પ્રતિભાવો ઉર્ફે Comments

Friday, May 25, 2012

ગીતાંજલિ મધુસૂદન ઢાંકી : વિદ્યાવ્યાસંગીના જીવનસંગિનીની વિદાય

કવિ – લેખક – સાહિત્યકાર– કલાકાર આ જગતમાંથી વિદાય લે ત્યારે માધ્યમોમાં એ બાબતની નોંધ લેવાય છે. સારું છે. જો કે એ લાભ એમના પરિવારજનોને મળતો નથી. એ બાબતમાં સંતાનો સુધી લીટી લાંબી ન કરીએ તોય એ લાભ દિવંગતના પતિ કે પત્નીને મળે, મળવો જોઈએ એવી લાગણી થયા કરે. હવે લાગણીનું તો એવું છે ને કે તેને કાબુમાં – સીમિત રાખવી પડે. જો કે આજે આવી નોંધ લેવી પડે તેવું એક કારણ મળ્યું છે.

        ભારતીય દેવાલય સ્થાપત્યના અભ્યાસી પ્રોફેસર મધુસૂદન ઢાંકીના પત્ની ગીતાંજલિબહેનનું બુધવાર
23 મે 2012ના રોજ અમદાવાદમાં અવસાન થયું. તેમની સાથે કોઈ અંગત પરિચય તો નહોતો કે કદી મળવાનું પણ નહોતું થયું. મને લાગે છે અહીં કે આગળ ઉપર લખવા માટે એ કંઈ જરૂરી પણ નથી. વ્યક્તિ સાથે અંગત પરિચય હોવો એ કંઈ લખવા માટેની લાયકાત થોડી છે? હા, લાયકાત તો ગીતાંજલિબહેને મેળવી હતી – તેમની, તેમના જવાની નોંધ લેવી પડે તેવી.

        ચોરાસી વર્ષના મધુસૂદન ઢાંકીને / Madhusoodan Dhanki (જન્મતારીખ
: 31 જુલાઈ 1927) ગયા વર્ષે 2010નો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો ત્યારે પ્રકટ થયેલા તેમના પરિચયમાં ગીતાંજલિબહેનના પ્રદાનની પણ નોંધ લેવાઈ છે.
ચંદ્રક અર્પણ સમારંભમાં ડાબેથી હેમન્ત દવે, કુમારપાળ દેસાઈ,
ભોળાભાઈ પટેલ, મધુસૂદન ઢાંકી, પ્રદીપ મહેંદીરત્તા અને ગીતાંજલિબહેન ઢાંકી

        નડિયાદ – વલ્લભ વિદ્યાનગરના પ્રાધ્યાપક હેમન્ત દવેએ લખેલા એ પરિચયનો શબ્દશઃ – અંશતઃ પાઠ આ રહ્યો.....
ઢાંકીસાહેબની આ વિદ્યાયાત્રા તેમનાં જીવનસંગિની ગીતાંજલિબહેન વિના સંભવિત નહોતી એમ બેહિચક કહી શકાય. કપરામાં કપરા સમયે પણ તેઓ સાહેબના પડખે ઊભાં રહ્યા છે, તેમને હિમ્મત બંધાવી છે, સંશોધન માટે પ્રોત્સાહન આપ્યું છે. સાહેબના પુસ્તકો, લેખોની સ્વચ્છ – સુવાચ્ય પ્રતો તૈયાર કરવી, સંશોધનમાં ઉપયોગી પુસ્તકાદિ હાથવગાં રાખવાં, ઢાંકીસાહેબની તમામ નાનીનાની બાબતોનું ધ્યાન રાખવું, બલકે એક નાના બાળકની રખાય તેવી કાળજી તેમણે ઢાંકીસાહેબની રાખી છે. ઢાંકીસાહેબ છેલ્લી માંદગીમાંથી જો ઊઠી શક્યા તો તે ગીતાંજલિબહેનના નિઃસ્વાર્થ, નિર્વ્યાજ પ્રેમથી જ, અને એ આખા સમયનો આ લખનાર સાક્ષી છે. આ સન્માન એથી ઢાંકીસાહેબનું જેટલું છે તેટલું જ ગીતાંજલિબહેનનું પણ છે.
મધુસૂદન ઢાંકી, હેમન્ત દવે અને ગીતાંજલિબહેન ઢાંકી

મને લાગે છે શ્રીમતી ગીતાંજલિબહેન મધુસૂદન ઢાંકીને શ્રદ્ધાંજલિ પાઠવવા તેમના પરિચયમાં અપાયેલા આ શબ્દો જ પૂરતા છે. એવો પરિચય આપનાર હેમન્ત દવેએ વધુમાં જણાવ્યું કે સ્થાપત્ય અભ્યાસ માટે ઢાંકીસાહેબના દેશ-પરદેશના પ્રવાસમાં તેઓ હંમેશા સાથે રહી તેમની દૈનિક સગવડોનો ખ્યાલ રાખતા એ તો સામાન્ય વાત થઈ. એ ઉપરાંત સાથે રાખેલું અભ્યાસલક્ષી સાહિત્ય જરૂર પડે રેફરન્સ મેળવવા ઉપલબ્ધ કરી આપતા. જે વિગતો ન હોય તેની યાદી બનાવતા અને પ્રવાસ બાદ તે માહિતી ક્યાંથી મળી શકે તેનું ફોલોઅપ કરતા. એ માટે કરવા પડતા ફોન – પત્રવ્યવહારમાં ઢાંકીસાહેબની સાથે તેમની સામેલગીરી હોય જ. પ્રકટ થવા મોકલાતા સંશોધનપત્રો, લેખો કે પુસ્તકો માટેની પ્રેસકોપી તેઓ તૈયાર કરતા.
પોસ્ટ સાથેના આ ફોટા ઢાંકીસાહેબને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ – અમદાવાદ ખાતે વર્ષ 2010નો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક શનિવાર19 નવેમ્બર 2011ની સાંજે અર્પણ થયો ત્યારે પાડ્યા હતા. ગીતાંજલિબહેન માટે લખાયેલા શબ્દો અને એ લખનાર હેમન્ત સુધ્ધાંના સેવા – સમર્પણ છતા થતા દેખાય એ જ આ છબિનું મૂલ્ય.

Tuesday, May 22, 2012

વડાપ્રધાન પદ પામવાની અમદાવાદી ફોર્મ્યૂલા


વડાપ્રધાન. ભારતનું વડાપ્રધાન પદ. કયા રાજકારણીને એ પામવાની ઇચ્છા ન હોય? સક્રિય રાજકારણમાં ધોરણસરનો સમય પસાર કર્યો હોય એવા કોઈ પણને આ પદ પામવાની ઇચ્છા હોય જ. આવી કોઈ ઇચ્છા નથી એવું જો કોઈ કહે તો સમજવું કે કાં તો એ વ્યક્તિ રાજકારણી નથી કાં તો જૂઠ્ઠું બોલે છે. આજની તારીખે તો શું, કોઈ પણ વર્ષની કોઈ પણ તારીખે વડાપ્રધાન / Prime Minister of India પદની ઇચ્છા રાખનારની યાદીમાં દોઢ – બે ડઝન નામ તો હોય...હોય...ને હોય જ. ખૂટતું હોય તો આપણું નામ ઉમેરી દેવું. યાદી પુરી કરવાની એ સહેલી રીત છે. હું એમ જ કરું છું.
ખેર! આ તો એક વાત થઈ. મોરારજી દેસાઈના અપવાદને બાદ કરતા અને પી.વી. નરસિંહરાવ વડાપ્રધાન પદે આવ્યા ત્યાં સુધી ભારતીય રાજકારણ અને વડાપ્રધાન પદ સાથે એક વાત એરલ્ડાઇટની જેમ જોડાઈ ગઈ હતી કે – દેશને વડાપ્રધાનની ભેટ તો ઉત્તર પ્રદેશ જ આપે છે. વાત પણ સાચી હતી. ઉપરના બે અપવાદમાં ગુલઝારીલાલ નંદાએચ.બી. દેવગૌડા, ઇન્દરકુમાર ગુજરાલ અને હાલના વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું એમ વધુ ચાર નામ ઉમેરો તો ખ્યાલ આવશે કે જવાહરલાલ નેહરૂથી લઈને અટલ બિહારી વાજપેયી સુધીના વડાપ્રધાનો ઉત્તરપ્રદેશના રાજકારણ સાથે નાતો ધરાવતા હતા.
ખેર! આ તો બીજી એક વાત થઈ. પણ એટલું કહું કે ચરણસિંહ ચૌધરી અને ચંદ્રશેખર સિવાયના એક ડઝન વડાપ્રધાનોમાંથી કોઈએ આ પદ મેળવવા કાવા-દાવા કર્યા નથી. દેશના સર્વોચ્ચ બંધારણીય પદોમાંના એક ગણાતા એવા સ્થાન પર તેઓને કોઈ તિકડમબાજી કર્યા વગર જ સ્થાન મળ્યું છે. યાદી જુઓ એટલે સમજાઈ જશે. જેમ કે.....
જવાહરલાલ નેહરૂ – પ્રથમ વડાપ્રધાન. રાષ્ટ્રપિતા ગાંધીજીએ મંજૂરીની મહોર મારેલું નામ.
ગુલઝારીલાલ નંદા – જવાહરલાલ નેહરૂ અને લાલ બહાદુર શાસ્ત્રીના અવસાનના પગલે ચૌદ – ચૌદ દિવસના ટૂંકા ગાળાની બે મુદત માટે પદ પર આવેલા.
લાલ બહાદુર શાસ્ત્રી – જવાહરલાલ નેહરૂના અવસાન પછી જાહેર થયેલું સર્વસંમત નામ.
ઇન્દિરા ગાંધી – લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન પછી જાહેર થયેલું સર્વસંમત નામ.
મોરારજી દેસાઈ – કટોકટી સમાપ્ત થયે સત્તા પરિવર્તન માટે જાહેર થયેલું સર્વસંમત નામ.
રાજીવ ગાંધી – ઇન્દિરા ગાંધીની હત્યાના પગલે જાહેર થયેલું સર્વસંમત નામ.
વિશ્વનાથ પ્રતાપસિંહ – સત્તા પરિવર્તનનો યોગ બીજી વાર સર્જાતા જાહેર થયેલું સર્વસંમત નામ.
પી.વી. નરસિંહરાવ – રાજીવ ગાંધીની હત્યાના પગલે જાહેર થયેલું સર્વસંમત નામ.
અટલ બિહારી વાજપેયી – સત્તા પરિવર્તનનો યોગ ત્રીજી વાર સર્જાતા જાહેર થયેલું સર્વસંમત નામ જેનો લાભ વાજપેયીને સતત ત્રણ ટર્મમાં મળ્યો.
એચ.બી. દેવગૌડા – વાજપેયી સરકારે ટુંકા ગાળામાં બહુમતી ગુમાવતા જાહેર થયેલું એવું સર્વસંમત નામ જે પદ પર આવવાના આગલા દિવસ સુધી કર્ણાટકના મુખ્યમંત્રી પદે બિરાજમાન હતું.
ઇન્દરકુમાર ગુજરાલ – દેવગૌડા સરકારે બહુમતી ગુમાવતા જાહેર થયેલું એવું સર્વસંમત નામ જેણે વિદેશ પ્રધાન જેવા મહત્વના હોદ્દા પર રહીને પણ સર્વોચ્ચ પદ પામવાના કોઈ કાવા-દાવા કર્યા નહોતા.
ડૉ. મનમોહન સિંહ – સત્તા પરિવર્તનનો યોગ ચોથી વાર સર્જાતા જાહેર થયેલું સર્વસંમત નામ.
ખેર! આ તો ત્રીજી જ એક વાત થઈ. પરંતુ ઉત્તર પ્રદેશનું રાજકીય બેકગ્રાઉન્ડ પણ ના ધરાવતા હોઈએ અને પદ પર પહોંચવા માટેની તિકડમબાજી પણ ના કરવી હોય (અથવા આવડતી ના હોય) તો દેશના આ સર્વોચ્ચ સ્થાને પહોંચવાની કોઈ ચોથી જ એવી તરકીબ છે ખરી?
હા, છે.
ક્યાં?
અમદાવાદમાં.
શું વાત કરો છો.
જુઓ, આ અમદાવાદ છે ને તે એક એવું શહેર છે જેણે દેશના એક નહીંબબ્બે નાણામંત્રીઓને વડાપ્રધાન બનવાની તક પૂરી પાડી છે.
યાર જરા ફોડ પાડીને વાત કરો.
જુઓ સમજાવું. મોરારજી દેસાઈની તો ખબર નથી પણ વિશ્વનાથ પ્રતાપસિંહ અને ડૉ. મનમોહન સિંહને તો આ અમદાવાદ શહેરે જ વડાપ્રધાન બનાવ્યા છે.
કેવી રીતે?
એ બન્નેએ કેન્દ્રીય નાણામંત્રીના હોદ્દા પર રહેતા અમદાવાદ આવીને જે તે બેન્કની મુખ્ય શાખાનું ઉદ્ઘાટન કર્યું તેના કેટલાક સમય પછી તેઓ બન્ને ભારતનું વડાપ્રધાન પદ પામ્યા, કોઈ કાવા-દાવા કર્યા વિના.
ના હોય?
જુઓ, આ રહ્યા ફોટા.

કાલુપુર બેન્કની નવી બંધાયેલી ઈમારતનું 26જૂન 1986ના દિને
 ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય નાણાંમંત્રી વિશ્વનાથ પ્રતાપસિંહ સાથે ફોટામાં
 ડાબેથી પાંચમા યોગેન્દ્ર મકવાણા (કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી), 
અરવિંદ સંઘવી (ગુજરાતના નાણાંમંત્રી), બળદેવભાઈ ડોસાભાઈ પટેલ 
(કાલુપુર બેન્કના ચેરમેન) અને અમરસિંહ ચૌધરી (ગુજરાતના મુખ્યમંત્રી)


       ઇન્કમટેક્ષ ચાર રસ્તા નજીક આજે પણ કાર્યરત એવી કાલુપુર બેન્કની / Kalupur Bank હેડ ઓફિસનું ઉદ્ઘાટન વિશ્વનાથ પ્રતાપસિંહે
26 જૂન 1986ના રોજ કર્યું એ પછીના ચોથા વર્ષે એ દેશના વડાપ્રધાન પદે પહોંચી ગયા હતા.


એ રીતે ડૉ. મનમોહન સિંહે 2 એપ્રિલ 1994ના દિને નેહરૂબ્રીજ સામેના સાકાર – 1 બિલ્ડીંગમાં યુટીઆઈ બેન્કની / UTI Bank Limited મુખ્ય શાખાનું ઉદ્ઘાટન કર્યું તેના અગિયારમા વર્ષે 2004માં તેઓ વડાપ્રધાન પદે આરૂઢ થયા હતા. અરે, આજકાલ કરતાં એ ઘટનાને આજે 22મી મે ના દિવસે આઠ વર્ષ પૂરા પણ થયા. હા, યુટીઆઈ બેન્કનું નામ અને સ્થાન બન્ને બદલાઈ ગયા છે. હવે તે એક્સિસ બેન્કના / AXIS Bank Limited નામે લૉ-ગાર્ડન નજીક સમર્થેશ્વર મહાદેવ સામે કામ કરતી જોવા મળે છે.
ઇન્કમટેક્ષ સ્થિત કાલુપુર બેન્કની ઈમારત

       એટલે શું છે કે દેશના વડાપ્રધાન પદે પહોંચવાની એક ચાવી ઉત્તર પ્રદેશ પાસે છે તો બીજી ચાવી ગુજરાતના અમદાવાદ શહેર પાસે છે. માનો યા ના માનો, મરજી છે આપની. હા, એના માટેના ઇચ્છુક જણે અમદાવાદમાં બેન્કની શાખાનું ઉદ્ઘાટન કરવું પડે. અને હા, રિવરફ્રન્ટની રેતીનો ઢગલો સહેજ મોટો કરીને બેન્કનું નામ આપી રિબન કાપી દેવા માત્રથી પણ કંઈ ઉદ્ઘાટન થતું નથી કે નથી થવાતું વડાપ્રધાન.

ડૉ. મનમોહન સિંહે અમદાવાદમાં બેન્કની આ 
ઈમારતનું ઉદ્ઘાટન કર્યુંત્યારે 1983માં રિઝર્વ બેન્ક 
ઓફ ઇન્ડિયાના ગવર્નર હતા

બેન્ક ઉદ્ઘાટનનો ફોટો સૌજન્ય : કાલુપુર બેન્ક

એ સિવાયની તસવીરો : બિનીત મોદી

Thursday, May 17, 2012

રમેશ પારેખ : છ અક્ષરના નામની વિદાયને વરસ થયા છ


રમેશ પારેખ / Ramesh Parekh
27-11-1940થી 17-05-2006

        ગુજરાતી ભાષા લખતા– વાંચતા આવડતી હોય, સાહિત્ય વાંચન ગમતી બાબત હોય, કવિતાને ચાહતા હો તો પછી માની લો કે રમેશ પારેખ / Ramesh Parekh પ્રત્યે પ્રીતિ હોયહોય...ને હોય જ. આ અફર બાબત છે; ગમે તો વધાવી લો, એવી રીતે જાણે અમરેલી / Amreli નગરે કવિને વધાવ્યા હતા. 1991માં કવિના જન્મદિને (27 નવેમ્બર) વનપ્રવેશની પૂર્ણાહૂતિ રંગે-ચંગે ઉજવાઈ ત્યારે વતન એવું અમરેલી ગામ આખું હિલોળે ચઢ્યું હતું. માત્ર સાહિત્યિક સામયિકો નહીં, દૈનિક અખબારો માટે પણ રમેશ પારેખના વનપ્રવેશની પૂર્ણાહૂતિ એ સમાચાર હતા. એમ સમજો કે જે છાપાંઓએ જિંદગી ધરીને તેમની કવિતા નહોતી પ્રકટ કરી તેણે પણ આ ઉજવણીના સમાચારની નોંધ લીધી હતી. ટૂંકમાં કવિ તેમની કવિતાઓની જેમ જ છાપાંઓમાં છવાઈ ગયા હતા. છ અક્ષરના નામનો એ પહેલો પરિચય હતો. કવિના વનપ્રવેશની ઉજવણીમાં તો કંઈ સામેલ નહોતું થઈ શકાયું પરંતુ પરોક્ષ રીતે સામેલ થવાનું શક્ય બન્યું ખરું. કઈ રીતે?

        રજનીકુમાર પંડ્યા / Rajnikumar Pandya સાથે નિયમિત ધોરણે કામ કરતો એ અરસામાં તેમના સ્વર્ગસ્થ પિતા દેવરામભાઈ પંડ્યા વિશે તેમણે એક લેખ સુરતથી પ્રકટ થતા
ઉત્સવ પાક્ષિકને મોકલ્યો હતો. સાથે લેખને અનુરૂપ તસવીરો પણ ખરી. લેખ પ્રકાશિત થયો એ પછી કોઈ સામાજિક કામે મારે સુરત જવાનું થયું. રજનીકાકાએ એક કામ સોંપ્યું કે તારે યાદ રાખીને એ તસવીરો પરત લઈ આવવાની. ચીંધેલું કામ પાર પાડવા ઉત્સવની ઓફિસે પહોંચ્યો અને તંત્રી ભીખેશ ભટ્ટને મળ્યો. તસવીરો તો પરત મળી જ. ભીખેશભાઈએ બીજું એક કવર હાથમાં મુકતા કહ્યું, “રમેશ પારેખના વનપ્રવેશની તસવીરો છે. અમે નોંધ લઈ લીધી છે. હવે આ ફોટા અમારે કશા કામના નથી. તું ઇચ્છે તો લઈ જઈ શકે છે. એ ફોટા હજી આજેય મારી પાસે સચવાયેલા છે. કવિ રમેશ પારેખનું મારા માટે એ કાયમી સંભારણું છે.

સમગ્ર કવિતા 'છ અક્ષરનું નામ'નું હરીન્દ્ર દવેના હસ્તે લોકાર્પણ,

સાથે છેલભાઈ વ્યાસ, હર્ષદ ચંદારાણા, ડૉ. ભરત કાનાબાર અને વસંત પરીખ


        
માનવીની ભવાઈ ફિલ્મ કવિ સાથે બેસીને જોયાનું સ્મરણ છે. પન્નાલાલ પટેલની જાણીતી – જ્ઞાનપીઠ એવોર્ડથી પોંખાયેલી નવલકથા માનવીની ભવાઈ / Manvini Bhavai પરથી એ જ નામે ઉપેન્દ્ર ત્રિવેદીએ નિર્માણ કરેલી ગુજરાતી ફિલ્મમાં રમેશ પારેખે એક ગીત લખ્યું હતું.....કાળુ તારે તે કેડિયું ક્યાંથી લ્યા.....અમદાવાદના શિવ સિનેમામાં ફિલ્મનો પ્રિમિઅર શો યોજાયો ત્યારે રજનીકુમાર પંડ્યાએ તેમની સાથે ઓળખાણ કરાવી. એ સમયે તેમને પગમાં ફ્રેક્ચર થયું હતું. કોઈની મદદ લીધા વિના કે ટેકા વગર ડગ ના માંડી શકે. કવિની બીડીની તલબ હવે જાણીતી વાત થઈ ગઈ છે, એ સમયે નહોતી. ચાલુ ફિલ્મે જ એમણે રજનીકાકાને કહ્યું કે બાથરૂમ જવું પડશે. ઑડિટોરિયમની બહાર નીકળીને લયમાં બોલ્યા...બાથરૂમ તો એક બહાના હૈ, બીડી કા કસ લગાના હૈ.

        કવિ સાથે ઓળખાણ થઈ પરંતુ અંગત પરિચયમાં કદી આગળ ન વધી શક્યો. રાજકોટ – અમદાવાદનું અંતર પણ તેમાં કારણભૂત ખરું. મિત્ર જિતુ વઢવાણા થકી કવિ રાજેન્દ્ર શુક્લના / Rajendra Shukla પરિચયમાં આવવાનું થયું ત્યારે એ બન્ને વચ્ચેની મિત્રતા જોતાં એવી તક મળશે એવી આશા જરૂર જાગી પણ એ દિવસો આવ્યા જ નહીં. હા
, જિતુએ પોતે પ્રોડક્શન કરેલી રમેશ પારેખના ગીતોની એક ઑડિયો કેસેટ 'ગીત હાળાં ધક્કા-મુક્કી થાય' આપી જે વારંવાર સાંભળવી ગમે એવી છે. હવે તો તેની સીડી પણ બની છે.
રમેશ પારેખ - રાજેન્દ્ર શુક્લ : મૈત્રીનો અભિષેક
રમેશ પારેખનો પોસ્ટમાં સૌથી ઉપરનો અને રાજેન્દ્ર શુક્લ સાથેનો આ ફોટો રવિવાર, 4 સપ્ટેમ્બર 2005ના રોજ ગજ્જર હોલ ખાતે આયોજિત કવિ રાજેન્દ્ર શુક્લના કાવ્યસંગ્રહ ગઝલ સંહિતાના વિમોચન – સ્વરાભિષેક પ્રસંગે અમદાવાદ આવ્યા ત્યારે પાડ્યો હતો. વીસમી સદીના ઉત્તરાર્ધની ગુજરાતી કવિતાનો પર્યાય ગણાય એવા રમેશ મોહનલાલ પારેખની સરળતા જ આ ફોટો જોયાની પળે યાદ આવે. કેવી સરળતા? ફોટો પડાવવા માટે તેમને વિનંતી કરી. ગીત-સંગીતના કાર્યક્રમ પછી સ્ટેજ પરના ગાદી-તકિયા એમને એમ જ હતા. એ ગંદા ન થાય તેનો ખ્યાલ કરતા ફોટો પાડવા માટે હું કોઈ સારા લોકેશનની શોધમાં હતો. તો મને કહે કે તમે હાથ પકડીને જ્યાં ઊભા રાખશો ત્યાં ઊભા રહીશું, તમે ફોટો પાડી લેજો. પાડી લીધો. એ ફોટા વારે-વારે જોઈને એટલું જ કહેવાનું મન થાય કે એ ક્ષણો પાછી મળે. તેમની કવિતાઓ વાંચતા – પઠન કરતાં હંમેશા લાગ્યું છે કે આ કવિતાઓ તો ગીત-સંગીતની સંગતમાં જ સંભળાય. તેમની સદાય રહેનારી સ્મૃતિને સંકોરતી આ એક કવિતા.....

વરસાદ ભીંજવે
આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે
નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે
ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે
પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલો ધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,

        કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.


ખુદની કવિતા આસિત દેસાઈના મુખે સાંભળતા રમેશ પારેખ



Monday, May 07, 2012

પન્નાલાલ પટેલ : હયાતીના હસ્તાક્ષર


પન્નાલાલ પટેલ : જન્મસ્થળ માંડલી (ડુંગરપુર, રાજસ્થાન)નું ઘર
તસવીર : બીરેન કોઠારી

ઇઠ્યોતેરમો જન્મદિન પરિવાર સાથે ઉજવે તેના ઠીક એક મહિના પહેલા જીવનલીલા સંકેલી લેનાર વાર્તાકાર
નવલકથાકાર / Gujarati Author પન્નાલાલ પટેલનું શતાબ્દી વર્ષ આજે 7 મે 2012ના રોજ પૂર્ણ થાય છે. ગઈકાલના કે આજના ગુજરાતને અલગ અલગ સંદર્ભે જેની સાથે નિકટનો નાતો રહ્યો છે એવા પડોશી રાજ્ય રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના માંડલી ગામે 7 મે 1912ના રોજ જન્મેલા પન્નાલાલ પટેલ / Pannalal Patel 6 એપ્રિલ 1989ના રોજ અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ નજીક આવેલી પ્રજ્ઞા સોસાયટીના ઘરમાં અવસાન પામ્યા. તેમનો આ ફોટો પ્રજ્ઞા સોસાયટીના ઘરના ડ્રોઇંગ રૂમમાં ડિસેમ્બર – 1988ના અંતિમ દિવસોમાં પાડ્યો હતો.

પન્નાલાલ પટેલ/ Pannalal Patel ( 07-05-1912થી  06-04-1989)



શતાબ્દી વર્ષની પૂર્ણાહૂતિ ટાણે મારે આ ફોટા પાછળની વાત જ કહેવી કરવી છે. તેમના સાહિત્યની વાત મીમાંસા નથી કરવી. એ હું કરી ન શકું, મારી લાયકાત પણ નથી.

કોમર્સ કૉલેજના ભણતરનું મારું પહેલું વર્ષ હતું. એ પહેલાં વાંચવાનો શોખ કેળવાયેલો. એલ.જે. કૉલેજની લાઇબ્રેરી કે એમ.જે. લાઇબ્રેરીમાં ઉપલબ્ધ હોય તેવી પન્નાલાલની નવલકથાઓ વાંચી હતી એટલે લેખકને મળવા જવાની ઇચ્છા થયા કરે. બીજું કારણ તે નાટ્યકાર ભરત દવેએ માનવીની ભવાઈનવલકથા પરથી આ જ નામે બનાવેલું ફૂલ-લેન્થ નાટક. ગુજરાતી સાહિત્ય પરિષદના મેઘાણી પ્રાંગણમાં ભજવાયેલું આ નાટક જોયા પછી તેમને મળવાની ઇચ્છા બળવત્તર બની તો ભિલોડાના ધારાસભ્ય પદે ચૂંટાઈને રાજકીય ક્ષેત્રે પ્રવૃત્ત થયેલા અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીની માનવીની ભવાઈનામે ફિલ્મ બનાવવાની જાહેરાતે તેમાં ઉમેરો કર્યો. નવલકથાની પ્રસ્તાવનાના અંતે આવતું એડ્રેસ નોંધી લઈને બે-ત્રણ વાર એમના ઘર પાસેથી પસાર થયો પણ અંદર જઈને મળવાની તો શું બંગલાનો ઝાંપો ખખડાવવાની હિંમત પણ ના ચાલી. સંકોચ થતો હતો. મનમાં થતું કે તેમને મળીને શું વાત કરીશ? બીજી તરફ લેખકને મળવાનો અંદરથી ધક્કો વાગવાનું સમાંતરે ચાલુ રહ્યું. બહુ લાંબુ પણ ન ચાલ્યું એ અને એકવાર તેમના ઘરે પહોંચી જ ગયો કેમેરા સાથે. એટલા માટે કે.....

પન્નાલાલ પટેલ : કર્મભૂમિ અમદાવાદનું ઘર
તસવીર સૌજન્ય : ભરત પન્નાલાલ પટેલ 

એ દિવસોમાં જ તસવીરકાર જગન મહેતા વિશે રજનીકુમાર પંડ્યાની કોલમમાં વાંચ્યું હતું. ગાંધીજીની
ટુવર્ડસ્ ધ લાઇટતસવીરથી જગવિખ્યાત અને પૉર્ટ્રેટ ફોટોગ્રાફીમાં જેમનો જોટો ના જડે તેવા જગન મહેતા સમકાલીન સાહિત્યકારોની તસવીરો પાડતા. જો કે પરિષદ / Gujarati Sahitya Parishad જેવી સાહિત્યની શીર્ષસ્થ સંસ્થાને તેમના એ ફોટાનો કશો ખપ નહોતો એ જાણીને દુઃખી થયેલા જગનદાદાએ આગળ ઉપર એ કામ કરવાનું છોડી દીધાનું જાહેર કર્યું હતું. પરિષદ કે જગનદાદા વિશે એ સમયે વિશેષ કશું જ ન જાણતા મને લેખમાં આ વાત વાંચીને થયું કે કોઈકે તો આ કામ આગળ વધારવું રહ્યું. પન્નાલાલ પટેલને મળવા જતાં જગનદાદાનો લેખ અને તેમની વાત યાદ આવી એટલે જ કદાચ કેમેરા સાથે પહોંચ્યો તેમના ઘરે. ઓવર ટુ પ્રજ્ઞા સોસાયટી.....બંગલા નંબર પંદર.....

સાંજના સમયે મળવા ગયો ત્યારે એ માંદગીથી થાકેલા હતા. જમવાનો સમય પણ થઈ ગયો હતો. પરિવારજનોમાં મોટા પુત્ર અરવિંદભાઈ હાજર હતા. બાપુજીકહી તેમણે મારા મળવા આવવાનું કારણ જણાવ્યું એટલે રાજી થયા. ઘરના સભ્યોની ઓળખાણ કરાવતા કહ્યું કે, ‘નાનો ભાઈ ભરત અમેરિકા છે. તે રઘુવીર ચૌધરીની દીકરી દૃષ્ટિ સાથે પરણ્યો છે એટલે એ નાતે તેઓ અમારા વેવાઈ થાય.મેં ફોટો પાડવાની તૈયારી કરી તો એમણે કપડાં વ્યવસ્થિત કરતા સ્વેટર પહેર્યું.

પન્નાલાલ પટેલનો ફોટો પાડ્યાના ત્રેવીસ વર્ષ પછી જ્યારે જ્યારે આ ફોટો જોઉં છું ત્યારે એક રોમાંચ થાય છે. કેમ ન થાય? સાહિત્યિક કાર્યક્રમોના કે સાહિત્યકારોના ફોટા તો આજેય હું પાડું છું. પણ હા, એ ક્રમમાં આ પહેલો ફોટો છે. આજે એ યાદ કરવું ગમે છે કે પન્નાલાલને મળવાનું મન તેમના સાહિત્ય જેવી જ બળકટ પ્રતિક્રિયાને કારણે પણ થયું હતું. શી હતી એ બળકટ પ્રતિક્રિયા? 1985માં તેમને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર જાહેર થયો ત્યારે સન્માન અંતર્ગત અપાનારા એક લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર બાબતે પ્રતિભાવ આપતા એમણે જણાવ્યું કે.....જિંદગીમાં પહેલીવાર છ આંકડાની રકમ જોઈ રહ્યો છું.એવોર્ડ સન્માનો પુરસ્કાર તો ઘણા અપાય છે, વર્ષો-વર્ષ જાહેર થાય છે...પણ તેનો આવો બળકટ પ્રતિભાવ આટલા વર્ષોમાં ફરી સાંભળવા મળ્યો નથી. એટલું જ નહીં, પન્નાલાલના સાહિત્ય સંદર્ભે પ્રકાશિત અધ્યયન ગ્રંથ કે શતાબ્દી નિમિત્તે થયેલા કાર્યક્રમોમાં પણ આ શબ્દો ઉલ્લેખાયા નથી.

થોડા વખત પછી ફોટાની પ્રિન્ટ લઈને તેમના હસ્તાક્ષર લેવા ઘરે ગયો ત્યારે અગાઉ જેવો કોઈ સંકોચ નહોતો રહ્યો. ઇચ્છ્યું કે ફોટાની પાછળ તેઓ તેમનો ઉપરોક્ત પ્રતિભાવ – ‘જિંદગીમાં પહેલીવાર છ આંકડાની રકમ જોઈ રહ્યો છુંલખીને હસ્તાક્ષર કરી આપે. પણ એટલું લખવા જેટલી શારીરિક શક્તિ રહી નહોતી એટલે માત્ર ઑટોગ્રાફથી જ સંતોષ માની લીધો. દિવસ હતો શનિવાર 18 ફેબ્રુઆરી 1989. બસ એ પછીના દોઢ મહિને 6 એપ્રિલ 1989ના રોજ તેઓ અવસાન પામ્યા.

Thursday, April 26, 2012

અમદાવાદની આજકાલ : ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ – નામકરણ થયું, મુદ્રીકરણ નહીં.....


      નામકરણની 'લાખેણી' તક્તી

        અમદાવાદના આશ્રમરોડ પર બાટા શો-રૂમ સામે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ઓફિસ બિલ્ડીંગથી સાબરમતી નદી તરફ જતો રોડ હવે સત્તાવાર રીતે ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ તરીકે ઓળખાય છે. વિશ્વ માતૃભાષા દિન 21 ફેબ્રુઆરી 2012 (મંગળવાર)ની સાંજે માતૃભાષા – સાહિત્ય – સંગીત જેવા કાર્યક્રમોની સાથે માર્ગ નામકરણની તક્તીનું અનાવરણ થયું. આનંદની વાત છે. અમદાવાદના માધ્યમોમાં ક્યાંક એની નોંધ લેવાઈ. સઘળી જગ્યાએ નોંધ લેવડાવવી હોય તો પ્રેસનોટ મોકલવી પડે જે કામ પરિષદના તગડો પગાર મેળવતા કર્મચારીઓથી થઈ શકતું નથી. સાદી ટપાલ તો ઠીક ક્યારેક કુરીઅરથી મોકલાવાતી આમંત્રણ પત્રિકાઓ પણ કાર્યક્રમ વીતી ગયાના ચોવીસ કલાકથી લઈને ચોથા દિવસે મળે છે.
કાર્યક્રમનું આમંત્રણ

     
માર્ગને સત્તાવાર રીતે કોઈ નામ આપવાનું કામ સ્થાનિક વહીવટીતંત્રએ પાર પાડવાનું હોય છે. અમદાવાદમાં એ કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન બજાવે છે. એ રૂએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અમદાવાદના મેયર અસિત વોરાએ પરિષદ પ્રમુખ ભોળાભાઈ પટેલની સાથે રહી નામકરણની તક્તીનું અનાવરણ કર્યું અને જાહેર કર્યું કે સાબરમતી રિવરફ્રન્ટ તરફ જતો આ રોડ હવેથી ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ તરીકે ઓળખાશે.

પરિષદ મુખપત્ર 'પરબ'ના માર્ચ - એપ્રિલના અંક  

        ખરેખર એમ થયું
? ના. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા દર મહિનેપરબ નામનું મુખપત્ર મહિનાની દસમી તારીખે પ્રકાશિત થાય છે. માર્ગ નામકરણના ઉપરોક્ત કાર્યક્રમ પછી માર્ચ અને એપ્રિલ એમ બે મહિનાના અંકો પ્રકાશિત થયા. સામયિકના પ્રકાશનસ્થાનના સરનામામાં જ આ માર્ગનો ઉલ્લેખ નથી. સરનામું અગાઉથી ચાલી આવતા ટાઇમ્સ પાછળ, નદીકિનારે શબ્દોથી આગળ વધ્યું નથી. સામયિક જે તે મહિનાની દસમી તારીખે પ્રકાશિત થતું હોવા છતાં 21 ફેબ્રુઆરીના ઉપરોક્ત કાર્યક્રમની માર્ચ મહિનાના અંકમાં કોઈ નોંધ નથી. ઉઘડતા પાને પરિષદ પ્રમુખ દ્વારા લખાતા વાચકો જોગ પત્રમાં ભોળાભાઈ પટેલ દ્વારા આ બાબતની કોઈ નોંધ લેવામાં આવી નથી. હા, ભોળાભાઈએ દિવ્ય ભાસ્કર દૈનિકની રવિવારની પૂર્તિમાં આવતી તેમની પખવાડિક કોલમ સાહિત્ય વિશેષમાં 25 માર્ચના લેખમાં માર્ગ નામકરણના પ્રસંગની વિશેષ નોંધ લઈને માતૃભાષા ગુજરાતીને બચાવી લેવાની વાત લખી છે. અસિત વોરા માટે ઊંચી કદકાઠી અને વ્યક્તિત્વ ધરાવતા મેયર જેવા શબ્દો લખીને ભોળાભાઈએ તેમના જેવા રણજિતરામ સુવર્ણચંદ્રક અને પદ્મશ્રીથી સન્માનિત વ્યક્તિત્વને ન શોભે તેવી ભાટાઈ પણ લેખમાં કરી છે. (લેખની સ્કેન ઇમેજ આ સાથે મુકી છે.)

ભોળાભાઈ પટેલ : છાપામાં 'લેખ' લખાય,
મુખપત્રમાં 'ઉલ્લેખ' પણ નહીં.....

        આજે તો કોઈ પૂછશે ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ
? એ વળી કયો માર્ગ? એટલા સરનામાથી ટપાલખાતું પણ મૂંઝવણમાં પડશે? આ માર્ગ ક્યાં આવ્યોઅમદાવાદના ઘણા રસ્તાઓને મહાનુભાવોના નામ સાથે સાંકળવામાં આવ્યા છે. તેમાં કેટલાક સાહિત્યકારોનાં નામ પણ છે. ઉમાશંકર જોશી માર્ગ ક્યાં છે? પન્નાલાલ પટેલ માર્ગ ક્યાં છે? જયંતી દલાલ માર્ગ ક્યાં છે? કોઈ જાણતું નથી કદાચ. એમ ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગનું થશે?

        ઉપરના ફકરામાં બ્લુ અક્ષરે લખાયેલા શબ્દો મારા નથી. એ ભોળાભાઈ પટેલે દિવ્ય ભાસ્કરની તેમની કોલમમાં લખ્યા છે. લાગે છે ભોળાભાઈને જે ડર સતાવી રહ્યો છે એને પરિષદના તેમના સહિતના હોદ્દેદારો કે પરબના તંત્રી યોગેશ જોષી જ સાચો પાડશે કે જેઓ પરિષદ માર્ગની કાયમી અને સમયસર લેવાવી જોઈતી નોંધ બે મહિના સુધી લઈ શક્યા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી શહેરની સર્વોચ્ચ વહીવટી સંસ્થાએ માર્ગનું નામકરણ કરી આપ્યું જેનું મુદ્રીકરણ કરવાનું પરિષદે આજે બે મહિના પછી પણ બાકી રાખ્યું છે. પરિષદની સત્તાવાર વેબસાઇટ www.gujaratisahityaparishad.com પર આ વિશેષ ઉપલબ્ધિનો ઉલ્લેખ કે તેનો ફોટો પણ નથી.

ગુજરાતી સાહિત્ય પરિષદનો આજીવન સભ્ય હોવાના નાતે નિયમિતપણે મળતા રહેતા પરબનો એપ્રિલ 2012નો અંક પણ ટપાલમાં આવી ગયો. દુનિયામાં અમુક સામયિકો ભૂલો વિનાના હોય, કેટલાક જાહેરખબર વિનાના હોય, થોડા વાચકો વિનાના પણ હોય એમ આ પરબ ફોટા વિનાનું સામયિક છે. એમાં જૂની-નવી કવિતાઓ, વાર્તાઓ, વિવેચનો, પ્રવચનો બદ્ધું છપાય પણ ફોટા ના છપાય. એપ્રિલના અંકમાં પરિષદ-પાથેય અંતર્ગત માર્ગ નામકરણની નોંધ બે પાનામાં છપાઈ છે પણ ફોટા વગર. પરબમાં ફોટો એક જ વાર છપાય – સાહિત્યકાર અવસાન પામે ત્યારે, એ પણ જો સ્વર્ગસ્થ જણ પરિષદ હોદ્દેદારોના ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ હોય તો.

હવે એક આડવાત કરીને મારી વાત પૂરી કરું.
ગુજરાતી સાહિત્ય પરિષદના નદીકિનારા સ્થિત મકાનને સંસ્થાકીય ધોરણે મળવી જોઈએ એવી કોઈ રાહત મિલકત વેરામાં મળતી નથી. પરિષદના મકાનને કોમર્શિયલ પ્રોપર્ટી ગણીને જ મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્ષની આકારણી કરી વેરો વસૂલે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની દલીલ એવી કે એક સંસ્થાને રાહત આપીએ તો એ ધોરણ તમામ સંસ્થાઓને લાગુ પાડવું પડે અને અમને આવકની મોટી ખોટ પડે. પરિષદના જૂના હોદ્દેદારોએ પૂરતો અભ્યાસ કર્યા વિના પ્રોપર્ટી ટેક્ષમાં રાહત મળવી જ જોઈએ એવી વાતનું પૂંછડું પકડી લીધું હતું. એમ કરતા થોડા વર્ષો મિલકત વેરો ચુકવવાનું જ ચૂકાઈ ગયું. બાકી વેરો અને ઉપર ચઢતું વ્યાજ એમ વર્ષો-વર્ષ જવાબદારી વધતી જ ગઈ. સમય જતાં પરિષદમાં નવા હોદ્દેદારો આવ્યા. એમાંના કેટલાકને રસ્તાને પરિષદનું નામ મળવું જોઈએ એવો વિચાર આવ્યો. વાત આગળ વધતાં મ્યુનિસિપલ સત્તાવાળાઓ સમક્ષ પહોંચી તો એમણે ઉપરોક્ત બન્ને મુદ્દાને જોડી દીધા. નદી તરફ જતા રસ્તાને પરિષદનું નામ આપવાનું ગાજર ગુ.સા.પ.ના હોદ્દેદારો સમક્ષ લટકાવી દીધું – એમ કહીને કે બાકી વેરાની તમામ રકમ ચુકવી આપો. આમ હજારોથી શરૂ થયેલી બાકી છેવટે રૂપિયા બાવીસ લાખના આંકડે પહોંચી ત્યારે પરિષદે એ જવાબદારી નિભાવવા સામટી રકમ ચુકવવાનો વારો આવ્યો. એટલે એક રીતે જુઓ તો માર્ગ નામકરણની આ તક્તીનો સોદો મોંઘો અને લાખેણો પડ્યો છે.

પ્રથમ તસવીર : બિનીત મોદી
એ સિવાયની સ્કેન ઇમિજીસ


Monday, April 16, 2012

અમદાવાદની આજકાલ : જેકેટનો જુલમ વેઠતા સફાઈ કર્મચારીઓ


ધોળે દિવસે જેકેટનો જુલમ

સફાઈ કર્મચારી બહેને સાડી પર પહેરેલું ગ્લો સાઇન જેકેટ ચાર મહિના અગાઉ પહેલી વાર જોયું ત્યારે શિયાળાની સવાર હતી. તેને પહેરનારા સફાઈ કર્મચારી ભાઈએ વહેલી સવારની કડકડતી ઠંડીનો સામનો કરવા સ્વેટરની અવેજીમાં શર્ટ પર ચઢાવ્યું હશે એમ માની એક સવારે તેમની સાથે વાતોએ વળગ્યો. સમજાવ્યું કે આ જેકેટ તો રાત્રે કામ કરતા હો તો પહેરવાનું હોય છે જેથી રસ્તા પર વાહન ચલાવનાર તમારી હાજરીની નોંધ લઈ સલામત અંતર રાખીને વાહન ચલાવે. ઉદાહરણ આપતા એમ પણ કહ્યું કે સાંજ પડ્યે અમદાવાદની ટ્રાફિક પોલીસ પણ ચાર રસ્તે આ રીતે ગ્લો સાઇન જેકેટ પહેરીને જ ફરજ બજાવે છે.

રસ્તાની સફાઈનો તેમનો અને સ્કુટર સફાઈનો મારો રોજિંદો સમય એક જ. રોજ અમારી ચાર આંખો મળે એટલી ઓળખાણે જ કદાચ એ ભાઈએ મારી આટલી પણ વાત સાંભળી. પછી પોતે વાત માંડી. મને કહે
, તમે માનો છો એમ આ જેકેટ સ્વેટરની અવેજીમાં તો બિલકુલ નથી પહેર્યું. એ રીતે ચાલે તેમ પણ નથી એમ કહી એ કેટલું પાતળું છે તે બતાવ્યું. આ જેકેટ રાત્રે જ પહેરવાનું હોય છે તેની તેને પણ ખબર હતી જ. પછી કહે, મને ને તમને ખબર છે પણ અમારા જડભરતસાહેબોને આના ઉપયોગની ગતાગમ નથી એટલે ધોળે દિવસે આ જેકેટ પહેરવાનું ઠઠાડી દીધું છે – એ ય લેખિતમાં. ઠંડી ભાગવી તો દૂર રહી, આને કારણે ખુદના ગરમ કપડાં પણ પહેરી શકાતા નથી. એ પહેરીએ તો જેકેટ શરીર પર ના ચઢે, ટૂંકું પડે. આ દુ:ખ કોને કહીએ?

તેમનો સુપરવાઇઝર સાહેબ અઠવાડિયે એક-બે વાર મોટર સાઇકલ પર ફરતો-ફરતો સફાઈ કામ થઈ રહ્યાની દેખરેખ રાખે. એક વાર તેને મોંઢે આ વાત કરી તો કહે ઉપરથી સાહેબોનો હુકમ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગથી લઈ મેયર ઓફિસ સુધીના કેટલાક ફોન ખખડાવી જોયા. પરિણામ – શૂન્ય. એમ કરતા શિયાળો અને સમય બન્ને વીતી ગયા. ઉનાળો આવ્યો.

ફરીથી એ જ સીન. અમદાવાદની ગરમી કે ઉનાળા વિશે હું અહીં કંઈ લખું તો જ તેની તીવ્રતા અનુભવાય એવું તો છે નહીં. પણ શનિવારની સવારે (
14 એપ્રિલ – ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ) ઉપરના ફોટામાં છે એ સફાઈ કામદાર બહેનને / Street Sweeper સાડી પર જેકેટ સાથે જોયા ત્યારે ફરીથી ડાયલૉગ કર્યો. એ જ જવાબ – સાહેબો આ પહેરવાની ફરજ પાડે છે. મને દયા આવી ગઈ. એ બહેનની નહીં, તેમના જડસુ સાહેબોની અને તેમના બુદ્ધિઆંકની – જો હોય તો. કે જેઓ ઉનાળાના દિવસોમાં પણ આ જેકેટ પહેરવા સંબંધે નવેસરથી વિચાર કરીને નિર્ણય પર આવી શકતા નથી.
મુંબઈમાં પણ કોઈ જુદી કહાણી નથી

ગુજરાતના અન્ય શહેરોની તો ખબર નથી પણ અમદાવાદમાં સફાઈનું કામ કર્મચારીઓ દ્વારા દિવસે જ થાય છે. રાતના સમયે વાહનોની અવર-જવર ઓછી થયા પછી રસ્તા સફાઈ માટે ઑટોમેટીક સાધનોને કામે લગાવવામાં આવે ત્યારે મદદમાં રહેતા કર્મચારીને ગ્લો સાઇન જેકેટ પહેરાવાય છે. અન્ય વાહનોથી તેની સલામતી માટે એ જરૂરી છે. પણ દિવસે એ જેકેટ પહેરાવવામાં સાહેબોનો કયો અભરખો પૂરો થાય છે તેનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના / Ahmedabad Municipal Coporation ખર્ચે અને જોખમે જ સંશોધન કરવું રહ્યું. શક્ય છે એ માટે પરદેશનો પ્રવાસ પણ ખેડવો પડે.

અમદાવાદમાં / Ahmedabad કોઈ ટ્રાફિક કોન્સ્ટેબલને કે તેના સાહેબને દિવસે આ રીતે ગ્લો સાઇન જેકેટ પહેરીને ફરજ બજાવતો જોયો નથી કારણ કે તે પોલીસ છે, તેની પાસે સત્તા તો છે જ છે – બુદ્ધિ પણ છે. જ્યારે આ સફાઈ કર્મચારીઓ બાપડા-બિચારાની વ્યાખ્યામાં આવે છે. તેમને માત્ર ફરજ જ નિભાવવાની છે. અને સત્તા? એ તો આપણે 
તેમને આપી જ નથી. આપીએ તો આ નહીં તો આવતા ઉનાળા સુધીમાં તો તેને જેકેટ પહેરવામાંથી મુક્તિ મળે – ધોળે દિવસે.


પહેલી તસવીર (અમદાવાદની) : બિનીત મોદી
બીજી તસવીર (મુંબઈની) : નેટ પરથી

Friday, March 23, 2012

વસુબહેન : નામ નહીં 'સર્વ'નામ, સર્વે જણ માટે એક જ નામ


ગુજરાતી સાહિત્ય અને માધ્યમ જગતમાં એક નામ એવું છે જે માત્ર નામથી જ ઓળખાય છે. કોઈ અટક કે ઉપનામ-તખલ્લુસ તેને લાગુ પડતું નથી. વસુબહેન / Vasubahenવિનોદની નજરેમાં વિનોદ ભટ્ટે તેમનો પરિચય આપતા શરૂઆત આ રીતે કરી છે.
નામ : વસુબહેન.
ઉપનામ: વસુબહેન.
અટક: વસુબહેન.
પિતા અગર પતિનું નામ : વસુબહેન.

વસુબહેન : આજે થયા અઠ્ઠયાશી (88)

        આ નામ માટે ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણી વખતે એક વાર તેમને ઝઘડો પડેલો. ઉમેદવારી-પત્રમાં પોતાનું આખું નામ તેમણે વસુબહેન લખેલું. કાર્યાલયે આ ઉમેદવારીપત્ર અધૂરું ગણીને તેમનું નૉમિનેશન રદ કરેલું. પછી કોર્ટમાંયે પોતાનું આ જ નામનું રજિસ્ટ્રેશન થયેલું છે એ તેમણે પુરવાર કરી બતાવ્યું એટલે પાછળથી પરિષદની કારોબારીના સભ્ય તરીકે તેમને કો-ઑપ્ટ કરવામાં આવેલાં.
       ગુજરાતી સાહિત્ય પરિષદે જેમને કારોબારી સભ્ય તરીકે કો-ઑપ્ટ કર્યા હતા તે વસુબહેન આજે 2012માં પરિષદના પાડોશી છે. એમ તો જિંદગી ધરીને જ્યાં નોકરીગત પ્રવૃત્ત રહી છેલ્લે નિયામકપદેથી 1982માં વયનિવૃત્ત થયા તે આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના સાખપાડોશી છે. ગુજરાતી સાહિત્યની ક્લાસિક કૃતિ વિનોદની નજરે (પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ) ના ઉપર ઉલ્લેખેલા તેમના વિશેના લેખના પહેલા પ્રાગટ્યને ત્રણ દાયકા ઉપરાંતનો સમય વીતી ગયો છે. એક સમયના સબળ માધ્યમ ગણાતા રેડિયોમાં કામ કરી ચુકેલા વસુબહેનની નવેસરથી નવા માધ્યમમાં નોંધ લેવી જોઈએ એવા ખ્યાલ સાથે તેમના ઘરે પહોંચ્યો. અહીંથી હું આગળ વધું અને વાંચવામાં તમે આગળ વધો એ પહેલાં એટલું જણાવું કે વિનોદની નજરેમાં તેમના વિશે વાંચ્યા વિના પરિચય અધૂરો જ રહેવાનો. તો ચાલો ઓવર ટુ આશ્રમરોડ.....પાંચમા માળે, જિવાભાઈ એપાર્ટમેન્ટસ્, કંદોઈ ભોગીલાલ મૂળચંદની ગલીમાં – નદી કિનારા તરફ.
                                  *   *   *   *   *   *
વસુબહેન, આ અઠવાડિયે શુક્રવારે તમારો જન્મદિવસ છે તો તમારા વિશે લખવું છે.
જન્મદિવસ તો ગયો. હોળીના દિવસે. ઘરમાં બધા એ રીતે યાદ રાખતા કે એક બાજુ હોળી પ્રગટી અને બીજી બાજુ મારું પ્રાગટ્ય થયું.
બરાબર, પણ તારીખ પ્રમાણે જન્મદિવસ 23 માર્ચે. તો મારે એ નિમિત્તે તમારી ઓળખ જોગ કંઈક લખવું એવો ખયાલ છે.
વિનોદે બધું લખ્યું છે.
એ સિવાયનું મારે લખવું છે.
હમણાં જ ચાર દિવસ હોસ્પિટલમાં રહી આવી. ત્યાં કોઈ વાત કરવાવાળું જ ના મળે. મારું બોલવાનું જ બંધ થઈ ગયું. હવે થાક લાગે છે.
       
        મહેફિલના – મેળાવડાના માણસ એવા વસુબહેન આજે અઠ્ઠયાશી વર્ષનાં થયા. જન્મતારીખ 23 માર્ચ 1924. અઠ્ઠયાસી વર્ષે લાગવા જોઈએ એટલા જ થાકેલા પણ કંટાળેલા નહીં. તેમના અતિ જાણીતા તકિયાકલામ સાથે મને કહેપ્રભુ, ફરી વાર મળીએ તો. માંદગીના ખબર મળતાં મુંબઈ રહેતા તેમના બહેન ઇન્દુબહેન અમદાવાદ દોડી આવેલા. સગાં-સબંધી-મિત્રો-પરિચિતોના માત્ર એક-એક પ્રતિનિધિ ગણીએ તો ય તેમનો રૂમ એકદમ ભર્યો-ભાદર્યો. બધાને તેમની સાથે કંઈક વાત કરવી હતી. પરીક્ષાની તૈયારી કરતી પાડોશીની છોકરી પણ તેની દાદી સાથે આવીને બે ઘડી વસુબહેનને વહાલ કરી ગઈ, એમ કહીને કે તમને મળ્યા વગર વાંચવામાં મન નહોતું લાગતું.


પાડોશીની દીકરી : તમને મળ્યા વગર
વાંચવામાં મન નહોતું લાગતું
 

        હોસ્પિટલમાંથી રજા મળ્યે કલાકો જ વિત્યા હતા. લાંબી વાત થઈ શકે એવી કોઈ ગુંજાશ નહોતી. છતાં બહેન ઇન્દુબહેન પાસેથી થોડી વિગતો મેળવી શકાઈ – વાત થઈ શકી. પરિવારની વિગતો આપતા તેમણે જે જણાવ્યું એ પ્રમાણે.....
        વતન અમદાવાદ અને મોસાળ જંબુસર-ભરૂચ પાસેનું આમોદ ગામ પણ જન્મ વડોદરામાં થયેલો. કારણ પિતા રામપ્રસાદ બાલકૃષ્ણ શાસ્ત્રી સયાજીરાવ ગાયકવાડના પોલીટીકલ સેક્રેટરી હતા. મનુભાઈ દિવાન અને વી.ટી. કૃષ્ણામાચારી જેવા એ સમયના જાણીતા વહીવટદારો સાથે તેમણે કામ કરેલું. માતાનું નામ સરસ્વતીબહેન. બે ભાઈઓ (શરદકાન્ત –મહેન્દ્ર) અને ચાર બહેનો (સૂર્યબાળા, મધુ, વસુ અને ઇન્દુ)ના પરિવારમાં વસુબહેનનો નંબર પાંચમો. શરદભાઈ (હાલ સ્વર્ગસ્થ) વેપાર તરફ વળ્યા હતા તો મહેન્દ્રભાઈ ગુજરાત રાજ્યના ડ્રગ કન્ટ્રોલર હતા અને અધિકારી તરીકે ખૂબ લોકપ્રિય હતા. હાલ વડોદરામાં નિવૃત્ત જીવન ગાળે છે. ઇન્દુબહેન અને વસુબહેને આજની બી.એ. સમકક્ષ ગણાય તેવી ગૃહિતા ગમા – જી.એ.ની ડીગ્રી મહર્ષિ કર્વેએ સ્થાપેલી શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી કોલેજમાંથી મેળવી હતી. આજે એ કોલેજ એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. મધુબહેન વધુ અભ્યાસ માટે લંડન ગયા અને ત્યાં જ સ્થાયી થયા હતા. જો કે જિંદગીના અંતિમ વર્ષોમાં અમદાવાદ આવી ગયા હતા અને અહીં જ અવસાન પામ્યા. ઇન્દુબહેન એ.સી.સી. કંપનીની મુંબઈ ઓફિસમાં તેત્રીસ વર્ષ કામ કર્યા પછી હાલ નિવૃત્ત જીવન ગાળે છે.

બે બહેનો : વસુ અને ઇન્દુ

        વડોદરામાં ભણતર પૂરું કર્યા પછી વસુબહેને પહેલી નોકરી શિક્ષિકા તરીકે અમદાવાદની રાવ મગનભાઈ કરમચંદ સ્કૂલમાં સ્વીકારી. એ અણગમતી નોકરી હતી એટલે એમાંથી છૂટવા જ તેમણે 1949માં આકાશવાણીની / All India Radio નોકરી સ્વીકારી. વડોદરા – રાજકોટ – મુંબઈમાં વિવિધ પદો પર કામ કરતાં છેલ્લે નિયામકપદેથી અમદાવાદમાં નિવૃત્ત થયા. આકાશવાણીની નોકરી દરમિયાન રાજકોટમાં ફરજ બજાવતા તેમની સાથેનો એક પ્રસંગ વિનોદની નજરેમાં આ રીતે આલેખાયો છે.....ઓવર ટુ.....રાજકોટ.....
       
         ચોર-શાહુકાર વચ્ચે પણ તેમને મન ઝાઝો ફરક નથી. વચ્ચે રાજકોટના તેમના મકાનમાં ચોરી થઈ. ચોર પકડાયો. વસુબહેનને પોલીસ સ્ટેશન પર બોલાવવામાં આવ્યાં. તેર-ચૌદ વર્ષના ચોર છોકરાને જોઈને આશ્ચર્યથી તેમણે પોલીસને પૂછ્યું
આટલા નાના છોકરાએ ચોરી કરી? પછી એ છોકરાના બરડા પર સ્નેહથી હાથ ફેરવી તેને પોતાની પાસે બેસાડવા માંડ્યાં. પોલીસે તેમને રોકતાં કહ્યું : ‘ચોરને તમારી સાથે ખુરસીમાં ના બેસાડાય. તે ચોર છે એવું તેને લાગવું જોઇએ......
પણ પોલીસની વાત પર બહુ ધ્યાન ન આપતાં ચોર સાથે તેમણે પ્રશ્નોત્તરી શરૂ કરી : દોસ્ત, મારું ઘર તને કેવું લાગ્યું?’
શોભાવાળું...
મારા શો-કેસમાં પડેલી બેલ્જિયમની કીમતી ક્રોકરી તેં કેમ ના લીધી?
કાચની ચીજો હાથમાંથી છટકીને ફૂટી જાય તો અવાજ થાય ને આજુબાજુવાળા જાગી જાય તો પકડાઈ જવાય...
ત્યાર બાદ વસુબહેને પોલીસને કહ્યું : મારું કશું ચોરાયું હોય એવું નથી લાગતું. ત્યારે ચોરે સામેથી શાહુકારી બતાવી : ‘હોય બહેન! તમારા ગળાની ચેઇન ચોરીને મેં સોનીને ત્યાં વેચી નાખી છે.
ને ચોરની પ્રામાણિકતાથી પ્રભાવિત થઈને તેમણે તેને આમંત્રણ આપ્યું : તું છૂટે એટલે મારા ઘેર, હું હોઉં ત્યારે આવજે...આપણે સાથે ચા પીશું.
આ વસુબહેનને મન વસુધૈવ કુટુમ્બકમ્ છે...

હા, આજે ત્રીસ વર્ષ પછી પણ તેમની એ ભાવનામાં કોઈ ફરક પડ્યો નથી. ના જ પડ્યો હોય ને એ તો. કારણ તેમનું નામ વસુબહેન છે. ચોરને આપ્યું હતું એવું જ આમંત્રણ તેમણે મને પણ આપ્યું હતું. મૂળ તો રજનીકુમાર પંડ્યા વતી કોઈ કામે તેમના ઘરે એકથી વધુ વાર મારી અવર-જવર થતી રહેતી. મને કહે, ‘પ્રભુ, તારે આવતા-જતા રહેવું. વાતો કરીશું. મઝા પડશે. જો કે અમદાવાદની અડાબીડમાં એવો વખત કદી આવ્યો નહીં. પણ સમય મળ્યે ચાર-છ મહિને ઘરે મળી તેમના ક્ષેમકુશળ પૂછી લેતો. ઘરમાં કદી એકલા ન હોય. દરબાર ભરેલો જ હોય. શક્ય છે આ દરબારી માહોલને કારણે જ કદી વન-ટુ-વન વાત કરવાનું ન બન્યું કે જેથી તેમનો કોઈ આલેખ કરી શકાય.


        આકાશવાણી સાથેના તેમના એકાધિક સ્મરણો છે. તેમની સાથે કામ કરી ચુકેલા લોકો પાસે પણ પ્રાસંગિક સંસ્મરણો છે. ન હોય તો જ નવાઈ. ઇન્દિરા ગાંધી રેડિયો સ્ટેશનની મુલાકાતે આવ્યા હોય તેવો તેમનો એક ફોટો આલબમમાં જોયો હતો. બન્ને એકસરખાં ઠસ્સાદાર લાગે. ફ્રેમમાં એક પણ પોલીસ દેખાતો ન હોય તેવો વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની બાજુમાં વસુબહેન ઊભા હોય તેવો ફોટો એટલા માટે યાદ આવે કે આજે સલામતીના નામે વડાપ્રધાનના ચોકિયાતોને પણ ચાલીસ ફીટ દૂર ઊભા રાખવામાં આવે છે.

વસુબહેન, ઇન્દિરા ગાંધી અને સત્યવતીબહેન 
શાહ વડાપ્રધાનના નિવાસસ્થાને, દિલ્હી

તેમનો ખૂબ સમૃદ્ધ ફોટો આલબમ આજે વેરવિખેર છે. ખપના – ઉપયોગના છે એમ કહી કેટલાય લોકો ફોટા લઈ ગયા છે જે પરત આવ્યા નથી. સ્મૃતિલોપને કારણે હવે વસુબહેનને પણ ફોટા લઈ જનારના નામ યાદ નથી. વચ્ચે એક નમૂનો તેમને એવો ભટકાયો કે ફોટા સ્કેન કરવાના નામે આલબમમાં ચોંટાડેલા ફોટા ઉખાડી-ઉખાડીને લઈ ગયો. એ ફોટા પાછા આવ્યા પણ ન આવ્યા બરાબર.

આકાશવાણીમાંથી નિવૃત્ત થઈને વસુબહેન મહિલાલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિય થયા. રાજ્ય સરકારે રચેલા ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડના પહેલા અધ્યક્ષપદે તેમની નિમણૂક થઈ હતી. ગુજરાત સ્ત્રી કેળવણી મંડળના તેઓ આજીવન પ્રમુખ છે. ઢળતી વયે ઘરમાં બકુલાબહેન તેમની દેખભાળ રાખે છે. વસુબહેનના એ જુના સાથીદાર છે. એટલા જુના કે હવે તેમની પણ અવસ્થા થવા આવી છે.

ઘરમાં ઘડિયાળના કાંટે સાથ આપતા બકુલાબહેન

સાજે – માંદે હવાફેર કરવા વસુબહેન સૂર્યબાળાબહેનના દીકરા ભાણેજ આશુતોષભાઈ – વંદનાબહેન (શીવકુમાર જોશીના દીકરી)ના પરિવાર સાથે જઈને રહે છે. હા, જ્યાં જાય ત્યાં મહેફિલ જમાવીને બેસે. વાતોનો મેળો કરે. એનું જ નામ તો વસુબહેન.

આંગણે આવેલાની દરકાર:
" હું ન મળું તો સંદેશો જરૂર લખજો
 " 
          
        ( નોંધ: પોસ્ટમાં રંગીન ટેક્સ્ટ 'વિનોદની નજરે' પુસ્તકમાંથી. 
           રંગીન તસવીરો : બિનીત મોદી, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો સૌજન્ય : વસુબહેન)