પ્રતિભાવો ઉર્ફે Comments

Tuesday, June 19, 2012

યશવન્ત મહેતા : બાળસાહિત્યકારનો અમૃતપ્રવેશ


યશવન્ત મહેતા : આજે પંચોતેરમાં પ્રવેશ,
પત્ની દેવીબહેન સાથે..... 

સક્રિય પત્રકારત્વની પચાસી પાર કરી ચુકેલા યશવન્તભાઈ આજે 19મી જૂને પંચોતેરમા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. (જન્મવર્ષ – 1938 : લીલાપુર, સુરેન્દ્રનગર જિલ્લો) સાહિત્યના એકથી વધુ પ્રકારના વિષયોમાં તેમણે કરેલું ખેડાણ 450 ઉપરાંત પુસ્તકોમાં સમાયું – સચવાયું છે. જો કે તેમની મુખ્ય ઓળખ બાળસાહિત્યકારની રહી છે. એ એમની નિસબતનો વિષય પણ રહ્યો છે એમ કહેવું જોઇશે. બાલસાહિત્ય અકાદમીની સ્થાપના માત્ર નહીં, વખતોવખત – વર્ષમાં બે-ચાર વાર બાલદિન / Children's Day સિવાય પણ બાળકોને કેન્દ્રમાં રાખી કાર્યક્રમો કરવાની સક્રિયતા તેમણે બતાવી છે, હજી ચાલુ છે. સ્થળ – સમય કે બાળકોની સંખ્યાને લક્ષમાં લીધા વિના બાળકોની પ્રવૃત્તિઓમાં તેઓ હોંશભેર જોડાય છે. એ માટે જાત ઘસી નાંખવાની કે ખિસ્સા પર ઘસરકો પડે તેની આગોતરી તૈયારી પણ યશદાદાએ રાખી જ હોય. આ યશદાદા એ બાળકોએ આપેલું હુલામણું નામ છે.

એમ તો યશવન્તભાઈ / Yeshwant Mehta એક જમાનામાં જાવા મોટરસાઈકલ ચલાવતા હતા. મને લાગે છે એના પર સવાર થયેલા યશવન્ત મહેતા ખરેખર 'દાદા' જેવા જ લાગતા હશે. ગુજરાતી પત્રકારત્વની નોકરીમાં ઝીણું કાંતવાનો – પુષ્કળ લખવાનો અને બદલામાં આછો – પાતળો પગાર પામવાનો જમાનો હતો એવા દિવસોમાં તેમણે આ મોટરસાઈકલ વસાવેલી. શરીર પાસેથી લેતા હતા એટલું જ કામ એ જાવા / Jawa Motorcycle પાસેથી લેતા. સમવયસ્ક અને સમવ્યવસાયી મિત્રો પણ તેને ખપમાં લેતા. એની વાત આગળ ઉપર.

પત્રકારત્વ – લેખનની વ્યવસાયી કામગીરીના નાતે હું જ્યાં જોડાયેલો છું તે પ્રકાશન સંસ્થા ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય કે લેખકો – પત્રકારોના સંગઠન ગુજરાતી લેખક મંડળ / Gujarati Lekhak Mandal સાથે યશવન્તભાઈ વર્ષોથી જોડાયેલા છે. મંડળના તેઓ અધ્યક્ષ છે. એ રીતે તેમની સાથે વાત – વિવાદ કે ડાયલોગ થવાના સંજોગ ઊભા થતા રહે. આવી જ એક વાતચીત દરમિયાન કહેતા કેપાસે વાહન હોવું એ 1990 પહેલાના જમાનામાં મોટી જણસ ગણાતી. જાવા જેવી હેવીવેઇટ મોટરસાઈકલ હોવાના કારણે હું ઝડપભેર રિપોર્ટીંગ અને અન્ય કામ માટે ફરી વળતો. એ જોઈને મિત્રોને પણ ક્યારેક એ રીતે કામ કરવાની હોંશ જાગતી અને પાસે વાહન ન હોવાના કારણે પાછા પડતા. હું ડ્રાઈવર બનીને તેમની મદદે આવતો.

ગુજરાતી પત્રકારત્વમાં કે ગુજરાતી જોડણીકોશમાં ફ્રિ-લાન્સ શબ્દ દાખલ નહોતો થયો એવે સમયે તેમણે ગુજરાત સમાચાર / Gujarat Samachar જેવા મોટા ગજાના અખબારની કંઈક અંશે સલામત ગણાતી એવી નોકરી માત્ર મુક્તપણે કામ કરવાના એક માત્ર ઇરાદાથી જ મૂકી દીધી. એમાં તે સફળ પણ થયા. સાહિત્ય સર્જન કર્યું – બાળકોની પ્રવૃત્તિઓમાં જોડાયા – છેવાડાના માણસની ચિંતા સેવતું લેખન કરી એ માંહેની પ્રવૃત્તિ કરી – ભૂતકાળમાં લખેલું ગ્રંથસ્થ કર્યું. આ બધું કરવામાં આર્થિક પાસું પણ જળવાઈ રહ્યું તે એ રીતે કે માત્ર લેખનની આવક પર તેઓ આવકવેરાનું રીટર્ન ફાઇલ કરે છે – એ પણ નિયમિત.

એમ તો બીજું પણ એક કામ તેઓ નિયમિત કરે છે એ પત્નીને પિયર તેડવા જવાનું. ગુજરાતી લેખક મંડળની શુક્રવારી બેઠકમાં અધ્યક્ષના હોદ્દાને વચમાં લાવ્યા વિના કે તેના કથિત મોભાનો સહેજ સરખો ભાર રાખ્યા વિના તેઓ વહીવટી કામગીરી કરતા હોય. જેમાં કવર પર સરનામાં કરવાનું કામેય કોઈ છોછ વિના કરતા જાય. એમ કરતા સાથી મિત્રોને ખબર આપે કે પોતે આવતા શુક્રવારે બેઠકમાં હાજરી નહીં આપે. હા, એમને કેમ નથી આવવાના એવું પણ પૂછી શકાય – હકપૂર્વક નહીં, હેતથી. પૂછીએ એટલે કહેદેવીબહેનને પિયર મોરબી / Morbi તેડવા જવાનું છે.’ તેમની ઉંમર સામે જોતા કદાચ તેમને ચીડવવા માટે જ હું પૂછી બેસું કેકેમ, તમે તેડવા ના જાવ તો એ ના આવે?’ યશવન્ત મહેતા આંખ મીંચકારીને ભારપૂર્વક જવાબ આપે – ના. હા, આંખ મીંચકારે એ ક્ષણ પૂરતા તમે એમને રોમેન્ટિક પણ કહી શકો.

આવા સવાલો પૂછીને હું તેમને હેરાન ન કરું એટલે પછીના શુક્રવારે એ મીઠાઈ લઈને આવે – દેવીબહેનના હાથે બનાવેલી સુખડી, મગસ કે મોહનથાળ. મંડળના સભ્યોને તેનો લાભ મળે પણ સિંહફાળો મારા ભાગે હોય. મઝા આવે. દિલીપ રાણપુરા સાથેની તેમની દોસ્તી એવી કે એમના વિશેની કોઈ વાત એ આંખમાં ઝળઝળિયા વગર પૂરી જ ના કરી શકે. દિલદાર એવા કે બાળસાહિત્ય અંગેનું કેન્દ્રિય સાહિત્ય અકાદમીનું / Sahitya Akademi સન્માન જાહેર થયું તો એ લેવા માટે મિત્રો નટવર પટેલ અને યોસેફ મેકવાનને પોતાના ખર્ચે દિલ્હી સાથે લઈ ગયા. પ્રકાશક સાથેનો સંબંધ એવો કે મનુભાઈ શાહ એ સન્માન વેળાએ તેમને સરપ્રાઇઝ આપવા ઉપસ્થિત રહ્યા.

તેમના વિશે આટલું કે વિસ્તારથી ના લખવું હોય અને એક વાક્યમાં પરિચય આપવો હોય તોય આપી શકાય. પારકાના સુખે સુખી અને દુઃખે અતિ દુઃખી થતો જણ એટલે યશવન્ત દેવશંકર મહેતા. તેમના પરિવારમાં બે દીકરીઓ ઋતંભરા (સાઇકાયટ્રિસ્ટ ડૉ. – સુરત), પ્રતીચી (આવકવેરા વિભાગવડોદરા) અને દીકરો ઈશાન (કમ્પ્યૂટર એન્જિનિઅર) અમદાવાદમાં સાથે રહે છે.

પોસ્ટની સૌથી ઉપરનો દેવીબહેન સાથેનો તેમનો આ ફોટો વર્ષ 2006નો શ્રી ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક’ તેમને એનાયત થયો ત્યારે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સભાખંડમાં 30 ડિસેમ્બર 2006ની સાંજે પાડ્યો હતો.

Saturday, June 16, 2012

વાર્તા રે વાર્તા : વાંદરો, ડાયબીટિઝ અને ફાસ્ટિંગ શુગર


બ્લોગ લખવાની આ ટેક્નિકલ સુવિધા પૂરી પાડનાર, તેનો ઉપયોગ કરી લખનાર, વાંચનાર અને વાંચીને ટીકા-ટિપ્પણી કરનાર સુધીના સૌ કોઈ સ્વીકારશે કે આપણા પૂર્વજો વાંદરા / Monkey હતા અને આજના આપણા કેટલાક લક્ષણો તેને મળતા આવે છે. અરે લક્ષણો શું, રોગ પણ મળતા આવે છે.

દુનિયાભરના સઘળા સંશોધનો અમેરિકામાં જ થાય છે એ રીતે જાહેર થયેલા એક સંશોધન પ્રમાણે વાંદરાને પણ ડાયબીટિઝ / Diabetes થાય છે – જેનો પ્રકાર છે ટાઇપ ટુ. અમેરિકામાં પ્રાણી સંગ્રહાલયના વાંદરાને ગુજરાતીમાં મધુમેહ કહેતો આ ડાયબીટિઝ લાગુ ના પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. એ માટે તેમને મોટા જૂથમાં જ રાખવામાં આવે એટલે તેઓ એક્ટિવ રહે. બાકી તેમને આપવામાં આવતો ખોરાક એટલો સ્વાદિષ્ટ હોય કે ડાયબીટિઝ થઈને જ રહે. ગર્ભવતી વાંદરીને ડાયબીટિઝનું જોખમ વધુ રહે છે. પ્રેગ્નન્ટ વાંદરી એટલી માત્રામાં તાણ અનુભવે કે ઇન્સ્યૂલિન વાપરતી તેની આંતરિક સિસ્ટમ ખોરવાઈ જાય અને સરવાળે શુગર વધતી રહે.

આફ્રિકન કે આપણા એશિયન વાંદરાઓની કરમ કઠણાઈ જરા જુદી છે. તેમનામાં ખુદનું પ્રતિબિંબ જોવાને ટેવાયેલા પ્રવાસીઓ કે વાંદરાને ખવડાવીને દાન-પૂણ્ય કમાઈ લેવા માંગતા યાત્રાળુઓ તેમને નાસ્તામાં એટલા ફળફળાદિ ધરે કે પેલો ખાઈને અધમૂઓ થઈ જાય, એનું શુગર લેવલ વધી જાય. બિસ્કિટ – ખારીશીંગ ઝાપટી જતા હોય એ જુદું.

હવે સાથે-સાથે એમ પણ વિચારો કે આ વાંદરાઓ ક્યારેક માંદા પણ પડતા હશે ને? અથવા માંદગી ઢૂંકડી ન આવે તેની દરકાર રાખતા હશે. જો કે વાંદરાને કદી માણસોની તો ઠીક પશુઓ માટેની ખાસ હોય તેવી હોસ્પિટલમાં પણ સારવાર માટે દાખલ થયેલો જોયો નથી. પણ મેં જોયો હોં ! ક્યાં? હોસ્પિટલમાં દાખલ થયેલો વાંદરો? ના...બાબા...ના...માંદગી પોતાની નજીક જ ના આવે એની દરકાર રાખતો – કાળજી લેતો વાંદરો. લો આપ પણ જુઓ.....
ડાયબીટિઝ ચેક ના કરાવે ત્યાં સુધી તારી સાથે કીટ્ટા
આ જો ને શરીર વધાર્યું છે...

આચર...કુચર...ખા...ખા...
આચર – કુચર ખાઈને તગડા થયેલા, દિવસભર ભટકતા રહેતા અને રાત પડ્યે ઝાડ પર આડા થઈને ઘોરતા રહેતા આપણા વાંદરાભાઈથી તેની પત્ની એવી વાંદરી નારાજ છે. દિવસભર એને ટોક્યા કરે છે કેઆમ શું આખો દિવસ ભટક્યા કરો છો. આ જો શરીર વઘાર્યું છે. જાવ જને ડાયબીટિઝ ચેક કરાવી આવો. માંદા પડશો તો છે કોઈ કરવા વાળું? મારા માટે નહીં તો આપણા છૈયાં-છોકરા માટે થઈને તો તબિયત જાળવો. કાલે સવારે મારે તમારો ડાયબીટિઝ ચેક થયેલો જોઇએ. બન્ને – ફાસ્ટિંગ અને જમ્યા પછી બે કલાકે ચેક થતો હોય એ પણ.


આ છોકરા સામું જુઓ,

એના માટે ચેક કરાવો.....ડાયબીટિઝ...
રોજે રોજ કંઈને કંઈ બહાને બ્લડ – યુરીન શુગર ચેક કરાવવાનું ટાળતો વાંદરો આજે એ માટે તૈયાર થઈ ગયો. કારણ કે પેથોલોજી લેબોરેટરી દ્વારા સ્પેશિયલ સ્કીમ જાહેર કરવામાં આવી હતી. એનો લાભ લેવા એ વહેલી સવારે જઈને ભૂખ્યા પેટે બ્લડ – યુરીનના નમૂના પેથોલોજી લેબ પર આપી આવ્યો.
પેટ્રોલના ભાવ...ઓહ...ઘરે નથી જવું....
...જમ્યા પછી બે કલાકે નમુના
આપવાના...ત્યાં સુધી...
જમ્યા પછી બે કલાકે આપવાના થતા બ્લડ – યુરીનના નમૂના માટે ભાવતાં ભોજન આરોગવા આમ તો તેને ઘરે જવું હતું પણ પેટ્રોલના ભાવ વધી ગયા પછી એમ કરવું તેને પોસાય તેમ નહોતું. એટલે તેણે લેબોરેટરી બેઠાં જ ભોજન પતાવી દીધું. સાદું ભોજન અને ઉચ્ચ વિચારની ફિલસૂફીમાં માનતા વાંદરાએ માત્ર બિસ્કિટથી જ ભોજન આટોપી લીધું અને બે કલાક થતા નમૂના પણ આપી દીધા.
...અહીં જ ક્યાંક આરામ કરી લેવા દે.....

તમને આ બધું સાચું નથી લાગતું? ના માનશો, તમારી મરજી છે. બાકી આપણો આ વાંદરો તો તેનો ડાયબીટિઝનો બ્લડ – યુરીન રિપોર્ટ લેવા પણ પહોંચી ગયો છે. હજીય નથી માનતા?

મારો ડાયબીટિઝનો રિપૉર્ટ નોર્મલ આવે તો સારું.....
ના માનશો. ફોટો જોશો પછી તો માનશો ને? તો પછી માની જાઓ કે આ જ આપણો પૂર્વજ છે. એ બિચારો ફેમિલી ટ્રી કે વંશાવળી તો ક્યાંથી લાવીને બતાવવાનો હતો. હા, થોડી રાહ જુઓ. એવા દિવસો પણ આવશે અને વાંદરો તમારી નજીક આવીને કાનમાં બોલશે કેહું તારો પરભવનો પિતરાઈ છું.


તસવીરો : બિનીત મોદી

Friday, June 08, 2012

અમદાવાદની આજકાલ : કાળઝાળ ગરમીમાં કાળી મજૂરી


અમદાવાદ અને ગરમીને બારમાંથી નવ મહિનાનું લેણુ છે. ડામરની સડક પર પાછલા આઠ – નવ મહિના દરમિયાન શહેરી નાગરિકોએ પાન-મસાલા-ગુટકાની પિચકારીના જે ડાઘા છોડ્યા છે તે માંડ છૂટે એવા છૂટક ઝાપટાં એક – બે દિવસ પડ્યા. ‘વાદળછાયા વાતાવરણે શહેરીજનોને ગરમીમાં રાહત આપી’ એવી વાતો લખવામાં બહુ સારી લાગે, અનુભવ ના થાય. આ ફોટામાં દેખાય છે તે શહેરી શ્રમજીવીને તો ક્યારેય નહીં.

કાળી મજૂરી’ – આ શબ્દ બોલ-ચાલની ભાષામાં ઘણી વાર સાંભળ્યો અથવા મુદ્રિત સ્વરૂપે એકાધિક વાર વાંચવામાં પણ આવ્યો હશે. હા, તેને કદી જોયો નહોતો. તમને થશે કે જે શબ્દ વાંચ્યો હોય એટલે તેને દેખ્યો છે એમ તો કહેવાય જ ને? આનો જવાબ હામાં આપવો કે નામાં એ તાત્કાલિક તો સૂઝતું નથી. તાત્કાલિક તો ઠીક, સમય મળે તો પણ સૂઝે એમ નથી. એમ કરીએ આ ફોટાના માધ્યમથી જ થોડું-ઘણું સમજવાનો પ્રયત્ન કરીએ.

શહેરમાં દુર્લભ ગણાય તેવો
છાંયડો શોધતો બહાદુરસિંગ
બહુ જૂનો નથીમહિના પહેલા જ પાડ્યો છે આ ફોટો. સાઇકલ રીક્ષામાં માલસામાનની હેરફેરનું કામ કરતા શ્રમજીવી બહાદુરસિંગને પ્લમ્બિંગના સામાન – પાઇપની હેરફેર કરવાનો ફેરો મળ્યો છે. નક્કી થયેલી મજૂરીની રકમ તો સામાન સ્વીકારનાર પાર્ટી ચુકવે અને ગજવામાં આવે ત્યારે ખરું. બાકી એ પહેલા તો બહાદુરે પોતે રીપેરીંગના રૂપિયા ઢીલા કરવાનો વખત આવ્યો છે. એનો એને લેશમાત્ર રંજ નથી. રંજ છે તો એ બાબતનો કે મજૂરી કરતાં – કરતાં આપવી પડતી અમદાવાદી અગ્નિપરીક્ષા’નો.

ફેરો કરવાની શરૂઆત કરી ના કરીને જ સાઇકલ રીક્ષામાં પંક્ચર પડ્યું. ત્રણ પૈડાંની સાઇકલનું પંક્ચર બનાવવા તેને જેક પર ચઢાવવી પડે અને એ માટે રીક્ષા ખાલી કરવી પડે. જરા વિચારો કે અમદાવાદની / Ahmedabad ફોર્ટી પ્લસ એવી કાળઝાળ ગરમીમાં ખૂબ તપેલા એવા આ પાઇપને રીક્ષામાંથી ખાલી કરવા એટલે શું? મેં જોયું કે બહાદુરે પહેલા તો આજના શહેરો માટે દુર્લભ કહેવાય એવો છાંયડો શોધવા આમ-તેમ નજર કરી. ના મળ્યો એટલે પાસે હતું એ પીવાનું પાણી પાઇપ પર ઢોળ્યું. એથી ય ટાઢા ના થયેલા પાઇપ પર પંક્ચરની દુકાનવાળા પાસેથી માગી લીધેલા પાણીનો જળાભિષેક કર્યો. સામાન ખાલી થયે સાઇકલ રીક્ષાનું પંક્ચર બનાવી લેવડાવ્યા પછી ઉપર વર્ણવેલી પ્રક્રિયાનું પુનરાવર્તન. કારણ કે મજૂરીકામ માટે આગળ વધવાનું હતું.

અમદાવાદથી ય અધિક ગરમ એવા ગલ્ફ પ્રદેશમાં બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કામ કરવાનો મારો જાત અનુભવ એમ કહેતો હતો કે ઉનાળાની આ ગરમીમાં બહાદુરસિંગે ગરમ લહાય પાઇપ ઉતારવાનું જે કામ કર્યું એ માટે તેની પાસે હેન્ડ ગ્લોવ્ઝ (હાથના મોજાં) હોવા જોઇતા હતા. પંક્ચર બનાવવાનું કામ ચાલતું હતું એ દરમિયાન તેની સાથે વાત કરતાં આ મુદ્દો કહ્યો તો એ તેના માટે નવો તો નહોતો પણ તેની વાસ્તવિકતાનું વર્ણન જરા વિચિત્ર હતું. તેના કહેવા પ્રમાણે પાઇપ જ્યાંથી ચઢાવ્યા એ દુકાનદાર અને જ્યાં ઉતારવાના છે એ કન્સ્ટ્રક્શન સાઇટનો ફોરમેન માગીએ એટલે હાથ મોજાં આપે તો ખરા પણ કામ પૂરું થયે બન્ને જણા પોતપોતાના ઠેકાણે એ ચીજ પાછી માંગી લે. કેમ જાણે કોઈ કિમતી જણસ ના હોય.

અમદાવાદની ગરમીમાં
આ પાઇપને સ્પર્શ થાય? 

મજૂરીકામ કરનારા શ્રમજીવીને હેન્ડ ગ્લોવ્ઝ જેવી લક્ઝરી આઇટમ ખરીદવી પોસાય નહીં. પણ એમ થાય કે તેને કામ આપનારા અને સારો એવો નફો રળી લેતા દુકાનદાર કે બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર તેમના માટે ખર્ચની દૃષ્ટિએ સાવ નજીવી ગણાય તેવી ચીજ પણ શું કામ આમની પાસેથી પાછી લેતા હશે. તેમને એવો વિચાર કદી નહીં આવતો હોય કે સામાન હેરફેર કરનારે રસ્તામાં આ પાઇપને હાથ લગાડવાનો થશે ત્યારે તે શું કરશે? છાંયડો શોધશે કે પાણી શોધવા જશે? અને એમ કરતા માલસામાન સગે-વગે થાય તો મજૂરની શું વલે થાય.

કાળઝાળ ગરમીમાં કાળી મજૂરી આને જ કહેતા હશેને?

Saturday, June 02, 2012

અમદાવાદની આજકાલ : રથયાત્રાના હાથીનું મેડિકલ ટુરીઝમ


ચોમાસાનો પ્રારંભ ના થયો હોય તો અષાઢી બીજના દિવસે ઝાપટાંથી પણ એની શરૂઆત થશે એમ માનીને આ દિવસની રાહ જોતા લોકોમાં ભારતના બે શહેરો અપવાદ છે. ઓરિસ્સાનું પુરી અને ગુજરાતનું અમદાવાદ. આ બે શહેરોના લોકો વરસાદની સાથે-સાથે રથયાત્રાની પણ રાહ જોતા હોય છે. અહીંના જગન્નાથ મંદિરેથી વર્ષોવર્ષ અષાઢી બીજના દિવસે નીકળતી રથયાત્રાનો હવે તો શતાબ્દી જૂનો ઇતિહાસ છે.

જેનું વર્ણન એક શબ્દમાં કરવા માટે માત્ર ભવ્યાતિભવ્ય વિશેષણ જ વાપરવું પડે તેવી આ રથયાત્રા / Rathyatra માટે મહિનાઓ અગાઉથી તૈયારીઓ આરંભાતી હોય છે. ભગવાન જગન્નાથજીની સાથે ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની નગરચર્યા માટે ઉપયોગમાં લેવાતા જૂના રથનું સમારકામ કરવાનું હોય કે તે નવા બનાવવાના હોય ત્યાંથી તૈયારીઓનો પ્રારંભ થાય. સ્થાનિક માધ્યમોમાં રથયાત્રાના સમાચાર આપવાની શરૂઆતનો વિષય પણ વર્ષોથી આ જ રહ્યો છે. આપણે થોડાક આગળ વધીએ. ભગવાનના દર્શન સિવાય શહેરીજનોને રથયાત્રાનું આકર્ષણ રહે તેવું બીજું કારણ છે રથયાત્રાની સાથે જોડાતા હાથીઓ.

રથયાત્રા પહેલા તબીબી તપાસ માટે તૈયાર 

આ હાથીઓ અત્યારે દાક્તરી તપાસના મહત્વના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. માઇલો લાંબી અને દિવસભર ચાલતી રથયાત્રામાં જોડાવા માટે જે તે હાથી મહાશય કે હાથણી મેડમ શારીરિક રીતે ફીટ છે કે નહીં તેની ખાતરી આ મેડિકલ ચેક-અપ મારફતે મળે છે. કેટલાકની તપાસ જગન્નાથ મંદિરના આંગણે જ થઈ જાય છે તો કેટલાકને એ માટે આણંદની પ્રખ્યાત વેટરનરી હોસ્પિટલ – કોલેજ સુધી લઈ જવા પડે છે. ઓ.પી.ડી.થી ના પતે તેવા હાથીને ઇલાજ માટે ઇનડોર પેશન્ટ તરીકે દાખલ કરવો પડે તો એ માટે પણ મંદિર સત્તાવાળાઓની તૈયારી હોય છે. હાથીની તબીબી તપાસ કે સારવાર માટે તેના મહાવતનો અભિપ્રાય ધ્યાને તો લેવાય જ, ક્યારેક વેટરનરી ડોક્ટર (પશુ ચિકિત્સક) / Veterinary Doctor મહાવતના શબ્દને જ આખરી ગણે. એટલા માટે કે મહાવત હાથીનો મિત્ર – બેસ્ટ ફ્રેન્ડ હોય છે. આ બેસ્ટ ફ્રેન્ડ શબ્દ મારો નહીં, મહાવત જગદંબાપ્રસાદનો છે.

જગદંબાપ્રસાદના જણાવ્યા પ્રમાણે મેડિકલ ફીટનેસ જાણ્યા વગર હાથી – હાથણીને રથયાત્રામાં સામેલ કરવાનું જોખમ તો ના જ લઈ શકાય. કાયદાકીય રીતે તે હવે જરૂરી પણ બની ગયું છે. રથયાત્રા માટે જરૂરી એવી પોલીસ પરમીશન મેળવવાના કાગળિયાં તૈયાર કરતી વખતે જ તેમના ફીટનેસ સર્ટિફિકેટ સામેલ કરવાના હોય છે. રથયાત્રાના પૂરા દિવસ માટે અમદાવાદ પ્રાણીસંગ્રહાલયના જવાનોની એક ટીમ તેમના સાધનો, દવાઓ અને વેટરનરી ડોક્ટર સાથે હાજર રહે છે. અમદાવાદની ગરમીને કારણે હાથી ગમે ત્યારે તાણ અનુભવે ત્યારે તેને વશમાં રાખવાની કપરી કામગીરી અમદાવાદ ઝૂની આ ટીમના શિરે હોય છે.

તબીબી ચકાસણી પછી જરૂર પડ્યે સારવાર અપાવવા માટે હાથીને મંદિરના આંગણેથી બહાર કાઢવાનું પણ કંઈ સહેલું નથી. એ માટે વેટરનરી ડોક્ટરનો લેખિત અભિપ્રાય તો જોઈએ જ. એ ઉપરાંત જે ટ્રકમાં તેને લઈ જવાનો હોય તે વાહનની આર.ટી.ઓ. મંજૂરી પણ આવશ્યક હોય છે. જે તે વાહનની પણ ફીટનેસ હોવા સાથે તેના ડ્રાઇવર પાસે લાઇસન્સ ઉપરાંત કોમર્શિયલ વ્હીકલ ચલાવવાનો ખાસ બેજ પણ હોવો જોઇએ. હંમેશના સાથીદાર એવા બેસ્ટ ફ્રેન્ડ મહાવતે તો સાથે રહેવું જ પડે અને એના માટે કોઈ પરવાનાની અગાઉ જરૂર નહોતી પડતી. પરંતુ હવે સમય બદલાયો છે એટલે આ બધા કાગળિયાંમાં તેનો નામોલ્લેખ જ નહીં એક ફોટો પણ ઓળખરૂપે ચોંટાડવાનો હોય છે. પોતાની મંદિર સાથેની ઓળખ છતી થાય તેવો દસ્તાવેજ તો આ હેરફેર દરમિયાન સાથે રાખવાનો જ હોય. ટ્રકમાં રેતી ભરેલી ગુણો રાખી ખાસ બનાવાયેલા ધક્કા (એક પ્રકારનો ઓટલો) નજીક હાથીને લઈ જઈ કાળજીપૂર્વક તેને અંદર બેસાડવામાં આવે. આટલું થાય એટલે શરૂ થાય હાથીનું મેડિકલ ટુરીઝમ – રથયાત્રા સે ઠીક એક મહિને પહેલે.

તો તૈયાર થઈ જાઓ આ વર્ષની રથયાત્રા જોવા – ગુરુવાર, 21મી જૂન 2012ની પ્રભાતે, જગન્નાથ મંદિરના પ્રાંગણમાં.

રથયાત્રાને વધાવતા ભાવિકોની ભીડ વચ્ચેથી લીધેલી તસવીર

Friday, May 25, 2012

ગીતાંજલિ મધુસૂદન ઢાંકી : વિદ્યાવ્યાસંગીના જીવનસંગિનીની વિદાય

કવિ – લેખક – સાહિત્યકાર– કલાકાર આ જગતમાંથી વિદાય લે ત્યારે માધ્યમોમાં એ બાબતની નોંધ લેવાય છે. સારું છે. જો કે એ લાભ એમના પરિવારજનોને મળતો નથી. એ બાબતમાં સંતાનો સુધી લીટી લાંબી ન કરીએ તોય એ લાભ દિવંગતના પતિ કે પત્નીને મળે, મળવો જોઈએ એવી લાગણી થયા કરે. હવે લાગણીનું તો એવું છે ને કે તેને કાબુમાં – સીમિત રાખવી પડે. જો કે આજે આવી નોંધ લેવી પડે તેવું એક કારણ મળ્યું છે.

        ભારતીય દેવાલય સ્થાપત્યના અભ્યાસી પ્રોફેસર મધુસૂદન ઢાંકીના પત્ની ગીતાંજલિબહેનનું બુધવાર
23 મે 2012ના રોજ અમદાવાદમાં અવસાન થયું. તેમની સાથે કોઈ અંગત પરિચય તો નહોતો કે કદી મળવાનું પણ નહોતું થયું. મને લાગે છે અહીં કે આગળ ઉપર લખવા માટે એ કંઈ જરૂરી પણ નથી. વ્યક્તિ સાથે અંગત પરિચય હોવો એ કંઈ લખવા માટેની લાયકાત થોડી છે? હા, લાયકાત તો ગીતાંજલિબહેને મેળવી હતી – તેમની, તેમના જવાની નોંધ લેવી પડે તેવી.

        ચોરાસી વર્ષના મધુસૂદન ઢાંકીને / Madhusoodan Dhanki (જન્મતારીખ
: 31 જુલાઈ 1927) ગયા વર્ષે 2010નો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો ત્યારે પ્રકટ થયેલા તેમના પરિચયમાં ગીતાંજલિબહેનના પ્રદાનની પણ નોંધ લેવાઈ છે.
ચંદ્રક અર્પણ સમારંભમાં ડાબેથી હેમન્ત દવે, કુમારપાળ દેસાઈ,
ભોળાભાઈ પટેલ, મધુસૂદન ઢાંકી, પ્રદીપ મહેંદીરત્તા અને ગીતાંજલિબહેન ઢાંકી

        નડિયાદ – વલ્લભ વિદ્યાનગરના પ્રાધ્યાપક હેમન્ત દવેએ લખેલા એ પરિચયનો શબ્દશઃ – અંશતઃ પાઠ આ રહ્યો.....
ઢાંકીસાહેબની આ વિદ્યાયાત્રા તેમનાં જીવનસંગિની ગીતાંજલિબહેન વિના સંભવિત નહોતી એમ બેહિચક કહી શકાય. કપરામાં કપરા સમયે પણ તેઓ સાહેબના પડખે ઊભાં રહ્યા છે, તેમને હિમ્મત બંધાવી છે, સંશોધન માટે પ્રોત્સાહન આપ્યું છે. સાહેબના પુસ્તકો, લેખોની સ્વચ્છ – સુવાચ્ય પ્રતો તૈયાર કરવી, સંશોધનમાં ઉપયોગી પુસ્તકાદિ હાથવગાં રાખવાં, ઢાંકીસાહેબની તમામ નાનીનાની બાબતોનું ધ્યાન રાખવું, બલકે એક નાના બાળકની રખાય તેવી કાળજી તેમણે ઢાંકીસાહેબની રાખી છે. ઢાંકીસાહેબ છેલ્લી માંદગીમાંથી જો ઊઠી શક્યા તો તે ગીતાંજલિબહેનના નિઃસ્વાર્થ, નિર્વ્યાજ પ્રેમથી જ, અને એ આખા સમયનો આ લખનાર સાક્ષી છે. આ સન્માન એથી ઢાંકીસાહેબનું જેટલું છે તેટલું જ ગીતાંજલિબહેનનું પણ છે.
મધુસૂદન ઢાંકી, હેમન્ત દવે અને ગીતાંજલિબહેન ઢાંકી

મને લાગે છે શ્રીમતી ગીતાંજલિબહેન મધુસૂદન ઢાંકીને શ્રદ્ધાંજલિ પાઠવવા તેમના પરિચયમાં અપાયેલા આ શબ્દો જ પૂરતા છે. એવો પરિચય આપનાર હેમન્ત દવેએ વધુમાં જણાવ્યું કે સ્થાપત્ય અભ્યાસ માટે ઢાંકીસાહેબના દેશ-પરદેશના પ્રવાસમાં તેઓ હંમેશા સાથે રહી તેમની દૈનિક સગવડોનો ખ્યાલ રાખતા એ તો સામાન્ય વાત થઈ. એ ઉપરાંત સાથે રાખેલું અભ્યાસલક્ષી સાહિત્ય જરૂર પડે રેફરન્સ મેળવવા ઉપલબ્ધ કરી આપતા. જે વિગતો ન હોય તેની યાદી બનાવતા અને પ્રવાસ બાદ તે માહિતી ક્યાંથી મળી શકે તેનું ફોલોઅપ કરતા. એ માટે કરવા પડતા ફોન – પત્રવ્યવહારમાં ઢાંકીસાહેબની સાથે તેમની સામેલગીરી હોય જ. પ્રકટ થવા મોકલાતા સંશોધનપત્રો, લેખો કે પુસ્તકો માટેની પ્રેસકોપી તેઓ તૈયાર કરતા.
પોસ્ટ સાથેના આ ફોટા ઢાંકીસાહેબને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ – અમદાવાદ ખાતે વર્ષ 2010નો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક શનિવાર19 નવેમ્બર 2011ની સાંજે અર્પણ થયો ત્યારે પાડ્યા હતા. ગીતાંજલિબહેન માટે લખાયેલા શબ્દો અને એ લખનાર હેમન્ત સુધ્ધાંના સેવા – સમર્પણ છતા થતા દેખાય એ જ આ છબિનું મૂલ્ય.

Tuesday, May 22, 2012

વડાપ્રધાન પદ પામવાની અમદાવાદી ફોર્મ્યૂલા


વડાપ્રધાન. ભારતનું વડાપ્રધાન પદ. કયા રાજકારણીને એ પામવાની ઇચ્છા ન હોય? સક્રિય રાજકારણમાં ધોરણસરનો સમય પસાર કર્યો હોય એવા કોઈ પણને આ પદ પામવાની ઇચ્છા હોય જ. આવી કોઈ ઇચ્છા નથી એવું જો કોઈ કહે તો સમજવું કે કાં તો એ વ્યક્તિ રાજકારણી નથી કાં તો જૂઠ્ઠું બોલે છે. આજની તારીખે તો શું, કોઈ પણ વર્ષની કોઈ પણ તારીખે વડાપ્રધાન / Prime Minister of India પદની ઇચ્છા રાખનારની યાદીમાં દોઢ – બે ડઝન નામ તો હોય...હોય...ને હોય જ. ખૂટતું હોય તો આપણું નામ ઉમેરી દેવું. યાદી પુરી કરવાની એ સહેલી રીત છે. હું એમ જ કરું છું.
ખેર! આ તો એક વાત થઈ. મોરારજી દેસાઈના અપવાદને બાદ કરતા અને પી.વી. નરસિંહરાવ વડાપ્રધાન પદે આવ્યા ત્યાં સુધી ભારતીય રાજકારણ અને વડાપ્રધાન પદ સાથે એક વાત એરલ્ડાઇટની જેમ જોડાઈ ગઈ હતી કે – દેશને વડાપ્રધાનની ભેટ તો ઉત્તર પ્રદેશ જ આપે છે. વાત પણ સાચી હતી. ઉપરના બે અપવાદમાં ગુલઝારીલાલ નંદાએચ.બી. દેવગૌડા, ઇન્દરકુમાર ગુજરાલ અને હાલના વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું એમ વધુ ચાર નામ ઉમેરો તો ખ્યાલ આવશે કે જવાહરલાલ નેહરૂથી લઈને અટલ બિહારી વાજપેયી સુધીના વડાપ્રધાનો ઉત્તરપ્રદેશના રાજકારણ સાથે નાતો ધરાવતા હતા.
ખેર! આ તો બીજી એક વાત થઈ. પણ એટલું કહું કે ચરણસિંહ ચૌધરી અને ચંદ્રશેખર સિવાયના એક ડઝન વડાપ્રધાનોમાંથી કોઈએ આ પદ મેળવવા કાવા-દાવા કર્યા નથી. દેશના સર્વોચ્ચ બંધારણીય પદોમાંના એક ગણાતા એવા સ્થાન પર તેઓને કોઈ તિકડમબાજી કર્યા વગર જ સ્થાન મળ્યું છે. યાદી જુઓ એટલે સમજાઈ જશે. જેમ કે.....
જવાહરલાલ નેહરૂ – પ્રથમ વડાપ્રધાન. રાષ્ટ્રપિતા ગાંધીજીએ મંજૂરીની મહોર મારેલું નામ.
ગુલઝારીલાલ નંદા – જવાહરલાલ નેહરૂ અને લાલ બહાદુર શાસ્ત્રીના અવસાનના પગલે ચૌદ – ચૌદ દિવસના ટૂંકા ગાળાની બે મુદત માટે પદ પર આવેલા.
લાલ બહાદુર શાસ્ત્રી – જવાહરલાલ નેહરૂના અવસાન પછી જાહેર થયેલું સર્વસંમત નામ.
ઇન્દિરા ગાંધી – લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન પછી જાહેર થયેલું સર્વસંમત નામ.
મોરારજી દેસાઈ – કટોકટી સમાપ્ત થયે સત્તા પરિવર્તન માટે જાહેર થયેલું સર્વસંમત નામ.
રાજીવ ગાંધી – ઇન્દિરા ગાંધીની હત્યાના પગલે જાહેર થયેલું સર્વસંમત નામ.
વિશ્વનાથ પ્રતાપસિંહ – સત્તા પરિવર્તનનો યોગ બીજી વાર સર્જાતા જાહેર થયેલું સર્વસંમત નામ.
પી.વી. નરસિંહરાવ – રાજીવ ગાંધીની હત્યાના પગલે જાહેર થયેલું સર્વસંમત નામ.
અટલ બિહારી વાજપેયી – સત્તા પરિવર્તનનો યોગ ત્રીજી વાર સર્જાતા જાહેર થયેલું સર્વસંમત નામ જેનો લાભ વાજપેયીને સતત ત્રણ ટર્મમાં મળ્યો.
એચ.બી. દેવગૌડા – વાજપેયી સરકારે ટુંકા ગાળામાં બહુમતી ગુમાવતા જાહેર થયેલું એવું સર્વસંમત નામ જે પદ પર આવવાના આગલા દિવસ સુધી કર્ણાટકના મુખ્યમંત્રી પદે બિરાજમાન હતું.
ઇન્દરકુમાર ગુજરાલ – દેવગૌડા સરકારે બહુમતી ગુમાવતા જાહેર થયેલું એવું સર્વસંમત નામ જેણે વિદેશ પ્રધાન જેવા મહત્વના હોદ્દા પર રહીને પણ સર્વોચ્ચ પદ પામવાના કોઈ કાવા-દાવા કર્યા નહોતા.
ડૉ. મનમોહન સિંહ – સત્તા પરિવર્તનનો યોગ ચોથી વાર સર્જાતા જાહેર થયેલું સર્વસંમત નામ.
ખેર! આ તો ત્રીજી જ એક વાત થઈ. પરંતુ ઉત્તર પ્રદેશનું રાજકીય બેકગ્રાઉન્ડ પણ ના ધરાવતા હોઈએ અને પદ પર પહોંચવા માટેની તિકડમબાજી પણ ના કરવી હોય (અથવા આવડતી ના હોય) તો દેશના આ સર્વોચ્ચ સ્થાને પહોંચવાની કોઈ ચોથી જ એવી તરકીબ છે ખરી?
હા, છે.
ક્યાં?
અમદાવાદમાં.
શું વાત કરો છો.
જુઓ, આ અમદાવાદ છે ને તે એક એવું શહેર છે જેણે દેશના એક નહીંબબ્બે નાણામંત્રીઓને વડાપ્રધાન બનવાની તક પૂરી પાડી છે.
યાર જરા ફોડ પાડીને વાત કરો.
જુઓ સમજાવું. મોરારજી દેસાઈની તો ખબર નથી પણ વિશ્વનાથ પ્રતાપસિંહ અને ડૉ. મનમોહન સિંહને તો આ અમદાવાદ શહેરે જ વડાપ્રધાન બનાવ્યા છે.
કેવી રીતે?
એ બન્નેએ કેન્દ્રીય નાણામંત્રીના હોદ્દા પર રહેતા અમદાવાદ આવીને જે તે બેન્કની મુખ્ય શાખાનું ઉદ્ઘાટન કર્યું તેના કેટલાક સમય પછી તેઓ બન્ને ભારતનું વડાપ્રધાન પદ પામ્યા, કોઈ કાવા-દાવા કર્યા વિના.
ના હોય?
જુઓ, આ રહ્યા ફોટા.

કાલુપુર બેન્કની નવી બંધાયેલી ઈમારતનું 26જૂન 1986ના દિને
 ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય નાણાંમંત્રી વિશ્વનાથ પ્રતાપસિંહ સાથે ફોટામાં
 ડાબેથી પાંચમા યોગેન્દ્ર મકવાણા (કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી), 
અરવિંદ સંઘવી (ગુજરાતના નાણાંમંત્રી), બળદેવભાઈ ડોસાભાઈ પટેલ 
(કાલુપુર બેન્કના ચેરમેન) અને અમરસિંહ ચૌધરી (ગુજરાતના મુખ્યમંત્રી)


       ઇન્કમટેક્ષ ચાર રસ્તા નજીક આજે પણ કાર્યરત એવી કાલુપુર બેન્કની / Kalupur Bank હેડ ઓફિસનું ઉદ્ઘાટન વિશ્વનાથ પ્રતાપસિંહે
26 જૂન 1986ના રોજ કર્યું એ પછીના ચોથા વર્ષે એ દેશના વડાપ્રધાન પદે પહોંચી ગયા હતા.


એ રીતે ડૉ. મનમોહન સિંહે 2 એપ્રિલ 1994ના દિને નેહરૂબ્રીજ સામેના સાકાર – 1 બિલ્ડીંગમાં યુટીઆઈ બેન્કની / UTI Bank Limited મુખ્ય શાખાનું ઉદ્ઘાટન કર્યું તેના અગિયારમા વર્ષે 2004માં તેઓ વડાપ્રધાન પદે આરૂઢ થયા હતા. અરે, આજકાલ કરતાં એ ઘટનાને આજે 22મી મે ના દિવસે આઠ વર્ષ પૂરા પણ થયા. હા, યુટીઆઈ બેન્કનું નામ અને સ્થાન બન્ને બદલાઈ ગયા છે. હવે તે એક્સિસ બેન્કના / AXIS Bank Limited નામે લૉ-ગાર્ડન નજીક સમર્થેશ્વર મહાદેવ સામે કામ કરતી જોવા મળે છે.
ઇન્કમટેક્ષ સ્થિત કાલુપુર બેન્કની ઈમારત

       એટલે શું છે કે દેશના વડાપ્રધાન પદે પહોંચવાની એક ચાવી ઉત્તર પ્રદેશ પાસે છે તો બીજી ચાવી ગુજરાતના અમદાવાદ શહેર પાસે છે. માનો યા ના માનો, મરજી છે આપની. હા, એના માટેના ઇચ્છુક જણે અમદાવાદમાં બેન્કની શાખાનું ઉદ્ઘાટન કરવું પડે. અને હા, રિવરફ્રન્ટની રેતીનો ઢગલો સહેજ મોટો કરીને બેન્કનું નામ આપી રિબન કાપી દેવા માત્રથી પણ કંઈ ઉદ્ઘાટન થતું નથી કે નથી થવાતું વડાપ્રધાન.

ડૉ. મનમોહન સિંહે અમદાવાદમાં બેન્કની આ 
ઈમારતનું ઉદ્ઘાટન કર્યુંત્યારે 1983માં રિઝર્વ બેન્ક 
ઓફ ઇન્ડિયાના ગવર્નર હતા

બેન્ક ઉદ્ઘાટનનો ફોટો સૌજન્ય : કાલુપુર બેન્ક

એ સિવાયની તસવીરો : બિનીત મોદી

Thursday, May 17, 2012

રમેશ પારેખ : છ અક્ષરના નામની વિદાયને વરસ થયા છ


રમેશ પારેખ / Ramesh Parekh
27-11-1940થી 17-05-2006

        ગુજરાતી ભાષા લખતા– વાંચતા આવડતી હોય, સાહિત્ય વાંચન ગમતી બાબત હોય, કવિતાને ચાહતા હો તો પછી માની લો કે રમેશ પારેખ / Ramesh Parekh પ્રત્યે પ્રીતિ હોયહોય...ને હોય જ. આ અફર બાબત છે; ગમે તો વધાવી લો, એવી રીતે જાણે અમરેલી / Amreli નગરે કવિને વધાવ્યા હતા. 1991માં કવિના જન્મદિને (27 નવેમ્બર) વનપ્રવેશની પૂર્ણાહૂતિ રંગે-ચંગે ઉજવાઈ ત્યારે વતન એવું અમરેલી ગામ આખું હિલોળે ચઢ્યું હતું. માત્ર સાહિત્યિક સામયિકો નહીં, દૈનિક અખબારો માટે પણ રમેશ પારેખના વનપ્રવેશની પૂર્ણાહૂતિ એ સમાચાર હતા. એમ સમજો કે જે છાપાંઓએ જિંદગી ધરીને તેમની કવિતા નહોતી પ્રકટ કરી તેણે પણ આ ઉજવણીના સમાચારની નોંધ લીધી હતી. ટૂંકમાં કવિ તેમની કવિતાઓની જેમ જ છાપાંઓમાં છવાઈ ગયા હતા. છ અક્ષરના નામનો એ પહેલો પરિચય હતો. કવિના વનપ્રવેશની ઉજવણીમાં તો કંઈ સામેલ નહોતું થઈ શકાયું પરંતુ પરોક્ષ રીતે સામેલ થવાનું શક્ય બન્યું ખરું. કઈ રીતે?

        રજનીકુમાર પંડ્યા / Rajnikumar Pandya સાથે નિયમિત ધોરણે કામ કરતો એ અરસામાં તેમના સ્વર્ગસ્થ પિતા દેવરામભાઈ પંડ્યા વિશે તેમણે એક લેખ સુરતથી પ્રકટ થતા
ઉત્સવ પાક્ષિકને મોકલ્યો હતો. સાથે લેખને અનુરૂપ તસવીરો પણ ખરી. લેખ પ્રકાશિત થયો એ પછી કોઈ સામાજિક કામે મારે સુરત જવાનું થયું. રજનીકાકાએ એક કામ સોંપ્યું કે તારે યાદ રાખીને એ તસવીરો પરત લઈ આવવાની. ચીંધેલું કામ પાર પાડવા ઉત્સવની ઓફિસે પહોંચ્યો અને તંત્રી ભીખેશ ભટ્ટને મળ્યો. તસવીરો તો પરત મળી જ. ભીખેશભાઈએ બીજું એક કવર હાથમાં મુકતા કહ્યું, “રમેશ પારેખના વનપ્રવેશની તસવીરો છે. અમે નોંધ લઈ લીધી છે. હવે આ ફોટા અમારે કશા કામના નથી. તું ઇચ્છે તો લઈ જઈ શકે છે. એ ફોટા હજી આજેય મારી પાસે સચવાયેલા છે. કવિ રમેશ પારેખનું મારા માટે એ કાયમી સંભારણું છે.

સમગ્ર કવિતા 'છ અક્ષરનું નામ'નું હરીન્દ્ર દવેના હસ્તે લોકાર્પણ,

સાથે છેલભાઈ વ્યાસ, હર્ષદ ચંદારાણા, ડૉ. ભરત કાનાબાર અને વસંત પરીખ


        
માનવીની ભવાઈ ફિલ્મ કવિ સાથે બેસીને જોયાનું સ્મરણ છે. પન્નાલાલ પટેલની જાણીતી – જ્ઞાનપીઠ એવોર્ડથી પોંખાયેલી નવલકથા માનવીની ભવાઈ / Manvini Bhavai પરથી એ જ નામે ઉપેન્દ્ર ત્રિવેદીએ નિર્માણ કરેલી ગુજરાતી ફિલ્મમાં રમેશ પારેખે એક ગીત લખ્યું હતું.....કાળુ તારે તે કેડિયું ક્યાંથી લ્યા.....અમદાવાદના શિવ સિનેમામાં ફિલ્મનો પ્રિમિઅર શો યોજાયો ત્યારે રજનીકુમાર પંડ્યાએ તેમની સાથે ઓળખાણ કરાવી. એ સમયે તેમને પગમાં ફ્રેક્ચર થયું હતું. કોઈની મદદ લીધા વિના કે ટેકા વગર ડગ ના માંડી શકે. કવિની બીડીની તલબ હવે જાણીતી વાત થઈ ગઈ છે, એ સમયે નહોતી. ચાલુ ફિલ્મે જ એમણે રજનીકાકાને કહ્યું કે બાથરૂમ જવું પડશે. ઑડિટોરિયમની બહાર નીકળીને લયમાં બોલ્યા...બાથરૂમ તો એક બહાના હૈ, બીડી કા કસ લગાના હૈ.

        કવિ સાથે ઓળખાણ થઈ પરંતુ અંગત પરિચયમાં કદી આગળ ન વધી શક્યો. રાજકોટ – અમદાવાદનું અંતર પણ તેમાં કારણભૂત ખરું. મિત્ર જિતુ વઢવાણા થકી કવિ રાજેન્દ્ર શુક્લના / Rajendra Shukla પરિચયમાં આવવાનું થયું ત્યારે એ બન્ને વચ્ચેની મિત્રતા જોતાં એવી તક મળશે એવી આશા જરૂર જાગી પણ એ દિવસો આવ્યા જ નહીં. હા
, જિતુએ પોતે પ્રોડક્શન કરેલી રમેશ પારેખના ગીતોની એક ઑડિયો કેસેટ 'ગીત હાળાં ધક્કા-મુક્કી થાય' આપી જે વારંવાર સાંભળવી ગમે એવી છે. હવે તો તેની સીડી પણ બની છે.
રમેશ પારેખ - રાજેન્દ્ર શુક્લ : મૈત્રીનો અભિષેક
રમેશ પારેખનો પોસ્ટમાં સૌથી ઉપરનો અને રાજેન્દ્ર શુક્લ સાથેનો આ ફોટો રવિવાર, 4 સપ્ટેમ્બર 2005ના રોજ ગજ્જર હોલ ખાતે આયોજિત કવિ રાજેન્દ્ર શુક્લના કાવ્યસંગ્રહ ગઝલ સંહિતાના વિમોચન – સ્વરાભિષેક પ્રસંગે અમદાવાદ આવ્યા ત્યારે પાડ્યો હતો. વીસમી સદીના ઉત્તરાર્ધની ગુજરાતી કવિતાનો પર્યાય ગણાય એવા રમેશ મોહનલાલ પારેખની સરળતા જ આ ફોટો જોયાની પળે યાદ આવે. કેવી સરળતા? ફોટો પડાવવા માટે તેમને વિનંતી કરી. ગીત-સંગીતના કાર્યક્રમ પછી સ્ટેજ પરના ગાદી-તકિયા એમને એમ જ હતા. એ ગંદા ન થાય તેનો ખ્યાલ કરતા ફોટો પાડવા માટે હું કોઈ સારા લોકેશનની શોધમાં હતો. તો મને કહે કે તમે હાથ પકડીને જ્યાં ઊભા રાખશો ત્યાં ઊભા રહીશું, તમે ફોટો પાડી લેજો. પાડી લીધો. એ ફોટા વારે-વારે જોઈને એટલું જ કહેવાનું મન થાય કે એ ક્ષણો પાછી મળે. તેમની કવિતાઓ વાંચતા – પઠન કરતાં હંમેશા લાગ્યું છે કે આ કવિતાઓ તો ગીત-સંગીતની સંગતમાં જ સંભળાય. તેમની સદાય રહેનારી સ્મૃતિને સંકોરતી આ એક કવિતા.....

વરસાદ ભીંજવે
આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે
નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે
ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે
પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલો ધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,

        કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.


ખુદની કવિતા આસિત દેસાઈના મુખે સાંભળતા રમેશ પારેખ