પ્રતિભાવો ઉર્ફે Comments

Thursday, August 15, 2024

ભારતનું મહાભારત : નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પરથી ઈન્દિરા ગાંધીની બરોબરી કરી

ઇઠ્યોતેરમા સ્વાતંત્ર્ય દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
લાલ કિલ્લા પરથી સળંગ અગિયારમી વખત સંબોધન
2014 થી 2024


ઇઠ્યોતેરમા સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજને સલામી આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ વડાંપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીની બરોબરી કરી. નરેન્દ્ર મોદીએ આજે સળંગ અગિયારમી વાર તિરંગો ફરકાવ્યો. ઈન્દિરા ગાંધીએ વર્ષ 1966થી 1976 વચ્ચે સળંગ અગિયાર વાર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. એ પછી વડાંપ્રધાન પદની છેલ્લી મુદતમાં 1980થી 1984 વચ્ચે પાંચ વખત ધ્વજવંદન કર્યું એ અલગ.

પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ 1947માં પ્રથમવાર અને એમ હોદ્દા પર રહેતા 1963 સુધી સળંગ સત્તર વખત લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કર્યું હતું. બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને એ મોકો માત્ર બે વાર મળ્યો હતો. 1964 અને 1965માં. એ પછી વડાંપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીને એ તક 1966થી 1976 વચ્ચે સળંગ અગિયાર વખત મળી. આજે 2024માં ઇઠ્યોતેરમા સ્વાતંત્ર્ય દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ ક્રમની બરોબરી કરી.

મોરારજી દેસાઈએ 1977 અને 1978માં એમ બે વખત લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશને સંબોધન કર્યું હતું. તેમના અનુગામી ચરણ સિંઘને વડાપ્રધાન લેખે લોકસભામાં બેસવાની તક નહોતી મળી પરંતુ 1979માં લાલ કિલ્લા પરથી ધ્વજવંદન, સંબોધનની તક મળી હતી.

સૌથી યુવાન વયે વડાપ્રધાન પદ સંભાળનાર રાજીવ ગાંધીને આ તક 1985થી 1989 વચ્ચે સળંગ પાંચ વાર મળી હતી. વિશ્વનાથ પ્રતાપસિંહને આ તક માત્ર એક જ વાર 1990માં મળી. તેમના અનુગામી ચંદ્રશેખર એકમાત્ર વડાપ્રધાન છે જેમને હોદ્દા પર રહેતા લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજને સલામી આપવાનો મોકો, લહાવો મળ્યા નથી. પી. વી. નરસિમ્હારાવને એ લહાવો 1991થી 1995 વચ્ચે પાંચ વાર મળ્યો. એચ. ડી. દેવે ગૌડાને આ તક માત્ર એક જ વાર 1996માં મળી. ભારતે 1997માં આઝાદીની પચાસમી વર્ષગાંઠ મનાવી ત્યારે લાલ કિલ્લા પરથી સંબોધનનો મોકો વડાપ્રધાન ઇન્દર કુમાર ગુજરાલને મળ્યો. અટલ બિહારી વાજપેયીને આ તક 1998થી 2003 વચ્ચે સળંગ છ વખત મળી હતી. વર્ષ 2004થી 2013 સુધી સળંગ દસ વર્ષ ડૉ. મનમોહન સિંહે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ભારતે સ્વતંત્રતાની પચીસ, પચાસ અને પંચોતેરમી જયંતિની ઉજવણી કરી ત્યારે અનુક્રમે શ્રીમતી ઈન્દિરા ગાંધી, ઇન્દર કુમાર ગુજરાલ અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે હતા જેઓ હાલ ત્રીજી મુદત માટે પદ સંભાળી રહ્યા છે.

(ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. – બિનીત મોદી)

Saturday, May 18, 2024

અક્ષાંશ રેખાંશ ગુજરાત : ગુજરાતના દલિત, આદિવાસી સંસદસભ્યો

નવા સંસદભવનની લોકસભા ચેમ્બર


અઢારમી લોકસભા ચૂંટણી 2024ના મતદાનના ચાર તબક્કા પસાર થઈ ગયા છે. ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકોમાંથી છ બેઠકો અનામત રાખવામાં આવી છે. ચાર અનુસૂચિત જનજાતિ માટે તો બે અનુસૂચિત જાતિ માટે અનામત છે. અગાઉની સત્તર લોકસભા ચૂંટણીઓમાં બેઠકોની સંખ્યામાં વધ-ઘટ થવા સાથે આ સંખ્યામાં પણ ફેરફાર થતો રહ્યો છે. અહીં અગાઉની સત્તર લોકસભામાં અનામત વર્ગની બેઠકનું પ્રતિનિધિ કરવા માટે વિજેતા થયેલા કેટલાક વ્યક્તિઓનો માત્ર નામ પરિચય આપવાનો ખ્યાલ છે. અનુસૂચિત જનજાતિ બેઠકના પ્રતિનિધિને ‘ST’ ઓળખીશું તેમજ અનુસૂચિત જાતિ બેઠકના પ્રતિનિધિને ‘SC’ સંજ્ઞાથી ઓળખીશું.


પહેલી લોકસભા 1952માં પંચમહાલ અને વડોદરા પૂર્વની બીજી ST અનામત બેઠક પર રૂપાજી ભાવજી પરમાર બિનહરીફ વિજેતા થયા અને સુરતની આવી બેઠક પર બહાદુરભાઈ કુંથાભાઈ પટેલ કૉંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા હતા. બહાદુરભાઈ એ પછી ગુજરાતના સ્થાનિક રાજકારણમાં સક્રિય થયા અને 1960 પછી રચાયેલા ગુજરાતના પ્રારંભના પાંચેય મંત્રીમંડળમાં તેઓ સ્થાન ધરાવતા હતા. અમદાવાદ શહેરની બે લોકસભા બેઠકોમાં પહેલી SC અનામત બેઠક પર મૂળદાસ ભુદરદાસ વૈશ્ય ચૂંટાઈ આવ્યા હતા. મૂળદાસ વૈશ્ય આ પછી 1962ની ત્રીજી લોકસભામાં સાબરમતી લોકસભા બેઠકથી બીજી મુદત માટે ચૂંટાઈ આવ્યા. આ સાબરમતી બેઠક હવે ગાંધીનગર લોકસભા બેઠક તરીકે ઓળખાય છે અને તે બિનઅનામત છે. પહેલી લોકસભામાં સૌરાષ્ટ્ર કે કચ્છ વિસ્તારમાં કોઈ બેઠકને અનામતનો દરજ્જો મળ્યો નહોતો.


બીજી લોકસભામાં અમદાવાદની બીજી SC અનામત બેઠક પર કરસનદાસ ઉકાભાઈ પરમાર અપક્ષ ઉમેદવાર લેખે ચૂંટાઈ આવ્યા હતા. દાહોદથી જાલજીભાઈ કોયાભાઈ ડીંડોડ, માંડવીથી છગનલાલ મદારીભાઈ કેદારીઆ અને વલસાડથી નાનુભાઈ નિચ્છાભાઈ પટેલ કૉંગ્રેસમાંથી ST અનામત બેઠકના પ્રતિનિધિ લેખે ચૂંટાઈ આવ્યા હતા. ત્રીજી લોકસભામાં દાહોદની બેઠક SC અનામતનો દરજ્જો ધરાવતી હતી અને સ્વતંત્ર પક્ષના હીરાભાઈ કુંવરભાઈ બારીઆ ચૂંટાઈ આવ્યા હતા. કોઈક કારણસર આ બેઠકની પેટાચૂંટણી યોજવી પડી હતી. એમાં પણ સ્વતંત્ર પાર્ટીના પુરૂષોત્તમભાઈ હરિભાઈ ભીલ વિજેતા થયા હતા.


દેશના ગૃહમંત્રી અમિત શાહ 2024માં ચૂંટણી ઉમેદવાર હોવાના કારણે જેની ચર્ચા ચારેકોર છે એ ગાંધીનગર લોકસભા બેઠક 1967ની ચોથી લોકસભાથી અમલમાં આવી. કૉંગ્રેસના સોમચંદભાઈ મનુભાઈ સોલંકી SC અનામત ઉમેદવાર લેખે સૌ પ્રથમ ચૂંટાઈ આવ્યા હતા. તેઓ એ પછી પાંચમી લોકસભામાં સંસ્થા કૉંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા. 1967થી જ પાટણ લોકસભાને SC અનામતનો દરજ્જો મળ્યો. સ્વતંત્ર પક્ષના ડાહ્યાભાઈ રામજીભાઈ પરમાર સૌ પ્રથમ ચૂંટાઈ આવ્યા. દાહોદ ST અનામત બેઠક પર કૉંગ્રેસના ભાલજીભાઈ રાવજીભાઈ પરમાર ચૂંટાઈ આવ્યા હતા. એ પછી પાંચમી લોકસભામાં તેઓ સંસ્થા કૉંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા. માંડવીથી એ જ છગનભાઈ કેદારીઆ અને વલસાડથી નાનુભાઈ પટેલ કૉંગ્રેસમાંથી પુનઃ વિજયી થયા હતા.


      પાંચમી લોકસભા 1971માં પાટણથી SC અનામત બેઠક પર પહેલીવાર વિજેતા થયેલા ખેમચંદભાઈ સોમાભાઈ ચાવડા સંસ્થા કૉંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા એ સમયે 1960થી, બાર વર્ષ – બે મુદતથી કૉંગ્રેસના રાજ્યસભાના સભ્ય હતા. ખેમચંદભાઈ સમય જતા ભારતીય લોકદળ અને જનતા દળમાંથી ચૂંટાઈ આવતા અલગ અલગ ત્રણ રાજકીય પક્ષોના પ્રતિનિધિ રહ્યા. ગુજરાતના દલિત નેતૃત્વની વાત કરીએ તો ખેમચંદભાઈ ચાવડા એકમાત્ર એવા વ્યક્તિ છે જેઓ ત્રણ દાયકા જેવો લાંબો સમય સક્રિય રાજકારણમાં રહ્યા. જો કે આમ છતાં તેઓ કદી કેન્દ્ર સરકારમાં મંત્રી પદ કે કોઈ હોદ્દો ન પામ્યા.

બીજી તરફ આદિવાસી નેતૃત્વની વાત કરીએ તો છોટાઉદેપુર ST અનામત બેઠક પરથી પાંચ મુદત માટે અલગ અલગ ત્રણ રાજકીય પક્ષોમાંથી ચૂંટાયેલા નારણભાઈ જેમલાભાઈ રાઠવા રાજ્યસભાની છ વર્ષની એક મુદત સાથે બધું મળીને પાંત્રીસ વર્ષ સક્રિય રાજકારણમાં રહ્યા. તેઓ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના પહેલા કાર્યકાળમાં રેલવે રાજ્યમંત્રી રહ્યા. રામસિંહભાઈ પાતળિયાભાઈ રાઠવા કૉંગ્રેસમાંથી રાજ્યસભાની બે મુદત સાથે છોટા ઉદેપુર લોકસભા બેઠકના ભારતીય જનતા પક્ષના ત્રણ મુદત માટે સંસદસભ્ય રહ્યા. આમ તેઓ સત્તાવીસ વર્ષ જેવો લાંબો સમય સંસદના ફ્લોર પર રહ્યા. જો કે આમ છતાં તેઓ કદી કેન્દ્ર સરકારમાં મંત્રી પદ કે કોઈ હોદ્દો ન પામ્યા.


હોદ્દાની જ વાત નીકળી છે તો જાણી લઇએ કે દાહોદ લોકસભા ST અનામત બેઠક પર સતત સાત મુદત, છઠ્ઠીથી બારમી લોકસભા સુધી કૉંગ્રેસ પક્ષમાંથી ચૂંટાતા રહેલા સોમજીભાઈ પુંજાભાઈ ડામોરને એકેય સરકારોએ મંત્રીપદ આપ્યું નહોતું. એમાં ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને પી. વી. નરસિમ્હારાવના વડપણ હેઠળની કૉંગ્રેસ સરકારોનો સમાવેશ થાય છે. એવું જ માંડવી ST અનામત લોકસભા બેઠકથી સતત સાત મુદત માટે કૉંગ્રેસમાંથી જ ચૂંટાતા રહેતા છીતુભાઈ દેવજીભાઈ ગામિતની બાબતમાં બન્યું. તેમનું ભણતર ઓછું હતું એટલે કદી મંત્રી પદ ના પામ્યા એવી શક્યતા ખરી.


લોકસભાના SC કે ST વર્ગના સભ્ય લેખે મંત્રી પદ કે સમકક્ષ કોઈ હોદ્દો, સ્થાન પામ્યાના પાંચ જ દાખલા આ પંચોતેર વર્ષમાં મળે છે. દસમી લોકસભા 1991માં વલસાડ લોકસભા ST અનામત બેઠક પર ત્રીજી મુદત માટે ચૂંટાયેલા કૉંગ્રેસના ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ વડાપ્રધાન પી. વી. નરસિમ્હારાવના મંત્રીમંડળમાં ગ્રામિણ વિકાસ રાજ્યમંત્રી હતા. ચૌદમી લોકસભા 2004માં છોટા ઉદેપુર ST અનામત બેઠકના પાંચમી મુદતના કૉંગ્રેસ પક્ષના સંસદસભ્ય નારણભાઈ રાઠવા વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના પહેલા કાર્યકાળમાં રેલવે રાજ્યમંત્રી હતા. એ જ રીતે પંદરમી લોકસભા 2009માં બારડોલી ST અનામત બેઠક પર બીજી મુદત માટે ચૂંટાયેલા કૉંગ્રેસના ડૉ. તુષાર અમરસિંહ ચૌધરી વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના મંત્રીમંડળમાં આદિજાતિ બાબતોના રાજ્યમંત્રી હતા. સોળમી લોકસભા 2014માં દાહોદ ST અનામત બેઠક પર પહેલી વાર ચૂંટાયેલા જસવંતસિંહ ભાભોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળમાં 2016થી 2019 દરમિયાન આદિજાતિ બાબતોના રાજ્યમંત્રી હતા. જેનો કાર્યકાળ હવે સમાપ્ત થવામાં છે તે સત્તરમી લોકસભા 2019-2024ના અમદાવાદ પશ્ચિમ SC અનામત બેઠકના ભારતીય જનતા પક્ષના ત્રીજી મુદતના સંસદસભ્ય ડૉ. કિરીટ પ્રેમજીભાઈ સોલંકી લોકસભા સ્પીકર ઓમ બિરલાની પેનલના સભ્ય રહ્યા. બેશક, આ કોઈ બંધારણીય હોદ્દો નથી પરંતુ પેનલ મેમ્બરને સ્પીકરની ગેરહાજરીમાં લોકસભા સંચાલન કરવાની તક મળે છે એ નોંધવું રહ્યું.


(ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. – બિનીત મોદી)

Wednesday, May 15, 2024

ભારતનું મહાભારત : ગુજરાતના અપક્ષ સંસદસભ્યો

ભારતનું સંસદભવન : જૂનું અને નવું


ટેકેદારોના આશરે સરકારની રચના કરવાની હોય ત્યારે અપક્ષ ધારાસભ્યો કે સંસદસભ્યોનો બહુ ખપ પડે. તેમનો ટેકો લેવો જરૂરી બની જાય. ગુજરાતમાં રાજ્ય સરકારની રચના માટે અપક્ષ ધારાસભ્યોનો ટેકો લેવો પડ્યો હોય એવા પ્રસંગો એકથી વધુ વાર સપાટી પર આવ્યા છે અને પાર પડ્યા છે. પરંતુ કેન્દ્ર સરકારની રચના કરવા, ગાબડું પુરવા કે તેનું ગાડું ગબડાવવા માટે ગુજરાતના અપક્ષ સંસદસભ્યની ટેકારૂપ જરૂર પડી હોય એવો કોઈ દાખલો નથી.


હા, ગુજરાતમાંથી અપક્ષ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે ખરા. તેમાં પહેલું નામ લેવાનું આવે તુલસીદાસ કિલાચંદનું. અલગ ગુજરાત રાજ્યની રચના નહોતી થઈ ત્યારે પહેલી લોકસભા 1952માં તેઓ મુંબઈ પ્રાંતની મહેસાણા પશ્ચિમ બેઠકથી ચૂંટાઈ આવ્યા હતા. બીજી લોકસભાથી આ બેઠક પાટણ નામે નવું નામકરણ પામી. તુલસીદાસ કિલાચંદ મુંબઈ રહેતા ઉદ્યોગપતિ હતા અને તેમના પિતા દેવચંદ કિલાચંદનો પરિવાર મહેસાણા, પાટણનો વતની હોવાના કારણે ચૂંટણી ઉમેદવારી કરવા ગુજરાત આવ્યા હતા. વિજેતા થઈને સંસદમાં પહોંચી ગયા. પહેલી લોકસભાની મુંબઈ-ગુજરાત પ્રાંતની ઓગણીસ બેઠકોમાં તેઓ સૌથી ઓછા એવા માત્ર 4,064 મતના તફાવતથી વિજેતા થયા હતા. એ પછી બીજી લોકસભા ચૂંટણીમાં તેઓ ઉમેદવારી કરવાથી દૂર રહ્યા હતા.


એવી જ રીતે પહેલી લોકસભામાં ગુજરાત પ્રાંતથી જે બીજા અપક્ષ સંસદસભ્ય ચૂંટાઈ આવ્યા તે ઇન્દુભાઈ ભાઈલાલભાઈ અમીન. વડોદરા પશ્ચિમ બેઠકથી તેઓ ચૂંટાઈ આવ્યા હતા. આ સમયે પંચમહાલ અને વડોદરા પૂર્વ એ નામથી બે લોકસભા બેઠકો પણ હતી. એક સામાન્ય અને બીજી અનુસૂચિત જનજાતિ માટે ST અનામત. બીજી લોકસભાથી વડોદરા અને પંચમહાલના ફાળે એક-એક બેઠક જ રહી.


1957માં બીજી લોકસભા ચૂંટણી યોજાઈ એ સમયે મુંબઈ રાજ્ય અંતર્ગત આવતા ગુજરાત પ્રાંતની પાંચ બેઠકો પર અપક્ષ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા. મહેસાણાથી પુરૂષોત્તમદાસ રણછોડદાસ પટેલ, પાટણથી મોતીસિંહ બહાદુરસિંહ ઠાકોર, અમદાવાદની સામાન્ય બેઠક પર ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક તેમજ અનુસૂચિચ જાતિ માટે SC અનામત બેઠક પર કરસનદાસ ઉકાભાઈ પરમાર અને ખેડા બેઠક પરથી ફતેહસિંહજી રતનસિંહજી ડાભી. આ પાંચ સંસદસભ્યોમાંના પુરૂષોત્તમદાસ પટેલ અને ઇન્દુલાલ યાજ્ઞિક સમય જતા અનુક્રમે કૉંગ્રેસ તેમજ અન્ય પ્રાદેશિક પક્ષમાંથી બીજી મુદત માટે ચૂંટાઈ આવ્યા હતા. ઇન્દુલાલ યાજ્ઞિક તો ફરી વાર ચોથી લોકસભામાં અપક્ષ ઉમેદવાર લેખે ચૂંટાઈ આવ્યા અને એ પછી પાંચમી લોકસભામાં કૉંગ્રેસમાંથી ચૂંટાયા હતા.


ઇન્દુલાલ યાજ્ઞિક પાંચમી લોકસભામાં ચોથી મુદતના સંસદસભ્ય હતા ત્યારે મુદત દરમિયાન 17 જુલાઈ 1972ના રોજ અવસાન પામ્યા. ખાલી પડેલી બેઠક પર એ જ વર્ષે યોજાયેલી પેટાચૂંટણીમાં જે અપક્ષ ઉમેદવાર ચૂંટાઇને લોકસભામાં પહોંચ્યા તેમનું નામ પ્રોફેસર પુરૂષોત્તમ ગણેશ માવળંકર. અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કોલેજના આચાર્ય. પ્રોફેસર પી. જી. માવળંકર આ પછી છઠ્ઠી લોકસભામાં ગાંધીનગર બેઠકથી ભારતીય લોકદળના ઉમેદવાર લેખે બીજી મુદત માટે ચૂંટાઈ આવ્યા. આમ એક અર્થમાં પી. જી. માવળંકરને ગુજરાતમાંથી ચૂંટાયેલા છેલ્લા અપક્ષ સંસદસભ્ય પણ ઓળખાવી શકાશે. તેમને માત્ર છેલ્લા અપક્ષ સંસદસભ્ય જ નહીં, ગુજરાતમાંથી લોકસભાના ફ્લોર પર ગુંજેલા, ગર્જેલા છેલ્લા અવાજ તરીકે પણ ઓળખાવી શકાશે. પ્રોફેસર માવળંકર લોકસભાના ફ્લોર પર ઉભા રહી વડાંપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીને નો મેડમ અને લોકસભા સ્પીકરને નો સર કહી અન્યાયી બાબતોનો વિરોધ કરવા માટે દેશભરમાં જાણીતા બન્યા હતા.


છઠ્ઠી લોકસભામાં અમરેલી બેઠકથી કૉંગ્રેસ પક્ષની ટિકિટ પર ચૂંટાયેલા ઉમેદવાર દ્વારકાદાસ મોહનલાલ પટેલ લોકસભાની તેમની મુદત પછી 1980ની છઠ્ઠી ગુજરાત વિધાનસભામાં અમરેલીના અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. મતલબ કે કૉંગ્રેસ પક્ષે તેમના જ પૂર્વ સંસદસભ્યને વિધાનસભાની ટિકિટ નહોતી ફાળવી. તો વર્તમાન સત્તરમી લોકસભાના પંચમહાલ બેઠકના ભાજપના સંસદસભ્ય રતનસિંહ રાઠોડ લોકસભામાં ચૂંટાઈ આવ્યા એ સમયે લુણાવાડાના અપક્ષ ધારાસભ્ય હતા. અપક્ષ ધારાસભ્ય લોકસભામાં ચૂંટાઈ આવ્યા હોય તેવો ગુજરાતનો તેઓ પહેલો અને એકમાત્ર દાખલો છે.


(ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. – બિનીત મોદી)

Monday, May 13, 2024

અક્ષાંશ રેખાંશ ગુજરાત : લોકસભા ચૂંટણીના મહિલા પ્રતિસ્પર્ધીઓ

ભારતની સંસદનું નવું ભવન, શુભારંભ વર્ષ 2023


સંસદમાં મહિલાઓ માટે તેત્રીસ ટકા અનામત બેઠકો આપવાની માત્ર વાતો કરતા કરતા સત્તરમી લોકસભાની મુદત તેના અંત ભાગે આવી પહોંચી છે. અઢારમી લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકોની વાત કરીએ તો મુખ્ય રાજકીય પક્ષો ભારતીય જનતા પક્ષ અને કૉંગ્રેસે 26માંથી ચાર – ચાર બેઠકો પર મહિલાઓને ઉમેદવારી આપી ટકાવારીનો આંક 15 ટકાએ લાવી મુક્યો છે. એવું આશ્વાસન લઈ શકાય કે ગુજરાતે ઉમેદવારીની બાબતમાં અડધો રસ્તો પસાર કરી લીધો છે. તેત્રીસ ટકાના પચાસ ટકા.


ભાજપે જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને ભાવનગર બેઠક પર મહિલા ઉમેદવારને તક આપી છે. જેમાં જામનગર સિવાયની બેઠક પર નવા મહિલા ઉમેદવારો છે. કૉંગ્રેસ પક્ષે અમરેલી, ગાંધીનગર, બનાસકાંઠા અને દાહોદ બેઠક પર મહિલા ઉમેદવારને તક આપી છે. જેમાં દાહોદ સિવાયની બેઠક પર નવા મહિલા ઉમેદવારો છે. દાહોદ બેઠક પર કૉંગ્રેસે પૂર્વ સંસદસભ્ય ડૉ. પ્રભાબહેન તાવિયાડને દસ વર્ષ પછી પુનઃ તક આપી છે. છેલ્લે સોળમી લોકસભા ચૂંટણી 2014માં તેઓ ભાજપ સામે પરાજિત થયા હતા.


1951-52ની પહેલી લોકસભા ચૂંટણીથી લઇને સત્તરમી લોકસભા 2019 સુધી કુલ 426 બેઠકો માટે ચૂંટણીઓ યોજાઈ છે. પેટાચૂંટણીઓનો પણ એમાં સમાવેશ કરીએ તો આજે 2024 સુધી કુલ 225 સંસદસભ્યોને ગુજરાતે ચૂંટી કાઢ્યા છે. પુરુષ સંસદસભ્યો 205 અને મહિલાઓ માત્ર 20. ટકાવારીમાં આંકડો જોઇએ તો માત્ર નવ ટકા પ્રતિનિધિત્વ મહિલાઓના ભાગે આવ્યું છે. બહુ કંગાળ આંકડો છે આ એટલું તો કહેવું જોઇશે.


સુરત બેઠક બિનહરીફ થવાને કારણે મતદાન થવાનું નથી. એ સિવાય પચીસ લોકસભા બેઠકો જેમાં માત્ર બનાસકાંઠા લોકસભા બેઠક એવી છે જેમાં મુખ્ય રાજકીય પક્ષના ઉમેદવાર લેખે બે મહિલાઓ વચ્ચે સીધી સ્પર્ધા થશે. ભારતીય જનતા પક્ષના ડૉ. રેખાબહેન ચૌધરી અને કૉંગ્રેસ પક્ષના ગેનીબહેન ઠાકોર. રેખાબહેનની આ પહેલી ચૂંટણી છે અને સામે ગેનીબહેન બીજી મુદતના ધારાસભ્ય છે. લોકસભા બેઠક પર મુખ્ય રાજકીય પક્ષની મહિલાઓ વચ્ચે સીધી સ્પર્ધા થાય એવા જૂજ નહીં માત્ર એક જ દાખલો ગુજરાતમાંથી મળે છે.


ગુજરાતની લોકસભા બેઠકોમાં સૌથી વધુ ત્રણ મહિલા સંસદસભ્યો આપનાર વડોદરા લોકસભા બેઠક પર તેરમી લોકસભા ચૂંટણી 1999 સમયે મુખ્ય રાજકીય પક્ષોના બે મહિલાઓ વચ્ચે સીધી સ્પર્ધા થઈ હતી. ભારતીય જનતા પક્ષે બારમી લોકસભામાં સંસદસભ્ય રહેલા જયાબહેન ઠક્કરને ફરીથી ઉમેદવાર બનાવ્યા હતા તો કૉંગ્રેસ પક્ષે ડૉ. ઉર્મિલાબહેન પટેલને ઉમેદવાર બનાવ્યા હતા. તેઓ રાજ્યસભાના સભ્ય, ઊર્જા રાજ્યમંત્રી તેમજ સદગત મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના જીવનસાથીની ઓળખ ધરાવતા હતા. પરંતુ ભાજપ સામે ચૂંટણી જીતી શક્યા નહોતા. આમ 1999 પછી ઠેઠ પચીસ વર્ષે મુખ્ય રાજકીય પક્ષોના બે મહિલા ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થશે. ચૂંટણી પ્રચાર સુધી બનાસકાંઠા બેઠક તેના મુખ્ય ઉમેદવારોની વ્યૂહરચનાઓને કારણે રોજેરોજના સમાચાર બનવાની છે. આ સિલસિલો પાંચમી મે સુધી ચાલશે અને ચોથી જૂનની મતગણતરીની સાથે તેનો અંત આવશે.


ચાર રદ થયેલી અને છવ્વીસ લોકસભા બેઠકોમાં એકથી વધુ બેઠકો એવી છે જ્યાં મુખ્ય રાજકીય પક્ષોએ પાછલા પંચોતેર વર્ષમાં એક પણ મહિલા ઉમેદવારને તક આપી નથી. કેટલીક બેઠકો પર એવી તક આપી છે તો બહુ વર્ષો પહેલા આપી છે અથવા તો વર્ષો બાદ આપી છે. યાદ રહે ભારતે બે મહિલા રાષ્ટ્રપતિ, એક મહિલા વડાંપ્રધાન અને ગુજરાતે એક મહિલા મુખ્યમંત્રીને હોદ્દાગત સ્થાન, મોભો આપ્યા છે.


(ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. – બિનીત મોદી)

Monday, May 06, 2024

અક્ષાંશ રેખાંશ ગુજરાત : લોકસભા પેટાચૂંટણીમાં પણ બિનહરીફ વિજેતા

પાર્લમેન્ટ ઑફ ઇન્ડિયા, નવી દિલ્લી


પહેલા તબક્કામાં અગાઉની સરખામણીએ મતદાન ઓછું થયું છે એવા સમાચાર સાથે અઢારમી લોકસભાની રચના કરવા ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 1951-52થી આજ સુધી સત્તર સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ગઈ છે. પહેલી લોકસભાની રચના 1952માં થઈ અને 2019માં સત્તરમી લોકસભાની. સામાન્ય ચૂંટણીનો અવસર છે પણ આપણે વાત કરીશું પેટાચૂંટણીઓની. પેટાચૂંટણીઓ અને તે પણ માત્ર ગુજરાતની લોકસભા બેઠકોના સંદર્ભમાં.


એટલા માટે કે પેટાચૂંટણીઓ પણ ભારતના ચૂંટણી રાજકારણનું એક મહત્ત્વનું અંગ છે. યાદ કરવું ગમશે કે 2024માં જેમના ચૂંટણીચાણક્યકર્મની ચર્ચા ચારેકોર છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ-સહકારિતા મંત્રી અમિત શાહે તેમની સક્રિય રાજનીતિની શરૂઆત પેટાચૂંટણી લડીને કરી હતી. અલબત્ત એ ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ હતી.


ગુજરાત અને લોકસભાના સંદર્ભમાં જોઇએ તો સત્તરમી લોકસભા એવી પાંચમી લોકસભા છે જેના તમામ સંસદસભ્યોએ તેમની પાંચ વર્ષની સંસદીય મુદત પૂર્ણ કરી છે. અગાઉ 1957માં બીજી, 1989માં નવમી, 1991માં દસમી અને વર્ષ 2004માં ચૌદમી લોકસભાના ગુજરાતના તમામ સંસદસભ્યોએ તેમની સંસદીય મુદત પૂર્ણ કરી હતી. એ સિવાયની લોકસભાઓમાં રાજીનામા કે સભ્યના મુદત દરમિયાન અવસાનને કારણે પેટાચૂંટણીના સંજોગો ઉભા થયા હતા. એક અપવાદરૂપ હકીકત લેખે જણાવવાનું કે 1989ની નવમી લોકસભાનો કાર્યકાળ માત્ર સવા વર્ષનો રહ્યો હતો. એ સમયે ભાવનગરના સંસદસભ્ય શશીકાન્તભાઈ જમોડનું મુદત વચ્ચે અવસાન થયું હતું. પરંતુ લોકસભાની ડામાડોળ સ્થિતિ વચ્ચે તેનું વિસર્જન હાથવેંતમાં હોવાથી બેઠકની પેટાચૂંટણી યોજવાની જરૂર નહોતી પડી.


પ્રથમ ત્રણ લોકસભામાં ગુજરાતના બાવીસ તેમજ ચોથી અને પાંચમી લોકસભામાં ચોવીસ સંસદસભ્યો હતા. છઠ્ઠી લોકસભાથી ગુજરાતની સંસદસભ્યોની સંખ્યા છવ્વીસ થઈ જે બેઠકોના કેટલાક ફેરફાર સાથે અઢારમી લોકસભા સુધી યથાવત છે. પહેલી બે લોકસભામાં કચ્છ, પંચમહાલ-વડોદરા, મહેસાણા અમદાવાદ, ખેડા અને સુરત બેઠકને વિસ્તાર આધારે બે-બે બેઠકોનું પ્રતિનિધિત્વ મળેલું હતું. ત્રીજી લોકસભાથી ત્રણ ફેરફારો થયા. બે બેઠકોનું પ્રતિનિધિત્વ નીકળી ગયું, દરેક સ્વતંત્ર લોકસભા બેઠકને એક જ સંસદસભ્યનું પ્રતિનિધિત્વ મળ્યું અને હા 1962ની ત્રીજી લોકસભા ચૂંટણી સમયે ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવી ગયું હતું.


ગુજરાત અલગ નહોતું થયું એ સમયે પહેલી લોકસભામાં સૌરાષ્ટ્ર પાંતની હાલાર બેઠકની પેટાચૂંટણી પહેલવહેલી આવી પડી હતી. આવી પડી હતી એમ જ કહેવાશે કેમ કે એ બેઠકની સામાન્ય ચૂંટણીમાં બિનહરીફ વિજેતા થયેલા કૉંગ્રેસના ઉમેદવાર મેજર જનરલ એમ. એસ. હિંમતસિંહજી એ સમયે હિમાચલ પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર હતા. હિંમતસિંહજીને એ બંધારણીય હોદ્દો જાળવી રાખવો હતો એટલે લોકસભાની બેઠક છોડી દીધી. બેઠકની પેટાચૂંટણીમાં કૉંગ્રેસના ખંડુભાઈ દેસાઈ વિજેતા થયા અને વડાપ્રધાન જવાહરલાલ નેહરૂની કેબિનેટમાં શ્રમ મંત્રી થયા.


એ જ રીતે સૌરાષ્ટ્ર પ્રાંતની ઝાલાવાડ લોકસભા બેઠકના સામાન્ય ચૂંટણીના વિજેતા રસિકલાલ પરીખ સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી થયા એટલે સંસદસભ્ય પદેશી રાજીનામું આપ્યું. બેઠકની પેટાચૂંટણીમાં કૉંગ્રેસના ડૉ. જયંતિલાલ નરભેરામ પારેખ બિનહરીફ વિજેતા જાહેર થયા. અમદાવાદની બીજી સામાન્ય બેઠકના સંસદસભ્ય અને પહેલી લોકસભાના સ્પીકર ગણેશ વાસુંદેવ માવળંકર હોદ્દા પર રહેતા 1956માં અવસાન પામ્યા. પેટાચૂંટણીમાં તેમના પત્ની સુશીલાબહેન માવળંકર કૉંગ્રેસના ઉમેદવાર લેખે બિનહરીફ વિજેતા થયા હતા. એ સમયના રાજકારણની રૂહ અને નીતિરીતિ પ્રમાણે અમદાવાદના જાહેરજીવનના અગ્રણીઓએ સુશીલાબહેન સામે કોઈ ઉમેદવાર ઉભો રાખવો નહીં એવો નીતિગત નિર્ણય કર્યો, અમદાવાદના મહાજનોએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો અને એમ શ્રીમતી માવળંકર બિનહરીફ વિજેતા થયા.


(ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. – બિનીત મોદી)

Friday, May 03, 2024

ભારતનું મહાભારત : ગુજરાતના બિનહરીફ સંસદસભ્યો

 

ભારતીય સંસદ


સવા દોઢ મહિના પછી ખુલવાનું હતું એ ખાતું એપ્રિલના અંતમાં ખુલી ગયું છે. અઢારમી લોકસભા ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થયું અને બોંતેર કલાક કરતાં પણ ઓછા સમયમાં પહેલું પરિણામ આવી ગયું. પરિણામ એવી જગ્યાએથી આવ્યું જ્યાં હજી મતદાન યોજાયું નથી. સુરત લોકસભા બેઠક માટે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ફોર્મ પરત લેવાના છેલ્લા દિવસે છેલ્લા કલાકોમાં બિનહરીફ ચૂંટાઈ આવ્યાની જાહેરાત થઈ. ભારતીય જનતા પક્ષે તેના લોકપ્રિય નારા અબ કી બાર ચારસો પારને હકીકતમાં બદલવાના પહેલા પગથિયે પગ મુકી દીધો.


મુકેશ ચંદ્રકાંત દલાલ – અઢારમી લોકસભા માટે સુરત બેઠકના સંસદસભ્ય. બિનહરીફ વિજેતા. સત્તરમી લોકસભાના ત્રીજી મુદતના સંસદસભ્ય અને રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબહેન જરદોશના અનુગામી. ભાજપે ઉમેદવાર ન બદલ્યા હોત તો બીજો રેકોર્ડ થયો હોત – દર્શનાબહેન ગુજરાતના સૌથી લાંબી મુદતના મહિલા સંસદસભ્ય થયા હોત. સંભવિત ચોથી મુદત અને સંસદસભ્ય પદના વીસ વર્ષ. એમ થયું નથી, હવે થશે નહીં.


નર્વિરોધપણે, બિનહરીફ ચૂંટાઈ આવ્યા હોય એવા સંસદસભ્યોમાં મુકેશ દલાલનો નંબર દેશભરમાં પાંત્રીસમો આવે છે. છેલ્લો દાખલો શ્રીમતી ડિમ્પલ યાદવનો છે. 2012માં તેમના જીવનસાથી અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશનું મુખ્યમંત્રી પદ સંભાળવા કન્નૌજ લોકસભા બેઠક ખાલી કરી પછી તેઓ પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટી તરફથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. પહેલીવાર ચૂંટણી લડેલા મુકેશ દલાલની જીતની સરખામણી એ રીતે પણ કરવી પડશે કે ડિમ્પલબહેનના પતિ દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રી પદે હતા અને સસરા મુલાયમસિંહ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. પિતા – પુત્ર બન્ને સમાજવાદી પાર્ટીના સર્વેસર્વા હતા.


આ સિવાય યશવન્તરાવ ચવ્હાણ, ફારૂક અબ્દુલ્લાહ, હરેકૃષ્ણ મહેતાબ, ટી. ટી.ક્રિશ્નામાચારી, પી. એમ. સઇદ અને એસ. સી. જમીર લોકસભાના સભ્ય લેખે વખતોવખત બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. મહારાષ્ટ્રના ગવર્નર પદે રહેતા એસ. સી. જમીર થોડા વર્ષ અગાઉ ગુજરાતના કાર્યકારી રાજ્યપાલ પણ રહ્યા હતા. તેઓ નાગાલેન્ડ લોકસભા બેઠક પરથી 1967ની ચોથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. તેમનો રાજકીય પક્ષ – નાગાલેન્ડ નેશનાલિસ્ટ ઓર્ગેનાઇઝેશન.


ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો ગુજરાત અલગ રાજ્ય બન્યું એ પહેલા પણ લોકસભા ચૂંટણીના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. એ અર્થમાં મુકેશ દલાલ ગુજરાત રાજ્યના પહેલા બિનહરીફ સંસદસભ્ય ગણાશે. 1951-52માં યોજાયેલી પહેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સૌરાષ્ટ્ર પ્રાંતની હાલાર બેઠક પરથી બિનહરીફ વિજેતા થયેલા કૉંગ્રેસના ઉમેદવાર મેજર જનરલ એમ. એસ. હિંમતસિંહજી એ સમયે હિમાચલ પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર હતા. હિંમતસિંહજીને એ બંધારણીય હોદ્દો જાળવી રાખવો હતો એટલે લોકસભાની બેઠક છોડી દીધી હતી. હાલાર એટલે આજની જામનગર લોકસભા બેઠક જેના 2024ના ભાજપના ઉમેદવાર અને બે મુદતના સંસદસભ્ય પૂનમબહેન માડમ ગુજરાતના મહિલા ઉમેદવારોમાં તેમની સૌથી વધુ સંપત્તિને લઇને ચર્ચામાં છે.


પહેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પંચમહાલ અને વડોદરા પૂર્વ બેઠકની બીજી અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક પર કૉંગ્રેસ પક્ષના રૂપાજી ભાવજી પરમાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. સૌરાષ્ટ્ર પ્રાંતની ઝાલાવાડ લોકસભા બેઠકના સામાન્ય ચૂંટણીના વિજેતા રસિકલાલ પરીખ સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી થયા એટલે તેઓએ પહેલી લોકસભાના સંસદસભ્ય પદેશી રાજીનામું આપ્યું. બેઠકની પેટાચૂંટણીમાં કૉંગ્રેસના ડૉ. જયંતિલાલ નરભેરામ પારેખ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. પહેલી લોકસભામાં અમદાવાદની બીજી સામાન્ય બેઠકના સંસદસભ્ય અને લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ વાસુંદેવ માવળંકર હોદ્દા પર રહેતા 1956માં અવસાન પામ્યા. પેટાચૂંટણીમાં તેમના પત્ની સુશીલાબહેન માવળંકર કૉંગ્રેસના ઉમેદવાર લેખે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. એ સમયના રાજકારણની રૂહ અને નીતિરીતિ પ્રમાણે અમદાવાદના જાહેરજીવનના અગ્રણીઓએ સુશીલાબહેન સામે કોઈ ઉમેદવાર ઉભો રાખવો નહીં એવો નીતિગત નિર્ણય કર્યો, અમદાવાદના મહાજનોએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો અને એમ શ્રીમતી માવળંકર બિનહરીફ વિજેતા થયા હતા.


આમ અમદાવાદ બેઠકની 1956ની પેટાચૂંટણીના બિનહરીફ વિજેતાને લક્ષમાં લઇએ તો સડસઠ-અડસઠ વર્ષ પછી સુરતના મુકેશ દલાલ પહેલા એવા વ્યક્તિ છે જેઓ નિર્વિરોધપણે લોકસભામાં ચૂંટાઈ આવ્યા છે. 1984ની આઠમી લોકસભા ચૂંટણીમાં ભાજપે બે બેઠકો સાથે લોકસભામાં ખાતું ખોલ્યું હતું. એમાં એક બેઠક ગુજરાતની મહેસાણાની હતી. ચાલીસ વર્ષ પછી ભાજપે ગુજરાતમાં મતગણતરી પહેલા એક બેઠક મેળવીને ખાતું ખોલ્યું છે.


(ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. – બિનીત મોદી)

Sunday, April 28, 2024

ભારતનું મહાભારત : લોકસભાનું આયુષ્ય

જૂનું સંસદભવન : પહેલીથી સત્તરમી લોકસભાના સભ્યો અહીં બેઠા

અઢારમી લોકસભાની રચના માટે પહેલા તબક્કાના મતદાન સાથે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 1950માં સંસદીય લોકશાહી અપનાવ્યા પછી આજ સુધી સત્તર સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ગઈ છે. પહેલી લોકસભાની 1952માં રચના થઈ અને 2019માં સત્તરમી લોકસભાની. સામાન્ય ચૂંટણીના આ અવસરે આપણે વાત કરીશું લોકસભાના આયુષ્યની. આયુષ્ય મતલબ મુદત. બંધારણે નક્કી કરી આપ્યા પ્રમાણે લોકસભાની મુદત પાંચ વર્ષની હોય છે. ન એક દિવસ ઓછો, ન એક દિવસ વધારે. હા, તેમાં અપવાદ છે.

સત્તરમી લોકસભા તેનો પાંચ વર્ષનો કાર્યકાળ જૂન 2024ની મધ્યમાં પુરો કરશે. એ પહેલા અઢારમી લોકસભાની રચના થઈ જશે. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર આખરી ચૂંટણી પરિણામોને આધારે નવા ચૂંટાયેલા 543 સભ્યોની પ્રિન્ટેડ યાદી, સારી રીતે બાઇન્ડ અને ડેકોરમ કરેલી સ્થિતિમાં કાસ્કેટમાં મુકી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને સોંપશે એ સાથે અઢારમી લોકસભાની રચના પ્રક્રિયા શરૂ થઈ જશે. સામાન્ય ચૂંટણી એ તેનું પ્રથમ પગથિયું છે.

આજ સુધી સત્તરમાંથી અગિયાર લોકસભાએ તેનો પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કર્યો છે. પહેલી ત્રણ લોકસભાએ તેની પાંચ વર્ષની મુદત પૂર્ણ કરી હતી. એ પછી પાંચમી, સાતમી, આઠમી, દસમી અને ચૌદમીથી સત્તરમી લોકસભાએ તેનો નિશ્ચિત કાર્યકાળ પૂર્ણ કર્યો છે. લોકસભા તેની પાંચ વર્ષની મુદત પૂર્ણ ન કરે તેના કારણો મોટા ભાગે રાજકીય હોય છે. ચોથી લોકસભાની મુદતમાં જવાહરલાલ નેહરૂની ગેરહાજરી હતી અને કૉંગ્રેસમાં રાષ્ટ્રીય કક્ષાએ ભંગાણ પડ્યું એ પછી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેને સવા વર્ષ પહેલા બરખાસ્ત કરી હતી. પાંચમી લોકસભા સમયે કટોકટી / State of Emergency લાદવામાં આવી હોવાથી ઇન્દિરા ગાંધીએ જ તેની મુદત દસ મહિના જેટલી લંબાવી હતી, અલબત્ત લોકસભાની બંધારણીય મંજૂરી સાથે.

છઠ્ઠી લોકસભાએ દેશને પહેલી બીનકૉંગ્રેસી સરકાર આપી પણ તેની બન્ને સરકારો મુદત પુરી ના કરી શકી. વડાપ્રધાન પદે માતા-પુત્રની જોડીએ સાતમી અને આઠમી લોકસભાનો કાર્યકાળ પૂર્ણ કરાવ્યો. પુનઃ બે બીનકૉંગ્રેસી સરકારોએ નવમી લોકસભાને પાંચ વર્ષ ના જોવા દીધા. આર્થિક સુધારા યુગની પહેલી લોકસભા એવી દસમી લોકસભાએ એક જ વડાપ્રધાનના નેતૃત્વમાં પાંચ વર્ષ પૂર્ણ કર્યા. એમનું નામ પી. વી. નરસિમ્હારાવ. જેમને ગયા મહિને માર્ચ 2024ના અંતે મરણોત્તર ભારત રત્ન સન્માન એનાયત થયું. દેશનું સર્વોચ્ચ રાજકીય સન્માન. એ સન્માન પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહને પણ મરણોત્તર અપાયું જેમણે પદ પર રહેતા કદી લોકસભા જોઈ જ નહોતી.

પુનઃ બીનકૉંગ્રેસી સરકારોના યુગમાં અગિયારમી અને બારમી લોકસભા મુદત પહેલા જ બરખાસ્ત થઈ ગઈ. જીવતેજીવ ભારત રત્ન સન્માન મેળવનાર અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની તેરમી લોકસભા તેનો પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કરે એવી પુરતી શક્યતાઓ હતી. પરંતુ વાજપેયીના રાજકીય સલાહકારોએ આઠ મહિના પહેલા લોકસભા બરખાસ્ત કરાવી વહેલી ચૂંટણી કરાવડાવી.

તો 2004માં ચૌદમી લોકસભાથી શરૂ કરીને આ 2024માં સત્તરમી લોકસભાની મુદત પૂર્ણ થવા આરે ભારતની સંસદીય લોકશાહીના આ પહેલા એવા બે દાયકા છે જેમાં ચાર સરકારો અને બે વડાપ્રધાનોએ સ્થિર શાસનના દસ-દસ વર્ષ આપ્યા છે.

નવું સંસદભવન : સત્તરમી લોકસભાના સભ્યો અહીં પણ બેઠા

સંસદીય લોકશાહીનું આગામી ભાવિ જાણવા માટે ચોથી જૂનની સાંજ પડે એની રાહ જૂઓ. એ સાંજે અઢારમી લોકસભા ચૂંટણીના બહુમતી પરિણામો જાહેર થઈ જશે.

(ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. – બિનીત મોદી)

Saturday, November 20, 2021

સાઇઠ વર્ષના ગુજરાતના ધારાસભ્યનો શતાયુ પ્રવેશ : નારણભાઈ પટેલ, જેમણે ગાંધીજીને જોયા હતા

 


નારણભાઈ કાળીદાસ પટેલ, ઉંમર વર્ષ સો...
જન્મ તારીખ ઃ સોમવાર, 20 નવેમ્બર 1922, ખારચીયા, જેતપુર, રાજકોટ જિલ્લો
શતાયુ પ્રવેશ ઃ શનિવાર, 20 નવેમ્બર 2021, અમદાવાદ

રોજેરોજ અને રોજિંદા જીવનમાં ડગલેને પગલે જેમને યાદ કરવા પડે એ ગાંધીજીનું / Mahatma Gandhi જન્મજયંતિ નિમિત્તે સ્મરણ કરવાના દિવસો થોડા સમય પહેલા જ વીત્યા છે. પરંતુ આપણે તેમની અંતિમ વિદાયથી શરૂઆત કરવી પડશે. તેમની વિદાયનું આ ચુંમોતેરમું વર્ષ છે. બે મહિના પછી જાન્યુઆરી 2022માં પંચોતેરમું બેસશે. તેમને જોયા હોય એવા લોકોની સંખ્યા હવે વર્ષોવર્ષ ઓછી થતી જવાની. ગાંધીજીને જોયા હોય, રૂબરૂ થયા હોય કે સમજણપૂર્વકની કોઈ હેતુસર મુલાકાત કરી હોય એવી વ્યક્તિની ઉંમર આજે 2021માં ઓછામાં ઓછી પંચાસીથી નેવું વચ્ચે હોવાની. અહીં જેમનો પરિચય મેળવી રહ્યા છીએ એમની ઉંમર છે નવ્વાણું વર્ષ. નવ્વાણું ખરા પણ નર્વસ નાઇન્ટી નાઇન જેવું કશું નહીં. સેન્ચુરીએ પહોંચવાથી સો દિવસ દુર હતા ત્યારે હું એમને મળ્યો હતો. આજે શનિવાર 20 નવેમ્બર 2021ના દિવસે તેઓએ સોમા વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેમનું નામ નારણભાઈ કાળીદાસ પટેલ. NaranBhai Kalidas Patel આજે તેઓ ઉંમરમાં ત્રણ આંકડાના થયા – સો. મૂળ તો રાજકોટ જિલ્લાના જેતપુર / Jetpur, Rajkot, Saurashtra તાલુકાના ખારચીયા ગામના વતની છે. પણ ગાંધીજીને એમણે પેટલાદમાં જોયા હતા. મળ્યા હતા એમ તો કેમ કહેવાશે. કેમ કે નારણભાઈ એ સમયે વીસ વર્ષના યુવાન હતા અને પેટલાદમાં વ્યાયામની તાલીમ લેવા આવ્યા હતા. હાલ આણંદ જિલ્લાનું નગર ગણાતું પેટલાદ / Petlad, District Anand એ સમયે ખેડા જિલ્લાનું ગામ ગણાતું હતું. હિન્દ છોડો ચળવળને સમાંતરે 1942માં તેઓ પેટલાદ વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત સૂર્યભવન વ્યાયામ શાળામાં લાઠી દાવ, ભાલા ફેંક, કુસ્તી અને મલખમ શીખવા આવ્યા હતા. મલખમ – લાકડાનો ઉભો લીસો થાંભલો જેની આસપાસ કસરત કરવામાં આવે.

પેટલાદમાં તાલીમ ચાલતી હતી એ દરમિયાન ગાંધીજી રવિશંકર મહારાજને / Ravishankar Maharaj સાથે લઈ તાલીમાર્થીઓને મળવા આવ્યા હતા. વિદ્યાર્થીવર્ગને જે સંબોધન કર્યું એના પરથી પ્રેરિત થઈ કેટલાક યુવાનો 1942ની લડતમાં જુદા જુદા સ્તરે જોડાયા હતા. કોઈ રાષ્ટ્રીય સ્તરે લડતમાં જોડાવા મુંબઈ, દિલ્લી ગયું તો નારણભાઈ પોતાને ગામ પાછા ફર્યા. ખારચીયા અને જેતપુર ગામમાં તેઓ સુભાષ નામની પત્રિકા વહેંચવા જતા. એક મિત્ર પણ સાથે રહેતો અને એમ બે જણા થઇને અડધું – અડધું ગામ વહેંચી લે, ફરી વળે. ગણતરીના કલાકોમાં તો ગાંધી બાપુનો સંદેશો ગામના ઘરે-ઘરે પહોંચી જાય. આ ફરી વળવાની તાલીમ પેટલાદમાં મળી હતી. આ પત્રિકાઓ વહેંચતા બ્રિટીશ પોલીસના હાથે પકડાઈ ગયા તો સાથળના ભાગે ટાંકણીઓ ભોંકવાની સજા થઈ હતી. પીડાદાયક સજા હતી પરંતુ આઝાદી કાજે અને બાપુના માટે ભોગવવાની છે એવો ભાવ રહેતો હતો. ભારતભરની વ્યાયામ શાળાઓનું કેન્દ્ર ગણાતા મહારાષ્ટ્રના અમરાવતીથી આવેલા પૃથ્વીસિંહના હાથે વ્યાયામના પ્રથમ અભ્યાસક્રમની તાલીમ મેળવી હતી. તેમની સાથે બિશનસિંઘ હતા જેઓ સુભાષચન્દ્ર બોઝની / Subhash Chandra Bose આઝાદ હિન્દ ફોજમાં કર્નલનો હોદ્દો ધરાવતા હતા. પેટલાદમાં તાલીમ મેળવ્યાના થોડા સમય પછી 1950માં તેમણે જૂનાગઢમાં / Junagadh મિલિટરી તાલીમ પણ મેળવી હતી.

એ પછી નારણભાઈ પટેલ જાહેરજીવનમાં આવ્યા. એ પહેલા જેતપુરની કમરીબાઈ હાઈસ્કૂલમાંથી મેટ્રીક અને ગુજરાત યુનિવર્સિટીમાંથી બી. એ. નો અભ્યાસ પુરો કર્યો હતો. અમદાવાદમાં લૉ કોલેજમાં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો હતો પરંતુ એક વર્ષના અંતે અધુરો મુક્યો. પરિવારની ખેતી હતી. સમય જતા 1972માં જેતપુરમાં ચેતના સિનેમાના સંચાલક-માલિક બન્યા. વ્યવસાયની સાથે-સાથે સહકારી ક્ષેત્ર, રાજકોટ જિલ્લા લોકલ બોર્ડ, સ્કૂલ બોર્ડ અને કૉંગ્રેસની પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા. કૉંગ્રેસ સેવા દળ / Seva Dal સાથે પણ સંકળાયેલા હતા. જેતપુર તાલુકાના સૌરાષ્ટ્ર ગ્રામરક્ષક દળના ઇનચાર્જ હતા. આ સમય દરમિયાન અસ્પૃશ્યતા નિવારણનું કામ કર્યું.

જાહેરજીવનની કામગીરીએ તેમને 1962માં ચાલીસ વર્ષની યુવાન વયે ધારાસભ્ય બનાવ્યા. નારણભાઈ કાળીદાસભાઈ પટેલ બીજી અને ત્રીજી ગુજરાત વિધાનસભામાં એમ 1962 થી 1971 સુધી જેતપુર બેઠકના કૉંગ્રેસ પક્ષના ધારાસભ્ય હતા. 1967માં બીજી વાર ચૂંટણી ઉમેદવારી કરી ત્યારે સ્વતંત્ર પક્ષના પ્રતિસ્પર્ધી ઉમેદવારનું અવસાન થયું. આથી ચૂંટણી મતદાન થોડા દિવસ માટે મોકુફ રહ્યું. બાકી બેઠકોની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ગઈ હતી એટલે જેતપુર બેઠકની ચૂંટણી સમયે પ્રચારનો વધુ સમય મળ્યો. બન્ને પક્ષના નેતાઓને વધુ સમય મળ્યો હતો પરંતુ કૉંગ્રેસની સરખામણીએ સ્વતંત્ર પક્ષના / Swatantra Party નેતાઓ વધુ આક્રમક પ્રચારના મુડમાં હતા. સમય પણ એવો હતો કે રાજ-પાટ ગુમાવી ચુકેલા અનેક પૂર્વ રાજવીઓને સ્વતંત્ર પક્ષમાં તેમનું ભાવિ દેખાતું હતું. કેટલાય રાજ પરિવારો સ્વતંત્ર પક્ષ અને તેના સ્થાપક રાજાજી ઉર્ફે ચક્રવર્તી રાજગોપાલાચારી / C Rajgopalachari સાથે જોડાઈ ગયા હતા. જેતપુર બેઠકના ચૂંટણી પ્રચારમાં જયપુરના / Jaipur, Rajasthan State મહારાણી ગાયત્રી દેવી / Gayatri Devi પણ આવીને પ્રચારસભા સંબોધી ગયા હતા. એમ છતાં કૉંગ્રેસ પક્ષ / Indian National Congress અને નારણભાઈ પટેલ જીતી ગયા હતા.

ખારચીયા ગામમાં 20 નવેમ્બર 1922ના રોજ જન્મેલા તેઓ હાલ અમદાવાદમાં બીજી અને ત્રીજી પેઢીના પરિવાર સાથે રહે છે. એમની પ્રપૌત્રીઓ નારણભાઈનો પરિચય આપતા કહે છે કે, દાદા અમારાથી પંચાસી વર્ષ મોટા છે બોલો. શું બોલે? બાકી આ દાદાએ તેમની યુવાનીમાં બહારવટિયા ભૂપતને પડકારેલો. પડકાર્યો એ તો ઠીક પણ વખત જતા એમના કારણે જ દેશ છોડી ગયો. બહારવટે ચડ્યો એ પહેલા ભૂપત રજપૂત નામે ઓળખાતો મૂળે તો એ નારણભાઈનો ગાઢ મિત્ર હતો. આરઝી હકુમત ચળવળ દરમિયાન જેતપુર નજીકના વાંસાવડ ગામે ટોળાં દ્વારા થયેલી સાગમટી લુંટનું આળ એના નામે ચઢ્યું હતું. ખોટું હતું પણ ભૂપતનું નામ એ લુંટમાં એવી આબાદ રીતે સંડોવાઈ દેવાયું કે જેને તેણે બહારવટિયો બનાવી દીધો. તેને એ માર્ગેથી પાછા વાળવાના પરિચિતો – મિત્રોના પ્રયત્નો વ્યર્થ ગયા હતા.

આ ભૂપત બહારવટિયો / Bhupat Baharvatiyo નારણભાઈના વતન ખારચીયા ગામને લુંટવા આવ્યો હતો. એક વાર નહીં ત્રણ-ત્રણ વાર. ત્રણેય વખત તેને પડકારી નારણભાઈએ પાછો કાઢ્યો હતો. ખારચીયા ગામને લુંટવામાં નિષ્ફળ રહેલા ભૂપત અને તેના સાથીઓએ પછી જેતપુર ગામને પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જ પાંચ કલાક સુધી લુંટ્યું હતું. પરંતુ એ સમયે તેને પડકારનાર નારણભાઈ પટેલ કે એમના જેવું કોઈ બહાદુર સ્થળ પર હાજર નહોતું. ખારચીયામાં બતાવેલી વીરતા બદલ સરકારે નારણભાઈ પટેલનું બહાદુરીનો મેડલ અને પ્રશસ્તિપત્ર આપીને બહુમાન કર્યું હતું. નારણભાઈ પટેલ તેમની પાસે ઇટાલિયન બનાવટની ગન રાખતા હતા. આ ગનનો ઉપયોગ કરીને જ એમણે સશસ્ત્ર હુમલો કરવા આવેલા ભૂપતને પડકારવાનું સાહસ કર્યું હતું. સમય જતાં તેઓ વિદેશી બનાવટની કૉલ્ટ રિવોલ્વર રાખતા હતા. આઝાદી પછી સ્વતંત્ર સરકારની ભીંસ વધી એટલે ભૂપત બહારવટિયો ભારતથી ભાગી જઈ પડોશી દેશ પાકિસ્તાનમાં વસી ગયો હતો. જુનાગઢ – સૌરાષ્ટ્રથી સગાં-સંબંધી પાકિસ્તાન તેને મળવા જતા તો મિત્ર નારણભાઈના ખબર-અંતર ખાસ પુછતો અને કહેતો પણ ખરો કે, ખોટું કામ કરવાને કારણે ગામ છોડવું પડે એ તો સમજ્યા, ઓલા નારણભાઈએ તો મને દેશ છોડાવી દીધો. બહારવટીયા બન્યા પહેલાનો ભૂપત રજપુત / Bhupat Rajput અને નારણભાઈ બન્ને ઉંમરમાં સરખા હતા એટલે જ મિત્રો હતા. ભૂપત બહારવટિયો હયાત હતો ત્યાં સુધી તેને ભારત પાછા લાવવાના કેન્દ્ર સરકારે પુરતા પ્રયત્નો કર્યા હતા પરંતુ પાકિસ્તાન સરકારે જ કોઈ મચક નહોતી આપી. ભૂપત બહારવટિયો પાકિસ્તાનમાં / Pakistan જ મૃત્યુ પામ્યો.

પુત્રવધૂ સંધ્યાબહેન રોહિતભાઈ સાથે નારણભાઈ પટેલ

બહાદુરીની વાત કરતા નારણદાદાના જીવનમાં કારુણી પણ એટલી જ છે. એ કારુણીએ એક અર્થમાં તેમને પણ વતન જેતપુરથી દુર કર્યા છે એમ કહીએ તો ચાલે. જીવનસાથી જયાલક્ષ્મીબહેન અને ચાર પુત્રોના પરિવાર સાથે જેતપુરમાં જ રહેતા હતા. પરંતુ એક પછી એક તેમણે પરિવારના ત્રણ સ્વજનોને કાર અકસ્માતના એકસરખા કારણથી ગુમાવ્યા – પત્ની, પુત્ર રોહિત અને પૌત્ર જયવીર. એ પછી તેઓ પુત્રવધૂ સંધ્યાબહેન રોહિતભાઈ અને પૌત્રવધૂ ગાયત્રીબહેન જયવીર પટેલના પરિવાર સાથે અમદાવાદમાં રહે છે. પૌત્રી જયમાલા કોલકાતામાં / Kolkata, West Bengal કમર્શિયલ પાઇલટ / Commercial Pilot છે. તેમના એક પુત્ર જનકભાઈ પટેલ જેતપુરમાં વકીલાત / Advocate કરે છે અને ગુજરાત સરકારના પબ્લિક પ્રોસીક્યૂટર લેખે પણ ફરજ બજાવે છે.

પ્રપૌત્રીઓ ધર્પિતા અને ગરિમા સાથે નારણદાદા
શતાયુ વયના નારણભાઈ પટેલનો જુસ્સો બુલંદ છે – ઇરાદા મજબુત છે. ગાયત્રીબહેન – જયવીરના સંતાનો એવી બે પ્રપૌત્રી ધર્પિતા અને ગરિમા તેમના જુસ્સાના કેન્દ્રમાં છે. બન્ને બહેનો પોલીસમાં અથવા ભારતીય લશ્કરમાં જઈ દેશસેવા કરવાની ઇચ્છા રાખે છે. એટલું જ નહીં એ ક્રમમાં જરૂરી એવી એકથી વધુ તાલીમ તેમની ટીનએજમાં જ મેળવી રહી છે. નારણદાદા એમને ભણવામાં દિવસ-રાત કંપની આપે છે. રાતે કેવી રીતે એવો પ્રશ્ન થાય તો એનો જવાબ છે તેઓ રાત્રે કદી પલંગ – પથારીમાં સુતા જ નથી. રાતભર ખુરશીમાં બેઠા-બેઠા જ આરામ કરી લે છે. અને દિવસે, દિવસે કઈ રીતે સમય પસાર કરે છે? દિવસે તેઓ ઝવેરચંદ મેઘાણી / Jhaverchand Meghani અને દુલા ભાયા કાગ / Dula Bhaya Kag રચિત ગીતો, દુહા, છંદ લલકારી જાણે છે. એ ગીતોના ચુસ્ત પાઠ સહિત. એક પણ શબ્દ આઘો-પાછો કર્યા વિના. એકદમ બુલંદ સ્વરે. એવા સ્વરે કે રેકોર્ડીંગ કરીએ તો રીટેક ના લેવા પડે એવી રીતે.


ગાંધીજીના સમયમાં ઉછરેલા યુવાનો તો આવા જ હોય ને.


(
ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો તેમજ સપ્ટેમ્બર 2021માં નારણભાઈ પટેલની મુલાકાતના આધારે. – બિનીત મોદી)

Thursday, January 31, 2019

જ્યોર્જ ફર્નાન્ડિઝ : ગુજરાત – સંસદીય કારકિર્દીનું પહેલું પગથિયું

જ્યોર્જ ફર્નાન્ડિઝ / George Fernandes
3 જૂન 1930 થી 29 જાન્યુઆરી 2019
મેંગ્લોરથી નવી દિલ્લી

જ્યોર્જ ફર્નાન્ડિઝને / George Fernandes અનેક રીતે યાદ રાખવામાં આવશે. કામદારોના નેતા, તેમના અધિકારો માટેના લડવૈયા, મુંબઈના ટેક્ષી ચાલકોના યુનિયનના સ્થાપક, દેશવ્યાપી રેલવે હડતાળના સફળ બ્લુ પ્રિન્ટર, કટોકટીનો વિરોધ કરનાર અને એ માટે કુખ્યાત થયેલા બરોડા ડાઇનામાઇટ કેસ થકી જેલવાસ ભોગવનાર, જેલવાસ દરમિયાન જ લોકસભા ચૂંટણી જીતનાર, કેન્દ્રિય ઉદ્યોગ પ્રધાનની રૂએ કોકાકોલાને હાંકી કાઢનાર, રેલવે મંત્રી થયા ત્યારે એ જ કોકાકોલા રેલવે સ્ટેશનો સહિત દેશભરમાં પુનઃ વેચાતું થયું, સંરક્ષણ મંત્રીની રૂએ પૃથ્વી પરની સૌથી ઊંચી અને દુર્ગમ ગણાતી યુધ્ધ ભૂમિ સિઆચેનની / Siachen મુલાકાત કરનાર પહેલા ડિફેન્સ મિનિસ્ટર તેમજ એ જ મંત્રાલયમાં થયેલા કૉફીન કમ આર્થિક કૌભાંડોને કારણે પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી અને છેલ્લે જે રાજકીય પક્ષની સ્થાપનામાં ચાવીરૂપ ભૂમિકામાં હતા એ જનતા દળ (યુનાઈટેડ)ના / Janta Dal (United) નવા નેતૃત્વએ તેમને પંદરમી લોકસભા ચૂંટણીની ટિકિટથી વંચિત રાખ્યા.

ચોથી લોકસભાથી ચૌદમી લોકસભા વચ્ચે નવ-નવ મુદત માટે ચૂંટણી વિજેતા થનાર તેમજ માત્ર અગિયાર મહિના જેવા ટૂંકા સમયગાળા માટે એક જ વખત રાજ્યસભાનું સભ્યપદ મેળવનાર જ્યોર્જ ફર્નાન્ડિઝનું ચૂંટણી રાજકારણ ગુજરાતથી શરૂ થયું હતું. હા, રિપીટ ગુજરાતથી.

ગુજરાત રાજ્યની સ્થાપના 1960માં થઈ ત્યારે પહેલી ગુજરાત વિધાનસભાની રચના મુંબઈ રાજ્યની બીજી વિધાનસભામાંથી થઈ. મુંબઈ રાજ્ય બીજી વિધાનસભાની રચના માટે 1957માં બીજી લોકસભા સાથે જ સામાન્ય ચૂંટણી યોજાઈ ત્યારે જ્યોર્જ ફર્નાન્ડિઝ માંડવી (120) બેઠક પરના અપક્ષ ઉમેદવાર હતા. બેઠક પરના વિજેતા કૉંગ્રેસના ઉમેદવાર (અબ્દુલ કાદર શેલભોય) અને તેમની નજીકના પ્રતિસ્પર્ધક અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પરાજિત ઉમેદવાર (શાંતારામ શીવરામ સાવરકર) સામે ત્રીજા ક્રમે આવેલા જ્યોર્જ મેથ્યૂ જહોન ફર્નાન્ડિઝને (ચૂંટણી પંચના રેકર્ડ મુજબ સત્તાવાર નામ – ફર્નાન્ડિઝ જ્યોર્જ મેથ્યૂ જહોન) માત્ર 4,848 (કુલ મતદાનના 13.13%) મત મળ્યા હતા. આમ રાજકીય જીવનના પ્રારંભે પહેલી ચૂંટણીમાં પરાજિત થયેલા જ્યોર્જ ફર્નાન્ડિઝ પ્રથમ મુંબઈના અને પાછળથી ગુજરાતની પ્રથમ વિધાનસભાના માનનીય સભ્ય થતા રહી ગયા. કેમ કે બીજી વિધાનસભાથી માંડવી મતવિસ્તારનો ગુજરાતમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

પ્રથમ પરાજય પછી પરત મુંબઈ જઈને મજૂર ચળવળ તરફ સક્રિય થયેલા જ્યોર્જ ફર્નાન્ડિઝ પ્રારંભે 1961માં બોમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશનની / Bombay Municipal Corporation ચૂંટણી જીતીને નગરસેવક બન્યા. બીજી મુદત માટે વિજેતા થયા એ સમયગાળામાં સીધું લોકસભા ચૂંટણીમાં જ ઝુકાવ્યું અને જાયન્ટ કીલર તરીકે ચોથી લોકસભામાં (1967 – 1971) પહેલો પ્રવેશ કર્યો. જાયન્ટ કીલર / Giant Killer એટલે ચૂંટણીજંગના અર્થમાં રાજકારણમાં નવો-સવો પ્રવેશેલો ઉમેદવાર મોટું માથું ગણાતા પ્રતિસ્પર્ધી ઉમેદવારને પરાજિત કરે એ. એ અર્થમાં જ્યોર્જ ફર્નાન્ડિઝે સદોબા પાટીલ ઉર્ફે એસ.કે. પાટીલને / S.K. Patil પરાજિત કર્યા હતા. ત્રણ વખત મુંબઈના મેયર રહી ચૂકેલા, પહેલી-બીજી અને ત્રીજી લોકસભાના સભ્ય હોવા ઉપરાંત પ્રથમ ત્રણ વડાપ્રધાનો જવાહરલાલ નેહરુ, લાલ બહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધીના પ્રધાનમંડળનો હિસ્સો રહી ચૂકેલા તેમજ મહારાષ્ટ્રના રાજકારણના અજેય અને તાજ વગરના રાજા ગણાતા શક્તિશાળી કૉંગ્રેસી નેતા સદાશીવ કનોજી પાટીલને મહારાષ્ટ્રની દક્ષિણ મુંબઈ બેઠક પરથી જ્યોર્જ ફર્નાન્ડિઝે સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટીના ઉમેદવાર લેખે 29,434 મતથી પરાજિત કર્યા હતા. આ મત તફાવત દસ ટકાનો હતો અને બેઠક પર કુલ આઠ ઉમેદવારો હતા એ પણ નોંધવું રહ્યું.

જ્યોર્જની સામે પરાજય પામેલા કૉંગ્રેસ પક્ષના સદોબા પાટીલ આ જ ચોથી લોકસભામાં પેટાચૂંટણીના માધ્યમથી ચોથી વાર લોકસભામાં પહોંચવામાં સફળ થયા. એ માટે ગુજરાત નિમિત્ત બન્યું. બનાસકાંઠા બેઠક પર ચૂંટાયેલા સ્વતંત્ર પક્ષના સંસદસભ્ય મનુભાઈ અમરસીની ચૂંટણીને સર્વોચ્ચ અદાલતે ગેરકાયદે ઠરાવી રદબાતલ જાહેર કરવાનો ચૂકાદો આપ્યો હતો. બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષે એસ.કે. પાટીલને ઉમેદવાર બનાવ્યા. મોરારજી દેસાઈના આગ્રહથી સદોબા પાટીલ ઠેઠ મુંબઈથી ગુજરાતના બનાસકાંઠામાં પેટાચૂંટણી લડવા માટે આવ્યા અને જીતી પણ ગયા.

એ પછી પાંચમી લોકસભા (1971 – 1977) ચૂંટણીમાં તેમણે ઉમેદવારી નહોતી કરી. પરંતુ મજૂર ચળવળ, આંદોલનો, 1974ની વીસ દિવસ ચાલેલી દેશવ્યાપી રેલવે હડતાલ, ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીનો / State of Emergency વિરોધ અને ભાંગફોડિયા પ્રવૃત્તિમાં કથિત સંડોવણી કે કાવતરું ઘડવાના આરોપોસર જેલવાસ તેમજ સાંકળ-હાથકડી સાથે કૉર્ટમાં રજૂ કરતી દિલ્લી પોલીસની અખબારોમાં પ્રકટ થતી તસવીરોથી જ્યોર્જ ફર્નાન્ડિઝ ભારતભરના નાગરિકો વચ્ચે છવાઈ ગયા હતા. એવા છવાઈ ગયા કે જેલવાસ ભોગવતા, મતવિસ્તારની એકપણ મુલાકાત કર્યા વિના, માત્ર ટેકેદારોના પ્રચારથી જ્યોર્જ છઠ્ઠી લોકસભા (1977 – 1979) ચૂંટણીમાં બિહારની મુજફ્ફરપુર / Muzaffarpur લોકસભા બેઠક પરથી ભારતીય લોકદળના ઉમેદવાર લેખે 3,34,217ના મત તફાવતથી બીજી મુદત માટે ચૂંટાઈ આવ્યા. કૉંગ્રેસ પક્ષના નીતિશ્વર પ્રસાદ સિંઘ સહિત આઠ ઉમેદવારો તેમના પ્રતિસ્પર્ધી હતા. લોકસભાની આ મુદતમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ મોરારજી દેસાઈના વડાપ્રધાનપદ હેઠળની જનતા પાર્ટી સરકારમાં પ્રારંભે સંદેશાવ્યવહાર ખાતાના પ્રધાન નિમાયા. પાછળથી તેમને ઉદ્યોગ પ્રધાન બનાવાયા. મતવિસ્તાર મુજફ્ફરપુરની મુલાકાત દરમિયાન સ્થાનિક લોકો તેમના સંસદસભ્ય – લોકસભા પ્રતિનિધિ સમક્ષ પાણીની સમસ્યા લઈને આવ્યા. એ દરમિયાન જ ફરજ પરના જિલ્લા કલેક્ટરે તેમના સ્વાગતમાં કોકાકોલા / Coca Cola ધર્યું. જ્યોર્જને સમજાઈ ગયું કે પીવાના કે વપરાશયોગ્ય પાણીની સમસ્યાના મૂળમાં આ બહુરાષ્ટ્રીય કંપની છે. ગણતરીના દિવસોમાં તેમણે મલ્ટીનેશનલ કંપની નામે કોકાકોલાને દેશમાંથી ઉચાળા ભરાવ્યા.

કાર્યકારી રાષ્ટ્રપતિ બી.ડી. જત્તીના હસ્તે પ્રથમવાર
પ્રધાનપદના શપથ, 28 માર્ચ 1977
સાતમી લોકસભા (1980 – 1984) ચૂંટણી આવતા તેઓ જનતા પાર્ટીથી વિમુખ થઈ ગયા હતા. આ ચૂંટણીમાં જનતા પાર્ટી (સેક્યુલર)ની ટિકિટ પર ઉમેદવારી કરીને પુનઃ બિહારની મુજફ્ફરપુર બેઠક પરથી ત્રીજી મુદત માટે લોકસભામાં ચૂંટાઈ આવ્યા. આ ચૂંટણીમાં જ્યોર્જ માત્ર 23,109 મત તફાવત, માત્ર પાંચ ટકા મત તફાવતથી વિજેતા થયા હતા. ગત ચૂંટણી કરતા મત માર્જિનમાં 90%નો ગંજાવર ઘટાડો. ઘટાડાનું કારણ તેમની સામે પ્રતિસ્પર્ધક તરીકે જનતા પાર્ટીના દિગ્વિજય નારાયણ સિંહની ઉમેદવારી હતી. એમની સાથે કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર અને પંદર અપક્ષો તો ખરા જ ખરા. એમ બેઠક પર કુલ અઢાર ઉમેદવારો મેદાનમાં હતા.

વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા પછી સહાનુભૂતિના મોજામાં યોજાયેલી આઠમી લોકસભા ચૂંટણી (1984 – 1989)માં જ્યોર્જ ઉમેદવારી કરવાથી દૂર રહ્યા હતા. આ સમયગાળામાં રાજીવ ગાંધીની કૉંગ્રેસથી છૂટા પડેલા વિશ્વનાથ પ્રતાપસિંહના જનતા દળ સાથે જોડાયેલા જ્યોર્જ નવમી લોકસભા (1989 – 1991) ચૂંટણીમાં જનતા દળના ઉમેદવાર લેખે બિહારની મુજફ્ફરપુર બેઠક પરથી ચોથી મુદત માટે ચૂંટાઈ આવ્યા. સૌથી નજીકના પ્રતિસ્પર્ધી કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર લલિતેશ્વર પ્રસાદ સાહીને તેમણે 2,85,010 મત તફાવતથી પરાજય આપ્યો જે ઓગણચાલીસ ટકાથી વધુ હતો. આ સિવાય સત્તર ઉમેદવારો મેદાનમાં હતા. લોકસભાની આ મુદતમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ વિશ્વનાથ પ્રતાપસિંહના વડાપ્રધાનપદ હેઠળની જનતા દળ સરકારમાં રેલવે મંત્રીનું / Minister of Railway પદ પામ્યા તેમજ કાશ્મીરની બાબતોનો વધારાનો હવાલો સંભાળતા હતા.

દસમી લોકસભા (1991 – 1996) ચૂંટણીમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ જનતા દળના ઉમેદવાર લેખે બિહારની મુજફ્ફરપુર બેઠક પરથી પાંચમી મુદત માટે ચૂંટાઈ આવ્યા. આ બેઠક પર આ વખતે સંખ્યામાં અધધ કહી શકાય તેવા છેંતાલીસ ઉમેદવારો મેદાનમાં હતા. જ્યોર્જ આ વખતે કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર રઘુનાથ પાંડે સામે માત્ર 50,047 મત તફાવતથી વિજેતા થયા જે ફક્ત આઠ ટકા હતો.

ઉપરોક્ત સમયગાળામાં વેરવિખેર થઈ ગયેલા જનતા દળના ટુકડા પ્રયોગ પછી જ્યોર્જ ફર્નાન્ડિઝે 1994માં તેમના મિત્ર અને લાંબાગાળાના કમ્પેનિયન એવા જયા જેટલી / Jaya Jaitley સાથે મળીને સમતા પાર્ટી / Samata Party નામે નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. અગિયારમી લોકસભા (1996 – 1998) ચૂંટણીમાં તેઓ બેઠક બદલીને બિહારની જ નાલંદા લોકસભા બેઠકથી સમતા પાર્ટીના ઉમેદવાર લેખે છઠ્ઠી મુદત માટે ચૂંટાઈ આવ્યા. બેઠક પર ચોત્રીસ ઉમેદવારો મેદાનમાં હતા. 1,67,864 મત તફાવત, આશરે ઓગણીસ ટકા મત તફાવતથી વિજેતા થયેલા જ્યોર્જ વિરૂધ્ધ આ ચૂંટણીમાં મુખ્ય પ્રતિસ્પર્ધક કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના ઉમેદવાર વિજય કુમાર યાદવ હતા. ભૂતપૂર્વ સમાજવાદી નેતા સામે સામ્યવાદી પક્ષના ઉમેદવાર. એક મહિલા નામે કુમારી બચ્ચી સિંહાનો અપક્ષ ઉમેદવાર લેખે સામનો કરવાનું પહેલી વાર જ્યોર્જને આવ્યું તે પણ ઉલ્લેખનીય ગણવું રહ્યું કેમ કે અગાઉની કોઈ ચૂંટણીમાં તેમની સામે મહિલાઓની ઉમેદવારી નહોતી.

બારમી લોકસભા (1998 – 1999) ચૂંટણીમાં બિહારની નાલંદા લોકસભા બેઠકથી સમતા પાર્ટીના ઉમેદવાર લેખે સાતમી મુદત માટે ચૂંટાઈ આવ્યા. 1,15,670 મત તફાવત, આશરે તેર ટકા મત તફાવતથી વિજેતા થયેલા જ્યોર્જ વિરૂધ્ધ આ ચૂંટણીમાં મુખ્ય પ્રતિસ્પર્ધક રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર રામ સ્વરૂપ પ્રસાદ હતા. એ સિવાય નવ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જ્યોર્જે તેમની રાજકીય કારકિર્દીમાં પહેલી વખત રાષ્ટ્રીય જનતા દળ નામે એક પ્રાદેશિક પક્ષનો સામનો કરવાનો આવ્યો એ પણ ઉલ્લેખવું રહ્યું. આ પક્ષની સ્થાપના તેમના જ એક સમયના રાજકીય સાથી લાલુ પ્રસાદ યાદવે કરી હતી. લોકસભાની આ મુદતમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ અટલ બિહારી વાજપેયીના વડાપ્રધાનપદ હેઠળની સંયુક્ત મોરચા (એનડીએ) સરકારમાં સંરક્ષણ મંત્રીનું પદ પામ્યા. અમેરિકાની વિનંતી કે આર્થિક પ્રતિબંધોની ધમકીને અવગણીને ન્યૂક્લિઅર ટેસ્ટ પોખરણ-2’ આ દરમિયાન થયો.

સિઆચેનમાં સંરક્ષણમંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝ
તેરમી લોકસભા (1999 – 2004) ચૂંટણીમાં બિહારની નાલંદા લોકસભા બેઠકથી જનતા દળ (યુનાઇટેડ) નામે નવા પક્ષના ઉમેદવાર લેખે આઠમી મુદત માટે ચૂંટાઈ આવ્યા. સમતા પાર્ટીનું વિલીનીકરણ કરીને આ નવા પક્ષની સ્થાપના શરદ યાદવ, નીતિશકુમાર જેવા જૂના સાથીઓ સાથે મળીને કરી હતી. 1,05,821 મત તફાવત, આશરે બાર ટકા મત તફાવતથી વિજેતા થયેલા જ્યોર્જ વિરૂધ્ધ આ ચૂંટણીમાં મુખ્ય પ્રતિસ્પર્ધક કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના ઉમેદવાર ગયા સિંઘ હતા. એ સિવાય સાત ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. લોકસભાની આ મુદતમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ અટલ બિહારી વાજપેયીના વડાપ્રધાનપદ હેઠળની સંયુક્ત મોરચા (એનડીએ) સરકારમાં સંરક્ષણ મંત્રીનું પદ બીજી વાર પામ્યા. સંરક્ષણ મંત્રાલય વિરૂધ્ધ થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો, કોફીન ખરીદી કૌભાંડ, તહેલકા સામયિક અને વેબ પોર્ટલ દ્વારા થયેલા સ્ટીંગ ઑપરેશનને કારણે જ્યોર્જ ફર્નાન્ડિઝે આ સમયગાળામાં રાજીનામું આપી સંરક્ષણ મંત્રાલયનો પદભાર નામોશીભેર છોડવાનો અવસર પણ થોડા વખત માટે આવ્યો હતો. બીજી તરફ આ જ બીજી મુદતના સંરક્ષણ મંત્રીના પદ પર રહેતા તેમણે પંદરથી વધુ વખત સિઆચેન યુધ્ધક્ષેત્રની મુલાકાત લઈ વારંવાર અકસ્માતનો ભોગ બનતું વાયુસેનાનું મીગ-21 વિમાન ઉડતું કોફીન છે એવી ફેલાયેલી ગેરસમજ દૂર કરી. આ દુર્ગમ યુધ્ધક્ષેત્રના જવાનોને અતિ વિકટ ફરજ બજાવવામાં ખૂટતા જરૂરી સાધન-સરંજામની ખરીદી માટે સરકારી પ્રક્રિયાઓને તત્કાળ બાજુ પર મુકી દઈ ત્વરિત નિર્ણયો લીધા. આવા નિર્ણયો લેવામાં વિલંબ કરતા નવી દિલ્લી સાઉથ બ્લોક સ્થિત સંરક્ષણ મંત્રાલયના ત્રણ અધિકારીઓને પાઠ ભણાવવા શિક્ષા રૂપે સિઆચેનના જવાનોની કપરી પરિસ્થિતિ સમજાય એ માટે ફરજ બજાવવા, કામગીરી કરવા સીધા સિઆચેન બેઝ કેમ્પ જ મોકલી આપ્યા.

ચૌદમી લોકસભા (2004 – 2009) ચૂંટણીમાં પુનઃ એક વાર બેઠક બદલીને મૂળ મતવિસ્તાર બિહારના મુજફ્ફરપુર પાછા ફર્યા. જનતા દળ (યુનાઇટેડ)ના ઉમેદવાર લેખે નવમી અને છેલ્લી મુદત માટે ચૂંટાઈ આવ્યા. માત્ર 9,585 મત તફાવતથી વિજેતા થયેલા જ્યોર્જ વિરૂધ્ધ આ ચૂંટણીમાં મુખ્ય પ્રતિસ્પર્ધક રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર ભગવાન લાલ સાહની હતા. એ સિવાય બાર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. આ ચૂંટણી પરિણામ પછી કૉંગ્રેસ પક્ષે સત્તાનું નેતૃત્વ સંભાળ્યું અને ડૉ. મનમોહન સિંહ વડાપ્રધાન પદે આવ્યા. વિદેશી બાબતો સંભાળતી મંત્રાલયની એક સમિતિમાં જ્યોર્જનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો.

ઉપરોક્ત સમયગાળામાં જનતા દળ (યુનાઇટેડ)નું નેતૃત્વ શરદ યાદવ અને નીતિશકુમારે સંભાળી લીધું હતું. પંદરમી લોકસભાની ચૂંટણી સમયે 2009માં પક્ષે તમે હવે વૃધ્ધ થયા છો એમ કહીને ટિકિટ ફાળવણી ન કરી. પક્ષના આ નિર્ણયથી ગિન્નાયેલા જ્યોર્જ ફર્નાન્ડિઝે બિહારની મુજફ્ફરપુર બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરી. ચોવીસ ઉમેદવારો ધરાવતી બેઠક પરના ચૂંટણીજંગમાં તેમને માત્ર 22,804 મત મળ્યા જે કુલ મતદાનના માત્ર સાડા ત્રણ ટકા હતા. તેમને ટિકિટ નહીં આપવાનો નિર્ણય નીતિશકુમારે કર્યો હતો. એટલે પોતાના પક્ષના કદાવર નેતાનું માન રાખવા બીજા નેતા શરદ યાદવે રાજ્યસભાની તેમની બેઠક રાજીનામું આપીને ખાલી કરી. રાજ્યસભાની આ બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં જ્યોર્જે અપક્ષ ઉમેદવારી કરી અને તેમનું સમર્થન કરતા જનતા દળ (યુનાઇટેડ) દ્વારા કોઈ ઉમેદવાર ઊભો રાખવામાં ન આવ્યો. જ્યોર્જ ફર્નાન્ડિઝ બિહારથી ચૂંટાયેલા જનતા દળ (યુનાઇટેડ)ના ઉમેદવાર લેખે માત્ર અગિયાર મહિના જેટલા ટૂંકા સમયગાળા માટે (મુદત : 4 ઑગસ્ટ 2009 થી 7 જુલાઈ 2010) રાજ્યસભાના સભ્યપદે બેઠા.

આમ મુંબઈ રાજ્ય બીજી વિધાનસભાના પરાજિત ઉમેદવાર લેખે શરૂ થયેલી જ્યોર્જ ફર્નાન્ડિઝની રાજકીય યાત્રા વાયા બોમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશન થઈ લોકસભા પહોંચી. નવ વખતના સભ્યપદ તેમજ ચાર વખતના મંત્રીપદ પછી રાજ્યસભાની અગિયાર મહિનાની મુદત સાથે પૂર્ણ થઈ.

જ્યોર્જ ફર્નાન્ડિઝ અને પત્રકાર કિરીટ ભટ્ટ
વડોદરા સરકીટ હાઉસ, 1978

તસવીર સૌજન્ય : ચિરંતના ભટ્ટ
બરોડા ડાઇનામાઇટ કેસ સમયે વડોદરાના સ્થાનિક પત્રકાર કિરીટ ભટ્ટ / Kirit Bhatt સાથે થયેલો પરિચય જ્યોર્જ ફર્નાન્ડિઝે કિરીટભાઈના અવસાન સુધી પરિવાર સાથે જાળવી રાખ્યો. કિરીટ ભટ્ટના પુત્રી અને પત્રકાર – લેખક ચિરંતના ભટ્ટના / Chirantana Bhatt જણાવ્યા પ્રમાણે કટોકટીના સમયગાળામાં અન્ડરગ્રાઉન્ડ રહેતા જ્યોર્જ ત્રણ દિવસ સુધી વડોદરાના તેમના ઘરે છુપાયા હતા. સંરક્ષણમંત્રી પદનો હવાલો બીજી વાર સંભાળ્યો ત્યારે અમદાવાદ – ગુજરાતના સંસદસભ્ય હરીન પાઠક / Harin Pathak સંરક્ષણ રાજ્યમંત્રી લેખે તેમના સહાયક હતા એ નોંધવું રહ્યું. યોગાનુયોગ કહો તો એ કે જેમ જ્યોર્જ ફર્નાન્ડિઝ બોમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશનના નગરસેવકમાંથી સીધા ચોથી લોકસભામાં પ્રવેશ્યા હતા એમ હરીન પાઠક પણ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના નગરસેવકમાંથી સીધા નવમી લોકસભામાં પ્રવેશ્યા હતા. જ્યોર્જની જેમ હરીન પાઠકે પણ સંરક્ષણ રાજ્યમંત્રી પદે રહેતા અમદાવાદના એક પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહની હત્યાના જૂના કેસમાં તેમની સામે આરોપી તરીકેના ચાર્જ ફ્રેમ થતા તત્કાળ રાજીનામું આપવું પડ્યું હતું. આ બન્ને રાજીનામાનું પરિણામ એ આવ્યું કે પ્રધાન વિનાના સંરક્ષણ મંત્રાલયનો હવાલો થોડા સમય માટે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ / Atal Bihari Vajpayee સંભાળ્યો હતો.

વર્ષ 2002ની ગોધરા રેલવે સ્ટેશન પરની ટ્રેન દુર્ઘટના સમયે ભારતીય લશ્કરની પહેલી કુમક મદદ અમદાવાદને તેમની પહેલથી – સત્તાથી મળી જેનો ગુજરાત છેડે યથાયોગ્ય ઉપયોગ મોડો મોડો થયો અથવા તો નરસંહાર રૂપે નુકસાન થયા પછી થયો.

સત્તાના રાજકારણથી દૂર થયા પછી જ્યોર્જના મૂળ પરિવારજનો એવા તેમના ભાઈઓએ તેમને મળવા તો પત્ની લૈલા કબીરે તેમની નજીક પહોંચવા અને સ્ત્રીમિત્ર જયા જેટલીને તેમના જીવનમાંથી દૂર રાખવા દિલ્લી હાઇકોર્ટનો સહારો લેવો પડ્યો હતો. આ ઘટનાક્રમ થકી દુનિયાને પહેલીવાર જાણ થઈ કે સર્વોચ્ચ અદાલતના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ ચીફ જસ્ટીસ અલ્તમસ કબીર એ લૈલા કબીરના પિતરાઈ ભાઈ છે, જ્યોર્જના સાળા છે જેઓએ આ અદાલતી કાર્યવાહીથી પોતાની જાતને વેગળી રાખવા તત્કાળ રજા પર ઉતરી જવાનું વાજબી સમજ્યું હતું. અલ્તમસ કબીરના કાકા અને લૈલા કબીરના પિતા, જ્યોર્જના સસરા હુમાયુ કબીર બંગાળી ભાષાના કવિ-નવલકથાકાર હોવા સાથે શિક્ષણ ક્ષેત્રે પ્રવૃત્ત હતા અને કેન્દ્ર સરકારમાં મંત્રી પદે રહેતા જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રીના મંત્રીમંડળમાં શિક્ષણમંત્રીની જવાબદારી સંભાળી હતી. પ્રથમ રાજ્યસભાના અને પછી લોકસભાના સભ્ય રહી ચૂકેલા હુમાયુ કબીરે મદ્રાસ સ્ટેટના ગવર્નર બનવાની ઈન્દિરા ગાંધીની દરખાસ્ત નકારી કાઢી હતી.
ભારતીય રાજકારણના અભ્યાસીઓ અને જ્યોર્જ ફર્નાન્ડિઝના રાજકીય જીવનને નજીકથી જાણનારા – સમજનારા એકથી વધુ લોકો એવું માને છે કે રામ મનોહર લોહિયાના સમાજવાદી વિચારોથી પ્રભાવિત થઈને રાજકારણમાં સક્રિય થયેલા જ્યોર્જ સક્રિય રાજકારણની છેલ્લી ઇનીંગમાં ભારતીય જનતા પક્ષની નજીક સરક્યા પછી ભાગ્યેજ કોઈ પદ-સત્તાનો નકાર કરી શકે એવી સ્થિતિમાં રહ્યા હતા. અવસાન સાથે જ જ્યોર્જના જીવન પર આધારિત બાયોપિક ફિલ્મ બનાવવાની જાહેરાત બાલ ઠાકરેની બાયોપિક ઠાકરે નામે રજૂ કરી ચૂકેલા નિર્માતા અને શિવસેના સાંસદ સંજય રાઉતે કરી છે. ફિલ્મ નિર્માણના તબક્કેથી સિલ્વર સ્ક્રીન પર રજૂ થશે ત્યાં સુધી જ્યોર્જનું નામ ચર્ચામાં રહેશે. એ સિવાય પણ સરકાર, સત્તાતંત્રો સામે લડાયક વૃત્તિ બતાવવાની, યોધ્ધા બનવાની જ્યારે, જ્યાં અને જેમને પણ જરૂર પડશે તેવા દરેક લોકોને જ્યોર્જ ફર્નાન્ડિઝની યાદ આવતી રહેવાની છે – કટોકટીની પચાસમી, સાઇઠમી, પંચોતેરમી કે સો વર્ષની સરકારી કે ખાનગી જેવી સ્મૃતિ ઉજવણીઓ થશે ત્યારે ત્યારે પણ જ્યોર્જ યાદ આવવાના છે એ નક્કી સમજો.
(તસવીરો : ઇન્ટરનેટ પરથી)