પ્રતિભાવો ઉર્ફે Comments

Sunday, April 28, 2024

ભારતનું મહાભારત : લોકસભાનું આયુષ્ય

જૂનું સંસદભવન : પહેલીથી સત્તરમી લોકસભાના સભ્યો અહીં બેઠા

અઢારમી લોકસભાની રચના માટે પહેલા તબક્કાના મતદાન સાથે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 1950માં સંસદીય લોકશાહી અપનાવ્યા પછી આજ સુધી સત્તર સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ગઈ છે. પહેલી લોકસભાની 1952માં રચના થઈ અને 2019માં સત્તરમી લોકસભાની. સામાન્ય ચૂંટણીના આ અવસરે આપણે વાત કરીશું લોકસભાના આયુષ્યની. આયુષ્ય મતલબ મુદત. બંધારણે નક્કી કરી આપ્યા પ્રમાણે લોકસભાની મુદત પાંચ વર્ષની હોય છે. ન એક દિવસ ઓછો, ન એક દિવસ વધારે. હા, તેમાં અપવાદ છે.

સત્તરમી લોકસભા તેનો પાંચ વર્ષનો કાર્યકાળ જૂન 2024ની મધ્યમાં પુરો કરશે. એ પહેલા અઢારમી લોકસભાની રચના થઈ જશે. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર આખરી ચૂંટણી પરિણામોને આધારે નવા ચૂંટાયેલા 543 સભ્યોની પ્રિન્ટેડ યાદી, સારી રીતે બાઇન્ડ અને ડેકોરમ કરેલી સ્થિતિમાં કાસ્કેટમાં મુકી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને સોંપશે એ સાથે અઢારમી લોકસભાની રચના પ્રક્રિયા શરૂ થઈ જશે. સામાન્ય ચૂંટણી એ તેનું પ્રથમ પગથિયું છે.

આજ સુધી સત્તરમાંથી અગિયાર લોકસભાએ તેનો પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કર્યો છે. પહેલી ત્રણ લોકસભાએ તેની પાંચ વર્ષની મુદત પૂર્ણ કરી હતી. એ પછી પાંચમી, સાતમી, આઠમી, દસમી અને ચૌદમીથી સત્તરમી લોકસભાએ તેનો નિશ્ચિત કાર્યકાળ પૂર્ણ કર્યો છે. લોકસભા તેની પાંચ વર્ષની મુદત પૂર્ણ ન કરે તેના કારણો મોટા ભાગે રાજકીય હોય છે. ચોથી લોકસભાની મુદતમાં જવાહરલાલ નેહરૂની ગેરહાજરી હતી અને કૉંગ્રેસમાં રાષ્ટ્રીય કક્ષાએ ભંગાણ પડ્યું એ પછી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેને સવા વર્ષ પહેલા બરખાસ્ત કરી હતી. પાંચમી લોકસભા સમયે કટોકટી / State of Emergency લાદવામાં આવી હોવાથી ઇન્દિરા ગાંધીએ જ તેની મુદત દસ મહિના જેટલી લંબાવી હતી, અલબત્ત લોકસભાની બંધારણીય મંજૂરી સાથે.

છઠ્ઠી લોકસભાએ દેશને પહેલી બીનકૉંગ્રેસી સરકાર આપી પણ તેની બન્ને સરકારો મુદત પુરી ના કરી શકી. વડાપ્રધાન પદે માતા-પુત્રની જોડીએ સાતમી અને આઠમી લોકસભાનો કાર્યકાળ પૂર્ણ કરાવ્યો. પુનઃ બે બીનકૉંગ્રેસી સરકારોએ નવમી લોકસભાને પાંચ વર્ષ ના જોવા દીધા. આર્થિક સુધારા યુગની પહેલી લોકસભા એવી દસમી લોકસભાએ એક જ વડાપ્રધાનના નેતૃત્વમાં પાંચ વર્ષ પૂર્ણ કર્યા. એમનું નામ પી. વી. નરસિમ્હારાવ. જેમને ગયા મહિને માર્ચ 2024ના અંતે મરણોત્તર ભારત રત્ન સન્માન એનાયત થયું. દેશનું સર્વોચ્ચ રાજકીય સન્માન. એ સન્માન પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહને પણ મરણોત્તર અપાયું જેમણે પદ પર રહેતા કદી લોકસભા જોઈ જ નહોતી.

પુનઃ બીનકૉંગ્રેસી સરકારોના યુગમાં અગિયારમી અને બારમી લોકસભા મુદત પહેલા જ બરખાસ્ત થઈ ગઈ. જીવતેજીવ ભારત રત્ન સન્માન મેળવનાર અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની તેરમી લોકસભા તેનો પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કરે એવી પુરતી શક્યતાઓ હતી. પરંતુ વાજપેયીના રાજકીય સલાહકારોએ આઠ મહિના પહેલા લોકસભા બરખાસ્ત કરાવી વહેલી ચૂંટણી કરાવડાવી.

તો 2004માં ચૌદમી લોકસભાથી શરૂ કરીને આ 2024માં સત્તરમી લોકસભાની મુદત પૂર્ણ થવા આરે ભારતની સંસદીય લોકશાહીના આ પહેલા એવા બે દાયકા છે જેમાં ચાર સરકારો અને બે વડાપ્રધાનોએ સ્થિર શાસનના દસ-દસ વર્ષ આપ્યા છે.

નવું સંસદભવન : સત્તરમી લોકસભાના સભ્યો અહીં પણ બેઠા

સંસદીય લોકશાહીનું આગામી ભાવિ જાણવા માટે ચોથી જૂનની સાંજ પડે એની રાહ જૂઓ. એ સાંજે અઢારમી લોકસભા ચૂંટણીના બહુમતી પરિણામો જાહેર થઈ જશે.

(ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. – બિનીત મોદી)

No comments:

Post a Comment