત ‘અમારા બોરીસાગર સાહેબ’ પુસ્તકનું વિમોચન
કાર્યક્રમ માત્ર સાવરકુંડલાવાસીઓનો જ ન બની રહેતા અહીં બહારગામથી પણ રતિલાલના અનેક મિત્રો, સગાં, સંબંધીઓ, સાહિત્યકારો સન્માનના સાક્ષી બનવા ઉપસ્થિત રહ્યા હતા. કેટલાક પરિચિત નામો આ રહ્યા – લોકભારતીના પૂર્વ આચાર્ય મનસુખ સલ્લા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડૉ. મનોજ જોશી, વાર્તાકાર બહાદુરભાઈ વાંક, કવિ ચંદ્રકાંત શેઠ, અનિલ જોશી અને રાજેન્દ્ર શુક્લ, હાસ્યલેખક નિરંજન ત્રિવેદી, સ્ટેજ હાસ્યકારો શાહબુદ્દીન રાઠોડ અને જગદીશ ત્રિવેદી, બેન્કર અને લેખક પ્રદીપ ત્રિવેદી, ઇએનટી સર્જન ડૉ. નંદલાલ માનસેતા, વાર્તાકાર – લેખિકા કલ્પના જિતેન્દ્ર તેમજ ગૂર્જર પ્રકાશનના મનુભાઈ શાહ. બોરીસાગર છેલ્લે જ્યાંથી નિવૃત્ત થયા તે ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળના વર્તમાન પદાધિકારીઓ અહીં ઉપસ્થિત હતા તો રતિભાઈ નિવૃત્તિ પછી જેમાં પ્રવૃત્ત થયા તે ‘સદભાવના ફોરમ’ના ફાધર વિલિઅમ, સંજય ભાવસાર અને ગૌરાંગ દિવેટીઆ પણ તેમના સાથીદારના સન્માનના સાક્ષી બનવા અહીં ખાસ અમદાવાદથી આવ્યા હતા.

મારું માથું ખાંડણિયામાં છે.
જુઓ, આ રીતે.
તમે ઝિંકાય એટલું ઝીંકી લો...
સન્માન કાર્યક્રમનું સંચાલન પ્રણવ પંડ્યાએ પ્રાસાનુપ્રાસ શૈલીમાં કર્યું હતું તો અંતે રતિલાલના જ વિદ્યાર્થી રહી ચૂકેલા કલાકાર દંપતી અરવિંદ અને મીના બારોટે ડાયરાની વાતો દ્વારા ગીતો – ભજનોની રજૂઆત કરી હતી. આ બન્નેની વચ્ચે ભોજનની રજૂઆત બોરીસાગર દંપતી જ નહીં સમગ્ર કુટુંબ અમદાવાદના રતિલાલ પાર્કના 67 નંબરના મકાનમાં જેવું આતિથ્ય સૌનું કરે છે તેવી જ મજબૂત હતી.


(નોંધ : સન્માન સમારંભનો આ અહેવાલ વર્ષ 2011નો છે. સાહિત્ય – શિક્ષણ ક્ષેત્રે કામ કરતા લોકોને નવાજવાની – પોંખવાની પ્રતિષ્ઠાનની પરંપરાને જાળવી રાખતાં આવો જ એક કાર્યક્રમ સાવરકુંડલામાં 26 અને 27 જાન્યુઆરી 2014ના રોજ આયોજિત થયો છે. ઉપરોક્ત અહેવાલમાં જેમનો ઉલ્લેખ છે તે નાનાભાઈ જેબલિયા 26 નવેમ્બર 2013ના રોજ અવસાન પામ્યા છે તેની સખેદ નોંધ લઉં છું.)


(તસવીરો : બિનીત મોદી)

Monday, March 25, 2013

તારક મહેતાનું નાગરિક સન્માન : અમદાવાદ શહેરના ગૌરવનો ગુણાકાર

(ડાબેથી) સુરેન્દ્ર પટેલ, વિનોદ ભટ્ટ, તારક મહેતા

અને અસિત વોરા - નાગરિક સન્માન વેળાએ


ગુજરાતી વાંચી શકતા સૌ કોઇને લખીને હસાવી શકતા તારક મહેતા / Tarak Mehta નું નામ ટી.વી. શ્રેણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના / Taarak Mehta Ka Ooltah Chashmah એક હજાર ઉપરાંત એપિસોડના પ્રસારણ પછી હવે એવા વિશાળ ફલક પર વિસ્તાર પામ્યું છે કે ટેલિવિઝન દેખી શકતા કોઇને પણ હસાવી શકે. લોકપ્રિયતાના તમામ માપદંડો વટાવી ગયેલા વાચકપ્રિય લેખક તારક મહેતાનું શનિવાર, 23 માર્ચની સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન / Ahmedabad Municipal Corporation દ્વારા નાગરિક સન્માન કરવામાં આવ્યું હતું.
સન્માનનો પ્રતિભાવ : તારક મહેતા, સાથે મેયર અસિત વોરા

અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ
શહેરની મધ્યમાં આવેલા શેઠ મંગળદાસ ટાઉન હૉલમાં / Sheth Mangaldas Town Hall, Ahmedabad આયોજિત કાર્યક્રમમાં લેખકના સંખ્યાબંધ ચાહકોના સ્ટેન્ડિંગ ઑવેશન વચ્ચે અમદાવાદના મેયર અસિત વોરાએ / Asit Vora સન્માનપત્ર અર્પણ કરી તારકભાઈનું નાગરિક સન્માન કર્યું હતું. એ પહેલા ઉપસ્થિત મહેમાનો સમક્ષ સન્માનપત્રનું / Citation વાચન કરવામાં આવ્યું હતું. સન્માનનો પ્રતિભાવ આપતા તારકભાઈએ જણાવ્યું કે અમદાવાદના મેયર પોતે એક અચ્છા ગાયક કલાકાર છે. એક કલાકારના હસ્તે બીજા કલાકારનું સન્માન થાય તેનાથી વધુ ઉત્તમ બીજું શું હોય? આમ કહી તારકભાઇએ પોતાનો રાજીપો વ્યક્ત કરવા સાથે એક દ્રષ્ટાંતકથા કહી વાચક-શ્રોતાઓના ચહેરા પર હાસ્ય રેલાવ્યું હતું. સાથે-સાથે ખાતરી પણ આપી કે શરીર સાથ આપશે ત્યાં સુધી તેઓ લખતા રહેશે અને વાચકોને હસાવતા રહેશે.
નાગરિક સન્માન કાર્યક્રમના પ્રારંભે મેયર અસિત વોરાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે સન્માનનો સ્વીકાર કરી તારકભાઈએ મ્યુનિસિપાલિટીનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતના રાજકીય – બીનરાજકીય વર્તુળોમાં કાકાના સંબોધનથી ઓળખાતા રાજ્યસભાના પૂર્વ સંસદસભ્ય સુરેન્દ્ર પટેલ / Surendra Patel આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને હતા. તેમણે એક જૂની ઉક્તિનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભૂવો ધૂણે તો ય નારિયેળ તો ઘર ભણી જ નાંખે એમ અસિત કલાકાર છે એટલે કલાકારોનું સન્માન કરી ઋણ અદા કરે છે. શહેરના વિકાસલક્ષી કામોની સાથે આ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે તે બાબતે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. બન્નેએ અત્યંત ટૂંકુ વક્તવ્ય આપી તારકભાઈના સન્માન માટે ખાસ ઉપસ્થિત તેમના સમકાલીન હાસ્યલેખકો વિનોદ ભટ્ટ / Vinod Bhatt અને રતિલાલ બોરીસાગરને / Ratilal Borisagar કાર્યક્રમનો હવાલો સોંપી દીધો હતો.
(ડાબેથી) પી. ખરસાણી, તારક મહેતા, અસિત વોરા, સુરેન્દ્ર પટેલ,વિનોદ ભટ્ટ અને રતિલાલ બોરીસાગર
રતિલાલ બોરીસાગરે જણાવ્યું કે ભાષણ કરવાથી વક્તાની હિંસા કરવાની વૃત્તિ સંતોષાય છે અને સાંભળનારના પાપ ધોવાય છે’, તો આજે અમદાવાદના નગરજનો પણ ભલે એ લાભ પામતા. તારકભાઈના હાસ્યની લાક્ષણિકતાઓ વર્ણવી પોતે લાંબુ વક્તવ્ય નહીં આપે તેવી સંબોધનના પ્રારંભે શ્રોતાઓને આપેલી ખાતરીનું તેમણે મોબાઇલની સાક્ષીએ પાલન કર્યું હતું. આ વિશેષ પ્રસંગે વિનોદ ભટ્ટે કોર્પોરેશનના સત્તાધીશોને એક સૂચન કરતા જણાવ્યું કે લાયક વ્યક્તિનું સન્માન સમયસર કરો. એ માટે તેનો અંતિમ સમય નજીક આવે એવી રાહ ન જુઓ કે એમ કરીને ટટળાવો પણ નહીં. ઉદાહરણરૂપ તેમણે કે.કા. શાસ્ત્રીનો / Keshavram Kashiram Shashtri ઉલ્લેખ કર્યો જેઓ સો વર્ષનું આયુષ્ય પામ્યા પણ જીવતેજીવ આવું કોઈ સન્માન પામ્યા નહોતા. જો કે એ સાથે વિનોદભાઈએ એમ પણ જણાવ્યું કે તારકભાઈ પોતે આવી ઇચ્છાઓ કરવાથી હંમેશા પર રહ્યા છે. એવી પરવા સુદ્ધાં કરતા નથી.


વિનોદ ભટ્ટ : સમયસર સન્માન થાય તો લેખે લાગે
બાળપણ – કિશોરાવસ્થાના વર્ષો જે શહેરમાં વીતાવ્યા હોય એ જ શહેર વર્ષો પછી નાગરિક સન્માન આપે એવો અવસર બહુ ઓછા લોકોના જીવનમાં આવે. સક્રિય કારકિર્દીના મહત્તમ વર્ષો મુંબઈમાં / Mumbai વીતાવી ચૂકેલા અમદાવાદના / Ahmedabad વતની એવા તારક મહેતાના જીવનમાં એવો અવસર તેમણે અમદાવાદને પુનઃ પોતાનું ઘર બનાવ્યું તેના પંદર વર્ષ પછી આવ્યો. ભલે મોડો આવ્યો તો ય આંગણે આવેલા આ અવસરને અમદાવાદના નગરજનોએ ઉમળકાભેર વધાવી લીધો હતો. કાર્યક્રમમાં પરિવારજનો – સ્નેહીઓ ઉપરાંત અગ્રણી સાહિત્યકાર રજનીકુમાર પંડ્યા / Rajnikumar Pandya, પત્રકાર-લેખક ઉર્વીશ કોઠારી / Urvish Kothari, ગુજરાતી ફિલ્મોના અભિનેતા પી. ખરસાણી / P. Kharsani, ફિલ્મ મેકર આશિષ કક્કડ / Ashish Kakkad તેમજ ફિલ્મો અને ટેલિવિઝન કાર્યક્રમોની વિશિષ્ટ શૈલીમાં ગુણ-દોષગ્રાહી આલોચના કરતા કોલમિસ્ટ પ્રણવ અધ્યારૂ / Pranav Adhyaru ઉપસ્થિત રહ્યા હતા. તારકભાઈની કારકિર્દીનો આલેખ જેના ઉલ્લેખ વગર અધૂરો ગણાય તે ચિત્રલેખા’ / Chitralekha સાપ્તાહિકના તંત્રી ભરત ઘેલાણી / Bharat Ghelani અને ટી.વી. સિરિઅલ ઉલટા ચશ્માના નિર્માતા આસિત મોદી / Asit Modi સન્માનના સાક્ષી બનવા ખાસ મુંબઈથી આ પ્રસંગે ઉપસ્થિત હતા.
રશ્મી મહેશ વકીલ, ઇન્દુ તારક મહેતા અને શીરાલી મહેતા સાથે અસિત વોરા
અભિનેતા મયુર વાકાણી અને મહેશ વકીલ
શારીરિક પ્રતિકૂળતાઓ વચ્ચે નાગરિક સન્માનના જાહેર સ્વીકાર માટે તારકભાઈને સજ્જ કરવા બદલ ઇન્દુબહેન તારક મહેતા / Indu Tarak Mehta અને પુત્રવત્ મિત્ર સુરતના મહેશ વકીલનો / Mahesh Vakil ખાસ આભાર આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મ્યુનિસિપલ કોર્પોરેશનની વહીવટી પાંખના અધિકારીઓ તેમજ ચૂંટાયેલી પાંખના હોદ્દેદારોએ પ્રસંગની ગરિમા અને વ્યવસ્થા જાળવવા ખડે પગે જહેમત ઉઠાવી હતી. એવી જહેમત કે ટાઉન હૉલની સામે આવેલી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલની વ્હીલ ચેર અને તેમાં તારકભાઈને બેસાડી તેને ઉંચકી શકે તેવા સહાયકો પણ હાજર હતા. હાસ્યના ગેરન્ટીડ એવા કાર્યક્રમના સમાપનમાં સૌને આઇસક્રીમ ટ્રીટ આપવામાં આવી હતી.

(તસવીરો : બિનીત મોદી)